Magazines

સંદીપા ધર : યોગ થકી હું સાચો શ્વાસ લેતા શીખી

By GS TEAM
18 Jun 20262 mins read
સંદીપા ધર : યોગ થકી હું સાચો શ્વાસ લેતા શીખી

- 'પહેલા યોગ મારા માટે એક એક્સરસાઈઝ હતી, પણ હવે તે જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. યોગે મને માત્ર શારીરિક રીતે મજબૂત બનાવી નથી, તેણે મને માનસિક શાંતિ અને સંતુલન પણ આપ્યાં છે.'

આજકાલ સુંદર દેખાવાની હોડ એટલી તીવ્ર બની છે કે સામાન્ય માનવીથી માંડીને ફિલ્મ ટીવી કલાકારો સુધ્ધાં તેની પકડમાં ફસાઈ પડયા છે. પરફેક્ટ ફિગર મેળવવા માટે ડાયેટિંગ, જિમ અને ખાવા-પીવાની સખત સખ્તાઈ હવે તો જીવનનો એક હિસ્સો બની ગઈ છે.

અભિનેત્રી સંદીપા ધરે તેની છેલ્લી ફિલ્મ 'દો દીવાને શહર મેં'માં આ જ મુદ્દાની વિશેષ વાત કરી છે. ફિલ્મમાં સંદીપાએ નયના નામની યુવતીની ભૂમિકા નિભાવી છે, જે સોશિયલ મીડિયા અને સમાજના દબાણમાં પરફેક્ટ દેખાવાના પ્રયાસોમાં પોતાની અસલી ઓળખ ગુમાવી દે છે. આ સંદર્ભે સંદીપાએ જણાવ્યું, 'પોતાના પર ભરોસો ન હોવો એ જુઠ્ઠાણાનું આ પરિણામ છે, જે અમને બાળપણમાં શીખવવામાં આવતું હતું. અમને જણાવવામાં આવતું કે તમે ત્યારે વધુ સારા કહેવડાવી શકશો જ્યારે તમે પાંચ કિલો વજન ઓછું કરશો. જ્યારે અમને પ્રમોશન મળી જશે અથવા અમે સંપૂર્ણપણે પરફેક્ટ દેખાશું. મેં એવું અનુભવ્યું છે કે માનવી જેવો છે એવો જ પર્યાપ્ત અને પૂરતો છે. ખુશ રહેવા માટે કોઈ બાહરી દેખાવ અથવા તો બીજાની મંજૂરી જરાય જરૂર નથી.' 

યોગથી મળી જીવવાની શક્તિ કેટલાંય શોઝ અને ફિલ્મો-ટીવીનો હિસ્સો બની ચૂકેલી સંદીપા પોતાની ફિટનેશને કારણે ઘણી બધી સજાગ અને જાગૃત છે. તેણે ખુલાસો કર્યો કે કેવી રીતે સમયની સાથે તેનો યોગ સાથેનો સંબંધ બદલાતો ગયો અને વધુને વધુ મજબૂત બનતો ગયો.

સંદીપાએ જણાવ્યું કે 'પહેલા યોગ મારા માટે એક એક્સરસાઈઝ હતી, પણ હવે તો યોગ મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. યોગે મને માત્ર શારીરિક રીતે મજબૂત જ નહીં પણ માનસિક શાંતિ અને સંતુલન પણ આપ્યું.'

તેના જણાવ્યા પ્રમાણે યોગથી તો એ એની જાતને જોડે છે. વધુમાં જણાવતાં સંદીપા કહે છે, 'મેં લગભગ દશ વર્ષ પહેલા યોગની મેટ પર ડગ માંડયા હતા, પણ તે સમયે મારો ઈરાદો માત્ર વજન ઓછો કરવાનો અને ફિટ રહેવાનો જ હતો. મેં પાવર-યોગ કર્યો કેમ કે તે ઝડપથી, અસરકારક અને જલદીથી પરિણામ આપે છે, પણ એ શરૂઆતના યોગાસનથી અત્યાર સુધીના યોગે મને ઘણી બધી બાબતો શીખવી છે, જેની મને જરાય જાણ જ નહોતી. હું શ્વાસ પણ ખોટી રીતે લેતી હતી.' 'આજની દોડતી દૈનિક જીવનની પધ્ધતિમાં યોગ સૌથી ઉત્તમ પ્રક્રિયા છે. જેણે મને શ્વાસ લેતા પણ શીખવ્યું, મને પોતાને આજના પળમાં જીવવાની તાકાત મળી. પોતાને સ્થિર અને મજબૂત અનુભવવાની શક્તિ મળી.'

'યોગ માત્ર આસન જ કે કેલેરી બાળવાની પ્રક્રિયા જ નથી, પણ આપણને આપણા સાથે જોડતી અને અસલી હોવાની અનુભૂતી કરાવે છે,' એમ સંદીપાએ જણાવ્યું.