પ્રજાસત્તાક ભારતની ઈકોતેરમી વર્ષગાંઠે વંદના
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
આજે મા ભારતીના પ્રજાસત્તાક દિનની ઉજવણીનો રાષ્ટ્રીય તહેવાર છે. મા ભારતીની પૂર્ણ પ્રસન્નતાની આપણી સૌની અભીપ્સા છે. સાત દાયકાના સમયગાળામાં પ્રત્યેક પરિવારના ત્રણ થી ચાર પેઢીના સદસ્યોએ સ્વતંત્રતાનો અનુભવ કર્યો છે. પ્રત્યેક પરિવારમાં પેઢી દર પેઢી થયેલા વિકાસ ઉપરથી દેશની વિકાસગાથાનો અંદાજ મુકી શકાય... મા ભારતીનો આત્મા પ્રસન્ન થયાનાં પ્રમાણો પણ ક્યાં ઓછાં છે? સામાજિક સમરસતા, એકીકરણ, પ્રત્યેક વ્યક્તિને પોતીકું રાષ્ટ્ર લાગે એવું વાતાવરણ ઊભુ કરવાના પ્રશસ્ય પ્રયત્નોથી મા ભારતી પ્રસન્ન હોય એ સ્વાભાવિક છે.
અલબત્ત જમીન ઉપર ભૌગોલિક રેખાઓથી મા ભારતીને મળેલી સ્વતંત્રતા પૂર્વે આ જ ભૂમિની પૌરાણિક સાંસ્કૃતિક ગાથા તો અપૂર્વ હતી જ. માનવીય આદર્શોની ખાણ ધરાવતો અને સમૃધ્ધ સંસ્કાર ખજાનો ધરાવતો આ દેશ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભવ્યતાનો ભંડાર હતો. આ જ રાષ્ટ્રના ઐશ્વર્ય ઉપર સમગ્ર સૃષ્ટિની નજર રહેતી. આ જ રાષ્ટ્ર એ વેદો અને ઉપનિષદો, રામાયણ-મહાભારત અને ભગવદ્ગીતા જેવા ગ્રંથો દુનિયાને આપ્યા છે. એ ગ્રંથોમાં આ ભૂમિની પૂણ્યતાની જ્યોતિ શબ્દે શબ્દે ઝગારા મારી રહી છે.
આજેય એના પ્રકાશની પ્રતીતિ વાંચકો અનુભવી રહ્યા છે. આ ભૂમિએ દૈવી મનુષ્યો અને તેમના દ્વારા થયેલાં શ્રેષ્ઠ સદ્કૃત્યોની કેટલી મોટી ભેટ પૃથ્વીને ચરણે ધરી છે!! પરંતુ એ પણ સત્ય છે કે આ ભૂમિ એના સનાતન વારસાની, એની આધ્યાત્મિક ઊંચાઈની અને એની સાંસ્કૃતિક ધોરણોની ઉન્નત મસ્તકે ગર્વ લઈ રહી હતી ત્યારે તેની ઉપર વિદેશી પ્રજાઓનાં આક્રમણો થયાં અને મા ભારતીનો આત્મા ઘવાયો... એ અનેક હુમલાઓ મા ભારતીની અખંડ જ્યોતને હોલવી નાખવાના પ્રયત્નો હતા.
અનેક વાવાઝોડાઓ વચ્ચે પણ સમગ્ર વિશ્વમાં એ જ્યોત તો જલતી જ રહી... આઝાદી પૂર્વેના લગભગ હજારેક વર્ષ સુધી મા ભારતીની જલતી જ્યોતને ફૂંકો મારી હોલવી નાખવા માટેના જે પ્રયત્નો થયા છે એની ઈતિહાસ ગવાહી પુરે છે, તેમ છતાં તેના પંડમાં કોડિયામાં એવા તો કેવા પ્રકારનું ઘી પુરાયું છે કે એ દીવડો પ્રચંડ વાવાઝોડાઓ સામે પણ અક્ષત ટમટમતો રહ્યો છે. એ પ્રકાશભૂમિનાં આપણે સૌ સંતાનો છીએ.
અંગ્રેજોના ચાલ્યા ગયા પછી અથવા હાંકી કાઢ્યા પછી આ ભૂમિનો ગુંગળામણ અનુભવતો આત્મા મુક્તિનો શ્વાસ લઈ શક્યો, એવી મુક્તિનો અનુભવ કરતો દેશ એની પ્રજા એ ઘટનાને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે એ સ્વાભાવિક અને આવકાર્ય પગલું છે. હજારેક વર્ષના અંધકાર પછી મા ભારતીના ચહેરા ઉપર સૂર્યપ્રકાશના પ્રથમ કિરણોની પ્રસન્નતા દેખાઈ...
આઝાદ થઈ ગયા પછી એ આઝાદીનો પ્રજાને અહેસાસ કરાવવાની ઘટના વધારે મહત્ત્વની બની. આટલો મોટો મુલ્ક જેમાં અપાર વૈવિધ્ય, વિવિધ જ્ઞાાતિઓ, વિવિધ કર્મો, વિવિધ બોલીઓ, વિવિધ પ્રણાલિકાઓ, વિવિધ માન્યતાઓ આ અપાર વૈવિધ્યને ધ્યાનમાં રાખી વિવિધતામાં એકતાનાં દર્શન કરાવવાં કેવી રીતે? એ એકતાની આહલેક જગવવા માટે મા ભારતીનો પ્રાણ પોકાર કરી રહ્યો હતો. એ વિરાટ પ્રશ્નોનો પણ ઉકેલ આવ્યો.
કોઈનીય માનહાનિ થાય નહિ, ભૂમિના કોઈ એક ટુકડાને પણ અન્યાય થાય નહિ પ્રત્યેક અંગને સમાન રાષ્ટ્રધર્મ નીચે કેવી રીતે લાવી શકાય તે અંગેનું ચિંતન થવા લાગ્યું... મા ભારતીના શુભાશિષથી ત્રણ વર્ષની તપશ્ચર્યા અને લગભગ ત્રણસો દેશપ્રેમી ચિંતકોની માનસિક મથામણથી લાવી શકાયો - એ ઉકેલનું બીજું નામ રાષ્ટ્રીય બંધારણ.
આઝાદ ભારતના ભાવિ ઘડતર માટેનો એક નકશો તૈયાર થયો. મા ભારતીના પ્રત્યેક ઘટકની ઊર્ધ્વ વિકાસયાત્રા માટેની એક માર્ગદર્શક કેડીને આકાર આપવામાં આવ્યો જે તે સમયની જરૂરિયાત પ્રમાણે અને પ્રજાકીય આવશ્યકતાઓ મુજબ જે તે પરિસ્થિતિઓના સંદર્ભમાં મા ભારતીનું પણ બંધારણ ઘડાયું.
બંધારણ એટલે શું? આમ સામાન્ય અર્થ થાય બાંધો... કોઈ વ્યક્તિનું બંધારણ કેવું હોવું જોઈએ? - એ એનું બંધારણ - ઘાટ. અહીં સમગ્ર રાષ્ટ્રનો ઘાટ ઘડવાનો છે. પૃથ્વી પર ઉપર આ દેશ પોતાની આગવી ઓળખ કઈ રીતે કરાવી શકે? વૈવિધ્યો હોવા છતાં એક દોરે કઈ રીતે પરોવી શકાય? એનો આત્મા સદા પ્રસન્ન કેવી રીતે રહે? એનું ગૌરવ કેવી રીતે અનુભવી શકાય? સૌને સાથે રાખીને, પ્રત્યેક ઘટકમાં સરખું અજવાળું કેવી રીતે પહોંચાડી શકાય? એમ પ્રત્યેક પાસાનો ઝીણવટપૂર્વકનો વિચાર કરીને જે ચિંતન થયું અને દેશની ચેતનાની જ્યોત વધારે મોકળાશથી વિશ્વમાં જલતી રહે એવા આશયથી આપણા બંધારણનો જન્મ થયો.
આપણે જોઈ શકીએ છીએ કે એ બંધારણને અજવાળે આપણે કેટલી લાંબી મજલ કાપી શક્યા છીએ. પ્રજા પણ એ બંધારણને વફાદાર રહી મા ભારતીની સેવા કરવા માટે લગભગ પ્રતિબદ્ધ રહી છે. પ્રજાને કેટલા બધા હકોનું ભાન થયું છે? સામાજિક સમરસતા ઊભી કરવાના પ્રયત્નો થયા છે?
અનામતના ઉકેલથી સૌને સાથે રાખવાનો માર્ગ પણ મોકળો કરી શકાયો છે? બંધારણે રાષ્ટ્રની રક્ષા કરી છે. વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરવા અવારનવાર પ્રયાસો પણ થયા છે. બંધારણની મદદથી અંદરો અંદર વૈમનસ્ય ન સર્જાય અને સૌના વિકાસનો દર સમાંતરે વધતો રહે, વિકાસનો ગજ કોઈનેય ટૂંકો ન પડે એ સંદર્ભે ઠીક ઠીક પ્રગતિ પણ કરી શકાઈ છે. એના પાયામાં રહેલા સર્વે દેશભક્તોને, રાષ્ટ્રચિંતકોને સલામ છે.
આજે મા ભારતીની સ્વતંત્રતાની પતાકા વિશ્વમાં પોતાની આગવી ઊંચાઈવાળી ઓળખ ઊભી કરી શકી છે. આમ બંધારણ એટલે પ્રજાકીય ચેતનાનું સ્થૂળ સૂક્ષ્મ સ્તરે થતુ ઊર્ધ્વીકરણ આ ઊર્ધ્વીકરણના બીજ છેક ૧૮૫૭માં નંખાયાં હતાં અને બરાબર લગભગ સાડા નવ દાયકા પછી એનાં ફળ પ્રજાને ચાખવા માટેનો પ્રારંભ થયો અથવા ૧૯૫૦એ પરોઢનો સૂરજ ફૂટયો એ અજવાળે આપણે સિત્તેર વર્ષથી યાત્રા કરી રહ્યા છીએ. વ્યક્તિગત આત્માનો વિકાસ કરાવનાર યોગીઓ કરતાં રાષ્ટ્રના આત્માનો વિકાસ કંડારનાર દેશભક્તો સવાઈ યોગી પુરુષો જ છે. તે કર્મઠ કર્મવીરોને પ્રણામ પાઠવી એક તદ્દન કાલ્પનિક વાર્તા દ્વારા આજના શુભદિને રાષ્ટ્રને શુભેચ્છા પાઠવું છું.
એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં અનેક પ્રાણીઓ સુખેથી નિવાસ કરતાં હતાં. વાઘ, સિંહ, હાથી, રીંછ, શ્વાન, શિયાળ વગેરે... વૃક્ષો અને વનરાજી, નદી અને સરોવરો એ જંગલને નંદનવન બનાવી રહ્યાં હતાં, કોઈ પ્રાણીને, કોઈ અન્ય પ્રાણીનો ડર ન્હોતો સર્વે હળીમળી ખૂબ પ્રસન્નતાથી જીવતાં હતાં. ત્યાં અન્ય જંગલના પ્રાણીઓને આ વાતની ખબર પડતાં તે અવારનવાર આ સુખી સમૃધ્ધ જંગલ ઉપર હુમલો કરવા માંડયાં.. એમના હુમલાથી સુખી જંગલ ખેદાન મેદાન થતું ગયું.
સુખી જંગલનાં પ્રાણીઓ પેલા હુમલાનો પ્રત્યુત્તર આપવાને બદલે નશીબને દોષ દઈ એ હુમલાઓ સહન કરતાં જ રહ્યાં... ઘણી બધી રીતે સમૃધ્ધ જંગલ પાયમાલ થઇ ગયા પછી કોઈ શાણપણ ધરાવતા પ્રાણીએ પોતાના સુખી સમૃધ્ધ જંગલના પ્રાણીઓને એક થઇને હુમલો કરનાર પ્રાણીઓ સામે લડી લેવાનું સુઝાડયું.
બધાં પ્રાણીઓ તૈયાર થયાં અને થતા હુમલાઓ અટકાવી શક્યાં. પછી ભવિષ્યમાં આવા હુમલાઓ થાય નહિ એટલા માટે એ સમૃધ્ધ જંગલવાસીઓએ એક બંધારણ બનાવ્યું જેમાં પ્રત્યેક પ્રાણીનું પ્રતિનિધિત્વ રહ્યું. એ બંધારણની કલમો એમના મુલ્કના વિકાસની અને પ્રાણીઓની સુરક્ષા અંગેની હતી, ભાઈચારાની અને સમાનતા અંગેની હતી... એમાં એક કલમમાં એવું લખ્યું કે કોઈ પ્રાણી ઊડી શકશે નહિ.
એકવાર એક શિયાળનું બચ્ચું મૃત્યુ પામ્યું - શિયાળ ભક્તિભાવવાળું હતું - બધાં પ્રાણીઓ ખરખરો કરવા તેને ત્યાં ગયાં ત્યાં શિયાળે કહ્યું - 'એનો જીવ ઊડી ગયો' બંધારણવાળા પ્રાણીઓએ વાંધો લીધો... પ્રાણી તો ઊડી ના શકે... એમ લખ્યું છે...'તારું વચન પાછુ ખેંચી લે' બિચારા શિયાળે પોતાનું વચન પાછું ખેંચી લીધું, પરંતુ ત્યાર પછી હાથી, સિંહ, વાઘનાં બચ્ચાં પણ મરવા માંડયાં ત્યારે બધાં પ્રાણીઓ અંદરો અંદર તો એમ જ કહેવા લાગેલાં કે નાનીવયમાં તેનો જીવ ઊડી ગયો. એકતરફ બંધારણ ના પાડે છે.
બીજી બાજુ પ્રાણીઓ સ્વાભાવિક રીતે એ પ્રયોગ કર્યા કરે છે. આનો શું અર્થ ? શાણા પ્રાણીઓએ વિચાર કર્યો કે જો બંધારણ મુજબ પ્રાણીઓ વફાદારી ના રાખે તો પ્રાણીઓ કસૂરવાર છે અને પ્રાણીઓની સાહજિક માન્યતાઓનું પ્રતિબિંબ બંધારણમાં ના ઝીલાતું હોય તો બંધારણ સંશોધન માગે છે - આખરે શાણપણ ધરાવતાં પ્રાણીઓએ સૌને સાથે રાખી પોતાના બંધારણમાં પ્રાણીઓ ઊડી શકે છે એવી કલમ ઉમેરી દીધી. આમ પોતાનો મુલ્ક- જંગલ ચલાવવા માટેનું આત્મતત્ત્વ બંધારણમાં હોવું જોઇએ એ વાતનો પ્રાણીઓએ પણ સર્વાનુમતે સ્વીકાર કર્યો.
સમગ્ર રાષ્ટ્રનું સંવિધાન પણ સમસ્તભૂમિની, એમાં નિવાસ કરતા સર્વે પ્રજાજનોની ઉર્ધ્વયાત્રામાં સહાયક બનવું જ જોઇએ અને જ્યારે જ્યારે તેમાં કોઈ અંતરાયો જણાય ત્યારે એના સંશોધનના માર્ગો પણ નિખાલસપણે જેમ ખુલ્લા રહ્યા છે તેમ રહેવા પણ જોઇએ...આવી વિશાળતા ધરાવતા પ્રજાસત્તાક ભારત દેશને તેની ઇકોતેરમી વરસગાંઠે કોટિકોટિ પ્રણામ.