Get The App

સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News

P.C.R. એટલે ? પોલીસ કંટ્રોલ રૂમ, પોલીસ કે સીલીંગરૂમ કે કાઉન્સીલ ?

-  ડૉ. રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)

- અમારી ટૂંકી સમજપૂર્વક PCR એટલે 'પકડવુ, છોડવું-રૂશ્વત ! થાય !

 પ્રજા સરકાર પાસે દાલરોયે માગે છે ને મોદી સરકાર રાજ્યોની સરકારોને નબળો પાડવાનાં તમામે કામ હાથ પર ધરે છે.

- કાંતિલાલ જેઠાલાલ ઠક્કર (રાજકોટ)

- રાજ્યોની સરકારોને નબળી પાડવાની ક્યાં જરૂર છે ? મરેલાને મારવાનો શો અર્થ ?

 સુખી દાંપત્યજીવન માટેનો રામબાણ ઇલાજ ?

-  સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)

- એકબીજાને ગમા-અણગમાનો ખ્યાલ રાખવો ! પરસ્પર સામેના પાત્રને ના ગમતું કામ કે ન ગમતી વાત ખંતપૂર્વક ટાળવી !

 પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલે શું ?

-  રામભાઈ ડી. પટેલ (ભાવનગર)

- પહેલી જ પ્રપોઝલમાં તમાચો !

 કરકસર અને કંજુસાઈ વચ્ચે ફરક શું ?

-  રક્ષિત વોરા - ક્ષિતિજ (ગાંધીનગર)

- ઉદારતા અને ઉડાઉપણા વચ્ચે હોય છે એટલે ફરક !

 મોટર વ્હીકલના કાયદા બનાવનારને કેમ લાયસન્સ કે હેલ્મેટની જરૂર પડતી નથી ?

-  કનૈયાલાલ હરિભાઈ ભાવસાર (વડનગર)

- દાયણને પ્રસુતિની પીડા વેઠવી પડે ખરી ?

 ગાયક કલાકારો સ્ટેજ પર ગાતી વખતે પગ પહોળા કરીને કેમ ગાતા હશે ? શું ગીતનું બેલેન્સ જાળવવા માટે ?

- અમૃત કે. સોલંકી (બોટાદ)

- એ તમને મનોરંજન આપવા આવ્યો છે. સૈનિકની જેમ સેલ્યુટ મારવા નહિ ?

 માણસને ક્યો ગ્રહ નડે છે ?

- સુરેખા દિલીપ વોરા (અમદાવાદ)

- પૂર્વગ્રહ !

ચિદંબરમ્ ધરપકડ પહેલાં ક્યાં સંતાયા હતા ?

- અમારે ત્યાં તો નહિં જ !

જૂના જમાનાના ગીતો પચાસ વર્ષ પછી પણ યાદ રહે છે. આજના ગીતો પચાસ દિવસ પણ યાદ રહેતા નથી !

- ધવલ સોની (ગોધરા)

- લોકો ગીતને યાદ રાખે છે. ઘોંઘાટને નહિ ! આજના ગીતોમાં પચાસ દિવસ યાદ રહે એવું ગીત તમને ક્યાંથી જડયું ?

અહીં ગંદકી કરવી નહીં એવું લખાણ હોય છે ત્યાં જ લોકો ગંદકી કરે છે એનું કારણ શું ? લોકોની સોચ બદલવા ઉલટું લખી શકાય ?

- સૈયદ અકબર અલી (ઇલોલ)

- એ લખાણ પરથી જ સાબિત થાય છે કે અહીં ગંદકી થતી જ હશે તો લાવને થોડીક ગંદકી હું ય ઉમેરતો જાઉં ! લોકોની માનસિકતા બદલવાની જરૂર છે. માનસિકતા બદલાશે તો સ્થિતિ પણ બદલાશે !

૩૧ ડિસેમ્બરે મદીરા અને શ્રાવણ માસમાં જુગાર રમવાની પ્રથા કેમ છે ?

- મીના નાણાવટી (રાજકોટ)

- એ દિવસોમાં આનંદની અભિવ્યક્તિ માટેની એ પ્રથા છે ! પણ ખૂબ કઢંગી પ્રથા છે ?

ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે, એવું કહેનાર ગાયને દોહીને પછી સડકો પર રખડી કેમ મૂકી દે છે ?

- બચુભાઈ સોની (ધોરાજી)

- તેત્રીસ કરોડ દેવો એની સારસંભાળ રાખશે એ શ્રદ્ધા સાથે ગાયને રખડતી મૂકે છે ?

મંદિરો અને દેરાસરોનાં બાંધકામ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એટલો ખર્ચ દેશની રક્ષા કરતા દેવસમાન સૈનિક પાછળ કેમ ખર્ચાતા નથી ?

- મણિબેન પટેલ (ઉંટડી-જિ. વલસાડ)

- સૈનિક પાછળ ખર્ચે તો નામના શું મળે ? વળી મંદિરો અને દેરાસરોમાં દેશના રક્ષણ માટેની પ્રાર્થનાઓ પણ થતી હશે ને ?

ઘરમાં કામવાળી હડતાલ પર જાય તો કોની હાલત ખરાબ થાય ? પતિની કે પત્નીની ?

- હંસાબેન ભરૂચા (મુંબઈ)

- એ દિવસે ઘરને તાળું મારીને પિકનિક પર ચાલ્યા જવાનું !

સંતો-મહંતો, સાહિત્યકારો વિગેરે એકબીજા પર આક્ષેપો કરીને વિવાદ શા માટે સર્જે છે અને એવોર્ડ શા માટે પરત કરે છે ?

- અંબરીશ ડી. મહેતા (અમદાવાદ)

- મોટા માણસને વગોવીને નાના માણસને લાઇટમાં આવી જવું હોય છે ! એવોર્ડ પરતની ઘટના આ વિવાદનો એક હિસ્સો છે ?

રાહુલ ગાંધી હવે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ નથી છતાં સોશ્યલ મિડિયામાં એને શા માટે ઉતારી પાડવામાં આવે છે ?

- ખુશ્બુ માલવ મારૂ (રાજકોટ)

- જે લોકો ગાંધી અને નહેરૂને દેશદ્રોહી કહીને ઉતારી પાડવામાં નાનમ ન લાગતી હોય, એમની સામે રાહુલ ગાંધીની શી વિશાત ?

રામચંદ્ર કહે ગયે શિયાસે, ઐસા કલજુગ આયેગા - બહુ ચાલેલી સ્કૂટર સસરા પીછે બેઠેગા !

- હરિભાઈ એ. બકરાણીયા (જામનગર)

- આ રીતે વહુ સસરાની સેવા કરે એમાં ખોટું શું ? સતયુગની વહુઓને આ પૂણ્ય પ્રાપ્ત નથી થયું.

નાના બાળક પાસે બિસ્કીટ અને મોબાઇલ મૂકીએ તો મોબાઇલ જ કેમ પસંદ કરે ?

- નૈષધ દેરાશ્રી (જામનગર)

- નાના બાળકો હંમેશાં કૌતુક અને કુતૂહલ પ્રત્યે જ આકર્ષાતા હોય છે. કોઇ પણ નવી વસ્તુને જોઈને બાળકની આંખમાં જે કુતૂહલ જોવા મળે છે એ કુતૂહલ આપણા મોટા થઈ ગયા પછી આપણી આંખ ગુમાવી ચૂકી હોય છે !

આપણા યુવાધનને વિદેશ વસવાટનું ઘેલું કેમ લાગે છે ?

- કિવાન ભાવેશ કાનાબાર (રાજકોટ)

- વિદેશમાં કામ મળે છે ને કામનું સાદું વળતર પણ મળે છે. આપણે ત્યાં કામ નથી મળતું. મળે છે તો પૂરતું વળતર મળતું નથી. શિક્ષિક યુવકનું શોષણ થાય છે. જોકે હવે વિદેશ અઘરું પડશે ! અમારી પ્રજાના પૈસાથી બહારના લોકોની બીમારીનો ખર્ચ અમારે શા માટે વેઠવો પડે ? એવો પ્રશ્ન કરીને પ્રમુખ ટ્રમ્પે ડાયસ્પોરાઓને અપાતી સહાયમાં કાપ મૂકવાનો સંકેત આપી જ દીધો છે.

છાપામાં એક જાહેરાત વાંચી - 'કૂતરું ખોવાયું છે' જડે તો આપેલ નંબર પર ફોન કરવો ! તો શું એમ કૂતરું મળે ખરું ?

- રવીન્દ્ર નાણાવટી (રાજકોટ)

- મળશે તો પણ બીજીવાર ભાગી જશે ! પાલતું કૂતરાની આ ખાસિયત છે !

તમને સાહિત્યકાર બનવાની પ્રેરણા પત્નીની કે અન્યની ?

- પ્રવીણ કાળીદાસ પટેલ (વિદ્યાનગર આણંદ)

- સમાજની દરેક બાબતને વિચારવાની અને નિરાકરણ શોધવાની નિ:સહાય લાગણીમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ છે.

હૈયામાં હામ અને ખિસ્સામાં દામ હોવા છતાં આજનો માનવી અસંતુષ્ટ કેમ છે ?

-પ્રિન્સ એન. રાઠોડ (ચાંદખેડા)

- વધુ પડતી ગજાબહારની અપેક્ષાઓ માણસને ક્યારેય સંતુષ્ઠ થવા દેતી નથી ?

દુ:ખોનો અંત ક્યારે આવે ?

- ગુલાબ બી. હીંડોચા 

(રાણા વડવાળા)

- સુખ આવે ત્યારે ! ત્યાં સુધી દુ:ખોથી ટેવાઈ જવું પડે !

પ્રધાનમંત્રીએ વિધવા બહેનો માટે પેન્શન યોજના કરી તો વિધુર માટે શું ?

- રજાહુસેન બચુભાઈ (મહુવા)

- વિધુર માટે પાછલી ઉંમરમાં માંદગીમાં સારવાર માટે નર્સપ્રદાન કરવાની યોજના વિચારાઈ રહી છે !

જ્યારે ચૂંટણી પર્વ આવે ત્યારે જ નેતાઓનાં અંતરાત્મા કેમ જાગે છે ?

- રોહિતકુમાર, ભાનુપ્રસાદ જોશી (ખંભાત)

-  તમેય મત આપીને પાંચ વર્ષ ઊંઘી જ જતા હોય છો ને ?

સર્જિકલ સ્ટ્રાઇક

વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.

સવાલ પૂછવા માટેનું સરનામું :

'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.

Tags :