Magazines

આજની કથા : મહાભારતના વનપર્વના એ ઋષિ, જેને કાળ પણ સ્પર્શી ના શક્યો

By GS TEAM
10 Jun 20263 mins read
આજની કથા : મહાભારતના વનપર્વના એ ઋષિ, જેને કાળ પણ સ્પર્શી ના શક્યો

વાર્તાનો સાર : પાંડવો તે સમયે વનમાં હતા. રાજ્ય ગયું હતું. સન્માન ગયું હતું. ભવિષ્ય અનિશ્ચિત હતું. તેમની સમક્ષ પણ એક પ્રકારના 'યમ' ઊભા હતા. માર્કંડેયનો પ્રસંગ તેમને એ નથી જણાવતો કે સંકટ નહીં આવે. તે એ જણાવે છે કે સંકટની ક્ષણે મનુષ્યનું મૂલ્ય નિર્ધારિત થાય છે.

મહાભારતની કથા : માર્કંડેય અને યમ

વનમાં ભટકતા પાંડવોની સમક્ષ એક દિવસ ઋષિ માર્કંડેય પ્રગટ થયા. તેઓ ચિરંજીવી હતા. તેમના મુખ પર ન વૃદ્ધાવસ્થાનો થાક ન હતો, ન કાળનો ભય. યુધિષ્ઠિરે વિસ્મયથી પૂછયું, 'હે ઋષિવર, આપ કેવી રીતે આ મૃત્યુલોકમાં અજર-અમર છો ?' ત્યારે માર્કંડેયે પોતાની કથા સંભળાવી. તેમના પિતા મૃકણ્ડ ઋષિને પુત્ર-પ્રાપ્તિની અભિલાષા હતી. શિવે વરદાન માગવા કહ્યું તો બે વિકલ્પ હતા - દીર્ઘાયુ પરંતુ મંદબુદ્ધિ પુત્ર, અથવા અલ્પાયુ પરંતુ જ્ઞાાનવાન અને ભક્ત પુત્ર, મૃકણ્ડે બીજો વિકલ્પ પસંદ કર્યો.

માર્કંડેયનો જન્મ થયો. તેજસ્વી, સત્યનિષ્ઠ, શિવભક્ત. પણ તેમની આયુ માત્ર સોળ વર્ષ નિશ્ચિત હતી. તે દિવસ આવ્યો જ્યારે યમરાજ પોતે પાશ લઈને પ્રગટ થયા. માર્કંડેય તે સમયે શિવલિંગની આરાધનામાં લીન હતા. તેમણે યમને જોયા, ભયભીત ન થયા. તેઓ શિવલિંગને વધુ દ્રઢતાથી વળગી રહ્યા અને 'ઁ નમ: શિવાય'નું ઉચ્ચારણ કરતા રહ્યા.

યમરાજે પાશ ફેંક્યો. કિંતુ લિંગની સાથે બાળકની ચારેય તરફ એક જ્યોતિ-કવચ હતું. તે જ ક્ષણે સાક્ષાત્ મહાદેવ પ્રગટ થયા. તેમણે યમરાજને લલકાર્યા. 'આ બાળક મારી શરણમાં છે.' યમને પાછા હઠવું પડયું. શિવે માર્કંડેયને મહામૃત્યુંજયનું વરદાન આપ્યું. તેઓ સદા માટે સોળ વર્ષની આયુમાં સ્થિર, અમર, ચિરંજીવી થઈ ગયા. ભક્તિ અને સત્યથી કાળ પણ પરાજિત થાય છે. આ વનપર્વનો સંદેશ હતો.

જ્યારે ભય પોતે ભયભીત થાય છે

મૃત્યુનો ભય મનુષ્યનો સૌથી જૂનો શત્રુ છે. તે ભય જે રાત્રે જગાડે છે, નિર્ણયોને નબળા કરે છે અને જીવનને જીવતા પહેલાજ જીતી લે છે. મહાભારતનું વનપર્વ (આ જ) ભયની સમક્ષ એક બાળકને ઊભો રાખે છે અને પૂછે છે કે જ્યારે કાળ પોતે દ્વાર પર આવી જાય, ત્યારે શું થાય છે? માર્કંડેયનો ઉત્તર સરળ હતો. તેઓ ભાગ્યા નહીં. તેમણે કોઈ યુક્તિ ન લગાવી. તેઓ શિવલિંગને વધુ ઊંડાણથી વળગી ગયા.

ભક્તિનો અર્થ સમર્પણ નહીં, નિર્ભયતા

અહીં ભક્તિને સાધારણ અર્થમાં ન લેવામાં આવે. માર્કંડેયની ભક્તિ એક મનોવૈજ્ઞાાનિક અવસ્થા હતી. જ્યારે ચેતના કોઈ મોટા કેન્દ્ર સાથે એટલી ઊંડાણથી જોડાઈ જાય છે કે મૃત્યુનો પાશ તેને તોડી ન શકે, આ જ ભક્તિનું ઉચ્ચતમ સ્વરૂપ છે. મુંડક ઉપનિષદ કહે છે, 'સત્યમેવ જયતે નાનૃતં'. સત્યની જ જીત થાય છે. માર્કંડેયનું સત્ય તેમની ભક્તિ હતી. તેઓ જાણતા હતા કે તેઓ કોની શરણમાં છે. આ જ્ઞાાને તેમને અંદરથી મૃત્યુ-ભયને ઉખાડી ફેંક્યો.

યમરાજનું પ્રતીક નિયમ કે અહંકાર?

યમરાજ માત્ર મૃત્યુના દેવતા નથી, તેઓ નિયમના પણ પ્રતીક છે. સોળ વર્ષની આયુ નિશ્ચિત હતી. આ એક વ્યવસ્થા હતી. પણ વ્યવસ્થા ત્યારે ખંડિત થાય છે જ્યારે તેની સમક્ષ કોઈ ઉચ્ચતર સત્ય પ્રગટ થાય. મહાભારતમાં આ વારંવાર થાય છે. નિયમ અને ન્યાય એક નથી હોતા. જે નિયમ અન્યાય તરફ લઈ જાય, તેને તે શક્તિ ભંગ કરી દે છે જે ચરાચર જગતની મૂળ ચેતના છે.

પાંડવો માટે સંદેશ-પરીક્ષા જ સાધના છે

આ કથા વનપર્વમાં કેમ આવે છે ? પાંડવો તે સમયે વનમાં હતા. રાજ્ય ગયું હતું. સન્માન ગયું હતું, ભવિષ્ય અનિશ્ચિત હતું. તેમની સમક્ષ પણ એક પ્રકારના 'યમ' ઊભા હતા. માર્કંડેયનો પ્રસંગ તેમને એ નથી જણાવતો કે સંકટ નહીં આવે. તે એ જણાવે છે કે સંકટની ક્ષણે મનુષ્યનું મૂલ્ય નિર્ધારિત થાય છે. જે અંદરથી સત્યમાં સ્થિત છે, તેને બહારની કોઈ શક્તિ ડગાવી શકતી નથી.

આધુનિક મનુષ્ય અને તેનો 'યમ'

આજનો મનુષ્ય પણ પ્રતિદિન પોતાના-પોતાના 'યમ'ને મળે છે. ક્યારેક અસફળતાના રૂપમાં, ક્યારેક અપમાનના રૂપમાં, ક્યારેક કોઈ પ્રિયજનને ગુમાવવાના રૂપમાં. તે ક્ષણે મનુષ્યની અંદર બે પ્રવૃત્તિઓ જન્મ લે છે - પલાયન અને સમર્પણ. માર્કંડેય ત્રીજો માર્ગ બતાવે છે કે કેન્દ્ર સાથે જોડાયેલા રહો. પોતાના સત્યને ન છોડો. જે વ્યક્તિ પોતાની આંતરિક નિષ્ઠાથી વિચલિત નથી થતી. કાળ તેનું કંઈ બગાડી શકતો નથી. માર્કંડેય આજે પણ સોળ વર્ષના છે કારણ કે જે અંદરથી અજર છે, તેને સમય સ્પર્શી શકતો નથી.