ત્રણ વર્ષથી તમારી પાસે પડછાયાની માફક રહું છું ને પૂછો છો ક્યારે આવ્યો?
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
મા ર્યા નામના ઇશ્વરને ઓળખનારા સંત હતા. એની પાસે એક યુવક આવ્યો. એનો વિચાર ઇશ્વરની ઓળખ મેળવવાનો હતો. માર્યા જ્યારે કંઇ વાત કરતા હોય ત્યારે એ યુવક તરત પૂછે કે ઇશ્વરનું નામ-સરનામું તો બતાવો ?
માર્યા જવાબ આપવાને બદલે તરત જ ચૂપ થઇ જતાં આમ ભલે માર્યા સતત વાત કરતા હોય, પણ જેવો યુવક પૂછે કે ઇશ્વરની ઓળખ આપો કે તરત જ માર્યા આંખો બંધ કરીને ખામોશ થઇ જતાં.
આવું એક વાર નહીં, પણ ઘણી વાર બન્યું. ત્રણ ત્રણ વર્ષ સુધી આવું ચાલ્યા કર્યું. પેલો યુવક જેવો આ પ્રશ્ન કરે કે તરત જ માર્યા ખામોશ થઇ જતાં. આખરે આ યુવાન પરેશાન થઇ ગયો. એને થયું કે આ તે કેવું વિચિત્ર કહેવાય !
એવું પણ બનતું કે જો એ માર્યા સાથે જતો હોય અને રસ્તામાં આ પ્રશ્ન કરે તો માર્યા જવાબ આપવાને બદલે ચૂપચાપ ઊભા રહી જતાં.
યુવકને આશ્ચર્ય એ વાતનું હતું કે આમ તો માર્યા ઘણી વાતો કરે છે પણ જ્યારે આ પ્રશ્ન પૂછાય છે તો તે જવાબ આપતા નથી, આંખો બંધ કરીને જાણે હોઠ સીવી લે છે. ચાલતા હોય, તો થંભી જાય છે. પણ મુખેથી કોઇ ઉત્તર આપતા નથી.
આ યુવક ક્યારેક માર્યાને કહેતો પણ ખરો કે હું તમારી પાછળ ફરું છું તેનું કારણ ફરવાનું નથી પણ ઇશ્વરનું જ્ઞાન મેળવવાનું છે. આમ છતાં આ સાંભળીને માર્યા તો આંખો બંધ કરીને ઊભા રહી જતાં.
કંટાળીને એ યુવકે એક દિવસ માર્યાને કહ્યું, 'હવે હું તમારાથી થાકી ગયો છું. મને રજા આપો.
મારે જવું છે.'
માર્યાએ પૂછ્યું, 'પણ તમે ક્યારે આવ્યા કે આજે રજા માગો છો ?'
યુવકે કહ્યું, 'કેવો વિચિત્ર પ્રશ્ન કરો છો તમે ? ત્રણ ત્રણ વર્ષથી હું તમારી સાથે છું છતાં પૂછો છો કે હું ક્યારે આવ્યો ?'
માર્યાએ કહ્યું, 'અરે ! ત્રણ વર્ષ સુધી તો તું દરવાજાની બહાર જ ફરતો રહ્યો, ભીતર આવ્યો નથી અને જવાની આજ્ઞા માગે છે ! મને એક ક્ષણ પણ એવો અનુભવ ન થયો કે તું ભીતર આવ્યો છે. ઘણી વાર તો હું બારણું ખુલ્લું રાખીને ઊભો રહ્યો. પણ તેં અંદર આવવાની કોઇ કોશિશ ન કરી. ઘણી વાર થોભી જતો. મને એમ થતું કે હું ચાલું છું એટલે તું પ્રવેશી ન શકે માટે હું ઊભો રહી જતો. તેં સવાલ પૂછ્યો છે ત્યારે મેં તેનો જવાબ આપ્યો.'
યુવકે કહ્યું, 'આ તો તમે ભારે હદ કરી ! મને અકળામણ થાય અને મેં પ્રશ્ન પૂછ્યો, ત્યારે તમે કોઇ ઉત્તર આપવાને બદલે મૌન રહ્યા છો અને મારા પર આરોપ મૂકો છો ?'
માર્યાએ કહ્યું, 'એ જ જવાબ હતો. તું પણ એ વખતે ચૂપ રહી ગયો હોત તો ક્યાંક તારા ભીતરનાં દ્વાર ખૂલી જાત. જ્યારે જ્યારે હું ચાલતાં થોભી ગયો, ત્યારે તું પણ મારી માફક થોભી ગયો હોત તો તને તારા પ્રશ્નનો જવાબ મળી જાત. આનું કારણ એ છે કે એના વિશે તને કંઇ કહેવું હોય તો મૌન થઇ જવું પડે છે. એની દિશામાં જવું હોય તો ઊભા રહી જવું પડે છે.'
આજે માણસ શબ્દથી ઇશ્વરની ખોજ કરે છે અને ભાષાથી એને પામવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં એની પાસે જવા માટે શબ્દ કામનો નથી અને ભાષા તો ભુલભુલામણીમાં નાખે છે. ઇશ્વરનો અનુભવ પામવા માટે હૃદયનું મૌન જોઇએ. મૌનના વાતાવરણમાં જ એનો અનુભવ પ્રગટ થાય છે.