વિશ્વની પ્રથમ હવાઇ-ટપાલમાં પણ પારસી ગુજરાતીનું પ્રદાન
પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા
'હેનરી પેકટ'. આ પાયલોટે ૧૯૧૧ની ૧૮મી ફેબ્રુઆરીએ જે પ્લેન ઉડાવ્યું, તેમાં દુનિયાની પ્રથમ ઍર-મેઇલ સર્વીસની શરૂઆત થઇ. આ યશકલગી આખા વિશ્વમાં ભારતના શીરે છે
આજથી ચાર-પાંચ વર્ષ પહેલાંની વાત છે. ટીવી સ્ક્રીન ઉપર અમિતાભ બચ્ચન સામે બેઠેલા સ્પર્ધકને કરોડપતિ બનવા માટેનો એક કરોડનો મોંઘેરો પ્રશ્ન પૂછાયો હતો. પચાસ લાખ જીતીને બેઠેલો સ્પર્ધક બચ્ચનજીના પ્રશ્નનો જવાબ આપવામાં મૂંઝાયો હતો, અને અચાનક એણે એક કરોડ પડતા મૂકી ક્વીટ કર્યું. કારણ કે એ જવાબ આપી શકે એમ ન હતો કે ભારતની જ નહીં, વિશ્વની પ્રથમ હવાઇ ટપાલ (ઍર-મેઇલ)ની ફ્લાઇટનો પાયલોટ કોણ હતો.
જવાબ સાવ સીધો હતો, 'હેનરી પેકટ'. આ પાયલોટે ૧૯૧૧ની ૧૮મી ફેબ્રુઆરીએ જે પ્લેન ઉડાવ્યું, તેમાં દુનિયાની પ્રથમ ઍર-મેઇલ સર્વીસની શરૂઆત થઇ. આ યશકલગી આખા વિશ્વમાં ભારતના શીરે છે. એ શહેર હતું આજના ઉત્તરપ્રદેશ ( એ વખતનું યુનાઇટેડ પ્રોવિનન્સ ઓફ આગ્રા એન્ડ અવધ)નું અલ્હાબાદ, એ સ્થળ હતું શહેરની વચ્ચોવચ્ચ આવેલું એક્ઝીબીશન મેદાન, એ સમય હતો સાંજે ૫.૩૦ વાગ્યાનો, એ પ્રસંગ હતો અલ્હાબાદમાં ભરાયેલા ટ્રેડ પ્રદર્શનનો અને એનો પવિત્ર હેતુ હતો ત્યાંના ટ્રિનિટી ચર્ચ માટેના બોઇઝ હોસ્ટેલને બનાવવા ફંડ-ફાળો ભેગો કરવાનો.
આવા બેકગ્રાઉન્ડમાં શરૂ થયેલી હવાઇ-ટપાલ સેવાઓનો ઓફિશ્યલ આરંભ ભારતે જ પહેલી વખત કર્યો. આ અગાઉ કબૂતરોથી અને હોટ-ઍર-બલુનથી ઘણી યે ટપાલ સેવાઓ છૂટક-છૂટક ચાલતી હતી. ૧૯૦૩માં રાઇટ બ્રધર્સે શોધેલા ઍરોપ્લેન પાંચ-છ વર્ષમાં ભારત લગી પહોંચી ગયા હતા.
ત્યારે અલ્હાબાદના પોસ્ટ માસ્તર સર જેર્ફી ચાર્લીએ દિલ્હીથી (કદાચ મુંબઇથી પણ) એક ખાસ ટ્રેનમાં અલ્હાબાદ ટ્રેડ એક્ઝીબીશનમાં રજૂ કરવા માટે બે મોટા એરક્રાફ્ટ મંગાવી લીધા. જેની સાથે પાયલોટ હેનરી પેક્ટ આવ્યા. પેલા પોસ્ટ માસ્તરે પોતાના ઉપરી ડાયરેક્ટર જનરલ જોડેથી પરવાનગી મેળવી, અને વિશ્વની પ્રથમ ઍર-મેઇલ અલ્હાબાદથી ઊડીને યમુના નદીને પાર આવેલા નૈની રેલ્વે સ્ટેશને પહોંચાડી.
યુરોપમાં પોતાનું શેષજીવન ગુજારતા એ પાયલોટે ૧૯૭૨માં એક પ્રિન્ટ મિડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે એ પ્લેન અમે એક્ઝીબિશનના પ્રચાર અને બોઇઝ હોસ્ટેલના ફંડ-ફાળા માટે ઉડાડયું હતું. આખા વિશ્વમાં ચોંકાવનારી એવી આ ઘટના હોવા છતાં અલ્હાબાદના એ એક્ઝીબિશન મેદાનમાં ફ્લાઇટ શરૂ થવાના સમયે અમારી સાથે પોસ્ટ માસ્તર, એક કારકૂન અને એકાદ મદદનીશ સિવાય કોઇ જ નહોતું. ટપાલ ખાતાએ અમને કુલ ૩૦૦ પાઉન્ડ વજનના ૬૫૦૦ પત્રો (કવરો) અને ૪૦ જેટલા સચિત્ર પોસ્ટકાર્ડ આપ્યા હતા.
તે સમયે ત્યાંની યમુના નદી ઉપર પુલ હતો જ નહીં, ( જે પાછળથી ૧૯૨૭માં બન્યો). આથી નદીને પેલે પાર આવેલી મુંબઇ-કલકત્તા રેલ્વે લાઇન ઉપરની પોસ્ટઓફિસમાં અમારે આ ટપાલો પહોંચાડવાની હતી. અમારા ફ્લાઇટની હવામાં સ્પીડ ૪૦ એમ.પી.એચ. અને લેન્ડીંગ વખતે ૩૦ એમ.પી.એચ. હતી. માત્ર ૧૩ મિનિટમાં, ૧૩૦ ફૂટની ઊંચાઇ ઉપરથી અમે ૮.૧ માઇલનું અંતર કાપીને નૈની રેલ્વે સ્ટેશનની પોસ્ટ ઓફિસે ટપાલો પહોંચાડી દીધી હતી. અમારી એ આખી રાઉન્ડ ટ્રીપનો કુલ સમય પણ માત્ર ૨૭ મિનિટનો જ હતો.
નવાઇની વાત એ છે કે આ ૬૫૦૦ ટપાલોમાં એક પત્ર ગુજરાતીમાં લખાયેલો પણ ત્યાં પહોંચ્યો હતો, અને તે પણ કોઇ અસલી ગુજરાતીનો નહીં, પરંતુ એક પારસી ભાયડાએ પોતાના માતા-પિતાની સ્મરણ-વંદનામાં આ પોસ્ટકાર્ડ મોકલી આપ્યુ ંહતું. આમ તો આ ટપાલો પેલા ચર્ચની બોઇઝ-હોસ્ટેલ બનાવવાનું ફંડ ભેગુ કરવા માટેની હતી. આથી દરેક ટપાલ દીઠ ૬ આના (૩૭ પૈસા) મીનીમમ ચાર્જ રાખવામાં આવેલો. પાયલોટ હેનરી પેકટના કહેવા મુજબ એ સમયે ઍર-મેઇલ સર્વિસના આ પહેલાં જ રાઉન્ડમાં અમે ૨૫૦૦ રૂ.નું ફંડ ભેગુ કર્યું હતું.
આ ફંડ ફાળામાં એક ગુજરાતી પારસી ભાયડાનો ય ફાળો હતો. એમનું નામ હતું નાદીર ગુઝદર. નાદીરે પોતાના પિતાજી અરદેશજી અને માતા પીરોજબાઇને લખેલું ગુજરાતી ભાષાનું આ એકમાત્ર પોસ્ટકાર્ડ આજે દુનિયાભરમાં બચ્યું છે. જે ગુજરાતના સિનિયર ફિલાટેલિસ્ટ માર્કંડ દવેના સંગ્રહમાં જળવાયું છે.
આ પોસ્ટકાર્ડ ઉપર એ વખતના ટપાલ વિભાગે લાલ રંગનો એક ખાસ સિક્કો પણ લગાવ્યો છે. જેની ઉપર લખાયું છે કે ''ફર્સ્ટ એરિયલ પોસ્ટ-યુ.પી. એક્ઝીબિશન-૧૯૧૧'' ૧૮ ફેબુ્રઆરીની આ પારસી ટપાલ ૧૯મીની સવારે ૮.૩૦ કલાકે તો અરદેશજીના અલ્બર્ટ રોડ ઉપર આવેલા ઘરે પહોંચી પણ ગઇ હતી.
આ રીતે વિશ્વમાં પ્રથમ ઍર-મેઇલની યશકલગી ભારતના શીરે છે, તો એ યશકલગીનું એક ગુજરાતી પારસી પીછું, નામે નાદીર ગુઝદરે આ ઐતિહાસિક ઘટનામાં પોતાનો ફાળો પણ નોંધાવ્યો છે.