Magazines

શાશ્વત સુખના પ્રણેતા : ગૌતમ બુદ્ધ .

By GS TEAM
29 Apr 20262 mins read
શાશ્વત સુખના પ્રણેતા : ગૌતમ બુદ્ધ                          .

''દુ:ખ છે, દુ:ખનું કારણ છે, દુ:ખનો ઉપાય છે અને ઉપાય શક્ય છે.લ્લલ્લ શાશ્વત સુખનું આ સૂત્ર જગતને આપનાર વિષ્ણુ ભગવાનના નવમા અવતાર ગણાતા શ્રી. ગૌતમ બુદ્ધની આજે ૨૫૮૯મી જન્મજ્યંતી છે. કપિલવસ્તુ નગરીના પિપરહવા ગામે શુદ્ધોધન રાજાને ત્યાં મહામાયા માતાની કુખે ઈ.સ. પૂર્વે ૫૬૩માં વૈશાખી પૂનમે જન્મ થયો જેમનું સિદ્ધાર્થ નામ પડયું. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા પણ તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. જીવનનો અર્થ શોધી સિદ્ધાર્થ નામ સાર્થક કર્યું.

માત્ર ૧૬ વર્ષની વયે યશોધરા સાથે લગ્ન થયાં. જગતનું કોઈપણ દુ:ખ નજરે ન પડે તેવી જડબેસલાક વ્યવસ્થા થઈ. વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. સિદ્ધાર્થે નગરચર્યા દરમિયાન એક કેડેથી વાંકો વળેલો વૃદ્ધ જોયો, એક રોગી માણસ જોયો, નનામી જોઈ, ઘાસની ગંજીમાં તણખો પડે ને સળગી જાય તેમ આ દ્રશ્યોથી સિદ્ધાર્થનું અજ્ઞાન દૂર થયું. જ્ઞાનનો ઝબકારો થયો અને ૨૯ વર્ષની ઉંમરે પુત્ર રાહુલ અને પત્ની યશોધરાનો અર્ધી રાત્રે ત્યાગ કરી ચાલી નીકળ્યા તે જ આપણા ગૌતમ બુદ્ધ.

'બુદ્ધ' - એટલે જ્ઞાતા, સમજુ, જાગેલું, જ્ઞાન પામેલુ, સમ્યક બુદ્ધિ વગેરે, બુદ્ધનો મહાન ત્યાગ મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. 

મહાવીર ભગવાને 'અહિંસા' જેવો પર્યાય જૈન ધર્મ માટે આપ્યો તે જ રીતે ગૌતમ બુદ્ધે જગતને બૌદ્ધ ધર્મના પર્યાય તરીકે ''કરૂણા'' શબ્દ આપ્યો. સમ્યક દ્રષ્ટિ-સંકલ્પ-વાણી-કર્મ આજીવિકા-વ્યાયામ, સ્મૃતિ અને સમ્યક સમાધિ-એ આઠ મંત્રો સીમાચિહ્નો બની ગયા. બોધગયાની નિરંજના નદીના કાંઠે ઉરૂજેલામાં પીપળાના વૃક્ષ નીચે સંપૂર્ણજ્ઞાન (બોધિ) થયું જે બોધિવૃક્ષ આજે પણ હયાત છે. મનુષ્યને કોઈ પણ જીવને મારવાનો અધિકાર નથી. અંતરઆત્માનો અવાજ એ જ સાચો ભોમિયો છે, સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે જ છે, જન્મેલાનું મૃત્યુ નક્કી છે - જેવાં વાક્યો તેમના જીવનનો નિચોડ છે. કિશાગૌતમીના મૃત બાળકને સજીવન કરવા જે ઘરે મૃત્યુ ના થયું હોય ત્યાંથી રાઈના દાણા લાવવાની આજ્ઞાનો પ્રસંગ જગપ્રસિદ્ધ છે.

અંગુલિમાલ લુટારાના જીવન પરિવર્તન દ્વારા પ્રાયશ્ચિતનો ઉપદેશ છે. સારનાથનો ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનથી ઓળખાય છે. જ્યાં સુધી એકપણ વ્યક્તિ દુ:ખથી પીડિત હશે ત્યાં સુધી નિર્વાણ સુખમાં હું પ્રવેશ નહીં કરું - એ તેમની પ્રતિજ્ઞા કરુણાની પરાકાષ્ટા છે. હું ને કાઢી - હું ને ઓળખો. બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ-એ સૂત્ર સાથે ભગવાન બુદ્ધને વંદન કરી સુખી બનીએ એ જ પ્રાર્થના.

- પી.એમ.પરમાર