ક્રોધની આગ, સદ્ગુણોને સળગાવે છે
સંતો કહે છે કે, જ્યારે ક્રોધ ઉપજે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. અથવા તો ઉંધા આંક બોલવા જોઈએ. પોતાનું મુખ બંધ કરી દેવું જોઈએ.
આપણાં શાસ્ત્રમાં છ દુર્ગુણોનું વર્ણન કર્યું છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ તથા અહંકાર. આ બધામાં ક્રોધ સૌથી વધુ નુકસાનકારક છે. ક્રોધ આવવાથી માણસના મગજ પર ખુન્નસ સવાર થઈ જાય છે. ક્રોધિલો સ્વભાવ ધરાવતો માણસ ક્યારેય કોઈની પાસે આવકારને પણ પામતો નથી. ક્રોધ આવે છે ત્યારે માણસે શું કરવા યોગ્ય છે, અને શું કરવા યોગ્ય નથી તેનું તેને ભાન રહેતું નથી.
અંધકારમાં જેમ પ્રકાશનો અભાવ છે. દુઃખમાં સુખનો અભાવ છે. દારિદ્રતામાં જેમ સંપત્તિનો અભાવ છે તેમ ક્રોધમાં પ્રેમનો અભાવ છે. ક્રોધ માનવનો પ્રથમ શત્રુ છે. કાતરથી માત્ર કપડું જ કપાય છે. જ્યારે ક્રોધથી સારું-નરસું બધું કપાય છે.
તેથી જ વાલ્મિકી રામાયણમાં કહ્યું છે કે,
ક્રોધ પ્રાણ ઘાતક શત્રુ છે, વળી ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. ક્રોધ એક મહાતીક્ષ્ણ તલવાર છે કે જે બધું જ સત્વ હણી લે છે.
ગુસ્સો કાતર કરતાં અધિક બળવાન છે. કાતર વસ્તુના બે ટુકડા કરે છે. ગુસ્સો તે જીવનની શાંતિ, નમ્રતાને લાગણીના ટુકડાઓ કરી માનવ જિંદગીને વેર વિખેર કરી નાખે છે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી. તેમ ગુસ્સાના ઉભરામાં માણસ પોતાનું હિત શામાં છુપાયેલું છે તે જોઈ શક્તો નથી. ક્રોધ આપણા ભક્તિ જ્ઞાાનાદિક ગુણને પણ એક ક્ષણમાં બાળી નાખે છે. ક્રોધ આવે છે, ત્યારે માણસની બુદ્ધિ નાશ પામી જાય છે. સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ક્રોધિત માણસ સમજી શકતો નથી. અને પછી અનર્થ સર્જાય છે.
જ્યારે દિવાલોમાં તિરાડ પડે છે ત્યારે આ દિવાલો પડી જાય છે. આ તૂટી ગયેલી દિવાલો ફરીથી ચણી શકાય છે. પરંતુ ક્રોધને કારણ જ્યારે સબંધોમાં તિરાડો પડતી હોય છે ત્યારે આ સંબંધોમાં દિવાલ બની જતી હોય છે. ક્રોધને કારણે ઉભી થયેલી આ દિવાલોને ફરીવાર ચણી શકાતી નથી. ક્રોધે કંઈકના ઘર સળગાવ્યા છે.
સદ્ગુરુ શ્રી અક્ષરાનંદસ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે. જૂના સાવર પાસે ભૂંડ કેરાળા નામનું ગામ છે ત્યાં લવો રહેતો હતો. એક વખત ગામના પટેલ ઘરે તે કપડાં સીવવા માટે ગયો. પટેલની વાડીમાં રીંગણા સારાં થયા હોવાથી પટલાણીએ થોડાં રીંગણાં લવા ને આપ્યાં એટલે તુરંત તેણે ઘેર કોઈ છોકરા જોડે પોતાના ઘેર મોકલાવ્યાં અને કહ્યું કે, તારી કાકી ને કહેજે કે, આજે આ રીંગણાનું શાક કરે.
આમ રીંગણાં મોકલાવીને લવો તો કપડાં સીવવા લાગ્યો. પરંતુ તેના મનમાં એક જ મનન ચાલ્યા કરે કે, આજે તો હું ઘરે જઈશ. અને રીંગણાનું શાક ખાઇશ. સાંજે તે ઘેર ગયો. અને જલ્દીથી જમવા માટે બેસી ગયો ત્યાં તો તેની પત્નીએ દાળ પીરસી. દાળ જોઈને લવાની કમાન છટકી.. એનો ક્રોધ આસમાને પહોંચી ગયો.. તેથી પત્નીને કહેવા લાગ્યો કે, મારું માનવું ન હોય તો પડને જા, કૂવામાં અહીં શું ચોટી છું..' આવાં કઠોર વચનો સાંભળીને તેની સ્ત્રી પણ સામે ગુસ્સે થઈ ગઈ. મગજ પરનો કાબૂ ગુમાવી બેઠી. કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો વિવેક ન રહ્યો અને તે તો સીધી ઉપડી કૂવા ઉપર અને તત્કાળ ત્યાં જઈને તેમાં પડીને મરી ગઈ. ગામના લોકોને ખબર પડી. તરત પોલીસ આવી ગઈ અને લવાને લઈ ગઈ. કેસ થયો. અને લવા દરજીને જેલમાં ૧૨ વર્ષની સજા ભોગવવાનો વારો આવ્યો. લવા દરજીનું ભર્યું ભાદર્યું ઘર ક્રોધની આગમાં ખાખ થઈ ગયું.
તેથી આપણે આવા ક્રોધથી સાવધાન રહેવાની જરૂર છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન લોયા પ્રકરણનાં પહેલાં વચનામૃતમાં કહે છે કે, ક્રોધ ઉપર તો અમારે ઘણું વૈર છે. ક્રોધ જેના દેહમાં આવે તેને વિરૂપ કરી નાખે છે. ક્રોધી જે માણસ તે અમને ગમતા નથી.
આપણને ક્રોધ વ્યાપે ત્યારે આપણે શું કરવું જોઈએ ? ક્રોધ ઉપર વિજય મેળવવો હોય તો તેનો શું ઉપાય છે ?
સંતો કહે છે કે, જ્યારે ક્રોધ ઉપજે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. અથવા તો ઉંધા આંક બોલવા જોઈએ. પોતાનું મુખ બંધ કરી દેવું જોઈએ. ક્રોધથી કેવા ખરાબ પરિણામો આવશે તે અંગેનો વિચાર કરવો જોઈએ.
ક્રોધનાં ફળ હંમેશાં કડવાં હોય છે. કોઈની ઉપર ક્રોધ કરવો એટલે ગરમ કોલસાને આપણા હાથે જ કોઈના ઉપર કોલસોને ફેંકવાની ક્રિયા કરવી. કોલસાથી કોઈ દાઝે કે ન દાઝે પણ આપણો હાથ તો જરૂર દાઝે છે. તેમ ક્રોધ કરવાથી આપણને જરુર નુકશાન થાય જ છે. ક્રોધ આપણા સર્વ સદ્ગુણોને સળગાવી દે છે.
તેથી જ કહ્યું છે કે,
કામ,ક્રોધને લોભને, જો તજવાની આશ,
વિવેક ક્ષમા સંતોષથી, તેનો કરો વિનાશ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ