ખજૂરાહોના મંદિર પરિસરે
'પૃથ્વીરાજ રાસો' ગ્રંથમાં ખજૂરાહોને 'ખજૂર પુરા' કે 'ખજિના પુરી' કહેવાયું
મધ્યપ્રદેશના ચંદેલા રાજવંશના સ્થાપક અને રાજા ચન્દ્રવર્મને પોતાની માતા હેમવતીની હોંશ અને ઇચ્છાને વરીને વિશાળ વનવિસ્તારમાં અસંખ્ય મંદિરો બાંધવાનો મનસૂબો કર્યો. જીવનનો ખાલીપો ભરી દેવા માટે, વિધિ- વિધાન કરવા માટે અને અંતે તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે ભક્તિ પંથમાં શ્રદ્ધા રાખનારી માતાને આ રાજાએ ખરા અર્થમાં એક અમૂલ્ય ભેટ ધરી. એને માટે છતરપુર જિલ્લાનું આ નાનકડું ગામ ખજુરાહો જ કેમ પસંદ કર્યું એની પાછળ પણ કારણ હતું. એક તો તે પ્રકૃતિની ગોદમાં બિરાજ્યું હતું અને બીજું ત્યાં ધર્મ અને શાસ્ત્રાર્થની આણ વરતાતી હતી. રાજા ચન્દ્રવર્મનના પિતા ચન્દ્રદેવને પણ અપાયેલી આ અનુપમ અંજલિ હતી.
કહેવાય છે કે ખજૂરાહો નગરના મુખ્ય દ્વાર પર ખજૂરના બે સુવર્ણ વૃક્ષોનું સુશોભન હતું. એ ક્ષેત્રમાં દસમી- બારમી સદીમાં ખજૂરના અસંખ્ય વૃક્ષો હોવાનું પણ નોંધાયું છે. મહાકાવ્યોમાં થયેલા નિર્દેશ મુજબ ઇ. પૂર્વે બસોમી સદી અને ત્યારબાદ ગુપ્તકાળમાં ઝૂમરા, ખોહ, નચના, દેવગઢ, પ્રાચીન મહોત્સવ નગર મહોબા, મનખેડા વગેરે નગરોમાં શિલ્પકળા અને મંદિરકળાનો ઉદય થઈ ચૂક્યો હતો. છતરપુર જિલ્લામાં પણ લાવા પથ્થરનાં નાનાં- મોટાં મંદિર બનાવાયા હતા. કાળક્રમે ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને શિલ્પકળા પણ વિકસી.
૧૯૮૬માં ખજૂરાહોનું સ્થાપત્ય રક્ષિત 'હેરિટેજ સાઇટ' ઘોષિત
૧૦૨૨માં અબુ રિહિન અને અલ બરૌની નામના યાત્રીઓએ ખજૂરાહો જોઈ તેને એ વિસ્તારની રાજધાની તરીકે ઓળખાવ્યું. મુહમ્મદ ગઝની સાથે ઇબ્નુલ અથીરે અહીંની યાત્રા કર્યાનો ઉલ્લેખ મળે છે. ૧૩૩૫માં ઇબ્ના બતૂનાના વર્ણન મુજબ અહીં એક વિશાળ તળાવ હતું જે એક માઇલના ઘેરામાં હતું એને કાંઠે અનેક મંદિરો અને અનેક મૂર્તિઓ પણ નોંધાઈ હતી. અલબત્ત, ઘણાં સ્થાપત્યો જાણી જોઈને ખંડિત કર્યાના ઉદાહરણ પણ મળે છે. તળાવના મધ્ય ભાગમાં બાલૂ પત્થરના કેટલાક ગુંબજ અને ખંડ મળી આવ્યા હતા.
ચૌદમી શતાબ્દી સુધી તો ખજૂરાહો કેવું હતું તેનું વર્ણન મળે છે અને પેલા તળાવનું નામ નિનોરતાલ હોઈ શકે કારણ કે એને અગ્નિ ખૂણે જ ખજૂરાહો ગામની સાબિતી આજે પણ મળે છે. અહીંથી પ્રાપ્ત શિલાલેખો મુજબ પ્રથમ લક્ષ્મણ મંદિર ઈ. ૧૫૪માં અને દ્વિતીય વિશ્વનાથ મંદિર ઇ. ૧૦૦૨માં સર્જાયાનું જાણવા મળે છે. ગામના પૂર્વ કિનારે બ્રહ્મા જવારી અને વામન મંદિર છે અને પશ્ચિમ કિનારે મતંગેશ્વર, લક્ષ્મણ, વરાહ, વિશ્વનાથ અને નંદી મંદિર મળે. હાલ, મંદિર પરિસરમાં ક્યાંય તળાવના અવશેષો દેખાતા નથી. સોળમી શતાબ્દિમાં તો ખજૂરાહોના મંદિરો કાળની ઉંડી ગર્તામાં વિલીન થયેલાં દીસે છે એટલે તો 'આઇન-એ-અકબરી'માં એનો કોઈ ઉલ્લેખ મળતો નથી.
૧૮૩૮માં ખજૂરાહોના મંદિરોનો પુનર્જન્મ
નોંધાયેલી તવારિખ પ્રમાણે યાત્રી અને કલાપ્રેમી અંગ્રેજ અધિકારી ફ્રેંકલિનને ખજૂરાહોના આ મંદિરો ખંડેરરૂપે મળી આવ્યા અહીંની મૂર્તિકળા અને સ્થાપત્ય કળાથી પ્રભાવિત અંગ્રેજ સરકારે એનું વિસ્તૃત સર્વેક્ષણ કરી અનેક કળાપ્રેમીઓ માટે આ સ્થળનાં દ્વાર ખોલી આપ્યા અને ત્યારબાદ એને માટેનું વિપુલ સાહિત્ય પણ ઉપલબ્ધ થયું તેથી જ હવે આ એક પ્રમુખ પર્યટન સ્થળ તરીકે કળાકારો ઉદિત દીસે છે. ચંદેલા વંશના બાવીસ રાજાઓએ બનાવેલા પંચ્યાસી મંદિરોમાં જે પચીસ-ત્રીસ જેવા મંદિરો બચ્યા છે તે આપણી ઉત્તમ કલા ધરોહર છે.
સાંજ પડે 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' દ્વારા અહીં મુલાકાતીઓને ખજુરાહોની ખૂબીઓથી અવગત કરવામાં આવે છે. બાકી, આપણો સમય, આપણી દ્રષ્ટિ અને આપણી રસવૃત્તિ ભેળાં થઈને આ મંદિરોને પામવાનો પ્રયત્ન જરૂર કરે. આદિ કાળથી અંતિમ એક જ મંદિર- મંગતેશ્વરમમાં પૂજાનો નિયમ પળાતો હતો તે આજ સુધી બરકરાર રહ્યો છે. હા, વર્ષમાં એકવાર યોજાતો 'ખજૂરાહો સમારોહ' જેમાં નૃત્ય, નાટક, સંગીત, સાહિત્યની પૂજા થાય છે તે વિશ્વસ્તરે વિખ્યાત થયો છે અને કલાચાહકો ઉમંગભેર અહીં મેળે મહાલવા આવે છે. મંચની પશ્ચાદભૂમાં આવેલા મંદિરોની ઉંચાઈ કળાની ઉંચાઈ સંગે ખભેખભા મિલાવી સૌંદર્ય લહરીને વહાવતી રહે છે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગે ૧૯૦૪માં ખજૂરાહોના પુનરુદ્ધારની યોજના ઘડી
આ મંદિર પરિસરમાં સમય સાથે અને રાજ્ય સાથે મેળ બેસાડતા કળાપ્રવાહમાં વિવિધતા દેખીતી રીતે નોંધી શકાય છે. મંદિરની બહારની દિવાલો પર જનજીવનનું ચિત્રણ મળે છે. ભારતમાં સ્થાપત્ય કળાની શૈલીને ત્રણ વિભાગમાં વહેંચી શકાય (૧) નાગર શૈલી - બહુધા ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વિકસી. (૨)વે સર શૈલી- મૈસૂર લિબિડ અને બેલૂરના મંદિરોમાં દેખાય છે. (૩) દ્રવિડ કે દ્રવિણ શૈલી - જે દક્ષિણ ભારતીય મંદિરોમાં દ્રષ્ટિગોચર થાય છે.
ખજૂરાહોના મંદિરો નાગર શૈલીના અતિ સુંદર અને વિકસીત કળાથી ભરપૂર છે. ઉંચા ઓટલા પર પર્વતની જેમ ઉત્તરોત્તર ઉન્નત થતા જઈ એ શિખરોથી સુસજ્જિત લાગે છે. પશ્ચિમી સમૂહ પૂર્વીય સમૂહ અને દક્ષિણી સમૂહ. આ અદ્વિતીય સંકુલ ચીલાચાલુ બાંધકામથી પરે છે. કદની દ્રષ્ટિએ ભવ્ય છતાં હળવા ભાસે છે. દરેક મંદિરના દરેક વિભાગને પોતાનું છાપરું છે. બહારની દિવાલે ક્રમશ: વિભાગો ગોઠવાતા જાય અને મધ્યવાળો ભાગ આખરે સૌથી ઊંચો હોય. ભોંયતળિયાનો ભાગ ઓટલે મઢેલો લાગે. હવે નામધારી મંદિરો તરફ.
લસરકો: વિશ્વનું ભવ્ય કલાત્મક અચરજ તે ખજૂરાહોના દેવસ્થાનો