Get The App

સહિયર સમીક્ષા - નયના

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા - નયના 1 - image


હું ૨૨ વર્ષની યુવતી છું. લગ્નને હજુ ચાર-પાંચ દિવસ જ થયા છે. મેં સાંભળ્યંુ હતું કે શરીર સંબંધમાં ઘણો આનંદ મળે છે, પરંતુ મને તો તે પીડાદાયક લાગે છે.

પ્રશ્ન : હું ૨૨ વર્ષની યુવતી છું. લગ્નને હજુ ચાર-પાંચ દિવસ જ થયા છે. મેં સાંભળ્યંુ હતું કે શરીર સંબંધમાં ઘણો આનંદ મળે છે, પરંતુ મને તો તે પીડાદાયક લાગે છે. હું જાણવા ઇચ્છંુ છું કે ક્યાંક એવું તો નહીં હોય ને કે મારામાં સેક્સની ઊણપ હોય. આ માટે કોની સલાહ લઉં?

એક યુવતી (પાદરા)

ઉત્તર : પ્રારંભમાં યુવતીનાં અંગોમાં કસાવ હોય છે, જેના કારણે શારીરિક સંબંધ દરમિયાન થોડી પીડા થાય છે. થોડા સમય પછી તમને પીડા થશે નહીં. આ સિવાય શરીર સંબંધમાં એકદમ પ્રવૃત્ત થાવ એ પહેલાં મધુર સ્પર્શ, ચુંબન, આલિંગન વગેરે રતિક્રીડા કરવાથી શરીર સંબંધ આનંદભર્યો બને છે. છતાં પણ તમારી મૂંઝવણ દૂર ન થાય તો તમે કોઈ સેક્સનિષ્ણાતની સલાહ લઈ શકો છો.

પ્રશ્ન : હું એન્જિનિયરિંગ કરી રહ્યો હતો અને મારા પિતાનું અવસાન થયું. ત્યારે હું બીજા વર્ષની પરીક્ષા આપી ચૂક્યો હતો, પરંતુ પપ્પાની જગ્યા પર મારે નોકરી કરવી પડી, કારણ કે ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે હું મારો અભ્યાસ આગળ ચાલુ રાખી શકું. મારા પર બંને નાનાં ભાઈ-બહેનનો આધાર હતો. પરિણામે મારે અભ્યાસ વચ્ચેથી છોડવો પડયો, જેનો મને આજે અફસોસ છે. જ્યારે પણ મારો કોઈ એન્જિનિયર મિત્ર મને મળે છે અથવા ભૂતકાળ વિશે વિચાર કરું છું ત્યારે મગજ ખરાબ થઈ જાય છે. એક આખું અઠવાડિયું તાણમાં રહું છું. શું કરું? મારું બ્લડપ્રેશર વધી જાય છે.

એક યુવક (ગોધરા)

ઉત્તર : કારકિર્દીમાં તમે લક્ષ્યને સિધ્ધ કરી શક્યા નહીં એ માટે દુ:ખ કરવાથી કશું મળવાનું નથી. માત્ર તમે તમારું સ્વાસ્થ્ય બગાડશો. તમે એ વિચારો કે આ બધું પરિસ્થિતિના કારણે બન્યું છે, પરંતુ ઘરની જવાબદારી, ભાઈ-બહેનને ઉછેરવાં એ સાધારણ વાત નથી.

તમે તમારી નિષ્ફળતા વિશે વિચારી પરેશાન ન થાવ, કારણ કે તેનાથી કશું મળવાનું નથી. તમે મેળવેલ સફળતા અને ગુણો વિશે વિચારો અને હંમેશાં સસકારાત્મક દ્રષ્ટિકોણને કેળવો.

પ્રશ્ન : મારી બહેનનું મૃત્યુ સળગી જવાને કારણે થયું હતું. તેનાં સાસરીવાળાઓએ એને અકસ્માત ગણાવ્યો. અમારું મન આ સ્વીકારવા તૈયાર નથી. મેં અને મારા ભાઈએ અંત સમયે પણ બહેનનું પૂછ્યું હતું કે કહે કે તેને બાળી મૂકવામાં આવી છે કે અકસ્માતથી આગ લાગી હતી. તેણે પણ સાસરિયાંઓની વાતમાં હા માં હા મિલાવી હતી. દીદીનાં સાસુ અને નણંદ ઘણાં ક્રૂર છે. લાગે છે કે આ બંનેએ મારી બહેનને સળગાવીને મારી નાખી છે.

મારા બનેવી ઘણા ભલા છે, પરંતુ એ પણ કશું બોલતા નથી. બહેનની બે પુત્રીઓ છે, જેમાંની એક સાત વર્ષની અને બીજી પાંચ વર્ષની છે. બહેને સાચું શા માટે કહ્યું નથી? એ સમજાતું નથી.

એક ભાઈ (ભરૂચ)

ઉત્તર : તમારી બહેને જ જ્યારે એને અકસ્માત કહ્યો છે ત્યારે તમે શું કરી શકો તેમ છો? તમારે માત્ર એ વાતનો સ્વીકાર  કરવો રહ્યો. બની શકે કે એ અકસ્માત પણ હોય. તમારી બહેન એટલા માટે ચૂપ રહી હોય કે તેની બે પુત્રી પરથી માનો છાંયડો તો છીનવાઈ રહ્યો છે ત્યારે પપ્પા કશી મુસીબતમાં ફસાય નહીં. હવે જ્યારે તમારી બહેન આ દુનિયામાં નથી ત્યારે વિના કારણ વિચારો કરી શા માટે પરેશાન થઈ રહ્યાં છો?

હું ૨૮ વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા પણ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

એક મહિલા  (સુરત)

પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને પ્રસન્નતાથી મળો. જેથી તેમનો દિવસ ભરનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. આમ છતાં પણ તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો. ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે.

Tags :