સુપરસ્ટાર્સની નેમ ગેમ: 'જન્નત'માંથી 'મન્નત' અને 'મનસા'માંથી 'જલ્સા'

- શાહરૂખ ખાનનો 'મન્નત' બંગલો આખા દેશમાં જાણીતો છે. હૃતિકની બિલ્ડિંગનું નામ અગાઉ 'મન્નત' હતું. હૃતિકે પોતાની બિલ્ડિંગનું નામ બદલીને 'વર્તમાન' કરાવી નાખ્યું.
- જલ્સા - મન્નત
બોલિવુડના બે મોટા સ્ટાર્સ શાહરુખ ખાન (એસઆરકે) અને હૃતિક રોશન વચ્ચે ઉંમરમાં ૯ વરસનો તફાવત છે. બંનેને 'મન્નત' નામ સાથે જબરું લેણું છે. કઈ રીતે? આવો જાણીએ.
શાહરુખ ૨૦૦૧ની સાલથી બાન્દ્રાના બેન્ડ સ્ટેન્ડ એરિયામાં આવેલા સી-ફેસિંગ આઇકોનિક હેરિટેજ બંગલો મન્નતમાં રહે છે. એસઆરકે અને એનું ફેમિલી બંગલા ઉપરાંત એની પાછળ આવેલા એક ઊંચા બિલ્ડિંગનો ઉપયોગ કરે છે. આ એનેક્સ બિલ્ડીંગનું છેલ્લા ૧ વરસથી રિનોવેશન ચાલી રહ્યું હોવાથી ખાન પરિવાર પાલી હિલના એક પોશ બિલ્ડીંગમાં ૩ માળ ભાડે લઈ તાત્પુરતો એમાં શિફ્ટ થઈ ગયો છે. એનેક્સ બિલ્ડીંગમાં હાલ નવા માળ (ફ્લોર્સ) ઉમેરાઈ રહ્યા છે.
કોરોના કાળ પહેલા ૨૦૨૦માં હૃતિકે અંધેરીના જુહુ-વર્સોવા લિન્ક રોડની એક આલિશાન ઈમારતમાં રહેવા માટે ૧૪, ૧૫ અને ૧૬ મો ફ્લોર ખરીદી લીધો. જુનિયર રોશનનું ૩૮,૦૦૦ ચો. ફુટમાં ફેલાયેલું આ પેન્ટહાઉસમાંથી હિલોળા લેતા દરિયાનો અદ્ભુત વ્યુ મળે છે. આવો નયનરમ્ય નજારો ધરાવતું રહેઠાણ ભારતની સૌથી મોંઘી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી હોય તો એમાં નવાઈ નથી. સુખદ યોગાનુયોગ કેવો કહેવાય કે આ બિલ્ડીંગનું નામ પણ હજુ હમણાં સુધી ખાનના બંગલાની જેમ મન્નત હતું. અલબત, હૃતિકને આ યોગાનુયોગ ન ગમ્યો હોય કે પછી બીજા કોઈ કારણસર એણે પેન્ટહાઉસ ખરીદ્યા બાદ બિલ્ડીંગનું નામ બદલીને 'વર્તમાન' રાખવાની વિનંતી કરી. હવે એ વર્તમાન તરીકે જ ઓળખાય છે. જોકે બિલ્ડીંગના ઉલ્લેખમાંથી મન્નત શબ્દ હજુ ભુંસાયો નથી. ઓનલાઈન સર્ચ કરીએ તો એમાં ઇમારતનો 'વર્તમાન ઉર્ફે મન્નત' તરીકે જ ઉલ્લેખ વાંચવા મળે છે. નોંધવા જેવી વાત એ છે કે આ પોશ બિલ્ડીંગમાં હૃતિકના ફેવરીટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી બે વરસથી એના પાડોશી છે.
સંગીત ખુરશી જેવી નામ બદલવાની રમત હૃતિક અને એસઆરકે પર પુરી નથી થઈ જતી. ખાનના મન્નત બંગલાનું નામ પહેલા જન્નત હતું. એ જ રીતે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો અગાઉ 'મનસા' તરીકે જાણીતો હતો. એસઆરકે એ બંગલાનું નામ ફેરવીને મન્નત કર્યું. એ જ રીતે, બચ્ચને કોઈ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અથવા વાસ્તુશાસ્ત્રને અનુસરી પોતાના બંગલાનું નામ મનસાથી બદલી જલસા કર્યું. ગમે તે હોય પણ હકીકત એ છે કે જુહુનો જલસા અને બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડનો મન્નત બંગલો મુંબઈ ફરવા આવતા પર્યટકોના પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી ઉપર હોય છે.









