Magazines

પંચે બન્ને મિત્રોને એક-એક ગુણી ઘઉં આપ્યા

By GS TEAM
6 May 20264 mins read
પંચે બન્ને મિત્રોને એક-એક ગુણી ઘઉં આપ્યા

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

મધ્યાહ્ન થઈ ગયો છે. બન્ને મિત્રો સાથે લાવેલ ભાત-ટિફિન લઈને કૂવાની પાળ પર વડલાની છાંયમાં બપોરા કરવા જમવા બેઠા. ગોપાલ કહે મહેશ, આ મજૂરી બહુ કરી. હવે આપણે કાંઈક કરવું જોઈએ એવું નથી લાગતું ? મહેશ કહે હા, હું પણ વિચારું છું કે આ સખત મહેનત-મજૂરી કરીએ છીએ પણ આ જમીનદારો અને શાહુકારો આપણને બે પાંદડે થવા દે તેમ લાગતું નથી. ગોપાલ કહે, આપણને ખેતીવાડી, બિયારણ મોસમ, પાક, પીત વગેરેનું બધું જ જ્ઞાન છે. જો આપણે એક-બે વીઘા જમીન લઈ ખેતી કરીએ તો આનાથી વધુ મળે. મહેશ કહે, તારી વાત સાચી છે. મને ઇશ્વરમાં શ્રદ્ધા છે. હું પ્રાર્થના કરીશ. આપણને પાક સારો જ મળશે.

બન્ને મિત્રોએ પોતાની બચત એકઠી કરીને દોઢ વીઘા જમીન લીધી. આ જમીન નાનુડી નદીના કાંઠાથી તદ્દન નજીક હોવાથી પાણીની સમસ્યા ન હતી. નદીમાંથી પાણી મળી રહે માટે બન્ને મિત્રોએ નક્કી કર્યું કે, આપણે ચોમાસું અને શિયાળુ એમ બે પાક લેવા.

ચોમાસું આવતાં પહેલાં જ ગોપાલ ખેતરમાં જઈ અને જમીનને સમથળ કરવા લાગ્યો. ઢુંઢિયું ચલાવીને પડતર ભાગને ખોદી કચરો બહાર ફેંક્યો. ગોપાલ વિચારતો કે આપણી જમીન ઘણી જ ઓછી છે જેથી એક તસુ જમીન પણ પડતર કે નકામી ન જવી જોઈએ. જેથી તેણે પરિશ્રમ કરી તમામ જમીનને હળ ચલાવીને વાવણી યોગ્ય કરી. ગોપાલ તો સવારથી સાંજ સુધી ખેતરમાં જ રહેતો અને બપોરના કડક તાપમાં પણ ખેતરમાં કામ કર્યે જતો હતો.

મહેશને ગોપાલની મહેનત જોઈ જમીનની સ્થિતિ જોઈને આનંદ થતો. તે ખેતર પર આંટો મારીને નદીને સામે કિનારે આવેલ મહાદેવ મંદિરમાં પ્રાર્થના-પૂજા-જાપ-દર્શન વગેરે કરવા જતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે, અમારા આ સાહસ કાર્યને સફળતા આપજો. વાવણીનો સમય આવ્યો. ગોપાલે બધે ફરીને સસ્તું અને સારું બિયારણ ખરીદી કરીને પ્રથમ વરસાદ આવ્યો તે પર્યાપ્ત ન હતો. બે-ત્રણ દિવસ પછી ધોધમાર વરસાદ આવતાં બધા ખેડૂતો ખેતરમાં બીજ વાવવા-વાવણી કરવા જવા લાગ્યા. વરસાદ આવતાં ગોપાલે પ્રભુનો ઉપકાર માનતી પ્રાર્થના કરી અને બે-ત્રણ દિવસ સખત મહેનત કરીને ખેતરમાં વાવણી, ખાતર અને બીજ નાખવાનું કાર્ય પૂર્ણ કર્યું. પાકની દેખરેખ, નિંદવાનું, જરૂરિયાત મુજબ ખાતર નાખવાનું, જીવાતના રક્ષણ સામે ગૌમૂત્ર છાંટવાનું વગેરે કાર્યમાં ગોપાલ વ્યસ્ત રહેતો. મહેશ ખેતરમાં એકાદ કલાક આવી અને સામેના મંદિરમાં પૂજા-પ્રાર્થના માટે ચાલ્યો જતો, એ જાણી મહેશની પત્ની ગૌરી કહેતી, ગોપાલભાઈ આખોદા'ડો ખેતરમાં કામ કરે છે, તમે થોડા વહેલા ઘરેથી નીકળી તેના કામમાં વધુ સાથ દો તે જરૂરી છે. મહેશ કહે, હું પૂજા કરી ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે, ખેતરમાં સારો પાક આવે ને વળી મારા નસીબમાં હશે તે જ મને મળવાનું છે. 

ગોપાલ અને મહેશ ગુણી લઈને જાય છે. ગોપાલે ઘઉં સાફ કરવાનું શરૂ કર્યું, જ્યારે મહેશ ગુણ લઈ મંદિરમાં ગયો અને મંદિર બહારના પરિસરમાં ભગવાનની મૂર્તિ સામે ઘઉંની બોરી મૂકીને પ્રાર્થના કવા લાગ્યો કે, 'પ્રભુ, મારા કાર્યમાં સહાય કરો.' અને એ રીતે પૂજા-અર્ચનામાં પૂરો દિવસ પસાર કર્યો.

બીજે દિવસે સવારે બન્ને તૈયાર થઈ નિયત સમયે પંચ પાસે જાય છે. ગોપાલે અલગ અલગ ત્રણ ગુણીઓમાં ઘઉં અને કચરો રજૂ કર્યો. મહેશે એક જ ગુણી મૂકી હતી. પંચે તપાસ કરી તો ગોપાલે મોટા ભાગના ઘઉં સાફ કરેલા જણાયા હતા અને મહેશની ગુણી જેમ હતી તેમ જ ઘઉં અને કાંકરા, કચરાયુક્ત સાફ કર્યા વગરની આવી હતી. પંચે ફેંસલો સંભળાવ્યો કે, ગોપાલના ભાગમાં વધુ ઉપજ આપવી.

પંચમાં એક પ્રભુભક્ત આત્મારામ પણ બેઠા હતા. તેમને મહેશ કહે છે કે, તમે તો સંતતુલ્ય છો. આમાં મારી પ્રાર્થનાનું મહત્વ શું ? આત્મરામજી કહે ભાઈ મહેશ, તેં આખી મોસમ માત્ર નગણ્ય મહેનત કરી છે, છતાં તારા ભાગમાં તને ખાવા પૂરતું જે અનાજ મળી રહ્યું છે તે તારી પ્રાર્થના અને ભક્તિના પરિણામે જ મળી રહ્યું છે, જ્યારે ગોપાલને વધુ મળ્યું તે તેના પ્રચંડ પુરુષાર્થનું ફળ છે. તેણે પોતાના કર્તવ્ય-કામને પ્રભુને પૂજા ગણી નિષ્ઠાપૂર્વક કર્મ કરવાનો વિવેક દાખવ્યો.

તેં માત્ર માન્યું કે નસીબમાં હશે તે મળશે, પણ ભાઈ, ઉક્તિ છે ને કે, 'પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.' જમીનનું મળવું એને પ્રારબ્ધનો એક ભાગ ગણીએ તો એમાંથી પાક મેળવવાનો સંપૂર્ણ પુરુષાર્થ ન કરીએ તો એ પ્રારબ્ધ પણ પાંગળું બની જાય છે. મહેશ કહે, મને તમારી વાત સમજાણી. હું આવતી સિઝનમાં ગોપાલ સાથે નિષ્ઠાથી પૂરી મહેનત કરીશ. 'શુભંભવ' કહી આત્મારામે મહેશને આશીર્વાદ આપ્યા.