શ્રુતિકા પોતાની સિનિયર નયનતારાના સમર્થનમાં ઉતરી

નયનતારા વિશે અભદ્ર અને વાંધાજનક વિધાન કરવા બદલ જનતાએ શણ્મુગમ પર માછલાં ધોયા. નેટીઝન્સે એમને બરાબરના સાણસામાં લીધા. શણ્મુગમે આખરે જાહેરમાં માફી માગવાની ફરજ પડી.
વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ઘણીવાર વરવું સ્વરૂપ ધારણ કરે છે. હમણાં તામિલનાડુમાં આવો જ એક બનાવ બન્યો. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને 'ડ્રીમ ઇનિશિયેટીવ' નામનું એક અભિયાન શરૂ કરી લોકોને પોતાના સપના રાજ્ય સરકાર સાથે શેર કરવાની અપીલ કરી. એની પાછળનો ઉદ્દેશ રાજ્યના નાગરિકોની ઇચ્છા-આકાંક્ષાઓ જાણી એના આધારે તામિલનાડુના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરવાનો હતો. જાન્યુઆરીમાં આ અભિયાન શરૂ કરી લોકોને ૩૦ દિવસમાં પોતાના સપના શેર કરવા આહવાન કરાયું હતું. તામિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચેનું રાજકીય વેર બહુ જાણીતું છે. સ્ટાલિન ડીએમડે પાર્ટીના નેતા છે એટલે એઆઈડીએમકેના નેતા સી. વી. શણ્મુગમે એમના ડ્રીમ ઈનિશિયેટીવની ઠેકડી ઉડાવવા ટોપની એકટ્રેસ નયનતારાને સંડોવતી એક વિકૃત કમેન્ટ કરી. વિપક્ષી નેતાએ લાજશરમ નેવે મૂકી કહ્યું કે સરકાર લોકોનાં સપનાં શેર કરવા પ્રોત્સાહન આપી રહી છે તો હું એમ કહું કે મારે નયનતારા જોઈએ છે અથવા બીજો કોઈ મુખ્ય પ્રધાનને નયનતારા સાથે એના લગ્ન કરવા કહે તો શું એની ઇચ્છા પુરી કરાશે ખરી?
એક રાજકીય પ્રહારમાં નયનતારાનું નામ બિન જરૂરી રીતે સંડોવવા અને જાજરમાન એકટ્રેસને (સૌની) ઇચ્છાની વસ્તુ બનાવી ઉતારી પાડવા શણ્મુગમ પર ચારેકોરથી પસ્તાળ પડી. આવું અભદ્ર અને વાંધાજનક વિધાન કરવા બદલ જનતાએ એમના પર માછલા ધોયા. નેટીઝન્સે નેતાજીને બરાબરના સાણસામાં લીધા. એને લીધે શણ્મુગમને જાહેરમાં માફી માગવાની ફરજ પડી.
સામાન્ય માન્યતા એવી છે કે અભિનેત્રીઓને એકબીજા સાથે બહુ બનતું નથી અને એમની વચ્ચે 'કોલ્ડ વોર' ચાલ્યા કરે છે. પરંતુ આ મામલો એમાં એક અપવાદ બની રહ્યો. સારો એવો ઉહાપોહ થયા બાદ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એકટ્રેસ શ્રુતિકા અર્જુન વિવાદમાં ઝંપલાવી નયનતારાના સપોર્ટમાં ઉતરી. છેલ્લે રિયાલિટી શો 'ધ ફિફટી'માં કોન્ટેસ્ટંટ તરીકે જોવા મળેલી શ્રુતિકાએ શણ્મુગનની કમેંટ્સની ઝાટકણી કાઢી જનતાના એની સામેના આક્રોશને બિરદાવતા કહ્યું, 'એ બહુ જ અશ્લીલ નિવેદન હતું. આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે છતાં અહીંયા કે ત્યાં આવી ગંદી ટિપ્પણીઓ થાય છે. હું લોકોને એને એક મુદ્દો બનાવી એનો વિરોધ કરવા બદલ ધન્યવાદ આપું છું. લોકોની ઉગ્ર પ્રતિક્રિયાને લીધે જ સંબંધિત વ્યક્તિને ક્ષમા માગવાની ફરજ પડી. એક સમાજ તરીકે આપણે પ્રગતિની દિશામાં અગ્રસર થયા છીએ. લોકો હવે સમજી ગયા છે કે હું ગમે તેટલો મોટો રાજકારણી હોઉં અથવા મારી બધે જ વગ હોય તો પણ હું ભૂલ કરીશ તો મારે લોકોની ટીકાનો સામનો કરવો પડશે. દરેક વ્યક્તિ મને પ્રશ્ન કરશે. જાહેર જીવનમાં પદ અને પ્રતિષ્ઠાની સાથોસાથ જવાબદારી પણ આવે છે. એટલે નેતાઓએ પદ મેળવ્યા બાદ શું બોલવું એ સમજી લેવું પડશે. તમને વાણી સ્વાતંત્ર્ય મળ્યું છે એટલે તમે ગમે તેવો બકવાસ ન કરી શકો.'








