રથયાત્રા નિમિત્તે મગ, જાંબુ અને કાડકીનો પ્રસાદ વહેંચાય છે, જાણો તેની પાછળનું કારણ
Rathyatra 2025: દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા જગન્નાથ પુરી અને અમદાવાદ સહિતના સ્થળોએ રથાયાત્રા યોજાય છે. રથયાત્રા દરમિયાન હજારો કિલો જાંબુ, મગ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. ત્યારે મોટાભાગના લોકોને સવાલ થતો હોય છે કે આ રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ શા વહેંચવામાં આવે છે? આયુર્વેદમાં ''મગ'' શરીર માટે શક્તિવર્ધક છે. જેઠ માસમાં પ્રભુશ્રી જગન્નાથજી, પ્રભુશ્રી બલરામજી, દેવી સુભદ્રાજી ત્રણેય ભાણેજડા મોસાળમાં સહેલ કરવા જાય છે. વધુ સરભરા થતાં તબિયત નાદુરસ્ત થાય છે. આંખો આવે છે. આ રોગને ત્વરીત નાબૂદ કરવા મગ ફણગાવેલા અને જાંબુ આપવામાં આવે છે. મગથી ત્વરીત શક્તિ પ્રદાન થતાં અષાઢી બીજના રોજ શણગાર સજી, રથમાં બેસી નગરચર્યાએ નીકળી પડે છે.
સૌ નગરજનોને, ભક્તોને મળી ખબર અંતર પૂછી, ભાવથી આશીષ આપે છે. રથયાત્રામાં ''મગ'' વ્રતનો મહિમા અપાર છે. પ્રભુની આ યાત્રામાં હજારો મણ ફણગાવેલા ''મગ'' પ્રસાદીમાં વહેંચાય છે. આ વ્રતમાં જે લોકો એક વખત મગ અર્પણ કરે છે પછી દર વર્ષે તેમાં વધારો કરી મગ પધરાવે છે. જેમ કે આ વર્ષે યથાશક્તિ મગ અર્પણ કર્યા હોય તો આવતા વર્ષે તેમાં વધારો કરી મગ અર્પણ કરી, ઉત્તરોત્તર દર વર્ષે મગમાં વધારો કરવાનો હોય છે.
અત્રેના જે જે ભક્તોએ વર્ષોથી આ વ્રત શરૂ કર્યું છે તેમના ઉપર પ્રભુની અમીકૃપા થઇ, તેમના સુખની ઝોળીઓ પ્રભુએ ભરી દીધી છે. પ્રભુની રથયાત્રામાં આપેલ મગનું દાન એળે જવું નથી પણ ખેતરમાં થયેલી વાવણી બરોબર છે જેનું અનેક ગણું કરી પ્રભુ કોઇને કોઇ રીતે પરત કરે છે.
મગ, કાકડી અને જાંબુના પ્રસાદ પાછળ છે વૈજ્ઞાનિક કારણ
અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર પરિસરમાં મહિલાઓ મગ સાફ કરે છે. દરરોજ હજારો ભક્તો મગને સાફ કરવાના કામે લાગેલા હોય છે.ભગવાનને આંખ આવે છે ત્યારે તેમની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે. પ્રભુને મગ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખોને ઠંડક મળે છે. એટલે જ રથયાત્રામાં મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. કાળી રોટલી-સફેદ દાળ સાથે મગ અને જામૂનનો પ્રસાદ મહત્ત્વનો માનવામાં આવે છે. તેમાં પણ મગનો પ્રસાદ તો ખૂબ શુકનનો પ્રસાદ માનવામાં આવે છે.
બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગ અને મગના પાણીમાં હોય છે. શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ મગ કરે છે. રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળે છે, મતલબ વાતાવરણમાં ગરમી હોય છે. રથયાત્રામાં ભક્તો રથ સાથે લગભગ 14 કિમીનું અંતર કાપતા હોય છે. જેના કારણે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને અશક્તિનો અનુભવ થાય છે. લોકો આ મગ ખાઈ છે તો વારંવાર ભૂખ નથી લાગતી. જેના કારણે રથયાત્રામાં મગનો પ્રસાદ આપવામાં આવે છે.
ચોમાસાનું ફળ જાંબુ છે. જાંબુમાં મોટી માત્રામાં પાણી જોવા મળે છે. જેના કારણે ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા થતી નથી. વાતાવરણમાં ગરમી હોય તો પણ શરીરમાં કોઈ સમસ્યા થતી નથી. ચોમાસાની સિઝનમાં વાઈરસજન્ય રોગોનું સંક્રમણ વધી જાય છે જેના કારણે જો જાંબુ ખાવામાં આવે તો બીજી કોઈપણ બિમારી થતી નથી. કાકડીમાં પાણી ખૂબ માત્રમાં હોય છે. જેના કારણે ડિહાઇડ્રેશન થવાની પ્રોબ્લેમ થતી નથી.