Get The App

પોળોનો ખોળો: ગુજરાતની ગરવી 'જંગલ બૂક'!

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

Updated: Nov 17th, 2019

GS TEAM

Google News
Google News
પોળોનો ખોળો: ગુજરાતની ગરવી 'જંગલ બૂક'! 1 - image


ચોમાસું હજુ પૂરું નથી થયું અને શિયાળો બેસવામાં છે, ત્યારે ગુજરાતની આ વન ડે ફન ટ્રિપની મોજ માણવા જેવી છે!

અહીં ચોક્કસ એક સમયે સમૃદ્ધ નગર હશે. પણ તો આ ટેમ્પલ કોમ્પલેક્સ નોધારૂં મૂકીને અચાનક બધા ક્યાં ગયા કે જંગલ એને ધીરે ધીરે ગળી ગયું? 

''દરેક પહાડ પરથી આગળ વધવાનો એક રસ્તો હોય છે, પણ ખીણમાં બેઠા રહેવાથી એ દેખાતો નથી!''

થિઓડોર રેટકીનું આ ક્વૉટ છે, વોન્ડર્સ એન્ડ એક્સપ્લોરર્સ માટેનું. રખડુઓ અને શોધકોને પ્રેરણા આપતું. જો સતત ચાલતા રહો, પ્રવાસ કરો તો એવું એવું જડવા લાગે કે જે અગાઉ કોઇએ જોયું ન હોય! લાઇક પર્સી બ્રાઉન. ૧૮૭૨માં બ્રિટનમાં બર્મિંગહામ ખાતે જન્મેલા આ સ્કોલર આર્કિયોલોજીસ્ટ (પુરાતત્વશાસ્ત્રી)એ ગુજરાતમાં સોલંકીયુગના મંદિરો જંગલ-વનવગડામાં દુર્ગમ વાટ, હિંસક પશુઓ અને આદિવાસીઓ વચ્ચે રઝળપાટ કરીને જોયા. અને ઈતિહાસના અંગારા પરની રાખ ફુંક ઊડાડીને ચમકાવી.

એમનું 'ઈન્ડિયન આર્કિટેકચર' પુસ્તક વાંચીને ૧૯૫૬માં એક ગુજરાતી વિદ્વાન હરિભાઇ ગૌદાનીએ એમની ઓલરેડી દેશ-પરદેશમાં વિસ્તરી ગયેલી મુસાફરીને વતન ગુજરાતના શિલ્પસ્થાપત્યો તરફ વાળી. ડૉકટર હોવા છતાં પ્રવાસ-લેખન-ફોટોગ્રાફીના શોખીન ગૌદાનીસાહેબે અંગ્રેજોની આંગળી પકડીને ખોજની મોજનો માર્ગ અપનાવનાર એ સજ્જને ફરી વાર વનવગડામાં દટાઇ ગયેલી સોલંકીયુગની વિરાસત જેવા મંદિરોની  કહાણીને સજીવન કરી.

મૌર્ય, ગુપ્ત, મૈત્રક જેવા કાળ જેવો ગુજરાતનો પ્રસિદ્ધ ચૌલુક્ય કાળ એટલે સોલંકીયુગ. જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં શિલ્પસ્થાપત્ય સોળેકળાએ ખીલ્યું. ઉત્તર ભારતની સરખામણીએ ગુજરાત ત્રણેક સદી મોડું મુસ્લીમ શાસનમાં ૧૪મી સદીમાં ગયું. એ પછી રાજ્યાશ્રય બંધ થયો. અમુક સ્થાપત્યો ખંડિત થયા, અમુક કાળના ગર્ભમાં ખોવાઇ ગયા. અમુક જંગલમાં દટાઇ ગયા હોવાને લીધે કુદરતની ગોદમાં બચી ગયા. જેમ કે, સુપ્રસિદ્ધ એવું મેશ્વો નદી  પાસેનું શામળાજી.

એવું જ એક કાળના પટારામાં બંધ સ્થળ એટલે ઈડરથી થોડે આગળ ફંટાતા રસ્તે વિજયનગર વિસ્તારમાં ખેડબ્રહ્મા-વડનગરની નજીક આવેલું 'પોળો'! ના, અમદાવાદની પોળો નહિ. રાજસ્થાની ભાષામાં પોળો એટલે પ્રવેશદ્વાર. એન્ટ્રી ગેઇટ. આ નામ સરહદી વિસ્તાર બે સંસ્કૃતિઓના સંગમનો હોઇને કદાચ પડી ગયું હશે. એ પોળોમાં બહુ મોટા નહિ એવા અમદાવાદમાં સરખેજ ચોકડીથી થલતેજ ચોકડી સુધીનો ગણાય એટલા વિસ્તારમાં મળી આવ્યો ખંડેરોનો ખજાનો!

ખંડેર ને વળી ખજાનો? જી હા. કળા અને કુદરતનો ખજાનો. સ્થાપત્ય અને સૌંદર્યનો ખજાનો. હરખ અને હરિયાળીનો ખજાનો. શિલ્પ અને શીતળતાનો ખજાનો. પથ્થર અને પાણીનો ખજાનો. પોળો આઝાદી પછી પુરાતત્વ ખાતાના હાથમાં રક્ષિત થયા પછી ય નધણિયાતું પડી રહ્યું. ત્યાંના પરદેશમાં હોય તો લાઇવ મ્યુઝિયમ બને, અરે રાજસ્થાનમાં હોય તો ટુરિસ્ટ એટ્રેકશન બને એવા કોતરકામવાળા પથ્થરો અને મૂર્તિઓ દલા તરવાડીની જેમ કેટલાય ઊઠાવીને લઇ પણ ગયા. અમદાવાદથી એકસો ત્રેસઠ કિમીના, અંબાજીથી ૮૦, હિંમતનગરથી ૬૦ કિમીના અંતરે જ હોવા છતાં આ સરસ સ્પોટ પર કોઇનું ફોકસ ન રહ્યું.

પણ દાયકાઓ બાદ ત્યાં એ વિસ્તારમાં કવિજીવ રમેશ ઠક્કર સરકારી અધિકારી તરીકે 'સ્વર્ણિમ ગુજરાત' આસપાસના ગાળામાં આવ્યા. સંવેદનશીલ શિક્ષક જગદીશ ભટ્ટ સાથે મળીને વિજયનગરના વારસાનો ફરીને અભ્યાસ કર્યો. એ જ વિસ્તારમાં જન્મેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બનીને ય આવું પ્રમોશન ભારતની અવનવી જગ્યાઓનું કર્યા કરે છે. એમણે સાબરકાંઠાની આ સમૃદ્ધિને સપોર્ટ કરવામાં રસ લીધો, અને પોળો ફરી ચમક્યું. આસપાસ જંગલી જનાવરો તો સમય જતાં ઓછાં થયા જ હતા. રીંછ-દીપડા ઘટયા હતા. ગાઢ જંગલ થોડું પાંખુ અને ઓછું જોખમી થયેલું.

પોળોનો ખોળો: ગુજરાતની ગરવી 'જંગલ બૂક'! 2 - image

રસ્તાઓ બન્યા, સાફસૂફી થઇ. સ્થાનિકોનો સહકાર મળ્યો. પછીથી કચ્છના રણોત્સવની જેમ ગુજરાત સરકારે ચોમાસામાં અપ્સરાની જેમ ખીલી ઊઠતા પોળોની મુલાકાતે એનઆરઆઇઓ બેસતા શિયાળે આવે એ માટે પોળો ઉત્સવ શરૂ કર્યો. ત્યાં ટેન્ટ સિટી જેવી કેમ્પસાઇટ બની. બહુ 'વિકાસ' ન થયો, એટલે રાત રોકાવા ફોરેસ્ટ ખાતાનું ગેસ્ટ હાઉસ રહ્યું. પણ આ ઈઝી સાઈટ હતી. સવારે જાવ તો આરામથી ફરી, ફોટોગ્રાફી-વનભોજન કરીને સાંજે આવી શકાય એવી. રાત્રિરોકાણની આવશ્યકતા નહિ. સૂર્યોદય પછી સ્થાપત્યનું સૌંદર્ય ખીલે, પંખીઓના  ટહૂકા સાથે.

જો કે, સમય જતાં પોળોની જે રીતે દેખરેખ થવી જોઇએ એમાં ઓટ આવી છે. પણ શનિ-રવિ આસપાસના શહેરી લોકોના 'પિકનિક સ્પોટ' તરીકે પોપ્યુલર થતાં વીકએન્ડમાં ત્યાં મેળો ભરાય છે. (કળા માણનારા પ્રવાસીઓ માટે સીધું સૂચન : શાંતિથી પોળોના જંગલો - મંદિરો ખૂંદવા હોય તો સોમથી ગુરૂના વીકડેઝમાં જવું બહેતર). અને પોળો ફેમસ થયું છે, પ્રિ વેડિંગ શૂટ માટે! યુવા યુગલો સાથે વિડિયોગ્રાફરોના ધાડાં અહર્નિશ ત્યાં ઉમટી પડે છે.

ફીચર ફિલ્મ નહિ તો ફેમિલી ફિલ્મ સહી એવું ત્યાં પથ્થરો ગીત ગાતા હશે ડાળીઓની સંગાથે! ઈનફેક્ટ, મસ્ત રીતે શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ 'સૂર્યાંશ'ના ઓલરેડી વેકેશન આર્ટિકલ્સમાં સજેસ્ટેડ 'મહુઆ' સોંગમાં પોળો બહુ નયનરમ્ય રીતે કેપ્ચર થયું છે. એ રીતે નર્મદાની કથા કહેતી સુંદર ફિલ્મ 'રેવા'માં ય અમુક લોકેશન પોળોના જંગલો અને મંદિરોના અવશેષોના છે.

સ્કેલમાં નાનું પડે, પણ કુળની રીતે દક્ષિણના ભવ્ય વિજયનગર સામ્રાજ્ય (મોગલો કરતાં વધુ વર્ષ ચાલ્યું હોવા છતાં આપણા ઈતિહાસમાં એ મહાન સામ્રાજ્ય વિશે વિશેષ ભણાવાતું જ નથી!)ના હમ્પી અને ખ્મેર સાંસ્કૃતિના કમ્બોડિયા (જૂનું કનોજ)ના વિશ્વના સૌથી વિરાટ અને ભવ્ય હિન્દુ મંદિરો અંગકોરવાટની પંગતમાં એની પતરાવળી નહિ, તો પડિયો પડે ખરો!

જો કે, ટિકટોકઘેલા ગુજ્જુઓ માટે પોળો એટલે ફોટો. મોટાભાગના તો ત્યાં રાજસ્થાન-કચ્છ જેવી જે 'છત્રી'ઓ પથ્થરની દેખાય છે, એને જ પોળોનું 'સ્થાપત્ય' માને છે. બાકીના 'શરણેશ્વર' (બોલાય છે 'શારણેશ્વર') મંદિરને અને લાખેણાના દહેરાં તરીકે ઓળખાતી સાઈટને. ત્યાં નાનીમોટી વીસેક જેટલી જગ્યાઓ છે. સરખો દિશાનિર્દેશ બધાનો નથી.

આ જંગલને આકંઠ પી ગયેલા નિવૃત્ત શિક્ષક જગદીશભાઇ કહે છે એમ થોડાક આયોજન વિના, વાંચન વિના આવનારા માત્ર લીલીછમ જગ્યાએ જોઇને જ પાછા ફરે છે. અહીં ગીરનારી ગીધથી પહેલવાન ચકલી સુધીનું બર્ડવૉચિંગ છે. કોઇ હોરર ફિલ્મની યાદ અપાવે એવા સ્પાઇડર વેબ યાને કરોળિયાના માણસથી યે વિરાટ જાળા છે, એ બધું ભાગ્યે જ કોઇ જુએ છે!

ઈવન ઉછળી ઉછળીને હિન્દુ સંસ્કૃતિની વાતો કરનારામાં બહુ ઓછા હશે જેને મંદિરમાં સ્થાપત્યની શૈલીઓમાં ખબર પડે. નાગર શૈલી, જગતી, મંડોવર, ગજપીઠિકા, નરથર, યક્ષિણી, તોરણ જેવા મંદિરના સ્થાપત્યના હિસ્સાઓ છે. પાળિયામાં ય ખાલી હાથી કે ઘોડો હોય તો માલિક માટે એણે પ્રાણ આપ્યા હોય. સૂરજ-ચંદ્ર-તારા હોય તો 'યાવત્ચંદ્રદિવકરૌ' (જબ તક સૂરજ ચાંદ રહેગા) એ વીરગતિનું અમરત્વ કોતરાયેલું હોય, એ બધું પથ્થર પરની આકૃતિની  જેમ જ ઝડપભેર ઘસાતું જાય છે!

પોળોના મંદિરોના ખંડેરો જો કે પઝલ છે. અહીં ચોક્કસ એક સમયે સમૃદ્ધ નગર હશે. પણ તો આ ટેમ્પલ કોમ્પલેક્સ નોધારૂં મૂકીને અચાનક બધા ક્યાં ગયા કે જંગલ એને ધીરે ધીરે ગળી ગયું? ડૉક્યુમેન્ટેશનમાં કાચી પ્રજા એવા આપણી પાસે અનુમાનો અને પાછળથી ઘડાયેલી કાલ્પનિક લોકવાર્તાઓ સિવાય કાળના કેલેન્ડરના એ પાનાઓ સદંતર ગાયબ છે! પરાજીત પ્રજાના ય ચિહ્નો તો હોય ને. અમુક સ્થાપત્ય તો દેખીતી રીતે જ અધૂરાં ઘડાયેલા છે.  કેમ? મુસ્લિમ આક્રમણકારીઓએ ખંડન કર્યું કે ચૂનાના પથ્થરો વાતાવરણમાં ઓગળીને ખરી પડયા?  કે ફિફટી-ફિફટી? અહીં આવું બધુંકામ કયા રાજવીએ કરાવ્યું?

આદિવાસીઓ ક્યારે આવ્યા? ત્યાં શિકારમાં ઘાયલ હરણના લોહીથી બની એટલે ચમત્કારિક 'હિરણાવ' (હરણાવ) નદી બની કે સંસ્કૃતમાં ગોલ્ડ માટે વપરાતા શબ્દ હિરણ્ય પરથી એના રૂપને બિરદાવતું નામ આવ્યું? પાંડવોની જગ્યાઓ ભારતભરમાં ઠેર-ઠેર છે, એમ પાંચ કેડીઓ ટોચ પર જાય એવો 'ભીમખેડા'નો ડુંગર ભીમની ગદાના પ્રહારે આવો બન્યો? શિવ-શક્તિ મંદિરો, સૂર્યમંદિર ને જૈન મંદિરો બધું આજુબાજુમાં કેવી રીતે? વાગડ જૈનની જેમ હુમ્મડ જૈન મંદિરો હોવાનું કહેવાય છે. એ આજે અપૂજ છે. મૂર્તિઓ હિમતનગર જતી રહી એવું કહેવાય છે. તો ઘોડા પર બેસેલી સૂર્યમૂર્તિ બાબતે અડધી સદી પહેલા જ એવું કહેવાતું કે એ પુજારીઓ - આદિવાસીઓએ જોયેલી પણ કોઇ ચોરી ગયું!

આજે ય હાલત ખાસ સારી તો નથી જ. અપૂજ મંદિરો હોઇને પવિત્રતાની 'માનસિક મર્યાદા' હટી જતા ત્યાં મહેનત કરીને અમુક 'કળાકારો' પથ્થર પર પોતાના નામ 'કોતરી' જાય છે! આટલું સમર્પણ જીવતર ઘડવામાં રાખે તો એના નામના મંદિરો હોય! આભાપુર અને આંતરસૂબાથી શરૂ થતા મંદિરો પાછળ આવી જ વીરતા, ત્યાગ, પ્રેમ, ઉદારતાની જીવનકહાણીઓ છે.

મંદિરના જગતી (બેઠકનો ચોતરો) કે તોરણ ગવાહી પૂરે છે, કે કોઇ રોગ કે કાળનું આક્રમણ થયું, અને જંગલબૂકના મોગલીને મળેલા કિંગ લુઇના આશ્રયસ્થાન જેવી હાલત થઇ, એ પહેલા એક જમાનો હશે જ્યારે નદીના કાંઠે, હરિયાળી વચ્ચે વિજયપતાકા  લહેરાતી હશે  સર્જકતાની સંસ્કૃતિની!

પોળોની નજીક જ વીરેશ્વરનું મંદિર છે. સતીએ પિતા દક્ષના યજ્ઞામાં પતિ શિવના અપમાનને લીધે અગ્નિસ્નાન કર્યું ત્યારે શિવે વીરભદ્રને પેદા કરી, એ યજ્ઞા ખેદાનમેદાન કર્યો એ કથા જાણીતી છે. બ્રહ્મહત્યાના પાતકને લીધે એ વીરભદ્ર તપ કરવા અહીં આવેલો, અને આગાહી મુજબ ઉમરાના વૃક્ષમાંથી ગંગાની ધારા નીકળી અને એના પાપ ધોવાયા, એ વાયકા છે. આજે ય મંદિરના આંગણામાં એ 'ગુપ્તગંગા'નો ઊંચો ફુવારો છે. થોડો ઊંચે 'ટ્રેક' કરો તો પેલું વૃક્ષ અને પથ્થરના પોલાણમાંથી નીકળતી જળધારા ય જોવા મળે. રસ્તો નાનકડો પણ રળિયામણો છે. ત્યાં નીચે નરસિંહ મંદિર પણ છે.

પોળોનો ખોળો: ગુજરાતની ગરવી 'જંગલ બૂક'! 3 - image

પોળોનું જંગલ પણ આ મંદિરો સિવાય માણવા જેવું છે. ચારસો ચો.કિમીમાં પથરાયેલું છે. સપ્ટેમ્બરથી મિડ-જાન્યુઆરી સુધી ચોમાસાને લીધે તાજું લીલુંછમ બની જાય. ત્યાં ૪૫૦ પ્રકારની ઔષધિઓ, ૨૭૫ જાતના પંખીઓ, ૩૦ પ્રકારના સસ્તન પ્રાણીઓ અને ૩૨ સરીસૃપો વસે છે. રીંછ, ઝરખ, દીપડા સાપ અને ઊડતી ખિસકોલી ય છે. ચોમાસામાં નાનકડાં મસ્ત ધોધ એમાં જોવા મળે. નાના-મોટા ટ્રેક્સ છે. વૃક્ષોથી છવાયેલા. ચાલીને થાકો ને બહાર મુખ્ય વિસ્તારમાં આવો તો જામફળ-સીતાફળ ખાઇ લીંબુપાણી પીને ફ્રેશ થઇ શકો!

શિલ્પની સફરમાં શરૂઆત આંતરસૂબા આશ્રમ પાછળના મંદિરથી કરી શકાય. પંદર ફીટની ઊંચાઇ પર એ આવેલું છે. એનું દ્વાર એટલે કે તોરણ હજુ અડીખમ છે. ત્યાં સૂર્યમંદિર છે અને દસમી સદીનું શિવમંદિર પણ છે. મંદિરના શિખરો પરથી વૃક્ષ ડોકિયાં કરે એવું દ્રશ્ય મનોહર લાગે. પણ આગળ જતાં એ રીતે પ્રકૃતિ કેવી રીતે માનવજાતના વિજયો ભૂંસી નાખે, એનો આંખે દેખ્યો અહેસાસ થાય! શિવશક્તિ - સૂર્યમંદિરથી આગળ સદેવંત-સાવળિંગાના નવ દેરાં આવે.

આ લવસ્ટોરી તો જૂના જમાનામાં ભારે જાણીતી હતી. લોકસાહિત્યમાં તો સેન્સર કરવા પડે એવા રૂપજોબનનો ઉત્સવ મનાવતા એના શૃંગારપ્રચૂર દોહરાં છે. જસવંતગઢ જવાના રસ્તે નદી પરનો પુલ પસાર કરી, કેડ સમાણા ઝાડીઝાખરામાં નજરે ચડે. સ્કંદગુપ્તના સેનાપતિ પટ્ટારકે પાંચમી સદીમાં ગુજરાત પર રાજ શરૂ કર્યું, પછી વલ્લભીપુર નગર વસેલું. માન્યતા મુજબ રામના ઈશ્વાકુવંશના એ રાજાઓ હતા. સદીઓ બાદ વલ્લભીપુરના આંતરકલહમાં બાહ્ય આક્રમણ થતા રાજા શિલાદિત્યનું મૃત્યુ થયું.

ભાગેલી રાણી મૃત્યુ પામી. ને સંતાનોમાં મોટી બહેન મંદોદરીએ ભાઇ ગુહાદિત્યને ઉછેર્યો. એ મોટો થયા પછી એ વિસ્તારના વીરનગરનો સ્થાનિક ભીલોની મદદથી રાજા થયો. એ ગુહાદિત્યના વંશજ બાળા રાવળે મેવાડની ગાદી સ્થાપી. એ ગુહાદિત્યની ત્રીજી પાંચમી પેઢીએ પેદા થયો રાજકુમાર સુદંત.

લોકબોલીમાં સદેવંતયુવાન સદેવંતને બચપણથી નગરશેઠની સ્વરૂપવાન દીકરી સાવળિંગા સાથે પ્રીત હતી. એક ક્ષત્રિય, બીજી વૈશ્ય. આજે ય પણ આંતરજ્ઞાાતીય પ્રેમલગ્નોના નામથી જડસુ ગમારો વર્ણસંકરના નામે નાકના ટીચકાં ચડાવે છે. એ જમાનામાં તો બચપણમાં વેવિશાળ થતાં. નગરશેઠે દીકરી સાવળિંગના લગ્ન તો વડનગરના નગરશેઠના પુત્ર રૂપાશા સાથે કરેલા. પણ જાન આવી ત્યારે સાવળિંગાએ પોતાની સખી લવંગિકાને વધૂ તરીકે ઘૂંઘટમાં બેસાડી. 

ત્યારે જોવા-મળવાનું હતું નહિ. એ પોતે એની દાસી તરીકે વડનગર ગઇ. લવંગિકાને સાળવિંગા સમજીને રૂપાશાએ સંસાર શરૂ કર્યો, પણ એની બહેન લીલાવતીને શંકા ગઇ. છળ ખુલ્લુ પડતા સાવળિંગાએ હકીકત કહી. ''દિલ તો સદેવંતનું છે. દેહથી જો રૂપાશા સાથે પરણવાનું આવશે, તો આપઘાત કરીશ. બાકી દાસી તરીકે આજીવન અપરણીત રહી સેવા કરીશ'' એવું કહ્યું.

લીલાવતીએ ભાઇ અને પિતાને સમજાવ્યા.. રૂપાશાને તો આમ પણ સુંદર અને કળાપ્રવીણ લવંગિકા સાથે સ્નેહ થયેલો. એણે જ સદેવંતને બોલાવી સાવળિંગા સાથે પરણાવ્યો, અને એના માનમાં આ નવ દેરાં સદેવંત-સાવળિંગાએ બનાવ્યા - (રૂપાશા વણિક હોઇને) એવું મનાય છે. કથા જેટલી રસિક છે, એટલા જ રોમાંચક એ મંદિરો છે.

આગળ વિષ્ણુ પંચાયતન મંદિર (ચાર ખૂણે ચાર નાના મંદિરો અને વિશાળ ઊંચી બેઠક પર એક મોટું મંદિર હોય એને પંચાયતન કહેવાય) છે. પાછળ તો એક મંદિર કમ્બોડિયાની જેમ આખું વૃક્ષે જ જાણે ઊંચકી લીધું છે! અદ્ભુત દ્રશ્ય છે એ! આખી જીંદગી ન ભૂલાય. દિવાળી પહેલા ત્યાં ગયેલા ત્યારે નજર સામે સરકતાં સાપો ય  જોયા. જોકે, ઝેરીલી માણસજાત જોયા પછી સાપનો ભય એટલો ન લાગે.

આજુબાજુ બીજા મંદિરો છે. નીચે પડેલા શિલ્પોના પથ્થરો ય નીરખવા જેવા. બાળકને જન્મ આપતી સ્ત્રીનું અદ્ભુત શિલ્પ જોવા મળે. પછી પોળોના સૌથી ભવ્ય શરણેશ્વર જવાનું. ત્યાં એક્રોપોલીસ જેવા સ્તંભથી આગળ ત્રણ જાળ જેટલું અને ફરતે સરસ કોતરણીવાળું મંદિર છે.

વિજયનગરના રાજકુમાર સાથે રાજસ્થાન શિરોહીની રાજપૂત કુંવરી પરણીને આવી. એને રોજ શરણ્યેશ્વરના દર્શન કરવાનું વ્રત હતું. એટલે રાજસ્થાનના શિરોહી જેવું જ મંદિર અહીં બનાવાયું. મંદિરની એક સાઇડમાં અંધકાસુર વધ કરતા શિવની બાજુમાં તંત્રવિદ્યાની હોય એવી રક્તચામુંડાની અદ્ભુત શિલ્પાકૃતિ છે. પોળોમાં કમળપત્રની આકૃતિ પર કોતરણીવાળી પથ્થરની બારસાખ દરેક મંદિરમાં આકર્ષક લાગે.

આસપાસ ભારતના પ્રાચીન મંદિરમાં સાવ સહજ એવા કામક્રીડાના મૈથુનશિલ્પો પણ ઝીણવટથી જુઓ તો જોવા મળે. એક જગ્યાએ વળી પોળોમાં દર્પણમાં જોઇ વાળ સજાવતી નારીનું શૃંગારશિલ્પ છે. એક જગ્યાએ ન્હાઇને અનાવૃત્ત બહાર નીકળેલી ભીના વાળવાળી સદ્યસ્નાતાનું ય શિલ્પ છે. શિવ પંચાયતન મંદિરથી આગળ જઇ નદીનો પટ વટાવીએ એટલે પ્રિવેડિંગ શૂટ માટે ફેવરિટ લાખેણાના દેરાં છે. જે જીદ કરી લાખા વણઝારાની દીકરીએ બનાવડાવ્યા હોવાની દંતકથા છે. લાખેણા યાને સોહામણા, ભવ્ય-ખર્ચાળ હોઇને ય લાખેણા કહેવાતા હશે!

પોળાના ત્રિભંગવાળી પ્રતિમાઓથી સુસજ્જિત વિષ્ણુમંદિર પછી નદીનો પટ વટાવો ત્યારે લાખેણાના દેરાં જોવા મળે. એમાં વિશાળ ચોક છે. ભવ્ય પણ આજે જર્જરિત અને છતવિહોણો થવા આવેલો નૃત્યમંડપ છે. ૪૦ ફીટ લાંબો ને ૩૫ ફીટ પહોળો, સ્તંભોથી સુશોભિત, બાજુમાં આરસપહાણની કોતરકામવાળી કમાનો છે.

એ દેરાણી-જેઠાણીના દેરાં કહેવાય છે. લાખેણાના દહેરાના પથ્થરિયા દરવાજામાં કળાત્મક બાકોરાં છે. બાહર શું ચાલે એ જોવાય અને ચકલી જેવા નાના પંખી રહે એવા. સભા મંડપ બાદ મંદિરનું અવાવરૂ ગર્ભગૃહ ઉંદર-ચામાચીડિયાંનું ઘર છે. ભયંકર વાસ મારે. પણ ફરતે એકબીજાથી અલગ એવી કોતરણી બેનમૂન છે કે  કલાક નીકળી જાય, તો ય  જોતાં ધરવ ન થાય!

ત્યાં બાજુમાં બ્રાહ્મી અને વૈષ્ણવીના શિલ્પો ય રસ હોય તો માણવા મળે. પોળોમાં મોઢેરા જેવો ભવ્ય નહિ, પણ એવી બાંધણીનો નાનકડો કુંડ પણ છે. પ્રાણી એના પગથિયાંને લીધે આવી ન શકે, પણ માણસ ન્હાવા / પીવા ત્યાં જઇ શકે એવી ડિઝાઇનવાળો. બધું જોઇ લો, પછી સાવ પાસે વણજ ડેમ પણ છે, અંગ્રેજીમાં 'પિકચર પરફેક્ટ' કહેવાય એવું લોકેશન પાણી અને એની ફરતે પહાડો તથા વૃક્ષો સાથે ધરાવતો!

પોળો એવી જગ્યા નથી જ્યાં જવા માટે દિવાળી જેવા વેકેશનની જરૂર પડે. દુનિયા સાથે આપણું ગુજરાત પણ ફરવું જોઇએ. પોળો તો રિમાઇન્ડર છે કે મહાન ચણતરકામનો ગર્વ ધર્મના નામે ય કરવા જેવો નથી. ક્યારે દદ્દણ સોે પટ્ટણ, માયા સો મિટ્ટી થાય એ નક્કી નહિ.

- ફાસ્ટ ફોરવર્ડ -

આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઇ

દોડે છે ઝંખનાના હરણ ક્યાંથી ક્યાં સુધી

પગલાંનું  વહેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી

પહોંચ્યા  હશે તો બોલો  ચરણ ક્યાંથી ક્યાં સુધી.

(મનોજ ખંડેરિયા)

Tags :