શિષ્યના વિશિષ્ટ સાધના સ્થાનનું રહસ્ય .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
પ્રકૃતિની ગોદમાં આશ્રમમાં કેટલાંક શિષ્યોને ગુરુજી આધ્યાત્મિક શિક્ષણ આપતાં ધાર્મિક અનુષ્ઠાનો પણ આ આશ્રમમાં થતા.
આશ્રમની એક ટીમમાં પાંચ શિષ્યોને અભ્યાકાળના પાંચ વર્ષ પૂર્ણ થતાં હતા ગુરુજીએ એ પાંચ શિષ્યોને બોલાવીને કહ્યું કે વિવિધ વિદ્યાઓ, ધર્મગ્રંથો, અને અનુષ્ઠાનોનો આપનો અભ્યાસ પૂર્ણ થયો હવે તમે જે શિક્ષા પ્રાપ્ત કરી છે એ શિક્ષા લોકોને કઈ રીતે ઉપયોગ થાય અને લોકોનું કઈ રીતે તમારા દ્વારા કલ્યાણ થાય તેનો તમારે પ્રયોગ કરવાનો છે.
તમારે પાંચે શિષ્યોએ અહીંથી સાથે વિદાય થઈ અને જવાનું અને એક શિષ્યએ એક વિશિષ્ટ જગાએ ૭ દિવસ રહેવાનું એ ભૂમિ કે સ્થળનો પ્રભાવ, મહત્વ અને આચરણનું સંયોજન લોકો માટે પ્રેરક બનવું જોઈએ.
પહેલા શિષ્ય જે ગામની જે વિશિષ્ટ જગ્યા પસંદ કરે તે ત્યા રોકાઈ જાય. બાકીના ચાર બીજા ગામમાં જઈ અને બીજા શિષ્ય જે વિશિષ્ટ જગ્યા પસંદ કરે ત્યાં રોઈ જાય અને બાકીના બીજા સ્થળની શોધમાં આગળ જાય. આમ બધાએ અલગ અલગ જગ્યાએ ૭ દિવસ રોકાણને પછી આઠમા દિવસે સાંજે આશ્રમમાં પરત આવવાનું છે. આઠમે દિવસે શિષ્યો પરત આવ્યા ને ગુરુજીને શાતા પૂછી વિનંય વંદના કરી. અને ગુરુ સમક્ષ પોતાના સાત દિવસના અનુભવોની વાતની શરૂઆત કરી.
પહેલા શિષ્યે કહ્યું કે બાજુના ગામડાના ચોકમાં એક ખૂણે મેં મારું સ્થાન ગ્રહણ કર્યું. જતા આવતા સ્ત્રી પુરુષો બાળકો બધા વિગેરેનું ના જીવનનું હું નિરિક્ષણ કરતો. ચોરા પાસેના ખૂણામાં રામના મંદિરની શ્રીરામની મૂર્તિમાં ચહેરા પરના પ્રશમ ભાવોનું દર્શન કરતા હું ખોવાઈ જતો. સાંજે ભેગા થતા કેટલાંક ભાવિકો સાથે ભજનગાન પછી વાત કરતા કહેતો કે આવ-જા કરતાં માણસો જોતાં તે સતત દોડે છે આપણે સૌ સતત દોડતા રહીએ છીએ. આપણને ખબર નથી કે આ દોડ શેને માટે છે. આપણે આપણા જીવનનું ગંતવ્યસ્થાન, ડેસ્ટીનેશન કે મંજીલ નક્કી કરી છે ? આ નક્કી કરીશું તો લોભ ઘટશે સંતોષની માત્રા વધશેને જીવનમાં શાતિનો અનુભવ થશે કોઈકે પુછયું કે તમે ચોરા-ચોકની જગ્યા સાધના માટે કેમ પસંદ કરી મે કહ્યું કે અહીંથી દસે દિશા પ્રત્યે સભાનતા રહે ભીતરમાં રહેલ અંતરાત્મારૂપ અગિયારમી દિશા સુધી પહોંચવાનો પુરુષાર્થ કરી શકાય.
બીજા શિષ્યે કહ્યું કે કલ્યાણ મિત્ર ગુરુભગવંત મેં તો સાધના માટે સ્મશન ભૂમિ પસંદ કરી.
ચિતા સળગતી જોઈ મને પણ વૈરાગ્યની અનુભૂતિ સંસાર અને જીવનથી ક્ષણ ભંગુરતાની પ્રતિતી થતી. ચિતાને અગ્નિદાહ દીધા પછી કેટલાંક સ્વજન મારી પાસે સત્સંગમાં બેસતા અને પૂછતાં કે તમે સ્મશાન જેવી જગા સાધના માટે કેમ પસંદ કરી ? હું કહેતો કે ભાઈ તારું ઘર તને પ્રિય છે તો તે કહે હા તો હુ તેને સમજાવતો તારું ઘર પણ સ્મશાન છે. તે કહે કઈ રીતે ? ભાઈ સદીઓ પહેલા આ જગામાં કેટલીક ચિતાઓમાં મૃતદેહો રાખ થયા હશે અહીં કેટલાક વ્યક્તિઓની કબર પણ બની હશે કેટલાંક પશુપક્ષી કે માનવીઓના મૃતદેહો દબાયા કે દફનાયા હશે, લાખો વરસની આ ભૂમિના ઇતિહાસની આપણને કઈ ખબર છે ?
બધા એક બાજુ ચિતા બળે બીજી બાજુ, સ્વજનો, ક્રિકેટ, સગાઈ રાજકારણ, ધંધા અને વ્યવસાયની વાતોમાં મશગુલથી વાતો કરે આમ સ્મશાન સંસાર ભાવનાના દર્શન કરાવે છે જે વૈરાગ્ય ભાવનું પોષક છે. ત્રીજો શિષ્ય કહે હું પોલિસ સ્ટેશનની સામે બેઠો. રીમાન્ડ પરના ગુનેગાર કે આરોપીનો મારઝૂડ કરતા પોલિસનું દૃશ્ય દાર્શનિક કર્મવિજ્ઞાનની યાદ અપાવે જિજ્ઞાસુની શંકાનું સમાધાન કરાવવા ન્યાયધીશ પોલીસ સ્ટેશનની સંદર્ભો આપી પાપ દોષ અને ભવભ્રમણની સમજ આપતો જેથી લોકો પાપભીરું બને અને પાપ ને કર્મબંધ અટકે. ચોથો શિષ્ય કહે મેં વડ નીચેની ગણેશમૂર્તિ પાસે સતત સળગતી અગરબતી પાસે આસન જમાવ્યું. લોકોને કહેતો આ ઘુપસળી જેવું જીવન જીવત શીખવું પોતે બધાની પીડા હરતા પોતે પીડા લઈ લેવી. આમ કહી હું અનુકમ્પાનું હાર્દ સમજાવતો.
પાંચમાં શિષ્ય કહે હું ટાવર નીચે બેસી ગયો. ટાવરનું ઘડિયાળ જોતા મને સમયનું મહત્વ સમજાયું. લોકોને કહે તો કે ભાઈ સમય કોઈની રાહ જોતો નથી. ગમે તેવો સમય સાચવી લેજો. તો જીવન જીતી જશો. મહાવીરે તેના વિદ્વાન અને પ્રિય શિષ્યને કહ્યું કે તું ક્ષણમાત્રનો પ્રમાદ ન કરીશ. અહીં સમયના મહત્ત્વનો સંકેત છે. વળી સમયને ઓળખતા જીત થાય છે.
આમ પાંચ શિષ્યઓ પોતાની સાત દિવસની સાધનાની વિશિષ્ટ સ્થાનના મહત્વનું રહસ્યોદ્ઘાટન કહી વિદાય થતાં આશિર્વાદ માગ્યા, ગુરુદેવે, પ્રસન્ન વદને શુભમ્ ભવ કહ્યું.