આજની કથા : અશ્વત્થામાની મણિ

'ઉત્સીદન્તીહ ભૂતાનિ કાલપર્યયયાત્ સદા'. મહામુનિ વ્યાસ રચિત મહાભારત કાળપ્રવાહના થાપટોની વચ્ચે માનવ ચેતનાની એ ચરમ પરિણતિનું આખ્યાન છે જ્યાં ભૌતિક સંપદા અને શારીરિક સામર્થ્યની નિ:સારતા અંતત: સિદ્ધ થઈ જાય છે. મહાભારતના યુદ્ધની વિભીષિકા જ્યારે શાંત થઈ અને ઐશ્વર્યનો મદ જનસંહારની રાખમાં વિલીન થઈ ગયો, ત્યારે પાંડવોના શિબિરમાં અશ્વત્થામા દ્વારા કરવામાં આવેલો રાત્રિ-સૂક્તનો ક્રૂર નરસંહાર પ્રતિશોધની અંતિમ આહુતિ હતી.
દ્રોણ-પુત્ર અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પરીક્ષિત પર અકાટય બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું, ત્યારે સંપૂર્ણ સૃષ્ટિ ધ્રૂજી ઉઠી હતી. આ પાશવિક કૃત્યના દંડસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણએ ન માત્ર એ અસ્ત્રને નિષ્પ્રભાવી કર્યું, પરંતુ અશ્વત્થામાના કપાળ પર સુશોભિત જન્મજાત દિવ્ય મણિને અચાનક છીનવી લીધી. શ્રીકૃષ્ણના આદેશ પર જ્યારે અર્જુને એ તેજસ્વી મણિને અશ્વત્થામાના મસ્તક પરથી કોતરીને અલગ કરી, ત્યારે લોહીની ધારાઓ સાથે એ યોદ્ધાના પુરુષાર્થનો અંતિમ અવશેષ પણ વહી ગયો.
ભગવાન વાસુદેવે તેને યુગો-યુગો સુધી વ્યાધિગ્રસ્ત, એકાકી અને દુર્ગંધયુક્ત દેહ સાથે ભટકવાનો ભયાનક શ્રાપ આપ્યો. એ મણિ માત્ર એક બહુમૂલ્ય રત્ન ન હતી, પરંતુ અશ્વત્થામાના અજેય હોવાનો વિશ્વાસ, તેનું આત્મગૌરવ અને તેના અમરત્વનો આધાર હતી. મણિ છીનવાઈ જતાં જ તે મહાયોદ્ધા કાંતિહીન, વીર્યહીન અને સર્વથા નિ:સહાય થઈને અનંતકાળના દારૂણ સંતાપના મહાસાગરમાં ડૂબી ગયો.
કલ્પિત આવરણની ઓટ
અશ્વત્થામાના મસ્તક પરથી મણિનું પૃથક (અલગ) થવું વાસ્તવમાં મનુષ્યના એ સૂક્ષ્મ અહંકારનો વિનષ્ટ થવો છે જેને તે આજીવન પોતાની અસ્મિતાનું મૂળ કેન્દ્ર માને છે. મનોવૈજ્ઞાાનિક દ્રષ્ટિએ એ મણિ એ કલ્પિત આવરણ કે 'ૅીર્જિહટ્વ'નું પ્રતીક છે જેની ઓટમાં વ્યક્તિ પોતાના આંતરિક ભય અને અસુરક્ષાને છુપાવીને સંસારની સમક્ષ સ્વયંને સુદ્રઢ પ્રદર્શિત કરે છે.
પ્રારબ્ધની થાપટો
જ્યારે પ્રારબ્ધની થાપટોથી મનુષ્યનો તે બાહ્ય ભ્રામક સહારો તૂટે છે, ત્યારે તે ભીતરથી પૂર્ણપણે રિક્ત અને અસહાય થઈ જાય છે. દાર્શનિક અને ઉપનિષદીય આલોકમાં જો વિચાર કરીએ, તો આ પ્રસંગ કઠોપનિષદના એ શાશ્વત સત્ય તરફ સંકેત કરે છે જ્યાં બાહ્ય ઉપાધિઓને જ સર્વસ્વ માની લેનારો જીવ અજ્ઞાાનના અંધકારમાં ભટકતો રહે છે.
ક્ષણભંગુર છે બાહ્ય સાધનોથી અર્જિત ગૌરવ
અશ્વત્થામાની આ મણિ આજના આધુનિક જીવનમાં આપણા પદ, પ્રતિષ્ઠા, ધન-સંપદા અને ભ્રામક સામાજિક છબીનું અચૂક રૂપક છે. ન્યૂઝરૂમના વિમર્શોથી લઈને કોર્પોરેટ જગતની સ્પર્ધા સુધી, આજનો આધુનિક મનુષ્ય જે ઓળખના સંકટ (ૈઙ્ઘીહંૈંઅ ષ્ઠિૈજૈજ) થઈ ઝઝૂમી રહ્યો છે. તે એજ મણિને બચાવી રાખવાની આકુળ ચેષ્ટા છે. આપણે ભૂલી જઈએ છીએકે બાહ્ય સાધનોથી અર્જિત ગૌરવ અત્યંત ક્ષણભંગુર છે અને જેવું સમય ચક્ર આપણી એ કલ્પિત મણિને છીનવી લે છે, આપણે સ્વયંને અવસાદ (ડિપ્રેશન) અને નિ:સારતાના ગહન ગર્તમાં પામીએ છીએ.
સમત્વ જ શાશ્વત શાંતિનો આધાર
ગીતાના દ્વિતીય અધ્યાયનું એ વચન સ્મરણમાં આવે છે, 'સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ'. સુખ-દુ:ખ, લાભ-હાનિને સમાન સમજનારી સમત્વ બુદ્ધિ જ શાશ્વત શાંતિ આપી શકે છે, ન કે કોઈ બાહ્ય મણિનો સંચય. જ્યાં સુધી મનુષ્ય આત્મજ્ઞાાનને છોડીને બાહ્ય ઉપલબ્ધિઓમાં પોતાની મુક્તિ શોધશે, તે અશ્વત્થામાની જેમ કપાળ પર લોહી વહેતા ઘા લઈને ભટકવા માટે અભિશપ્ત રહેશે. શું આજનો માનવ પોતની આ છદ્મ મણિના મોહને ત્યાગીને અંતસની વાસ્તવિક જ્યોતિને ઓળખવાનું સાહસ એકઠું કરી શકશે?









