Magazines

પૃથ્વીના વાતાવરણનું વિજ્ઞાાન

By GS Team
7 Feb 20202 mins read
This article was originally published on 7 Feb 2020
પૃથ્વીના વાતાવરણનું વિજ્ઞાાન

પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ છે. આ આવરણ પૃથ્વીની સજીવ સૃષ્ટિને અવકાશના શૂન્યાવકાશથી અને રેડિએશનથી બચાવે છે. તે ઉપરાંત તેમાં જીવનજરૂરી ઓક્સિજન પણ હોય છે.

પૃથ્વીનું પેટાળ પણ વિવિધ સ્તરનું બનેલું છે. તે જ રીતે વાતાવરણમાં પણ વિવિધ સ્તર હોય છે. આ સમગ્ર માળખું પૃથ્વી સાથે ફરતું રહે છે અને સ્તરો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે.

પૃથ્વીના કદની સરખામણીમાં વાતાવરણ ઘણું જ પાતળું સ્તર કહેવાય. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સૂર્યમાંથી આવતી ઊર્જાને કારણે ગતિમાન થતા વાયુના કણો અને પૃથ્વીની ચક્રાકાર ગતિના મેળમાં વાતાવરણનું કદ જળવાયેલું છે. જો પૃથ્વીનું કદ મોટું હોત તો વાતાવરણ પણ ઘટ્ટ બન્યું હોત.

વાતાવરણમાં નાઈટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ હોવાના કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. આ ત્રણે વાયુઓના નિયમિત ચક્રથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. વળી સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ઓઝોનનું પાતળું સ્તર પણ છે. વાતાવરણ ન હોત તો પૃથ્વી પણ ચંદ્ર અને બુધ જેવી નિર્જન અને ઉજ્જડ હોત.

અવકાશમાંથી પૃથ્વી તરફ જુઓ તો પૃથ્વીની આસપાસ વાતાવરણની ચાદર વિંટળાયેલી હોય તેવું દેખાય. વિજ્ઞાાનીઓએ વાતાવરણના વિવિધ સ્તરનો અભ્યાસ કરીને તારણ કાઢયું છે કે દરેક સ્તરમાં વિવિધ પ્રકારના કણો અને તાપમાન અને દબાણ પણ જુદાં હોય છે. વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન, ૦.૦૪ ટકા કાર્બન ડાયોક્સાઈડ અને ૦.૯ ટકા આર્ગોન વાયુ હોય છે. તે ઉપરાંત ઓઝોન અને પાણીની વરાળ મહત્વનાં ઘટકો છે.