Get The App

ધર્મક્રાંતિના પ્રેરક બુટ્ટેરાયજી મહારાજ ધરતીનો

ધબકાર - દોલત ભટ્ટ .

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
ધર્મક્રાંતિના પ્રેરક બુટ્ટેરાયજી મહારાજ ધરતીનો 1 - image


તેમણે મૂલચંદજી મહારાજને ગુજરાત ભળાવ્યું. કાઠિયાવાડ વૃદ્ધિચંદ્રજી મહારાજને સોંપ્યું. આત્મારામજી મહારાજને પંજાબ ખેડવા આજ્ઞાા કરી ને નીતિ વિજયજી મહારાજને સુરત તરફ મોકલ્યા

આ જની સંવેગી સાધુતાના આદિ પ્રચારક, સત્યવીર શ્રી બુટ્ટેરાયજી મહારાજનો જન્મ ઇ.સ.૧૮૬૩માં પંજાબમાં લુધિયાના નજીક દુલવા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ટેકસિંહ અને માતાનું  નામ કર્માદે હતું. અડગ ધર્મવીરતા માટે પંકાયેલ શીખ કોમમાં જન્મેલ આ બાળકનું નામ બટેલસિંહ હતું.

ભારતમાં રાજક્રાંતિનો ભડકો થઇને બૂઝાઇ ગયો હતો. પણ ધર્મક્રાંતિનાં બી બધે વવાઇ ગયાં હતાં. બટેલસિંહને નાનપણથી ધર્મ તરફ આકર્ષણ હતું અને એક દિવસે માતાનાં આંસુઓ વચ્ચે તેમણે સાધુ થવા માટે ગૃહત્યાગ કર્યો. બટેલસિંહે ગુરુ માટે ઠેર ઠેર ભટકી સંન્યાસી, બાવાને અવધૂતોનો પરિચય સાધ્યો. પણ તેમાં નિષ્ફળતા મળી. નિરાશ થઇ તે પાછા ફર્યાં.

બટેલસિંહે   સં.૧૮૮૮માં પચીસ વર્ષની તરૂણ વયે સ્થા. દીક્ષા લીધી. નામ બુટ્ટેરાયજી રાખ્યું. સત્યની શોધ માટે નીકળેલા બુટ્ટેરાયજીએ જિનાગમ અને જિનવાણીનો અભ્યાસ કર્યો પણ એમાંથી તેમને નવા જ જ્ઞાાનની પ્રાપ્તિ થઇ. તેમને લાગ્યું કે અમારૂં વર્તન જિનાગમ મુજબ નથી.

આ ચોવીસે કલાક મુહપત્તિ બાંધવી તે અને મૂર્તિપૂજાનો વિરોધ શાસ્ત્રીય નથી.બસ, અહીંથી તેઓનું મંથન શરૂ થયું. સ્થા. સમાજમાં જ્યારે આ વિચારો પ્રસર્યા ત્યારે ધરતીકંપ જેવી લાગણીઓ જન્મી, બુટ્ટેરાયજીને નષ્ટભ્રષ્ટ કરવાની ધમકી અપાઇ.

સં.૧૯૦૨માં મહાપ્રતાપી મૂલચંદજી મહારાજે તેમની પાસે દીક્ષા લીધી અને એક વર્ષ બાદ જ બંને ગુરુ શિષ્યે મુહપત્તિ તોડી નાખી. અનેક ધમકીઓ વચ્ચે પંજાબમાં બંનેએ સત્યોપદેશ કરતાં ધૂમવા માંડયું. સ.૧૯૦૮માં શ્રી વૃદ્ધિચંદ્રજી દીક્ષિત થયા. આ મહાપ્રતાપી ત્રિપુટી પંજાબ છોડી, મારવાડ વીંધી ગુજરાતમાં સદ્ધર્મ પ્રરૂપણા માટે આવી.

સિધ્ધાચલજીની યાત્રા કરી ૧૯૧૧માં ભાવનગર ચાતુર્માસ કર્યું. સં.૧૯૧૨માં અમદાવાદમાં શ્રી મણિવિજયજી દાદા પાસે તેઓએ સંવેગી દીક્ષા સ્વીકારી. શ્રી મૂલચંદજી અને વૃદ્ધિચંદ્રજી તેમના શિષ્ય બન્યા. આ પછી પુન: પંજાબમાં ગયા. ત્યાં છ વર્ષ સત્યધર્મનો પ્રચાર કર્યો. સં.૧૯૨૯માં ગુજરાત પધાર્યા.

સં.૧૯૩૨માં સ્થા. સમુદાયમાંથી બહાર નીકળી ધર્મની પ્રરૂપણા કરતાં આત્મારામજી ૧૮ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. મૂલચંદજી મહારાજના હાથે સંવેગી દીક્ષા લઇ, તેઓ બુટ્ટેરાયજી મહારાજના શિષ્ય થયા.

આ સાધુસમુદાયે ગુજરાત બરાબર ખેડી નાંખ્યું. શ્રી બુટ્ટેરાયજીને હવે પંજાબ યાદ આવતો હતો. તેમણે મૂલચંદજી મહારાજને ગુજરાત ભળાવ્યું. કાઠિયાવાડ વૃદ્ધિચંદ્રજી મહારાજને સોંપ્યું. શ્રી આત્મારામજી મહારાજને પંજાબ ખેડવા આજ્ઞાા કરી ને નીતિ વિજયજી મહારાજને સુરત તરફ મોકલ્યા. શિષ્યોએ ગુરુ આજ્ઞાાને પરિપૂર્ણ કરી, સર્વત્ર જૈનધર્મનો ડંકો વગાડયો.

અલૌક્કિ ધર્મપ્રેમ, અસીમ આત્મશ્રધ્ધા અને અજોડ નિ:સ્વાર્થતાથી ઓપતા આ બાલબ્રહ્મચારી શ્રી બુટ્ટેરાયજી મહારાજ આજની સાધુ સંસ્થાના આદિ જનક કહેવાય. એમની નિ:સ્પૃહતા અજબ હતી. સમસ્ત જીવનમાં એમણે જૈન સમાજનો ડંકો વગડાવવા બનતું બધું કર્યું અને પોતાની પાછળ ઉજ્જવળ શિષ્ય મંડળીને મૂકતા ગયા, જેમના નામે આજે પણ સમાજ જયવંતો છે. તેમના શિષ્યો ૩૫ હતા ને આજે તેમના સમુદાયમાં લગભગ ૪૦૦ સાધુઓ છે.

આવા સત્યવીર બુટ્ટેરાયજી મહારાજનો સ્વર્ગવાસ સં.૧૯૩૮માં થયો. વંદન હો એ સત્યવીરની સાધુતાને !

Tags :