ભગવદ્ ગીતામાં કર્મનો મહિમા છે, તો પછી નામજપ શા માટે જરૂરી છે ?

- ઘણીવાર એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્વભવતો હોય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કર્મને જ પ્રધાનતા આપી છે અને ફળની ઈચ્છા વિના કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે, તો પછી પ્રભુના નામજપ કે ભક્તિની શી આવશ્યતા છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવજીવનના પ્રત્યેક સંઘર્ષ અને દ્વિધાનું સચોટ માર્ગદર્શન કરતું એક સનાતન શાસ્ત્ર છે. ઘણીવાર લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્વભવતો હોય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કર્મને જ પ્રધાનતા આપી છે અને ફળની ઈચ્છા વિના કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે, તો પછી પ્રભુના નામજપ કે ભક્તિની શી આવશ્યતા છે. આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે ગીતાના તાત્વિક રહસ્યને ખૂબ જ સૂક્ષ્મતાથી સમજવું પડે છે. ગીતાજીમાં માત્ર સામાન્ય શારીરિક કે માનસિક 'કર્મ' ની વાત નથી કરવામાં આવી, પરંતુ તેના પરમ સ્વરૂપ 'કર્મયોગ'નો અપાર મહિમા ગાવામાં આવ્યો છે. જો કર્મની સાથે 'યોગ' અર્થાત્ પરમાત્મા સાથેનું જોડાણ ન ભળે, તો તે કર્મ અધૂરું રહી જાય છે અને મનુષ્યને સંસારના માયાવી બંધનમાં બાંધનારું બની રહે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કે ભક્તો નિરંતર પ્રેમપૂર્વક મારું ભજન કરે છે અંતરથી મારું સ્મરણ કરે છે, તેમને હું એવી દિવ્ય બુદ્ધિ અને યોગ પ્રદાન કરું છું, જેનાથી તેઓ સહેલાઈથી મને પ્રાપ્ત કરી શકે છે. નામજપ વિના ક્યારેય અહંકાર ઓગળતો નથી અને અહંકાર વિના જ કર્મયોગ સિદ્ધ થઈ શકે છે. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પણ એ જ આજ્ઞાા આપી હતી કે તું મારું નિરંતર સ્મરણ કર અને તારું યુદ્ધરૂપી કઠિન કર્તવ્ય નિભાવ. આ જ સનાતન સિદ્ધાંત આજના આધુનિક યુગમાં આપણા રોજના વ્યવહારું જીવનમાં પણ એટલો જ સાર્થક છે. તમે ચાહે ખેતરમાં કઠોર પરિશ્રમ કરતા હોવ, કોર્ટમાં વકીલાત કરતા હોવ, વ્યાપાર કરતા હોવ કે ઓફિસમાં બેસીને નોકરી કરતા હોવ, જો તમે હૃદયથી નિરંતર 'રામ-રામ', 'કૃષ્ણ-કૃષ્ણ' કે ''હરિ-હરિ'' બોલતા રહેશો, તો તમારું એ સામાન્ય શારીરિક કર્મ પણ પ્રભુની દિવ્યપૂજા બની જશે.
સંતો, ઋષિમુનિઓ અને મહાપુરુષો દ્વારા નામજપનો જે અસીમ મહિમા ગાવામાં આવ્યો છે તે કોઈ કોરી ભાવનાત્મકતા કલ્પના કે અંધશ્રદ્ધા બિલકુલ નથી. આ એક અત્યંત ઊંડા આધ્યાત્મિક સંશોધન, નિરંતર સાધના અને ઈશ્વર સાક્ષાત્કારના સ્વાનુભવનું પરિણામ છે. પરમજ્ઞાાનના સાગર ભગવાન શિવ પણ નિરંતર રામનામનું જ રટણ કરે છે. જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં નામજપરૂપી અમૃતનો સાચો સ્વાદ ચાખી લે છે, ત્યારે તેના મનના તમામ સંશયો અને ભય કાયમ માટે દૂર થઈ જાય છે અને તે પરમશાંતિનો અનુભવ કરે છે. તેથી જ જીવનમાં ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પોતાના નૈતિક અને સામાજિક કર્તવ્ય-કર્મોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતાં કરતાં શ્વાસે-શ્વાસે પરમાત્માના નામનું સ્મરણ કરતા રહેવું એ જ વાસ્તવિક જીવનમુક્તિ અને ઈશ્વરમુક્તિ અને ઈશ્વરપ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ, સુરક્ષિત અને સૌથી સરળ માર્ગ છે.
- મુકેશ ટી. ચંદારાણા









