આજની કથા : ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ અંધ પ્રેમની મહાવિનાશ ગાથા

દુર્યોધનના જન્મ સમયે અનેક અપશુકન થયા હતા. વિદુર અને અનેક જ્યોતિષીઓએ સ્પષ્ટ કહ્યું હતું, 'આ બાળક કુળનો નાશ કરશે.'
ધૃતરાષ્ટ્રની કથા માત્ર એક પિતાની કથા નથી, પણ એક ચેતવણી છે. આ ચેતવણી એ દરેક વ્યક્તિ માટે છે જે પોતાના પ્રિયજનોના પ્રેમમાં સત્ય જોવાનું બંધ કરી દે છે. આ ચેતવણી એ દરેક નેતા માટે છે જે રાષ્ટ્ર-ધર્મને પરિવાર-ધર્મ કરતા નાનો ગણે છે.
મહાભારતની કથા : ધૃતરાષ્ટ્રનો પુત્ર-મોહ
હસ્તિનાપુરના રાજા અને કુરુવંશના જ્યેષ્ઠ પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મથી જ નેત્રહીન હતા. પરંતુ મહાભારત તેમની જે સૌથી મોટી કરુણતા રજૂ કરે છે તે એ છે કે, તેમનું વાસ્તવિક અંધત્વ આંખોનું નહીં પણ હૃદયનું હતું. તેઓ પોતાના પુત્ર દુર્યોધનના વિષયમાં સત્ય જોવા માટે સર્વથા અસમર્થ હતા.
દુર્યોધનના જન્મ સમયે જ અનેક અપશુકન થયા હતા. વિદુર અને અનેક જ્યોતિષીઓએ સ્પષ્ટ કહ્યું હતું. ' આ બાળક કુળનો નાશ કરશે. રાજ્યના હિતમાં આનો ત્યાગ કરવો જ ઉચિત રહેશે. 'ધૃતરાષ્ટ્ર આ સાંભળ્યું પણ ભૂલી ગયા. પુત્રપ્રેમે વિવેકને પહેલા જ દિવસથી હરાવી દીધો હતો.
જેમ જેમ દુર્યોધન મોટો થયો તેમ તેમ તેની ઇર્ષ્યા, ક્રૂરતા અને અધર્મ સ્પષ્ટ થવા લાગ્યા. તેણે ભીમને ઝેર આપ્યું. લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનું ષડયંત્ર રચ્ચું, ધૂમર( દ્યુત) સભામાં છળકપટથી પાંડવોનું રાજ્ય છીનવી લીધું અને દ્રૌપદીનું ઘોર અપમાન થવા દીધું. દરેક વખતે ધૃતરાષ્ટ્ર પાસે વિકલ્પ હતો. દરેક વખતે વિદુર, ભીષ્મ અને દ્રોણે તેમને સાવધ કર્યા. પરંતુ દરેક વખતે ધૃતરાષ્ટ્ર ક્ષણભર માટે વિચલિત થઈને અંતે દુર્યોધનનો જ પક્ષ લેતા.
આ કથાના ગહન બોધપાઠ
- મોહ અને પ્રેમ- બે વિપરીત દિશાઓ : ભારતીય દર્શન પ્રેમ અને મોહ વચ્ચે સ્પષ્ટ તફાવત કરે છે. સાચો પ્રેમ સંતાનનું હિત ઇચ્છે છે. ભલે તે કડવું હોય. જ્યારે મોહ સંતાનની ઇચ્છા પૂરી કરે છે, ભલે તે ઝેરી હોય. ધૃતરાષ્ટ્રે દુર્યોધન સાથે પ્રેમ નહીં પણ મોહ કર્યો હતો.
- નેતૃત્વનો સૌથી મોટો શત્રુ- પક્ષપાતી પ્રેમ : જ્યારે એક રાજા કે ન્યાયાધીશ વ્યક્તિગત સ્નેહને કર્તવ્યથી ઉપર રાખે છે. ત્યારે તે આખી વ્યવસ્થાનો નાશ કરે છે. આજે પણ જ્યાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાત છે, ત્યાં ધૃતરાષ્ટ્ર જીવંત છે.
- જાણતા હોવા છતાં સુધારો ન કરવો એ સૌથી મોટું પાપ : ગીતામાં કૃષ્ણ અને 'પ્રજ્ઞાપરાધ' કહે છે- એટલે કે વિવેક હોવા છતાં તેના વિરુધ્ધ આચરણ કરવું. ધૃતરાષ્ટ્ર બધું જાણતા હતા છતાં બદલાયા નહીં.
- અતિ-પ્રેમનો વિરોધાભાસ : અતિ-પ્રેમ વાસ્તવમાં સંતાનને નબળું બનાવે છે, જે બાળકને ક્યારેય 'ના' સાંભળવા ન મળે, તેને જીવનના વાસ્તવિક પડકારો સામે લડતા આવડતું નથી.
- પશ્રાતાપ ક્યારે નિરર્થક છે : યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રનો વિલાપ હૃદયદ્રાવક હતો. તેમણે સ્વીકાર્યું કે 'મેં જાણ્યું હતું- પણ માન્યું નહીં.' પાશ્ચાતાપ ત્યારે જ મૂલ્યવાન છે જ્યારે સુધારો શક્ય હોય, વિનાશ પછીનો પશ્ચાતાપ માત્ર વેદના છે, ઉપચાર નહીં.
નિષ્કર્ષ : મહાભારતનો આ સંદેશ અટલ છે. ' જે પ્રેમ આંખો બંધ કરાવે, તે પ્રેમ નથી પણ તે પ્રિયજનનો સૌથી મોટો શત્રુ છે. જે નેતા પોતાના સ્વજનની રક્ષા માટે ન્યાયથી મોઢું ફેરવે છે, તે પોતાના સ્વજનને પણ બચાવી શક્તો નથી અને રાષ્ટ્રને પણ નહીં.' ધૃતરાષ્ટ્ર વિનાશ કોઈ શત્રુએ નહીં, પણ તેમના પોતાના મોહ એ કર્યો હતો.








