હજારો સૂર્યના તેજથી પણ વધુ તેજસ્વી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ની વિશેષતા એ છે કે એ પ્રત્યેક યુગે અને પ્રત્યેક વ્યક્તિએ નવીન, મૌલિક અને વિશિષ્ટ અર્થો ધારણ કરે છે. સામાન્ય રીતે ગ્રંથનો અભ્યાસ કરીને એના સાર પ્રાપ્ત કરીએ એટલે એનું સઘળું વિચારભાથું મળી જાય, પરંતુ શ્રીમદ્ ભગવદ્ગીતા એક એવો ગ્રંથ છે કે જે પ્રત્યેક વ્યક્તિને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણને વિચારભાથું આપે છે એટલું જ નહીં, પણ એક જ વ્યક્તિ પોતાના જીવનની ભિન્ન ભિન્ન સ્થિતિ અને અવસ્થાએ આ ગ્રંથ વાંચે ત્યારે એને એના શબ્દોમાંથી નવા નવા અર્થો અને તારણો મળે છે.
આનું કારણ એ છે કે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'માંથી માનવઆત્માને કટોકટીની વેળાએ સમસ્યાઓના પ્રત્યુત્તર મળે છે. એ કટોકટી વૈશ્વિક પરિસ્થિતિની હોય, સામાજિક મૂંઝવણોની હોય, રાજકીય સંઘર્ષની હોય કે આધ્યાત્મિક ભીડની હોય. એ કોઈ પ્રાચીન પ્રથાની હોય કે અર્વાચીન માનવીની હોય. આ પ્રશ્નોના ઉત્તર શ્રીમદ્ ભગવદ્ ગીતા પાસેથી મળે છે, કારણ કે આ ગ્રંથ એ શાંતિમય જીવનનું સમાધાન, પૂર્ણ સત્યનો પ્રકાશ અને જીવન વિશેનું ઉદાત્ત ચિંતન-એ સર્વને વ્યાપી વળે છે.
આથી ગીતા એ કોઈ એક ધર્મ કે પંથનો ગ્રંથ બનવાને બદલે પ્રત્યેક સમયે વિશ્વમાનવને દોરવણી આપનારો ગ્રંથ બની રહ્યો. એ દ્રષ્ટિએ ગીતા એ માનવશાસ્ત્ર છે અને જ્યાં સુધી મનુષ્યમાં વૃત્તિ, વિચાર અને ભાવનાઓ રહેશે, ત્યાં સુધી શ્રીમદ્ ભગવદ્ગીતા પાસેથી વ્યક્તિને બોધપ્રાપ્તિ થતી રહેશે.
ગહન રહસ્યોને શ્રીમદ્ ભગવદ્ગીતા અત્યંત સરળતા અને સાહજિકતાથી સમજાવે છે, તેથી જ એ વિશ્વવ્યાપી અને સર્વજન સ્પર્શી બની રહે છે. ગીતાનો આપણા જીવન સાથે ગાઢ નાતો છે. વ્યક્તિના જીવનનો જેમ જેમ વિકાસ થતો જાય, તેમ તેમ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી એને નવા નવા અર્થો અને નવી નવી સમજ પ્રાપ્ત થાય છે.
આ ગ્રંથ પર ભારતના ઋષિઓ, વિચારકો અને સાહિત્યકારો સહુએ પોતપોતાની સમાલોચના કરી છે, પરંતુ વિદેશના વિદ્વાનો, વિચારકો, સાહિત્યકારો અને ઇતિહાસકારોને પણ ગીતા એટલી જ સ્પર્શી ગઈ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે વિદેશની વ્યક્તિઓએ આપેલા અભિપ્રાયો જોવા રસપ્રદ બનશે.
મોગલ સમ્રાટ શહેનશાહ અને બેગમ મૂમતાઝ મહલના જ્યેષ્ઠ પુત્ર અને ગાદીવારસ દારા શિકોહે ફારસી ભાષામાં સૂફી વાદની સાત કૃતિઓનું સર્જન કર્યું છે. એણે 'યોગવશિષ્ટ ગીતા' અને 'પ્રબોધક ચંદ્રવિદ્યા' જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો. આ વિદ્વાન અને અભ્યાસી દારા શિકોહને ગીતા એક આનંદદાયીની કૃતિ લાગી. એણે એની વિશેષતાનું વર્ણન કરતાં કહ્યું કે, આ કૃતિ એ માનવીને સચ્ચાઈનો માર્ગ બતાવનારી, એના હક્કને જાણવાવાળી, ભિન્નતા અને એકતા બંને કહેનારી છે.
એથી ય વિશેષ મહાભારતના કર્તા વેદવ્યાસને 'વિલક્ષણ મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાાની' તરીકે ઓળખાવીને એણે કહ્યું કે, ''એ વ્યક્તિના ગુણાનુવાદ કરવા એ એની વાણી અને એની કલમની શક્તિની બહાર છે'' અને આ માટે દારા શિકોહ યુરોપના દાર્શનિકોના શિરોમણિ એવા એરિસ્ટોટલનો સંદર્ભ આપીને વેદવ્યાસની મહાનતા દર્શાવવાનો પ્રયાસ કરે છે.
ઇંગ્લેન્ડના ૧૯મી સદીના પ્રસિદ્ધ ઇતિહાસકાર, નિબંધકાર અને તત્ત્વચિંતક ટોમસ કાર્લાઈલને આ પુસ્તક વિખ્યાત કવિ ઇમર્સને ભેટ રૂપે આપ્યું હતું અને એણે કહ્યું કે, ''હું ભગવદ્ ગીતામાંથી સ્ફૂર્તિ મેળવું છું.''
જ્યારે રશિયાના મહાન નવલકથાકાર તોલ્સ્તોય એક જુદી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાસે જાય છે. તેઓ એ જાણવા માગે છે કે કઈ શક્તિના બળે મહાત્મા ગાંધીજીએ ચોવીસે કલાક કોઈને કોઈ સામ્રાજ્ય પર જેનો સૂર્ય તપતો હતો, એવી અંગ્રેજ સલ્તનતને ધુ્રજાવી દીધી ? આ શક્તિની પ્રેરણાનો સ્ત્રોત જાણવા એમણે પ્રયાસ કર્યો.
એમણે જાણ્યું કે મહાન બ્રિટીશ સલ્તનતને હચમચાવી મૂકનાર હાડપિંજર જેવું શરીર ધરાવનાર મહાત્મા ગાંધીએ ગીતાનું જ્ઞાાન જીવનમાં ઉતાર્યું હતું અને આ જાણકારી મળતાં તોલ્સ્તોયે સ્વયં ગીતાનું વાચન કર્યું. રશિયાનો આ નવલકથાકાર નોંધે છે કે આ ગ્રંથના વાંચનથી મને ''આધ્યાત્મિક આનંદનો લ્હાવો મળ્યો.''
ભારતમાં વાઇસરોય તરીકે આવેલા વૉરન હેસ્ટિંગ્સ શ્રીમદ્ ભગવદ્ ગીતાથી ઘણો પ્રભાવિત થયો હતો. એણે કહ્યું કે ''કોઈ પણ જાતિને ઉન્નતિને શિખરે પહોંચાડવા માટે ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.''
જ્યારે એની ચીની ભાષામાં અનુવાદ કરનાર તો આ ગ્રંથ પર વારી ગયો હતો. એ શ્રીકૃષ્ણના જ્ઞાાનથી એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો હતો કે રોજ ત્રણ-ચાર વખત કૃષ્ણ વિરહનો અનુભવ કરીને રૂદન કરતો હતો. એની આ અપ્રતિમ કૃષ્ણભક્તિને કારણે ચીની લોકોએ એનું નામ કિષનજી (કૃષ્ણજી) પાડયું હતું. મજાની વાત એ છે કે 'કિષનજી'ના નામે સર્વત્ર એટલો બધો જાણીતો થયો કે આજે એ ચીની કૃષ્ણભક્તનું મૂળનામ કોઈ જાણતું નથી !
'શ્રીમદ્ ભગવદ્ ગીતા' વિશે વિચારીએ તો ખ્યાલ આવશે કે કાળનો પ્રવાહ ગમે તેટલો વહી જાય, મોટા-મોટા યુગ પલટાઓ આવે અને માનવસમાજ પણ બદલાઈ જાય, તેમ છતાં કેટલીક કૃતિઓ એવી હોય છે કે જે શાશ્વત અને સનાતન હોય છે. એમાં આલેખાયેલાં વિષયો અને ચર્ચાયેલા પ્રશ્નો માનવી આ પૃથ્વી પર જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી એ પ્રસ્તુત બની રહે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા એ વિશ્વના વિચારકો અને ચિંતકો, શાસકો અને સાધકો - સહુ કોઈને નવું દર્શન આપતી રહે છે. આ કૃષિ મનુષ્ય જાતનો એવો અમૂલ્ય વારસો છે કે જે એક પેઢી બીજી પેઢીને અને બીજી પેઢી ત્રીજી પેઢીને આપે છે. ભારતમાં જેનાં કાયદાઓએ મોટી આંધી જગાવી હતી અને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના બે ભાગ પડયા હતા એવો વાઇસરોય વોરન હોસ્ટિંગ્સ એના અંગત જીવનમાં સાહિત્યરસિક હતા
અને ભારતના આ વાઇસરોયને ભગવદ્ગીતા એટલી બધી સ્પર્શી ગઈ હતી એમને એની શાશ્વત ભાવનાનો સ્પર્શ થયો. એમણે તો ત્યાં સુધી કહ્યું કે, 'કોઈપણ જાતિને ઉન્નતિને શિખરે આરોહણ કરવું હોય તો તેને માટે શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.'
તો આની સામે આ સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ વિદ્વાન અને વૈશ્વિક સંસ્કૃતિના મહાન ગ્રંથોના રચયિતા એવા ડૉ. આર્ન્લોડ ટોયમ્બીએ કહ્યું કે જો મને એક જ પુસ્તક રાખવાનું કહેવામાં આવે તો હું શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખું. મહાન સંસ્કૃતિવિદ્ વિદ્વાનનું આ વાક્ય જ ગીતાની અપૂર્વ ગરિમા પ્રગટ કરે છે. ગીતા એ મનુષ્ય જીવનની દીવાદાંડી છે.
ઇંગ્લેન્ડના સર એડમન્ડ આર્નોલ્ડે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો અને એની સાથોસાથ એમણે નોંધ લખી કે ''આશ્ચર્યજનક ભગવદ્ગીતાનો હું અનુવાદ કરું છું. જો હું એમ ન કરું તો ભારતવર્ષનો સર્વપ્રિય કાવ્યમય ગ્રંથ અંગ્રેજી વાચકોને મળે નહીં અને અંગ્રેજી સાહિત્ય ચોક્કસપણે અપૂર્ણ રહે.''
એવી જ રીતે પ્રો. ઑપનહેમરે પોતાના અણુબોંબ વિશેના પુસ્તકનું Brighter than Thousands Suns નામ રાખ્યું. એણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આલેખાયેલાં 'હજારો સૂર્યના તેજથી પણ વધુ તેજપૂર્ણ' એ શબ્દોના આધારે પોતાના પુસ્તકનું શીર્ષક રાખ્યું હતું અને ખુલ્લા દિલે આ જર્મન સંશોધકે સ્વીકાર કર્યો કે અત્યાર સુધી લખાયેલાં તમામ પુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ગીતા સૌથી મહાન પુસ્તક છે.
એ જ રીતે જે. એન. ફરક્યુહર પણ ગીતાની અનન્યતા દર્શાવતા લખે છે કે 'શ્રીમદ્ ભગવદ્ગીતા જેવી વ્યાપક લાભદાયી અને વ્યવહારિક પ્રભાવ ધરાવતી અન્ય કોઈ કૃતિ વિશ્વના સમગ્ર સાહિત્યમાં પ્રાપ્ત થતી નથી. એમાં તત્ત્વજ્ઞાાનનું આલેખન હોવા છતાં કાવ્યની માફક એ નવીન અને રસપૂર્ણ છે. તાર્કિક શૈલી હોવા છતાં આ એક ભક્તિગ્રંથ છે.' આમ કહીને ફરક્યુહર એક મહત્ત્વની બાબત પ્રત્યે અંગૂલીનિર્દેશ કરે છે અને કહે છે,
'પ્રાચીન ભારતનો ઇતિહાસ અત્યંત ભયાનક એવા મહાભારતના યુદ્ધનું અભિનયપૂર્ણ દ્રશ્યચિત્ર હોવા છતાં એ શાંતિ અને સૂક્ષ્મતાથી પરિપૂર્ણ છે. ગીતાની રચના સાંખ્ય સિદ્ધાંતો પર આધારિત હોવા છતાં એ ગીતા પ્રભુની અનન્ય ભક્તિનો પ્રચાર કરે છે અને તેથી અધ્યયન માટે ગીતા જેવી અત્યંત આકર્ષક સામગ્રી અન્યત્ર પ્રાપ્ત થતી નથી.'
આને કારણે તો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલા અને ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા એવા સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે, ''આપણે હંમેશાં યાદ રાખવાનું છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નિર્માણ વેદ અને ઉપનિષદોના સર્વોત્કૃષ્ટ અંશોને આધારે થયું છે.''
આવી જ રીતે 'શાંકરભાષ્ય'નો ફ્રેંચમાં અનુવાદ કરનાર પોલ હર્બર્ટ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વારી ગયો હતો. તેઓ ભગવદ્ ગીતાના અભ્યાસી હતા. એટલું જ નહીં પણ જુદી જુદી ભાષાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રગટ થયેલી આવૃત્તિઓનું સૂચિપત્ર પણ તૈયાર કર્યું હતું. એમણે સ્વયં ગીતા વિશેના પોતાના આંતર અનુભવને પ્રગટ કરતાં લખ્યું,
'મેં શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથનો કેવળ સંગ્રહ જ કર્યો નથી, પરંતુ એ બધાનો અભ્યાસ કરીને શ્રીકૃષ્ણના શાશ્વત ઉપદેશને મારા વ્યક્તિગત રોજિંદા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.'
મહમ્મદ હાફિજ સૈયદને પણ આ ગ્રંથની એટલી બધી ઉપયોગીતા લાગી કે એમણે કહ્યું કે, 'હિંદુધર્મના અનુયાયીઓનો એક મોટો વર્ગ સાચા દિલથી શ્રીકૃષ્ણને અવતારપુરુષ અને ગીતાને એમની દિવ્યવાણી માને છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા યોગનો એક એવો ગ્રંથ છે કે જે કોઈ જાતિ, વર્ણ કે ધર્મવિશેષને બદલે સમગ્ર મનુષ્યજાતિને ઉપયોગી થઈ શકે તેમ છે.'