Get The App

આપઘાત .

Updated: Dec 3rd, 2019

GS TEAM


Google News
Google News
આપઘાત               . 1 - image


અચાનક તેને કોઇ હલાવતું હોય તેમ લાગ્યું. એક વૃદ્ધ ભિખારણ તેને ઢંઢોળીને ઊઠાવી રહી હતી. ''એ ભાઇ, આજે ભાવનગર એક્સપ્રેસ કલાક લેટ છે, તેમાં તમે બચી ગયા. નહિતર કપાઇ ગયા હોત.''

''જો પ્રખર, આ છેલ્લી સૂચના આપું છું, મારા બાકીના ઉધાર લીધેલા છ લાખ રૂપિયા બે દિવસમાં પરત કરી દે નહીં તો હું પોલીસ કેસ કરીને જેલમાં નાખી દઇશ.'' પહેલવાન જેવાં રબારીએ પોતાના વ્યાજે આપેલા રૂપિયા પાછા માંગવા પઠાણી ઉઘરાણી કરી.

''ભાઇ સાહેબ મને થોડો વધારે સમય આપોને !'' પ્રખર કરગરી પડયો.

કલાક માંડ વિત્યો હશે ત્યાં પ્રખરની બેન્કના મેનેજરનો ફોન આવ્યો. ''આ તમને છેલ્લી નોટીસ આપુ છું. બેંકના લોનના બાવીસ લાખ રૂપિયા ભરી જાવો, નહિતર જામીનમાં મુકેલો તમારો ફ્લેટ જપ્ત કરી લઇશું.'' ''સાહેબ મને વધારે મુદત આપો.'' પ્રખર આટલું બોલતાં રડી પડયો. કંટાળીને તે ઘેર જતો હતો, ત્યાં હટ્ટાકટ્ટા બાઉન્સરોએ કાર રોકી તેને ઉતારી મુકી કારનો કબ્જો લઇ લીધો. તેના મેનેજરને કહ્યું, ''આ સામે લીધેલી ચાર લાખની લોન ના ભરવાથી કાર જપ્ત કરેલ છે.''

પ્રખર તૂટી ગયો. ધીમે ધીમે ચાલતો કલાકે ઘેર પહોંચ્યો.

ચાર વરસથી શેરબજારમાં લાખો રૂપિયા બનાવતા પ્રખરે પોતાની કાયમી નોકરી છોડી દીધી અને શેરબજારમાં જ રચ્યોપચ્યો રહેવા લાગ્યો. વધતાં બજારે રૂપિયા બનાવતો પ્રખર ધીમે ધીમે વાયદાના વેપાર પર ચડી ગયો. તેણે લાખો રૂપિયાના શેર વધતાં બજારમાં વાયદે ખરીદેલ હતા.

દેશમાં અને સરકારમાં અનેક ભ્રષ્ટાચારના કેસ ખુલવા લાગ્યા અને ચૂંટણી જાહેર થઇ ગઇ, તેમાં અચાનક શેરબજાર તૂટવા લાગ્યા. ભયંકર મંદીના ઓળા ફરી વળ્યા. પ્રખરને તેજીમાં વાયદે ખરીદેલા શેર અંતે લોસ ખાઇને વેચ્યા વગર છૂટકારો જ ન હતો. આમાં તેને સાઇઠ લાખનો લોસ થઇ ગયો. જે તેણે  કાર, મકાન ગીરવે મૂકી અને રૂપિયા વ્યાજે લઇને ભરપાઇ કર્યા.

''હાર્યો જુગારી બમણું રમે'' એ કહેવત અનુસાર પ્રખર વધારેને વધારે મંદીમાં ખૂંપતો જ ગયો.. છેવટે તો નાણાં વગર હવે તેને ખાવા પીવાનાં પણ સાંસા પડી ગયા.

લથડાતાં, નિરાશપૂર્વક ચાલતાં માંડ ઘરે પહોંચતા જ તેની નજર પત્ની પ્રમિલાના મંગલસૂત્ર ઉપર પડી, તેણે તેની સ્વરૂપવાન પત્નીને ઓર્ડર કર્યો. ''મંગલસૂત્ર આપી દે.'' પ્રેમિલા ગુસ્સે થઇને બરાડી ઊઠી. ''આ છેલ્લો દાગીનો તો સુહાગની નિશાની છે, તેને તો રહેવા દો.'' બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઇ ગઇ. ત્યાં તો તેમની બેબી પૂર્વી રડતી રડતી શાળાએથી ફી ના ભરવાથી પાછી આવી.

પ્રખર મારમારી, રૂપિયાની માંગ અને બેઇજ્જતીથી નિરાશ થઇ હારી ગયો.

તે જમવા બેસવાને બદલે સીધો નીકળી ગયો ઘરની બહાર. એકલો ચાલતો પ્રખર એકાંતવાળા વેજલપુરના રસ્તેથી આગળ વધતાં ટ્રેનના પાટા નજીક આવી ગયો.

જીવનની નબળી ક્ષણે સાવ નિરાશ પ્રખરને જીવનની અંત લાવી આ બધામાંથી છુટી જવાં આપઘાતનો વિચાર આવી ગયો. સવારથી દોડાદોડી, બોલાચાલી અને પઠાણી રૂપિયાની ઉઘરાણીઓથી તે સાવ થાકીને નિરાશ થઇ ગયો હતો. હજુ ભાવનગર એક્સપ્રેસને આવવાની વાર હતી, એટલે તે બે પાટાની વચ્ચે સૂઇ ગયો.

અચાનક ધસમસતી ટ્રેનમાં તેના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા. તેના મૃત શરીરની આજુબાજુ તેના વૃદ્ધ માતાપિતા, પૂર્વી અને પ્રેમિલા રડી  રહ્યાં હતા. આજુબાજુ બેઠેલા મિત્રો અને સગાવહાલાં પણ શોકમાં રડું રડું થઇ રહ્યાં હતા. ઠાઠડીમાં તેને ઊપડતાં પૂર્વી પપ્પા પપ્પા કરતાં પાછળ દોડી અને કુટુંબમાં બધા રડી પડયા. પ્રખર વિચારમાં પડી ગયો, ''અરે ! મેં આ શું કર્યું ?'' પણ તે તો કંઇ જ કરી શકે તેમ ન હતો. મહિના પછી બધાં સગાં વિખરાઇ ગયા હતા.

તેનો ફ્લેટ બેન્કની જપ્તીમાં ગયો હોવાથી પૂર્વી પ્રેમિલા અને તેના વૃદ્ધ માતપિતા ચાલીમાં રહેવાં આવી ગયા હતા. આવકનું સાધન કોઇ જ ન હોવાથી ચાર જણાને પેટ ભરવાના પણ ફાંફાં પડી ગયાં હતા. હવે એની પત્ની પ્રમિલાએ નોકરી કરવા સિવાય છુટકારો જ ન હતો. ઓછું ભણેલી પણ સ્વરૂપવાન પ્રેમીલાને અંતે બેંકમાં આયા તરીકે નોકરી મળી ગઇ.

બેંકના મેનેજરની લોલુપ નજર પ્રેમીલાની જુવાની ઉપર જ હતી. એક દિવસ બપોરના એકાંતમાં મેનેજરે પ્રમીલાને તેની કેબિનમાં બોલાવી લાજ લૂંટવા પ્રયત્ન કર્યો. પણ તે જીવ બચાવી નાસી છુટી. આ જોઇ પ્રખર રડી પડયો, પણ તે તો મરી ગયો હતો.

પૂર્વીને ભણવાનું છૂટી ગયું હતું. બાજુના બંગલામાં તે કચરા પોતાં કરવા જતી હતી. આ જોઇ પ્રખર દુખી દુખી થઇ ગયો. પોતાં બરાબર ના કરવાથી બંગલાની જાડી શેઠાણીએ પૂર્વીને જોરથી લાત મારી, ને પ્રખરથી રાડ પડાઇ ગઇ. ''અરેરે ! મારી વ્હાલી દીકરીના આવા હાલ !'' પણ તે તો કઇ જ કરી શકે તેમ ન હતો. પ્રખર ખરેખર પસ્તાઇ રહ્યોહતો. મેં જીવનની નબળી ક્ષણે આ શું કરી નાખ્યું ? પણ હવે પસ્તાવાનો શું અર્થ હતો ?

અચાનક તેને કોઇ હલાવતું હોય તેમ લાગ્યું. એક વૃદ્ધ ભિખારણ તેને ઢંઢોળીને ઊઠાવી રહી હતી. 

''એ ભાઇ, આજે ભાવનગર એક્સપ્રેસ કલાક લેટ છે, તેમાં તમે બચી ગયા. નહિતર કપાઇ ગયા હોત.''

આંખો ચોળતો પ્રખર અવાચક બની ગયો. તેને આ બધું શું બની ગયું તે સમજાતું ન હતું. પણ ભયંકર સપનું યાદ આવતાં તે થથરી ગયો.

લાગણીના ટેકેટેકે પોતાની મસ્તીમાં મસ્ત ભિખારણ તેને ઉઠાડી ધીમે ધીમે રોડ ઉપર ભીખ માંગવા જતી રહી. પ્રખર પસ્તાઇ રહ્યો હતો. ''આટલી મોટી ઉંમરના માજી પોતાની પાસે કાંઇ જ ન હોવા છતાં મસ્તીથી જીવી રહ્યાં છે, અને હું શું કરવા બેઠો હતો ?''

તે બમણા જોશ અને જુસ્સાથી ઊભો થયો. હવે તેનામાં જીવવાનું જોમ અને જીજીવિષા આવી ગયા હતા. તે ત્રણ ચાર કલાક શૂન્ય મસ્તક બધું વિચારતો બેસી રહ્યો.

ખિસ્સામાં હાથ નાખતાં ફકત એક દશની નોટ નીકળી, તે બાજુના રોડ પર જઇ ચ્હાના ગલ્લે આવ્યો. ગરમ અડધી ચ્હા પીધાં પછી તેનામાં ઉત્સાહનો સંચાર થઇ ગયો. અંતે તેણે પાછા પોતાની વ્હાલી પુત્રી અને પત્ની પાસે પરત ઘરે જવાનો નિર્ણય કરી દીધો. તેને જાણે નવો જન્મ મળ્યો હોય તેમ શરીરમાં જ જીજીવિષાનો  નવસંચાર થતો હતો.

ધીમે ધીમે ચાલતાં તે ઘરે પહોંચ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. પૂર્વી અને પ્રેમિલા તેને શોધી શોધીને રડી રહ્યાં હતા. બન્નેના ચહેરા સુજી ગયાં હતાં અને આંખો લાલઘુમ થઇ ગઇ હતી. તેને પરત ફરેલો જોઇને બન્ને જણાના જીવમાં જીવ આવી ગયો.

પ્રેમિલાએ તરત જ પોતાનું મંગલસૂત્ર કાઢીને આપી દીધું, ''લો હવે અમને છોડીને ક્યાંયના જતાં, તમારા વગર આ મંગલસૂત્ર શા કામનું ?''

ત્યાં તો રડતાં રડતાં પૂર્વી બોલી, ''પપ્પા, અમને છોડીને તમે ક્યાં જતાં રહ્યા હતા ?''

પ્રખરે કહ્યું, ''બેટા, હું તમારા બન્નેથી ખૂબ દૂર પહોંચી ગયો હતો. (તેનો આપઘાતનો વિચાર અને તે દરમ્યાન સપનાની વાત તો કહેવાય તેવું હતું જ નહીં.) પણ  હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં.''

હવે પછી તે મહેનત કરીને કમાવાના વિચારમાં પડી ગયો. મંગલસૂત્ર ગીરવે મૂકીને, આવેલા રૂપિયામાંથી તેણે શાકભાજી અને ફ્રૂટની લારી ખોલી દીધી. તેની મજૂરીની કમાણીથી ધીમેધીમે ઘર ચાલવા લાગ્યું. મહિનામાં જ દેશની ચૂંટણીમાં એક જ પક્ષનો ભારે બહુમતીથી વિજય થયો. સ્થિર સરકારની રચના થતાં જ શેરબજાર ફરી પાછા તેજીમાં આવી ઊછળવા લાગ્યા. પ્રખરના લોસ કરતાં પડી રહેલા પેની સ્ટોક એકદમ ઊછળવા લાગ્યા. મહિનામાં તો પાછો પ્રખર લાઇનમાં આવી પૈસાદાર બની ગયો.

પણ હવે તે સમજી ગયો હતો કે શેરબજારનું દેવું કરીને કદી વેપાર કરાય નહીં અને વાયદાનો વેપાર તો હરગિઝ નહીં.

જમતાં જમતાં પૂર્વીએ એક દિવસ પ્રખરને પૂછ્યું, ''પપ્પા, હવે અમને છોડીને નહીં જાવને ?''

પ્રખરે શાંત ચહેરે જવાબ આપ્યો, ''બેટા, જીવનમાં એક જ નબળી ક્ષણ આવે છે. કાયમ નહીં. (જીવનમાં નાસીપાસ થઇને આપઘાતનો વિચાર કરનાર અને ટ્રેનના પાટા પર સૂઇ જનાર પ્રખર અત્યારે કુટુંબ સાથે શાંતિથી જીવન પસાર કરી રહેલ છે. નામ અને સ્થળ બદલાવેલ છે.) નબળી ક્ષણમાં આપઘાતના વિચારને બદલે જીજીવિષા ટકાવી રાખવી જરૂરી છે.

Tags :