સુખી દાંપત્યજીવન માટે પાયાની વાતો
જીવનમાં જેમ કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન આવશ્યક છે તે જ રીતે ફક્ત ભાવનાથી નહીં પરંતુ બૌદ્ધિક્તાથી પ્રયત્ન કરીએ તો દાંપત્યજીવન સુખી બનાવી શકાય છે.
દાંપત્યજીવનની સફળતાનો આધાર પતિ-પત્ની-પત્ની બંનેના સ્વભાવ, વ્યક્તિત્વ ઉપર તો છે જ પરંતુ સમય અને દાંપત્યને સફળ બનાવવા માટે પ્રયત્ન પણ આવશ્યક છે. પ્રયત્ન શા માટે દાંપત્યજીવન બંને પતિ-પત્ની વચ્ચે સમાનતા હોય તો જ પ્રસન્ન રહેવાનું છે. એમાં પ્રયત્નથી શું વળે? ના, એવું નથી. જીવનમાં જેમ કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન આવશ્યક છે તે જ રીતે ફક્ત ભાવનાથી નહીં પરંતુ બૌદ્ધિક્તાથી પ્રયત્ન કરીએ તો દાંપત્યજીવન સુખી બનાવી શકાય છે. આ માટેના રહસ્યો નીચે મુજબ છે.
(૧) સૌ પ્રથમ તમારા જીવનસાથીનો સ્વીકાર પતિ કે પત્ની તરીકે કરતાં પહેલાં તે એક સ્વતંત્ર વ્યક્તિ છે તે રીતે કરવો ખુબ આવશ્યક છે. લગ્નનું બંધન પતિ-પત્ની બંનેને સમાન રીતે લાગુ પડતું હોવા છતાં અમુક સમયે દરેકને પોતાની જાત માટે સમય જોઈએ છે, વિચારવાનો, રહેવાનો. દાંપત્ય એટલે ઐક્ય એમ માનવું ખોટું નથી પરંતુ તેને જડ રીતે વળગી ન રહેતાં એક-બીજાને અનુકૂળ બની પ્રત્યેકનું વ્યક્તિત્વ સચવાઈ રહેવું જરૂરી છે.
પત્ની તરીકે ફરજ છે કે તેણે ઘર સાફ રાખવું, કુટુંબના સભ્યોને ખવડાવવું, બાળકોના ઉછેરની કાળજી રાખવી વગેરે. જ્યારે તેનામાં કોઈ એવી કલા, સૂઝ કે આવડત છે જે આ સમયના અભાવે, જવાબદારીઓના બોજ નીચે નથી વિકસાવી શકતી, પોતાના માટે સમય નથી કાઢી શકતી.
આ સમયે પતિ જો બૌદ્ધિક્તાથી વિચારી તેમના સ્થાને પોતાને મૂકી વિચારી જુએ, તેનાથી જે રીતે બને તે મદદ કરી પ્રોત્સાહન આપી આગળ વધવામાં મદદ કરે તો? આમ, જીવનમાં ખૂબ નાની એવી લાગતી વાતો જો ધ્યાનપૂર્વક વિચારીને આચરવામાં આવે તો જીવન સ્વર્ગ બની જાય છે. આ જ વાત પત્ની માટે પણ લાગુ પડે છે.
(૨) આક્ષેપથી બચવું. લગ્ન પહેલાં આપણી પસંદગી માનવસહજ પ્રમાણે શ્રેષ્ઠ લાગવાની તેમાં કશી જ ખોટ દેખાશે નહીં. કારણ કે આ બાબતમાં આપણે લાગણીથી વધારે વિચારીએ છીએ. જો બધું બરાબર ચાલે તો આપણે વિચારીએ છીએ કે મારી પસંદગી યોગ્ય છે. અને જો કશું ન ગમતું બને તો તેમાં સૌ પ્રથમ સામા પક્ષનો વાંક દેખાય છે.
પતિ-પત્નીને તેમના સહજીવન દરમિયાન વાંત જોવો બહુ સહેલો છે પરંતુ એકબીજાએ શું કર્યું છે, કયા ગુણ છે તે જલદીથી જોવામાં કે ધ્યાનમાં લેવામાં આવતું નથી આપણા દુ:ખ માટે આપણે પોતે કેટલાં જવાબદાર છીએ તે જોવું જોઈએ. જીવનને સુખમય બનાવવા પ્રયત્નશીલ રહો. જેમ બને તેમ જીવનમાં બનતા પ્રસંગો, જવાબદારીઓ સરળતાથી, હકારાત્મક વલણ સાથે ઉપાડો.
(૩) સ્વીકાર: આગળ આપણે જીવનસાથીને વ્યક્તિ તરીકે સ્વીકારવાની વાત તો કરી જ છે. તે ઉપરાંત તમારા સાથીને તે જે છે તે હાલમાં જ સ્વીકારવાની ટેવ પડશે. તેનામાં રહેલાં અવગુણો સામે ન જોતાં તેના સારાં ગુણો જોઈ તે વખાણો, તેનો આનંદ મેળવો. બાકીના અવગુણો તમે ધીરે-ધીરે ભૂલી શકશો.
ભૂલથી પણ તમે તમારા પ્રિયપાત્રને સુધારવાનો રસ્તો ન પકડશો કેમ કે જો તેમ કરવા જશો તો તેના અવગુણો પ્રત્યે વધારે વિચારતાં તેમાંથી ધિક્કારની લાગણી પ્રગટશે. અવગણના કરી શાંતિથી, બુદ્ધિથી વિચારી થોડો સંયમ કેળવવો અને અવગુણોને માફ કરતાં શીખવું. તેમાંથી તમે જે આનંદ મેળવશો તે ધિક્કારથી તો બેશક વધારે સારું છે.
(૪) સ્વાર્થવિહીન વલણ અપનાવવું દાંપત્યજીવન માટે ખૂબ મહત્ત્વનું છે. હંમેશાં સાથીને કશુંક આપવાની ભાવના મનમાં રાખવી. નાના-મોટા ઘણાં પ્રસંગો જીવનમાં ઘટતા રહે છે. જેમાં થોડો ત્યાગ કરવાથી તમારા તરફ તમારાં સાથીનો પ્રેમ વધશે. તમારી 'આપવાની' વૃત્તિ ધીરે-ધીરે એવું પરિણામ લાવશે કે તમારા સાથી પણ આ ટેવનો સ્વીકાર કરશે. અને જ્યારે આપવા અને લેવાનું પ્રમાણ સરખું થઈ જશે ત્યારે જીવન સુખના પહાડના શિખરે હશે. પરંતુ લેવા માટે ગુમાવવા કે આપવાની વૃત્તિ ન કેળવશો, વધારે ગંભીર પરિસ્થિતિ સર્જશે.
(૫) દંપતી માટે એકબીજા તરફ વફાદાર રહેવું ખૂબ આવશ્યક છે, જે લગ્નબંધનની શરત પણ છે. વ્યાવહારિક જીવનમાં પણ વફાદારી નિભાવવી જ જોઈએ. વફાદારી એટલે ફક્ત ચારિત્ર્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ જીવનમાં પ્રત્યેક બાબત જે તમારાં સાથીને જાણવા યોગ્ય હોય તે ક્યારેય ન છુપાવવી જોઈએ.
ઘણી બાબત એવી પણ હોઈ શકે છે જે સામાપક્ષને ખૂબ ગુસ્સામાં લાવે પરંતુ આ બધુ ક્ષણિક હોય છે, પછી શાંતિના સમયે તમે તમારી વાત સમજાવી શકો છો, ત્યારે તમારી પાસે વજનદાર દલીલ પણ એ જ રહેશે કે તમે સાચા ન હોત તો આ વાતની જાણ જ શા માટે કરતા પતિના ગુસ્સાથી ઘણી ગૃહિણીઓ નાની-નાની બાબતો છુપાવતી હોય છે, પરંતુ જ્યારે તે ટેવમાં પરિણમે છે ત્યારે ઘણાં મોટા ઝઘડાનું રૂપ પણ ધારણ કરી શકે છે તેટલું જ નહીં પરંતુ આ ટેવની બાળકોના માનસ પર પણ ખરાબ અસર થાય છે. માતા-પિતા વચ્ચે જેટલો પ્રેમ અને ઐક્ય બાળક અનુભવશે તેટલો ફાયદો તેના વિકાસમાં પણ થશે.
(૬) બદલાતા જતાં સમય અને સંજોગો સાથે તે પ્રમાણે બદલાવાનું શીખો. આનો મતલબ છે જીવન સતત ગતિશીલ છે. તેમાં સતત પરિવર્તનો આવ્યા કરે છે. તેનાથી ગભરાયા વગર કઈ પરિસ્થિતિમાં તમારી જાતે કઈ રીતે રહેવું યોગ્ય છે તે વિચારી તે પ્રમાણે ઘટતું કરવું જોઈએ. લગ્નના પ્રથમ વર્ષે જે પ્રમાણે તમારું જીવન હોય તે પાંચમા વર્ષે અને તે પ્રમાણે દશમા વર્ષે રહેવું જ જોઈએ તેવી જડ માન્યતામાં ન માનતાં સમય સાથે અનુસરે.
પ્રથમ વર્ષે તમે એક-બીજા માટે વધારે સમય ફાળવી શકતાં હોવાથી તમને જેટલો આનંદ મળવાનો તેટલો જ સમય જીવનમાં બીજી જવાબદારીઓ, બાળકોના ઉછેર વગેરે ને કારણે તમને એવું લાગશે કે તમારા સાથી અને તમારી વચ્ચે અંતર વધતું જાય છે. પરંતુ પ્રેમ તો નક્ષર છે. તે ક્યારેય નાશ પામતો નથી. ફક્ત તેની આપ-લે કરવાનાં પહેલાં જેટલાં મોકાઓ નથી રહ્યાં. પરંતુ તમને એ જાણ નથી કે તમે આજે સુખી જ એટલે છો કેમકે તમે પરિવર્તનમાં જીવો છો.
કલ્પના કરી જુઓ, તમે જે પરિસ્થિતિમાં હતાં તે જ, પરિસ્થિતિમાં આજે પણ હોત તો શું તમે એટલા જ સુખી હોત? કદાચ નહીં. પતિ-પત્ની મટીને મા-બાપ, મા-બાપમાંથી સાસુ-સસરા, દાદા-દાદી આ બધા પરિવર્તનો જ તો જીવનનો હેતુ છે, આનંદ છે. પ્રત્યેક પળને જીવવાની, આનંદથી પસાર થાય તેમ જોવા માટે પ્રયત્નશીલ રહો. એક વાત છે. મનુષ્ય પોતાના વર્તમાનથી ક્યારેય સંતુષ્ટ હોતો નથી. પરંતુ આ બધું ફક્ત વાંચવા કે લખવા માટે નથી. પરંતુ જીવનમાં જે છે તેમાંથી વધારે સુખ શી રીતે મેળવી શકાય તેમ જોવું.
(૭) દાંપત્યજીવન સરળ બનાવવા માટે એક-બીજાને સારી રીતે સમજવું ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિમાં ભિન્નતા રહેલી હોય છે, જ્યારે દંપતી એકબીજામાં સામ્ય શોધવાની મથામણ કરી રહ્યાં હોય છે. સુથી થવાનો સરળ ઉપાય તો એ જ છે કે તમે તમારી જાતને તમારા સાથી સામે ખુલ્લી કિતાબની જેમ પ્રસ્તુત કરો.
(૮) માફી. માફી શબ્દ જેટલો સીધો-સાદો છે તેટલું જ માફી આપવું અઘરું છે. તે માટે સંયમ કેળવવો જોઈએ. જ્યારે માફી આપતાં શીખી જશો ત્યારે તમારી જાત સાથી માટે અચુક વધારેે પ્રેમાળ અને પૂજનીય બની જશે. અમુક ભાવો, લાગણી આપણે બાળપણથી આપણાં મા-બાપ, ભાઈ-બહેન વગેરે પાસેથી શીખ્યાં હોઈએ છીએ. પુખ્ત ઉંમરે તે બતાવતાં પહેલાં અવશ્ય તે યોગ્ય છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ. આ અઘરું તો છે જ પરંતુ ધીરે ધીરે ટેવાઈ જવાશે.
એકદમ ગુસ્સામાં આવતા પહેલાં, જે બન્યું તેની પાછળ સામા પક્ષની મજબૂરી હશે, આંખી વાત જાણી લેવી, ભાવ પર નિયંત્રણ રાખી સંયમથી કામ લેવું. પ્રયત્નથી અચૂક સફળતાં મળશે. જે બાબત પર તમને ગુસ્સો આવ્યો છે, તે કટોકટીની પળ પસાર થઈ જવા દઈ જ્યારે તમારા વિચારો-શબ્દો પર કાબૂ આવે ત્યારે તે બાબત સામા પક્ષને સમજાવવાનું રાખવું. આટલી નાની બાબત તંદુરસ્ત દાંપત્યજીવન બનાવવામાં ખરેખર ઉપયોગી છે.