જેને હસતાં ન આવડે એ માણસે સેલ્સમેનની નોકરી ન કરવી જોઇએ
ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી
માનવપ્રાણી તો શાકમાં નમકના પ્રમાણમાં છે. એ સામે અન્ય પશું, પક્ષીઓ, નાનામોટા જીવજંતુઓ, અને પાણીમાં રહેતી જળચર વસ્તીની સંખ્યા માનવ સંખ્યાથી વધારે છે
કુદરત સર્જિત વિશ્વ અને માનવ સર્જિત દુનિયા વચ્ચે સામ્યતા નથી. સામ્યતા શક્ય નથી ! આ બંનેને નોખા પાડતી કોઇ મુખ્ય બાબત હોય તો તે વર્તન અને પુનરાવર્તન છે ! લેખક, કવિ, ચિત્રકાર, સંગીતકાર અથવા ગાયક ઉપરાંત આર્કિટેકટ વિગેરે ગમે તેટલા જિનિયસ હોવા છતાં એ બધામાં પુનરાવર્તનની દહેશત રહે છે ને એ દહેશત કાલ્પનિક નહિ, દાર્શનિક હોય છે ! ઉપર મુજબના સર્જકોમાંથી કોઇપણ સર્જક પુનરાવર્તનના દોષથી મુક્ત નથી રહી શક્યો ! એ પોતાના કાર્ય પ્રત્યે પૂરેપૂરો વફાદાર હોય, ગમે તેટલો જીનિયસ હોય તો પણ એના સર્જનમાં પુનરાવર્તનનાં અંશો તમને જડી આવશે ! કોઇપણ એક લેખકની આઠ દસ નવલકથાઓ વાંચી નાખો તો પહેલી નવલકથા સિવાય બાકીની તમામ નવલકથાઓ ઓછાવત્તા અંશે દોષિત હોવાની.
આમ તો પહેલી નવલકથામાં પણ ઉપમાઓ, વિશેષણો, શબ્દપ્રયોગ અને વાક્યરચનામાં બે ચાર પુનરાવર્તન તો જડશે ! સંગીતનું બહુ ઓછું જ્ઞાન ધરાવતા લોકોને પણ ફિલ્મી સંગીત સમજાતું હોય છે ને ગીત સાંભળતાં જ એને સમજાઇ જાય છે કે નૌશાદનું સંગીત છે કે આ શંકર જયકિશનનું સંગીત છે ! સંગીતકારની આ પ્રકારની ઓળખ પુનરાવર્તનનો પુરાવો છે ! એજ રીતે આર્કિટ્રેકચર પણ સુંદર અને સૌથી જૂદી ભાત પાડતા બંગલાનું મોડલ તૈયાર કરે છે. એ મોડલમાં કદાચ મૌલિકતા હોઇ શકે ! કદાચ એટલા માટે કે એ મોડલ પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ કે બિહાર જેવા દૂરના પ્રદેશમાં નજરે ચડેલા અને ગમી ગયેલા બંગલાની નકલ પણ હોઇ શકે.
ધારો કે આર્કિટ્રેકચરનું એ મોડલ મૌલિક હોય તો પણ એમાંની થોડી ઘણી મૌલિકતા ત્રણથી ચાર મોડલ સુધી જળવાઇ રહે છે, એ પછી થોડાક ફેરફાર સાથે પુનરાવર્તન શરૂ થઇ જાય છે ! એની સામે કુદરતી સર્જન હજારોની સંખ્યામાં હોવા છતાં એમાં પુનરાવર્તન જોવા મળતું નથી. એક માણસના ચહેરાનો ઘાટ બીજા ચહેરામાં અથવા હજારો અને લાખો ચહેરામાં નથી હોતા. આપણે બેચાર સર્જન પછી પુનરાવર્તનના રવાડે ચડી જતા હોઇએ છીએ.
જ્યારે કુદરતે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના મોડલ તૈયાર કર્યા એમાં પુનરાવર્તનની આવશ્યકતા નડી નથી ! સાડા છ સાત અબજની વસ્તી ધરાવતા આવડા મોટા વિશ્વમાં કોઇ કોઇનો ચહેરો મળતો આવતો નથી ! કુદરતે પ્રાદેશિક વિવિધતા પણ આપી છે ! ચીન અને જાપાન અને આફ્રિકાના દેશોમાં વસતા લોકોના ચહેરા કુદરતે એ રીતે બનાવ્યા છે કે એમનો ચહેરો જ એમની પ્રાદેશિકતાની ઓળખ બની ગયો છે. અમુકને જોઇને આપણે સમજી જઇએ છીએ કે આ ચાઇનીઝ છે અને આ આફ્રિકન છે ! અલગ દેશની વાત શું કામ કરવી ? આપણા જ દેશમાં ઉત્તરભારત અને દક્ષિણ ભારતના ચહેરા ક્યાં મળતા આવે છે. ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, સિક્કિમ વિગેરેના ચહેરા આપણામાંના સામાન્ય ચહેરાઓથી અલગ તરી આવે છે, એ સાથે એની પ્રાદેશિક ઓળખ પણ આપણને મળી જતી હોય છે.
માનવપ્રાણી તો શાકમાં નમકના પ્રમાણમાં છે. એ સામે અન્ય પશું, પક્ષીઓ, નાનામોટા જીવજંતુઓ, અને પાણીમાં રહેતી જળચર વસ્તીની સંખ્યા માનવ સંખ્યાથી વધારે છે. જળમાં રહેતા પ્રાણીઓમાં આપણે સૌથી વધુ માછલીને જ ઓળખીએ છીએ. જેમ ધરતી ઉપરના માનવ ચહેરાઓમાં ભિન્નતા છે એ ભિન્નતા પાણીમાં રહેતી જીવસૃષ્ટિ છે. આપણે જેને સારી રીતે ઓળખીએ છીએ એવી માછલી પણ એક સરખી નથી. માછલી પણ જુદા જુદા આકારની કુદરતે બનાવી છે એમાંના કેટલાક એવા આકાર છે જેને આપણે માછલી તરીકે ઓળખતા પણ નથી ! કહેવાનો અર્થ એ કે ધરતી પર રહેતા હોય કે પાણીમાં રહેતા હોય, ક્યાંય પુનરાવર્તન નથી !
સર્જનાત્મકતાની વાત કરીએ તો એ પુનરાવર્તન સુધી સીમિત નથી! કુદરતે આટલા બધા જીવો સર્જીને દરેકને ખપ પૂરતી સમજ અને શક્તિ આપી છે. જેને ક્યાંક કશું ઓછું આપ્યું છે તો એની અવેજીમાં બીજુ કશુંક મૂલ્યવાન આપ્યું જ છે ! ઉદાહરણ જોઇએ તો પશુજાતિને ચાર પગ આપ્યા છે. માનવ અને પક્ષીને બે પગ આપ્યા છે. એટલે કે બે પગ એને ઓછા આપ્યા છે એમ કહી શકાય. પરંતુ કુદરતે પક્ષીને બે પગ ઓછા આપ્યા તો એની અવેજીમાં એને બે પાંખો આપીને ખાતું સરભર કર્યુ. એ જ રીતે માનવીને બે પગ ઓછા આપ્યા તો એના બદલામા કુદરતે એને મગજ અને વિચારશક્તિ આપીને ખાતું સરભર કર્યું ! આ મૂલ્યવાન સરભર છે.
પક્ષીને બે પગ આપ્યા પણ સાથે ઉડ્ડયન શક્તિ આપી. પક્ષી સિવાય અન્ય ચોપગુ જાનવર ઊડી શકતું નથી તેમ માનવજાત સિવાય અન્ય કોઇ પ્રાણી પાસે વિચાર શક્તિ નથી ! માત્ર પક્ષી જ ઊડી શકે છે અને માણસ વિચારી શકે છે અને બે પગે એ જમીન પર ચાલી પણ શકે છે ! વિચારશક્તિએ માનવીમાં લાગણી જન્માવી ! સંવેદના જગાડી ! એહસાસની અભિવ્યક્તિ માટે વાચાળતા પણ આપી. આ રીતે અન્ય પ્રાણીઓ કરતાં માણસ જાતને વધારે આપ્યુ છે ને જે આપ્યું છે તે ઉપયોગી પણ છે અને મૂલ્યવાન છે. એટલે જ માણસ સર્વ શ્રેષ્ઠ પ્રાણી ગણાય !
રૂદન પાપ નથી ! માણસનું રડી પડવું એ સ્વાભાવિક છે ! પણ વાતે વાતે રડી પડવું સ્વાભાવિકતાનો નાશ કરીને કુટેવ બની જતું હોય છે. બાકી તો માણસ છે. ક્યારેક રડવું આવી જાય. રડવુ સ્વાભાવિક એટલા માટે છે કે એ કુદરતી છે. બાળકનો જન્મ થાય ને એ રડે નહિ તો ઘરપરિવારના લોકો જ નહિ, ખુદ ડોકટરને પણ એના સ્વાસ્થય વિશે ચિંતા થાય છે અને તરતના જન્મેલા બાળકને થપ્પડો મારી મારીને રડાવે છે અને બાળક રડી પડે છે ત્યારે બધાના હસતા મોઢા થાય છે. પણ એ પછી બાળક હસવાનું શરૂ કરે છે. અમથું અમથું ય તમને જોઇને હસે છે. તમે એને બોલાવો તો જવાબમાં એ હસી પડે છે ! માણસને લાંબુ જીવવાનું હોય છે.
લાંબુ જીવવામાં ગ્લાનિ નહિ આનંદ સાથ આપે છે. જીવનમાં પારાવાર વિષમતામાંથી પસાર થનાર માણસ અત્યંત દુઃખી થઇ જાય છે ત્યારે કોકવાર એનાથી રડી પડાય છે. પણ એ ક્યારેક જ રડી પડે છે. બાકી એ અપવાદરૂપ એકાદ ઘટના સિવાય દુઃખી માણસ તમને રડતો નહિ હસતો જ દેખાય છે. તમે હસો છો ત્યારે તમારી સાથે ઘણા બધા હસી પડે છે ને ક્યારેક કોઇ ગેલમાં આવીને એકબીજાને તાળી પણ આપતા હોય છે. આમ હસવામાં સાથ આપનાર મિત્રો પણ રડવામાં તમને સાથ નહિ આપે ! તમને હસતો જોઈને બધા હસતા હોય છે પણ રડતા જોઈને કોઈ રડવા મંડી પડતું નથી ! જીવવું છે તો વાતે વાતે હસતા રહેવાની ટેવ પાડવી જોઈએ.
જેને હસતા ન આવડતું હોય એને સેલ્સમેનની નોકરી ન કરવી જોઈએ. જેને હસવાની ટેવ નથી એ માણસ કયારેય યુવાન થઈ શકે નહિ ! એ ભરપુર યુવાનીમાં પણ યુવાન લાગતો નથી. આવા માણસ માટે મનમાં તિરસ્કાર પણ આવે છે અને દયા પણ આવે છે. આ દયા સૌથી મોટી ગાળ છે. આપણે કોઈવાર કોઈને બીચારો કહી દેતા હોઈએ છીએ. ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે એને ગાળ દીધી છે ! બીચારો શબ્દ પણ ગાળ સમાન છે. ગરીબ હોવું ગુનો નથીને નાનમ પણ નથી. પણ બિચારો થઈ જવું એ જીવતરની સૌથી મોટી કંગાલીયત છે, ભયાનક દરિદ્રતા છે. અશક્યને શક્ય બનાવવાની જે ઝંખના સેવે એ ખરેખર યુવાન કહેવાય. યુવાનને પડકાર ઝીલવાનું ગમે છે. પડકાર વિનાનું જીવન પશુથી પણ વધુ બદતર જીવન છે.
ભયભીત માણસ હંમેશા સલામતીને જ શોધતો હોય છે. સલામતીનો ચાહક ધીમે ધીમે સત્વહિન બનતો જાય છે. નિષ્ક્રિય બનતો જાય છે. આળસુ બનતો જાય છે ! પછી જીવતો હોવા છતાં મડદાની જેમ જીવે છે. કારણ કે મડદુ સૌથી વધુ સલામત છે. સંપૂર્ણ સલામતી ઈચ્છનારને જીવવાનો અધિકાર નથી. સુખ અને સગવડનો ગુલામ પોતાની સ્વતંત્રતા ખોઈ બેસે છે. અને સ્વતંત્રતા જેવું બીજું કોઈ સુખ નથી. પરાધિન માણસ પોતાની મરજી મુજબ કશું કરી શકતો નથી ! સ્વતંત્રતાને પણ છૂટી ન મૂકી દેવાય, એને વિવેક જેવી લગામી દેવી જોઈએ. યુવાનમાં ઊંચો કુદકો મારવાની હિંમત હોવી જોઈએ. કુદકો મારવો એ સાહસ છે, અને સાહસિક માણસે ઉછાંછળા થવાને બદલે વિવેકી થવું જોઈએ. સાહસ પાસે પાંખ છે તો વિવેક પાસે આંખ છે.
પાંખ અને આંખનો સમન્વય સાધી શકે એ જ સાચો વિકાસ પામી શકે. અતિ વિચાર શૂન્યતા હાનિકારક છે તેમ અતિ વિચારશીલતામાં પણ જોખમ છે. વિચારવાની સ્થિતિમાં પણ વિવેક જળવાઈ રહેવો જોઈએ ! વિચાર્યા વગર કુદી પડનાર દુઃખી થાય છે તેમ વિવેકહિન વિચારશીલતા પણ માણસને દુઃખમાં ધકેલી શકે છે. વિવેકપૂર્વક વિચારનાર સિધ્ધિ પ્રાપ્ત કરે છે ને પોતાના યૌવનને દીપાવે છે. સિધ્ધી પ્રાપ્ત કરવાની આ સમગ્ર પ્રક્રિયામાં વિવેક ગાયબ થઈ જાય તો એના સ્થાને અહંકાર આવીને ગોઠવાઈ જતો હોય છે.
હું જ આ બધું કરું છું અને હું જ કરીશ એવું બોલનાર અહંકારી છે. તો આપણું તો બધું પ્રભુ સંભાળી લેશે એવું કહેનાર માણસ આળસુ છે. બધું જ ઈશ્વર સંભાળી લેતો હોય તો પણ એ કાર્ય માટે તમને નિમિત બનાવે છે અને તમને યશ પણ અપાવે છે. કામ કરતા માણસની કાર્યરીતિમાં અડચણો પણ આવે છે, આફતો પણ આવે છે, આવા અનેક પ્રકારના વિઘ્નો આવે છે અને એ બધાની વચ્ચે માણસ સક્રિય રહી શકે છે ત્યારે વિઘ્નો વરદાન બની જતા હોય છે અને આફતો આશીર્વાદ બનતી હોય છે !
માણસે અહંકારથી દૂર રહેવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે માણસને ગર્વ ન હોવો જોઈએ ! અહંકાર અને ગર્વ આ બે શબ્દો વચ્ચે બહુ મોટું અંતર છે. ગર્વ એ અંહકાર નથી આનંદનો ઓડકાર છે. માણસમાં પોતાના વ્યક્તિત્વનો ગર્વ તો હોવો જોઈએ. ગર્વશીલ માણસ બીજાની સાહ્યબીથી અંજાઈ જતો નથી. સાદગી સૌથી મોટું ઘરેલું છે. કોઈની પ્રતિભાથી કે કોઈના ઠાઠ ભપકાથી અંજાઈ જનાર માણસ નપુંશક હોય છે. એ ઢોંગી ધુતારાને ચમત્કારી બાપુ સમજીને એના ચરણ ધુવે છે અને રાજકીય નેતાના ચંપલ ઊંચકી લાવીને નેતાના પગ આગળ માનભેર મૂકી આપે છે.
એવા માણસની સમાજમાં નેતા જ નહિ, નેતાના જૂતા ચપ્પલ પણ મહાન હોય છે ! એટલે નેતાના જૂતા ચપ્પલ પણ અદબપૂર્વક ઉપાડવાનો શરમજનક વિવેક એણે કેળવી લીધો છે. અંજાઈ જવું એ સારી સ્થિતિ નથી. કારણ કે અંજાઈ ગયેલી આંખોને સામેનું હૃદય સ્પષ્ટ દેખાતુ નથી. એટલે કે સાધુ સંતમા છુપાયેલો શેતાન એને દેખાતો નથી ! એટલે એ ઢીંચણીએ પડીને બાપુના ચરણ ચુંબન કરે છે.
યું કદમબોસી ન કર સજદા અદા હો જાયેગા,
કલ તલક એ આદમી શાયદ ખુદા હો જાયેગા !
ને ખરેખર આવું જ થાય છે. ચરણ ચુંબન કરનાર ખુદાને ભૂલીને બાપુને જ સર્વસ્વ માનતો થઈ જાય છે ! આવા માણસ ઠાઠ ભપકાથી જ અંજાઈ જતા હોય છે ! સંતો અને બાપુઓનો પહેરવેશ જ એ પ્રકારનો હોય છે કે જે સામાન્ય માણસ કરતાં અલગ હોય છે. માત્ર પહેરવેશ જ અલગ હોય છે ને પહેરવેશ થી જ અંજાઈ જાય છે. પણ પહેરવેશ નીચે ઢંકાયેલા માણસને એ જોઈ શકતો નથી. શ્રધ્ધાળુ માણસની દ્રષ્ટિ પહેરવેશને સ્પર્શીને અદબભેર પાછી વળી જતી હોય છે. પહેરવેશની આરપાર જતી દ્રષ્ટિ કેળવાઈ હોય તો એ પહેરવેશ પાછળ સંતને બદલે શેતાન જ દેખાશે !
દરેક માણસને સફળ થવું છે ! સફળતાની ઝંખના સ્વાભાવિક છે. એ ઝંખના ઉતાવળી થાય છે ત્યારે માણસને ઊંચકીને બાપુઓના ચરણોમાં ફેંકી દે છે. એ ચરણોમાં એ પોતે જ નહિ પોતાના મૂલ્યવાન વર્ષો પણ વેડફી મારે છે. સંતોષ ન થાય તો એક બાપુને છોડીને બીજા બાપુ પાસે જઈને બાકીના વર્ષો વેડફી મારે છે. અને આમ ઉંમર વધી જતાં કામ કરવાના ઉમળકા પણ ઓસરી જાય છે. અને એ સ્વાભાવિક છે કે કંઈ પ્રાપ્ત થતુ હોય તો કામ કરવાના ઉમળકા પણ જળવાઈ રહે ! પણ પેલી અંધશ્રધ્ધા એની પાસેથી કામ કરવાની ઉંમર અને ઉમળકા બંને ઝૂંટવી લે છે.
માણસે સફળતા માટે લક્ષ નક્કી કરવું જોઈએ અને લક્ષ સુધી લઈ જતી દિશા પકડવી જોઈએ, પણ કેટલાક લોકોને પહોંચવું છે પણ ક્યાં પહોંચવું એનું લક્ષ નથી હોતું. એટલે એ તરફની દિશા પણ એ નક્કી કરી શકતો નથી ! દિશાહિન લોકો ક્યારેય લક્ષ સુધી પહોંચી શકે નહિને સફળતા મેળવી શકે નહિ ! સફળતા માણસની ક્રિયાશીલતામાંથી આવે છે.
એમાં ઉતાવળ ન ચાલે ઉતાવળે મેળવેલી સફળતા પણ ઉતાવળી જ હોય છે એટલે એ ઝાઝી ટકતી નથી. કેટલાય વર્ષોની ધીરજ અને મહેનત પછી સફળતાની તક મળે છે. પણ બહુ ઓછા લોકો તકને ઝડપી શકે છે. તક મળ્યા પછી જીવ રેડીને કામ કરવાની ધગશ અને સતત એકાગ્રતા (કન્ટિન્યૂ કોન્સન્ટેશન) જળવાઈ રહેવું જોઈએ ! છતાં નિષ્ફળતા હસતા મોઢે સ્વીકારી લેવાની આત્મીય શક્તિ કેળવી રાખવી જોઈએ.
આમ તો આ નામની તલવાર છે,
તોય સૂની ભીંતનો શણગાર છે,
આટલું તો ઘરમાં હોવું જોઈએ,
ભૂતપૂર્વ તો ય આ દરબાર છે !