Magazines

શ્રી વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત : શ્રી નારદજી

By GS TEAM
29 Apr 20262 mins read
શ્રી વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત : શ્રી નારદજી

જેમનું નામ માત્ર લેવાથી તુરત જ સૌ કોઈને અનાયાસે જ નારાયણ પ્રભુશ્રીનું નામ લેવાની પ્રબળ, પ્રકટ ઈચ્છા પ્રસન્નતાપૂર્વક થઈ જાય એ ઋષિ કોણ છે ? જવાબ તદ્દન સહેલો છે અને એક માત્ર વિકલ્પ પણ છે : નારદજી. નારાયણ ! નારાયણ ! એ એમનો તકિયા કલામ છે.

જે રીતે પુલહ, પુલત્સ્ય, કેતુ, વશિષ્ઠ, મરીચિ, અંગિરા વગેરે બ્રહ્માજીના માનસપુત્રો છે, તે જ રીતે નારદજી પણ બ્રહ્માજીના વરિષ્ટ માનસ પુત્ર છે. નારદજી દેવો અને દાનવો-બન્નેના માનીતા પ્રિય ઋષિ છે અને સંકટ સમયની સાંકળ જેવા અનિવાર્ય પણ છે. માર્ગદર્શક પણ છે.

પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વર્ગલોકમાં એમનું અવિરત ભ્રમણ સૌનું રક્ષણ બની જાય છે. એ ઋષિ છે, દેવર્ષિ છે અને તપ કરી બ્રહ્મર્ષિની પદવી પણ પ્રાપ્ત કરી. 'દેવર્ષીણામ્ચ નારદ :લ્લ - એવું કહીને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા થકી નારદજીનું બહુમાન, સન્માન કર્યું છે. (ગીતા. અધ્યાય : ૧૦, શ્લોક-૧૩)

શ્રીરામચંદ્રના પરમભક્ત શ્રી હનુમાનજી છે. બસ કંઈક એ જ રીતના વિષ્ણુ ભગવાનના પરમભક્ત નારદજી છે. અંગત સચિવ પણ છે. બાલબ્રહ્મચારી છે, પ્રથમ જગત પ્રવાસી છે, ભક્તિના આચાર્ય છે, ત્રિલોકના ખબરપત્રી છે, પત્રકાર છે, સંવાદદાતા પણ છે.

સંકીર્તનના એ શ્રેષ્ઠી છે, પ્રખર જ્યોતિષી છે, મહાસરસ્વતીજીના એ સગા ભાઈ છે, વાલ્મીકિ, શુકદેવ અને વેદવ્યાસના એ ગુરુ છે, તો વેદોના મર્મજ્ઞા, પુરાણોના વિશેષજ્ઞા મેઘાવી નીતિજ્ઞા, ભક્તિના તજજ્ઞા, વ્યાકરણના પંડિત, ધર્મતત્ત્વવેત્તા, વક્તા, શ્રોતા, દેવોના ખાસ માનીતા છે.

શ્રીમદ્ ભાગવત, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો, ધર્મશાસ્ત્રો એમની પ્રેરણાથી જ આપણને પ્રાપ્ત થયા છે. દરેકે દરેક શંકાનું સમાધાન એ કરી શકે છે. શિવજી સાથે પાર્વતીજીનાં લગ્ન એમની મધ્યસ્થાનું પરિણામ છે. શ્રી રામચંદ્રજીના અવતાર માટેનાં પાંચ મુખ્ય કારણ છે તેમાં એક કારણ નારદજીનો વિષ્ણુભગવાનને શ્રાપ-પણ છે.

પ્રજાપતિ દક્ષના પુત્રોને ધર્મોપદેશ આપી સંસારનો ત્યાગ કરાવી સાધુ બનાવ્યા તેથી દક્ષે શ્રાપ આપ્યો કે જાવ... હવે તમે એક જગાએ ઝાઝુ ટકી જ નહિ શકો ત્યારથી એ કાયમ ફરતા જ રહે છે. એ આનંદી છે તો વિનોદી પણ છે. એમને કંઈક આનંદ લેવો હોય ત્યારે બે પક્ષોને ઊલટ સૂલટ કથા કહી ઝઘડો કરાવવાની એમની ખાસ ખાસિયત છે. વીણા વગરના નારદજીની કલ્પના અશક્ય છે. આવા બ્રહ્મર્ષિ નારદજીને આજે એમની જ્યંતીએ યાદ કરી ધન્ય બનીએ. નારાયણ ! નારાયણ !