Get The App

સૂના સમદરની પાળે રે, આઘા સમદરની પાળે

સોના વાટકડી રે - નીલેશ પંડયા

Updated: Jan 25th, 2020

GS TEAM

Google News
Google News
સૂના સમદરની પાળે રે, આઘા સમદરની પાળે 1 - image


તું મારા ગામમાં જઈશ એટલે મારી વાટ જોતા મારા ભાઈબંધો તને મળશે એને માંડીને વાત કરજે કે માતૃભૂમિને ગુલામીમાંથી મુક્ત કરાવવા આપણા વીરબંકાઓએ કેવા ઘાવ ઝીલ્યા અને સામા ઘાવ દીધા

સૂના સમદરની પાળે રે, આઘા સમદરની પાળે,

ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે

સૂના સમદરની પાળે

નો'તી એની પાસ કો માડી રે, નો'તી એની પાસ કો બેની

વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો'તી રે  

સૂના સમદરની પાળે

વેગે એનાં લોહી વ્હેતાં'તાં રે, વેગે એનાં લોહી વ્હેતાં'તાં,

બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે

સૂના સમદરની પાળે

વીરા મારો દેશડો દૂરે રે, વીરા મારું ગામડું દૂરે,

વાલીડા દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે

સૂના સમદરની પાળે

એ ને એંધાણીએ કે'જે રે, એ ને નિશાણીએ કે'જે,

રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢયો છે રે

સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે રે, લીલૂડા લીંબડા હેઠે,

ભેળા થૈ પૂછશે ભાંડુ, રણઘેલુડો કેમ રોકાણો રે

સૂના સમદરની પાળે

માંડીને વાતડી કે'જે રે,માંડીને વાતડી કે'જે,

ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે

સૂના સમદરની પાળે

કે'જે સામા પાવ ભીડંતા રે, કે'જે સામા ઘાવ ઝીલન્તા,

ઊભા'તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે

સૂના સમદરની પાળે

લોકોએ કેટલાંય હૃદયસ્થ ગીતોને લોકગીત માની લીધાં છે પણ એ વાસ્તવમાં હોય છે કોઈ કવિ-ગીતકારોની રચનાઓ, જેમકે કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પગ મને ધોવા દ્યો રઘુરાય-વગેરેને લોકોએ તો લોકગીત જેવાં જ ચાહ્યાં છે પણ એ લોકઢાળનાં ગીતો છે, લોકગીતો નથી. એવું સંભવ છે કે પાંચ-દસ દાયકા પછી આ ગીતો લોકગીતોમાં ખપી જશે!

'સૂના સમદરની પાળે રે...' રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું કરૂણશૌર્યથી છલકાતું બેનમૂન ગીત છે. સને ૧૯૩૦માં સાબરમતી જેલવાસ દરમિયાન મેઘાણીભાઈએ 'રોયલ રીડર'ના જૂના અંકમાં પ્રગટ થયેલું કેરોલીન શેરીડાન નોર્ટન નામના કવિનું અંગ્રેજી કથાગીત 'બીન્જન ઓન ધ રહાઈન' વાંચ્યું ને એનું ગુજરાતીમાં ભાષાંતર નહીં પણ રૂપાંતર 'સૂના સમદરની પાળે' સ્વરૂપે કર્યું. મૂળ રચનામાં જર્મનીની રહાઈન નદીને રૂપાંતરિત કરી ગુજરાતની લોકમાતા રેવા એટલે કે નર્મદારૂપે!

ભારત માતાની આઝાદી ઈચ્છતા નવલોહિયા જુવાનો ગામે ગામથી નીકળી પડયા છે, અંગ્રેજો કત્લેઆમ ચલાવી રહ્યા છે જેમાં અનેકાનેક યુવાઓ શહીદી પામ્યા પણ આ ગીતમાં જેની વાત છે એકાકી સપૂત બુરી રીતે ઘાયલ થઈ સંધ્યાટાણે સમુદ્રને તીરે છેલ્લા શ્વાસ શ્વસી રહ્યો છે, એને કશુંક કહેવું છે, અન્ય એક યોદ્ધો ત્યાંથી પસાર થાય છે, એને બોલાવી ઝટઝટ પોતાના આખરી બોલ સુણાવે છે કે હું રેવાતીરના રાજેસર ગામનો છું, મારું ગામ તો અહીંથી દૂર છે એટલે ત્યાં જઈ મારી શહીદીના ખબર આપી દેજે ને મારી આ તલવાર કોઈ વીરને સોંપજે જેથી મારું આઝાદીનું અધૂરું સપનું તે પૂરું કરે!

તું મારા ગામમાં જઈશ એટલે પાદરમાં લીમડા નીચે મારી વાટ જોતા મારા ભાઈબંધો તને મળશે એને માંડીને વાત કરજે કે માતૃભૂમિને ગુલામીમાંથી મુક્ત કરાવવા આપણા વીરબંકાઓએ કેવા ઘાવ ઝીલ્યા અને સામા ઘાવ દીધા. આવી જ રીતે મારી માતા, મારી બેન અને ભવિષ્યમાં મારી જીવનસંગિની થવા ઈચ્છુકને પણ મારી શૌર્યગાથા સંભળાવજે.

શૂરવીર પિતાને ખોળે બેસીને બાલ્યકાળમાં એમના ધીંગાણાંની વાતો સાંભળીને પોતાનામાં દેશપ્રેમના સંસ્કાર ઉતરી આવ્યા હતા એટલે જ તો પિતાના મોતબિછાને જયારે ભાઈઓ વચ્ચે મિલકતના ભાગ પડયા ત્યારે પોતે પિતાજીની વાંકડી તલવાર વારસામાં માગી  હતી!

મુખડું અને ૪૧ અંતરાનું દીર્ઘ, આંખમાં આંસુ ઉભરાવનારું આ શૌર્યગીત યુવા શ્રોતાઓ સમક્ષ થતા લોકસંગીતના કાર્યક્રમોનું 'રતન' છે.

Tags :