'આપણે એક રાષ્ટ્ર છીએ તેમ માનવું ભ્રમ છે'
હોરાઈઝન - ભવેન કચ્છી
બંધારણમાં આર્થિક લોકશાહી કેન્દ્ર સ્થાને છે
પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીએ જ કેમ ?
'અસમાનતા જેમ બને તેમ ઝડપથી નાબુદ નહીં કરીએ તો ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે': ડૉ.બાબાસાહેબ આંબેડકર
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નાં દિવસે ભારત આઝાદ થયું તે સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર દેશના પ્રથમ કાયદા અને ન્યાયમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. ૨૯ ઓગસ્ટે તેમને દેશના બંધારણ ઘડવા માટેની કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ હતી.
દેશના ૨૮૪ જેટલા તજજ્ઞાોની બંધારણ ઘડવા માટેની સમિતિ બનાવાઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૬૦ જેટલા દેશોના બંધારણનો ગહન અભ્યાસ આ માટે કર્યો હતો. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ૯૦૦૦૦ શબ્દોનું બંધારણ તૈયાર થઇ ગયું હતું. પ્રત્યેક વર્ષે ૨૬ નવેમ્બર આથી જ બંધારણ દિન તરીકે ઉજવવાનું મોદી સરકારે ૨૦૧૫થી શરૂ કર્યું છે.
ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના લડવૈયાઓએ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ પૂર્ણ સ્વરાજનો સંકલ્પ કરી દેશના નાગરિકોને તત્કાલિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અપીલ કરી હતી. તે પછી જ દાંડીકૂચથી માંડી અહિંસક આંદોલન અને ક્વીટ ઇન્ડિયાએ જોર પકડયું હતું.
ભારતનો ૧૫ ઓગસ્ટનો આઝાદી દિન પણ બ્રિટિશરોએ તેમની સિધ્ધી સાથે જોડી દીધો છે જેની ઘણાને ખબર નહીં હોય. વિશ્વયુધ્ધમાં જાપાન બ્રિટન સહિતના સાથી દેશોના દળોની સામે પરાજીત થયું તે તારીખ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ હતી. તેની બીજી વર્ષગાંઠની ઉજવણી સાથે ભારતને આઝાદી દિન જાહેર કરવાનું બ્રિટિશરોએ નક્કી કર્યું.
જાન્યુઆરી ૧૯૪૮માં ભારતને આઝાદી મળી શકે ત્યારે ભારતનો આઝાદી દિન પૂર્ણ સ્વરાજને સંકલ્પ તારીખ ૨૬ જાન્યુઆરી હોઈ ત્યારે રાખવાની મનોમન આપણા નેતાઓની ગણતરી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા થવાનું નિશ્ચિત બન્યું હોઈ અંગ્રેજોને લાગ્યું કે પૂર્વયોજના પ્રમાણે ૧૯૪૮ સુધી રાહ જોવાથી હિંસા લંબાતી જ જશે. બ્રિટિશ હાઈકમાન્ડનો ઓર્ડર આવ્યો કે જૂલાઈ કે ઓગસ્ટમાં જ ભારત અને પાકિસ્તાનને આઝાદી આપી દો. ઓગસ્ટ, ૧૯૪૭ને જોતા જ બ્રિટિશરોએ વધુ એક વખત ખંધી રમત રમતા ૧૫ ઓગસ્ટને પસંદ કરી હતી.
આઝાદી બાદ ભારતન નેતાઓને ૨૬ જાન્યુઆરીને યાદગાર બનાવવાની ઇચ્છા હતી જે તેઓએ પ્રજાસત્તાક દિન સાથે જોડી દીધી. હવે ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણને લોંચ કર્યા પછી જ કેટલાક યાદગાર નિવેદનો કર્યા હતા તેના પર પણ નજર ફેરવો અને ચિંતન કરો.
૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસથી આપણે વિરોધાભાસી કે વિસંગતતાના માહોલમાં પ્રવેશ કરીશું. રાજકારણનાં જગતમાં સમાનતા પ્રવર્તતી હશે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમાનતાના સિધ્ધાંતો લાગુ નહીં પડતા હોય. આપણે ક્યાં સુધી આવા વિરોધાભાસી વાતાવરણમાં જીવતા રહીશું ? ક્યાં સુધી સામાજિક અને આર્થિક સમાનતા જ સર્જવાની તકને નકારતા રહીશું ? જો આપણે આવી જ સ્થિતિ જારી રાખીશું તો રાજકીય લોકશાહી સિસ્ટમને જોખમ કે આપત્તિમાં મુકવાની દિશામાં આગળ વધીશું તે ભય છે. આપણે દેશમાં પ્રવર્તતી અસમાનતાને જેમ બને તેમ ઝડપથી નાબુદ નહીં કરીએ તો જેઓ પણ અસમાનતાનો ભોગ બનેલા છે તેઓ અમે બંધારણ સભાએ જે મહેનત કરી લોકશાહી જાળવતુ બંધારણ બનાવ્યું છે તેના ફૂરચા ઉડાવી દેશે.
'હું માનું છું કે અમે બનાવેલું બંધારણ વ્યવહારૂ, સમતોલ અને દિર્ઘકાલીન અસરકારક રીતે અમલમાં રહી જ શકે તેવું છે. આ બંધારણ પરિવર્તનશીલ પણ છે અને દેશને શાંતિ કે યુધ્ધ બંને સમયમાં ટટ્ટાર રાખી શકવા સક્ષમ છે. હા, હું એટલું કહી શકીશ કે નવુ બંધારણ નિષ્ફળ નીવડે તો તેનું કારણ એ નહીં હોય કે આપણું બંધારણ બરાબર રીતે નહતું ઘડાયું પણ માણસમાં તેને પાલન કરવાની વૃત્તિ ન્હોતી. તેનામાં છળ કપટ રહેલું હશે.'
'ભલે આ ભારત દેશનું બંધારણ કહેવાતુ હોય પણ વિશ્વમાં ભારતીયોનો કોઈ દેશ હોય તેમ હું નથી માનતો. હજુ તેવા ભારતનું નિર્માણ કરવાનું આપણે બાકી છે. જો આપણે એવું માનતા હોઈએ કે આપણે એક રાષ્ટ્ર છીએ તો તે આપણો ભ્રમ હોઈ શકે. જે દેશ હજારો જાતિઓમાં વહેંચાયેલો હોય તેને એક રાષ્ટ્ર કઇ રીતે કહી શકાય ? જેટલું આપણે ઝડપથી સમજીશું કે આપણે સામાજિક કે માનસિક રીતે એક રાષ્ટ્ર નથી તેટલું આપણા માટે સારૂ રહેશે.'
'ભારતને આઝાદી મળી તે અભૂતપૂર્વ આનંદની વાત છે. પણ એ ન ભૂલવું જોઇએ કે આઝાદી મળ્યા પછી આપણા પર બહુ મોટી જવાબદારી આવી પડી છે. હવે દેશમાં જે પણ કંઇક ખરાબ થઇ રહ્યું છે તે માટે બ્રિટિશરોને જવાબદાર નહીં ઠેરવી શકાય. આપણે જ તે માટે જવાબદારી લેવી પડશે. સમય જે ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે તે જોતા કંઇક ખોટુ થવાનો ભય વધતો જ જવાનો.'
'બંધારણ ઘડવાના અમારા બે મુખ્ય હેતુ રહ્યા છે (૧) દેશમાં લોકશાહી પધ્ધતિની રાજકીય સિસ્ટમ જળવાઈ રહે અને (૨) જે પણ સરકારની સત્તા આવે તેઓ નાગરિકોની પાસે આર્થિક લોકશાહી જળવાઈરહે તે માટે અને તે રીતે શાસન કરે. (સરકારની નીતિઓમાં કોર્પોરેટ મેનેજર અને કોર્પોરેટ શેરહોલ્ડરોનો પ્રભાવ ન હોવો જોઇએ. સામાન્ય કારીગર, ગ્રાહક, ખેડૂત, તેમજ જનતા જનાર્દન કેન્દ્ર સ્થાને હોવું જોઇએ)'
'(ગાંધીજી પહેલાના અને ગાંધીજીના યુગની તુલના) રાનડે, અગરકર, તિલક, ગોખલે, સર ફિરોઝશાહ મહેતા અને સુરેન્દ્રનાથની જૂની પેઢીનો જમાનો પૂરો થયો અને હવે ગાંધીજીનો યુગ આવ્યો છે. બંને યુગમાં હું ભેદ જોઉં છું. રાનડેની પેઢીએ ભારતને આધુનિક બનાવવાનો સંઘર્ષ કર્યો જ્યારે ગાંધી યુગમાં દેશ જાણે ફરી પાછળ તરફ પ્રાચીન કાળમાં જતોહોય તેમ લાગે છે.
રાનડે અને તિલક ગોખલે યુગમાં બધા કંઇક નવુ કરતા અને અનુભવને આધારે બોધ કે ધડો લેતા હતા. જ્યારે ગાંધી યુગમાં બધા અંત:કરણનો અવાજ સાંભળીને તેના પર જ બધો આધાર રાખતા થયા છે. જૂની પેઢીના નેતાઓ તેમના શરીર પરના અંગો સારી રીતે ઢંકાયેલા રહે તે માટેની કાળજી લેતા હતા જ્યારે ગાંધી યુગમાં બધા અંગ પર અડધા વસ્ત્રો પહેરેલા હોય તેનું ગૌરવ લે છે.
ગાંધી યુગને હું પ્રોત્સાહિત કરવામાં નથી માનતો તેઓ બદલાતી દુનિયા અને ભવિષ્યના સ્વપ્ન શિલ્પી ઘડવા કરતા પ્રાચીનતા તરફ લઇ જાય છે. આ એવો યુગ છે જેમાં લોકોએ ચુસ્ત નિયમો અને સિધ્ધાંતો સ્વીકારીને વારસાનું અને વિચારવાનું છોડી દીધું છે. તેઓ તેમના ઉધ્ધાર માટેનું મંથન કરી જ શક્તા નથી. '
બંધારણ સંબંધી વધુ રસપ્રદ બાબતો જાણીએ તો
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે ઘનિષ્ઠ અને તલસ્પર્શી અભ્યાસ કરીને અગ્રણી દેશોના બંધારણમાંથી પણ પ્રેરણા મેળવી હતી જેમ કે
યુનાઇટેડ સ્ટેટ્સ: બંધારણનું આમુખ, સુપ્રીમ કોર્ટ, બંધારણનું લેખીત સ્વરૂપ, નાગરિકોના મૂળભૂત અધિકારો
સોવિયેત યુનિયન નાગરિકોની મૂળભૂત ફરજો, પંચવર્ષીય યોજના
યુનાઇટેડ કિંગડમ: ભારતનું ચૂંટણી કમિશનનું માળખુ અને માર્ગદર્શિકા, સંસદની ચૂંટણી, લોકસભાના સ્પિકરની પ્રથા.
કેનેડા: કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો ફેડરેશન સીસ્ટમ
જાપાન: સુપ્રીમ કોર્ટની કાર્યપધ્ધતિ અને કાયદા
જર્મની: કટોકટીલાદવામાં આવે તો નાગરિકોના મૂળભૂત અધિકારો રદ થઇ જાય
ઓસ્ટ્રેલિયા: કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરની કામગીરી માટેના ખાતાઓની ફાળવણી, શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સુરક્ષા વગેરે
ફ્રાંસ: જુદી જુદી સ્વતંત્રતા, સમાનતા, ભાતૃત્વ
* ૯૦૦૦૦ શબ્દોનું બંધારણ અંગ્રેજી અને હિન્દીમાં હાથથી 'કેલિગ્રાફ' લેખન શૈલથી લખાયુ છે.
* સંસદ ભવનમાં તેની મૂળ કોપી હેલિયમથી ભરેલા કેસમાં રાખવામાં આવી છે.
* ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું હોય તેવું છે. માત્ર ૯૪ જ એમેન્ડમેન્ટ હોઈ શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે.
* ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણના આખરી દસ્તાવેજ પર તમામ ૨૮૪ સભ્યોએ સહી કરી હતી. જેમાં ૧૫ મહિલાઓ હતી.
* બંધારણમાં ૪૪૮ આર્ટિકલ્સ ૨૫ વિભાગોમાં વહેંચાયેલા છે. ૧૨ શેડયુલ્સ, પાંચ એમેન્ડાઇસિસ સમાવિષ્ટ છે. આવા ઉત્કૃષ્ટ બંધારણની રામાયણ, ગીતાની જેમ પૂજા થવી જોઇએ.