એક શિલ્પકાર એક સમયે એક પથ્થરને તોડી રહ્યો હતો, ત્યારે એક વ્યકિત ત્યાં આવીને જોવા લાગી કે મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવે છે. પરંતુ તેને જોઈને આશ્ચર્ય થયું, મૂર્તિ તો બનાવવામાં આવતી નથી, પણ પથ્થરોને હથોડી વડે તોડવામાં આવી રહ્યા છે. પેલી વ્યકિતએ શિલ્પીને પૂછયું.
'આ તમે શું કરી રહ્યા છો ? હું તો મૂર્તિને બનતી જોવા માટે આવ્યો છું, તમે તો અહીં ફક્ત પથ્થરને તોડી રહ્યા છો !
શિલ્પીએ પ્રત્યુત્તર વાળ્યો,
'મૂર્તિતો આ પથ્થરની અંદર જ છૂપાયેલી છે. એને કંઈ બનાવવાની જરૂર નથી. એની આસપાસ નક્કામા, બિનજરૂરી પથ્થરો જોડાયેલા છે. તેને જ દૂર કરવા હથોડી- છીણ ચલાવવા પડે છે. પછી જ મૂર્તિ પ્રકટ થઈ જશે.
મૂર્તિ ક્યારેય તૈયાર કરવામાં આવતી નથી. એતો પથ્થરરૂપી આવરણથી ઢંકાયેલી હોય છે. તેને બહાર કાઢવાનો પ્રયત્ન માત્ર કરવામાં આવે છે.
મૂર્તિની જેમ જ માનવીની ભીતર પ્રેમ-કરૂણા જેવા શુભ ભાવો છૂપાયેલા હોય છે. તેમને ઓળખીને બહાર કાઢવાની જરૂર છે. તેને ઉત્પન કરવાના હોતા નથી. દૂષિત ભાવોથી પ્રેમ-કરૂણા જેવી સુંદર ભાવના ઢંકાયેલી હોય છે. તેને દૂર કરતાં માનવ સ્વભાવમાં જબરૂં પરિવર્તન આવે છે.


