ઉચ્ચકોટિની રામ-પ્રીતિ ધરાવતી ભક્તહૃદયા દેવી માતા કૈકેયી !
વિચાર વીથિકા - દેવેશ મહેતા
રામાયણમાં મહારાણી કૈકેયીનું ચરિત્ર સર્વાધિક બદનામ થયેલું છે. કેટલાકે એવા 'કામ' કર્યા જેનાથી એમનું 'નામ' ખરાબ થઈ ગયું ! એમના પછી કોઈએ એમના સંતાનોનું એ નામ ના પાડયું ! રામાયણ બાદ કોઈએ એમની દીકરીનું નામ કૈકેયી કે મંથરાના પાડયું ! જેણે આખા વિશ્વના પરમ પ્રિય, પ્રાણાધાર રામને કોઈ અપરાધ વગર ચૌદ વર્ષ વનમાં મોકલી તપસ્વી જેવું કઠિન જીવન જીવવા અને રાજપદ છોડી દેવા દશરથ મહારાજ થકી માગણી કરી એને પાપિણી, કલંકિની, ક્રૂર, કુલ વિનાશિની અને રાક્ષસી જેવી લોકો દ્વારા કહેવામાં આવી.
જો કે કોઈ આખું રામાયણ વાંચે તો તેને ખ્યાલ આવે કે વાસ્તવમાં કૈકેયી એવી નહોતી. સંત શિરોમણિ શ્રી તુલસીદાસજી કહે છે - ' કૈકેયી પદ કમલ સુચિ બંદૌ બારંબાર । રામ-કાજ હિત જિન કુજસ વિપુલ લિયૌ સિર ધાર ।। કૈકેયીના પવિત્ર ચરણકમળને હું વારંવાર પ્રણામ કરું છું.
રામના કાર્યને પૂર્ણ કરવા જેણે પોતાના માથે પુષ્કળ અપયશ ધારણ કરી લીધો.' રામ વનવાસીઓ અને તપસ્વી મુનિઓને દર્શન આપી કૃતાર્થ કરવા માગતા હતા, જગતને એક આદર્શ તપસ્વી જીવન જીવી તેનો બોધપાઠ આપવા માગતા હતા, રાવણ- કુંભકર્ણ વગેરે અસુરોને મારવાનું અવતાર કાર્ય કરવા માગતા હતા. એ માટે એમની વનવાસ જરૂરી હતો. એ કરવા માટે જ એમણે કૈકેયીને નિમિત્ત બનાવી હતી.
દાસી મંથરા જ્યારે કૈકેયીને રામ વિરુધ્ધ ચઢાવે છે, એમને બદલે કૈકેયીના પોતાના પુત્રને યુવરાજ પદે પ્રસ્થાપિત કરાવવા અને એમને (રામને) ચૌદ વર્ષ વનવાસી જીવન જીવવાનું માંગવા સમજાવે છે ત્યારે કૈકેયી કહે છે- 'યથા વૈ ભરતો માન્યસ્તથા ભૂયોડપિ રાઘવ:। કૌસલ્યાતોડતિરિક્તં ચ મમ શુશ્રુયતે બહુ ।। રાજ્યં યદિ હિ રામસ્ય ભરતસ્યાપિ તત્તદા । મન્યતે હિ યથાડડત્માનં તથા ભ્રાતૃંસ્તુ રાઘવ: ।। મને ભરત જેટલો પ્રિય છે, એનાથી અનેકગણા વધારે પ્રિય રામ છે કેમ કે રામ મારી સેવા-શુશ્રૂષા એમની માતા કૌસલ્યાથી પણ વધારે કરે છે.
રામને રાજ્ય મળે છે તે ભરતને રાજ્ય મળે છે એમ સમજવું જોઈએ કેમકે રામ બધા ભાઈઓને પોતાના સમાન જ સમજે છે.' (વાલ્મીકિ રામાયણ- ૨-૮-૧૮-૧૯) એ પછી જ્યારે મંથરા મહારાજ દશરથની અને રામની નિંદા કરી કૈકેયીને ચઢાવવા પ્રયત્ન કરે છે ત્યારે તો કૈકેયી એને સ્પષ્ટ સંભળાવી દે છે-' ઇદેશી યદિ રામે ચ બુદ્ધિસ્તવ સમાગતા । જિહ્વાયાશ્છેદનં ચૈવ કર્તવ્યં તવ પાપિની ।। હે પાપિણી, રામ માટે તારી આવી બુદ્ધિ થઈ ગઈ છે તો તારી જીભ જ કાપી નાંખવી જોઈએ.' તુલસીદાસજી પણ એમના રામાયણમાં લખે છે. 'પુનિ અસ કબર્હું કહસિ ઘરકોરી । તૌ ધરિ જીભ કઢાવઉં તોરી ।।'
આદર્શ ભ્રાતૃભાવથી ભરેલો, કૈકેયીપુત્ર ભરત જ્યારે આ બધા વિશે જાણે છે અને માતા કૈકેયીને અક્ષમ્ય ગણાવી પારાવાર ઠપકો આપે છે તે પછી ભગવાન શ્રીરામના રહસ્યને જાણનારા મુનિ વશિષ્ઠ ભરતને કહે છે-' હે વત્સ ! આજે હું તને એક ગુપ્ત રહસ્ય કહું છું. શ્રીરામ સાક્ષાત્ નારાયણ છે, પૂર્વમાં બ્રહ્માજીએ એમને રાવણવધ માટે પ્રાર્થના કરી હતી એને લીધે જ એમણે દશરથને ત્યાં પુત્રરૂપે અવતાર લીધો છે. શ્રી સીતાજી સાક્ષાત્ યોગમાયા છે.
શ્રી લક્ષ્મણ શેષનો અવતાર છે જે હંમેશા શ્રીરામની સાથે એમની સેવામાં લાગેલા રહે છે. શ્રી રામે રાવણનો વધ કરવાનો છે. એ કારણે તે વનમાં નિવાસ કરશે એમાં તારી માતાનો કોઈ દોષ નથી.' અધ્યાત્મ રામાયણમાં કહેવાયું છે - કૈકેય્યા વરદાનાદિ યદ્યન્નિષ્ઠુરભાષણમ્ ।। સર્વદેવકૃત નોચેદેવં સા ભાષયેત્કથમ્ । તસ્માત્યજાગ્રહં તાત રામસ્ય વિનિવર્તને ।। કૈકેયીએ જે વરદાન માંગ્યા અને નિષ્ઠુર વચન કહ્યા હતા તે બધું દેવ કાર્ય જ હતું.
એ રામકાજ સિદ્ધ કરવા માટે જ થયું હતું. નહીં તો, કૈકેયી ક્યારેય આવું કહી શકે કે કરી શકે ખરી ? એટલે તું રામને અયોધ્યા પાછા લઈ જવાનો આગ્રહ છોડી દે.' એ જ રીતે ભરદ્વાજ મુનિએ પણ ભરતને સમજાવ્યું હતું- 'ભરત ! તું માતા કૈકેયી પર દોષારોપણ ન કર. રામનો વનવાસ બધા દેવ-દાનવ અને ઋષિઓના પરમ હિત અને પરમ સુખને માટે રચાયો છે.' ભગવાન રામના કાર્યમાં માતા કૈકેયીએ સહાય કરી એટલે જ વનવાસ બાદ ભગવાન રામ પાછા ફર્યા ત્યારે એમણે સર્વ પ્રથમ માતા કૈકેયીને જ વંદન કર્યા હતા.
ભગવાન શ્રી રામે માતા કૈકેયીને સ્વયં કહ્યું હતું- ' લોકો ભલે તમને અભાગણી કહે, તમે મહાભાગ્યવતી છો. લોકો ભલે તમને દોષી સમજે, તમે નિર્દોષ છો. તમારા થકી આ કાર્ય મેં જ કરાવ્યું હતું. મેં જ મારી માયાથી તમારી બુધ્ધિ ભ્રમિત કરી એ વચનો બોલાવ્યા હતા. તમારા હૃદયમાં મારા તત્ત્વનું જ્ઞાાન સદૈવ રહેશે અને ભક્તિ ભાવથી જીવન ધન્ય થશે.' આમ કૈકેયી સ્નેહ વાત્સલ્યયુક્ત, ધર્મપરાયણા, આદર્શ પતિવ્રતા, ઉચ્ચ કોટિની રામપ્રીતિ ધરાવતી ભક્તહૃદયા દેવી હતી !