'ગાંધીજીને મન સ્વરાજ્ય મળ્યું છે પણ સ્વ-રાજ હજુ બાકી છે'
ગુજરાત સમાચારે આઝાદીની પ્રચંડ ઘટનાને વાચા આપતા લખ્યું
(ભાગ : ૪) પ્રજાબંધુ અને ગુજરાત સમાચારે ગાંધીજીના ખૂનની ઘટનાને પ્રજા સમક્ષ કેવી રીતે રજૂ કરી
સરદાર પટેલે ગાંધીજી સાથેની છેલ્લી મુલાકાતનું વર્ણન કરતાં કહ્યું : 'મારું હૃદય શોકમગ્ન છે. હું આજે બપોરે (ખૂનને દિવસે) ચાર વાગે ગાંધીજીને મળવા ગયો હતો અને તેમની સાથે એક કલાક ગાળ્યો હતો. પાંચ વાગે ગાંધીજીએ એમની ઘડિયાળ કાઢીને કહ્યું કે મારે પ્રાર્થનાનો સમય થઇ ગયો છે. તેઓ પ્રાર્થનાના મેદાન ભણી ચાલ્યા
૧૯૧૫માં ગાંધીજીએ અમદાવાદને એમની કર્મભૂમિ બનાવી ત્યારથી શરૂ કરીને એમનાં મૃત્યુ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારે ગાંધીની અંગ્રેજો સામેની 'માસ પોલિટિકલ મુવમેન્ટસ' તેમજ ખાદી, રેંટીયો, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય કેળવણી જેવા એમનાં રચનાત્મક કાર્યક્રમોને પ્રજા સમક્ષ રજૂ કરીને તેનો ફેલાવો કર્યો હતો
પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનાં સ્વાતંત્ર્ય દિનનો અને ત્યાર પછીનાં બેચાર અંકો ખાસ જોવા જેવા છે. જેમાં તેણે 'મોડરેટ' નીતિનો ત્યાગ કરીને 'પોલિટિકલ મિલિટન્સી બતાવી હતી અને ગોખલે અને ફિરોજશાહ મહેતા જેવા નરમ નેતાઓની સાથે તેણે લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને દયામજી ક્રિષ્ણ વર્મા જેવા ઉગ્ર રાષ્ટ્રવાદીઓને પણ બિરદાવ્યા હતા
નાથુરામ વિનાયક ગોડસેએ તા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮નાં રોજ નવી દિલ્હીના બિરલા હાઉસમાંથી પ્રાર્થના કરવા જઈ રહેલા ગાંધીજી ઉપર ગોળીઓ છોડીને જ્યારે એમનું ખૂન કર્યું ત્યારે તેને બીજે દિવસે ગુજરાત સમાચારે 'હતભાગી રાષ્ટ્ર પર વજ્રઘાત : ગોળીઓથી ગાંધીજીનું ખૂન' શીર્ષક હેઠળ આંખે દેખ્યો અહેવાલ આપતાં દેશનાં હૃદયને ઢંઢોળ્યું. એણે લખ્યું : 'અહિંસાનો પૂજારી આખરે હિંસાનો ભોગ બન્યો. સાંજે ૫।। વાગે હિંદુ મહાસભાના કટ્ટરપંથી કાર્યકર નાથુરામ ગોડસેએ ગોળીઓ મારીને ગાંધીજીને વીંધી નાંખ્યા છે. ગાંધીજી જમીન પર પીઠભર પડી ગયા.
તેમના ચશ્મા ખસી ગયા પગની ચંપલો ફંગોળાઈ ગઇ અને શરીરમાંથી ઢગલાબંધ લોહી વહી ગયું હતું. હિંદનાં ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ તાત્કાલીક આવી પહોંચ્યા હતા. એમણે ગાંધીજી સાથેની છેલ્લી મુલાકાતનું વર્ણન કરતાં કહ્યું : 'મારું હૃદય શોકમગ્ન છે. તમને શું કહું તે સમજાતું નથી. હું આજે બપોરે (ખૂનને દિવસે) ચાર વાગે ગાંધીજીને મળવા ગયો હતો અને તેમની સાથે એક કલાક ગાળ્યો હતો. પાંચ વાગે ગાંધીજીએ એમની ઘડિયાળ કાઢીને કહ્યું કે મારે પ્રાર્થનાનો સમય થઇ ગયો છે.
તેઓ પ્રાર્થનાના મેદાન ભણી ચાલ્યા અને હું મારા ઘરે જવા બિરલા હાઉસ છોડી ગયો. મારા ઘરે હું પહોંચ્યો કે તરત જ મને આ ઘોર સમાચાર મળ્યા. હું તરત બિરલા હાઉસ પાછો પહોંચ્યો. હાથની નાડી મારી આંગળીને ટેરવે દબાવી તે ધબકતી હોય તેવું લાગ્યું. પણ ડૉક્ટરોએ માથું ધૂણાવ્યું.''આજ અંકમાં ગુજરાત સમાચારે 'મોટા ઘરનો મોભ તૂટયો આ' નામનું કાવ્ય પ્રસિદ્ધ કર્યું. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ભૂકંપ સર્જાયો તેનાં પણ અહેવાલો આપ્યા.
અંહીસાના પૂજારી આખરે હિંસાનો ભોગ બન્યા
ગુજરાત સમાચાર અને પ્રજાબંધુ માત્ર 'માહિતી અને સમાચાર' પહોંચાડતા મીડીયા નહોતા. શરૂઆતથી જ એમાં પ્રગટ થતા લેખો, કાવ્યો, વારતાઓ અને અગ્રલેખો દ્વારા પ્રજાનું માનસિક અને નૈતિક ઘડતર થતું આવ્યું હતું. વિચારસરણીની દ્રષ્ટિએ બન્ને અખબારો 'એન્ટી-કોલોનિયલ, પ્રોગ્રેસીવ અને ડેમોક્રેટિક' મૂલ્યો ધરાવતા હતા. તેથી જ તેણે કટ્ટર ઇસ્લામપંથી અને કટ્ટર હિંદુત્વવાદી ઝનૂન સામે લોકોને જાગૃત કર્યા હતા. રાજકીય દ્રષ્ટિએ પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર લિબરલ મોડરેટ વિચારધારા ધરાવતા હતા. જેમ કે ૧૮૯૭માં જ્યારે આપેકર બંધુઓએ કર્નલ રેન્ડનું ખૂન કર્યું ત્યારે પ્રજાબંધુએ આપેકર બંધુઓ ઉપરાંત તિલક અને સાવરકરનાં કટ્ટરવાદી રાજકીય મૂલ્યોની ઝાટકણી કાઢી હતી. તે જ પ્રમાણે આ બન્ને પત્રોએ મુસલમાનો અને તેમનાં ધર્માંધ મુસ્લિમ લીગ સામે લોકમત કેળવ્યો હતો.
૧૯૧૫માં ગાંધીજીએ અમદાવાદને એમની કર્મભૂમિ બનાવી ત્યારથી શરૂ કરીને એમનાં મૃત્યુ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારે ગાંધીની અંગ્રેજો સામેની 'માસ પોલિટિકલ મુવમેન્ટસ' તેમજ ખાદી, રેંટીયો, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય કેળવણી જેવા એમનાં રચનાત્મક કાર્યક્રમોને પ્રજા સમક્ષ રજૂ કરીને તેનો ફેલાવો કર્યો હતો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ જ્યારે દેશ આઝાદ થયો અને સમગ્ર હિંદવાસી પ્રજાએ ખૂશાલી મનાવી ત્યારે ગાંધીજી કલકત્તામાં હિંદુ-મુસ્લિમ એકતા માટેનાં પ્રયાસો કરી રહ્યા હતા. ગુજરાત સમાચારે આઝાદીની આ પ્રચંડ ઘટનાને વાચા આપતાં બીજે દિવસે લખ્યું :
'દેશના ભાગલા પડયા તેનું ગાંધીજીને ઘણું દુ:ખ છે. હમણાનાં ગાંધીજી એવું કહે છે કે હવે મારૂં સાંભળે છે જ કોણ ?! ગાંધીજીને મન સ્વરાજ્ય મળ્યું છે પણ સ્વ-રાજ હજુ બાકી છે. પૂર્ણ સ્વરાજ તો ઘણું દૂર છે. આપણને રાજકીય આઝાદી તો મળી, પણ દેશ હજુ પણ અત્યંત દરીદ્ર, પછાત અને વધારે પડતો ધર્મઘેલો છે.'
'મારું સાંભળે છે જ કોણ ?' - આ ઉદ્દગારો પાછળ ગાંધીજીની એક મોટી વ્યથા હતી. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ગૃહપ્રધાન વલ્લભભાઈ વચ્ચે તીવ્ર અને મૂળભૂત મતભેદો હતા અને અનુભવી ગાંધીજીને દૂર કરવાનાં ખાનગીમાં પ્રયાસો કરતા હતા. ગાંધીજીને સમાધાન કરાવવામાં નાકે દમ આવ્યો હતો. તેથી જ ગાંધીજીએ ઉદ્ગારો કાઢ્યા હતા : 'મારું સાંભળે છે કોણ ?!'
ખાનગીમાં હિંદુ કોંગ્રેસી નેતાઓમાં એવી વાત વહેતી થયેલી કે 'ગાંધીજી હવે દેશ માટે પ્રસ્તુત નથી રહ્યા... ડોસાને ચિત્તભ્રમ થયો છે.' હિંદુ મહાસભાવાદીઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં નેતાઓ અને કાર્યકરો તો ગાંધીજીનો જીવ લેવા વર્ષોથી થનગની રહ્યા હતા. મદનલાલ પાહવા, નાથુરામ ગોડસે, નારાયણ અપ્ટે, ગોપાલ ગોડસે અને સાવરકર જેવા હિંદુ રાષ્ટ્રવાદીઓએ ગાંધીજીને વીંધી નાખવાનાં અગાઉ છ છ વખત કેવી રીતે પ્રયાસો કર્યા હતા તેનાં સીલસીલાબંધ અહેવાલો ગુજરાત સમાચાર આપ્યા જ કરતું હતું. વળી તેનાં એડીટોરીયમોમાં ખરેખર તો કટ્ટર ધર્મપંથી બનેલા મહંમદઅલી ઝીણા, લીયાકત અલીખાન અને મુસ્લિમ લીગની બેફામ ભાગલાવાદી નીતિ અને તેને હિન્દુઓને ભોગે સમર્થન આપતી બ્રિટીશ સરકાર સામે આકરી ઝૂંબેશ પ્રગટ થઇ હતી.
૧૯૪૪ બાદ પલટાયેલો સમય અને સંજોગો જોતાં ગાંધીજીનાં ખૂન અગાઉ હિન્દુ મહાસભા અને આરએસએસની વિચારસરણી અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ અને નડીયાદ જેવા શહેરોમાં કેવી આબાદ રીતે ફેલાઈ હતી તે અંગેની ઝીણી વિગતો આ અખબારોમાંથી પ્રાપ્ત થયા વગર રહેતી નથી. સમગ્ર દેશનાં બોડી-પોલિટિકમાં નકરો ધર્મ-આધારિત રાષ્ટ્રવાદ હતો. ૧૯૦૬થી અને ખાસ કરીને ૧૯૩૫ પછી મુસ્લિમ લીગની સતત રીતે ચાલી આવેલી એન્ટી-હિંદુ અને એન્ટી-ઇન્ડિયન વિચારસરણીઓ અને પ્રવૃત્તિઓ અને દ્વિરાષ્ટ્રનાં સિધ્ધાંત સામે હિંદુ ઉગ્ર રાષ્ટ્રવાદીઓ ઉપરાંત સામાન્ય સ્ત્રીપુરૂષો બેહોશ થઇ ગયા હતા.
જો કે ગાંધીજીને ખૂન એ હિન્દુ મહાસભા અને આરએસએસની સહુથી મોટી અને કમઅક્કલ રાજકીય ભૂલ હતી. કોઈ મુસ્લિમ ભાગલાવાદી નેતાનું ખૂન કરવાની જરૂર હતી. ગુજરાત સમાચાર અને પ્રજાબંધુનાં જૂના અંકોમાં પ્રગટ થયેલા લેખો, કાવ્યો અને નાટકો જોવાથી જ સાચો ખ્યાલ આવી શકે. કે તેણે રાષ્ટ્રવાદ અને કોમવાદનું એનાલિસીસ કરીને છેવટે ૩૧ જાન્યુઆરીના રોજ 'હતભાગી રાષ્ટ્ર પર વજ્રઘાત' શીર્ષકને બૌધ્ધિક સ્વરૂપમાં કેવી રીતે આગળ ધપાવ્યું હતું. ગાંધીજીનાં ફોટોગ્રાફો સાથે ગુજરાત સમાચારે એમનાં ખૂનનાં અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. ગાંધીજીનાં ખૂને સમગ્ર વિશ્વને હતપ્રભ બનાવી દીધું હતું. આ વાત જાણીતી છે. તેને વાચા આપવા ગુજરાત સમાચારે એના ૧૫ ફેબુ્રઆરી ૧૯૪૮ના અંકમાં ઉમાશંકર જોશીની હૃદયવેધક તેમજ મનનીય કવિતા પ્રસિધ્ધ કરી હતી. આજે તે યાદ કરવા જેવી છે. તે ટાંકીને આ લેખ પુરો
કરીશું :
'રડો ન મુજ મૃત્યુને ! હરખ માય આ છાતીમાં
ન રે ! કયમ તમેય તે હરખતાં ન હૈયા અહીં ?
વીંધાયું ઉર તેથી કેવળ શું ર
ક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઉછળી
અરે કે રડો ?
હતું શું બલિદાન આ મુજબ
પવિત્ર પૂરું ન કે ?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય
તેથી રડો ?
તમે શું હરખાત જો ભય ધરી
ભજી ભીરૂતા
અવાક અસહાય હું હૃદયમાં
રૂંધી સત્યને
શ્વસ્યાં કરત ભૂત લે ?
મરણથી
છૂટયો સત્યને
ગળે વિષમ જે હતો કંઇક
કાળડૂમો ! થયું
સુણો પ્રગટ સત્ય : વૈર પ્રતિ પ્રેમ, પ્રેમને પ્રેમ જ !
હસે ઇશુ, હસે જુઓ, સુક્રતુ સૌમ્ય સંતો હશે.'
'અને ન રડીએ, પિતા મરણ આપનું પાવન,
કલંકમય દૈત્યનું રડી રહ્યા જીવન.'
(ક્રમશ:)
- મકરન્દ મહેતા