ભારતીય લોકશાહીના પ્રતીકસમા સંસદ ભવનની નવી ઈમારત ખડી થશે
હોટલાઈન - ભાલચંદ્ર જાની
પાર્લામેન્ટ બિલ્ડીંગ નવેસરથી બનાવવાની કવાયત શરૂ થઈ છે. રૂા. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે પાટનગરનો સમગ્ર 'સેન્ટ્રલ વિસ્તાર' નવેસરથી આકાર પામશે.
જેના વિશે વર્ષોથી માત્ર ચર્ચા જ થતી હતી તે ભારતીય સંસદભવનની નવી ઈમારત બાંધવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. મોદી સરકારે માત્ર નવું સંસદભવન જ નહીં, નવી દિલ્હીના 'સેન્ટ્રલ વિસ્તા' તરીકે ઓળખાતા સમગ્ર પરિસરના રૂપરંગ બદલવાનો નિર્ણય કર્યો છે. આ પરિસર એટલે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનો પટ્ટો, જેની ડિઝાઈન બ્રિટિશ સ્થપતિ એડવિન લ્યુટિયન્સ અને હર્બટ બેકરે તૈયાર કરી હતી. આ સમગ્ર વિસ્તાર ચાર કિલોમીટરમાં પથરાયેલો છે.
લાંબા અરસાથી સંસદભવન નાનું પડે છે, અનેકવિધ અગવડો નડે છે એવી વાતો થતી. પાર્લામેન્ટ બિલ્ડીંગને નવી ટેક્નોલોજીથી સુસજ્જ કરવાની સલાહ પણ સાંસદો આપતા. પરંતુ નિષ્ણાત આર્કિટેક્ટોની દ્રષ્ટિએ ભવ્ય લાગતા છતાં જુનવાણી બની ગયેલી પાર્લામેન્ટ બિલ્ડીંગમાં સુધારા વધારાનો બહુ અવકાશ નથી તેવું પ્રતીત થતું હતું.
વળી સંસદ ભવનનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થયો હોવાથી તેમાં અમુક હદથી વધુ ફેરફાર થઈ શકે તેમ ન હતું. કોંગ્રેસના શાસન દરમિયાન સંસદના સુધારીકરણની વાતો થતી હતી. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાનું સરકાર ટાળતી હતી. પરંતુ મોદી સરકારે સંસદગૃહના નવીનીકરણને ઝડપથી મંજૂરીની મહોર મારી દીધી.
આજના સંસદભવનની સૌપ્રથમ ડિઝાઈન ૧૯૧૪માં બની હતી. લ્યુટિયન્સની સામે પડકાર એ હતો કે ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને સ્થળની પસંદગીને ધ્યાનમાં રાખી સંસદભવનની ડિઝાઈન તૈયાર કરવાની હતી. તેમણે લક્ષ્મીના પ્રતીક રૂપી કમળ, હાથી, મેરુ પર્વત, વૈવસ્ત મનુ, વાસુકી નાગ વગેરે પૌરાણિક પાત્રો, સ્થળોને આવરી લેતી ડિઝાઈન તૈયાર કરવાનું વિચાર્યું.
પાછળથી તેમણે હિન્દુ-મુસ્લિમનાં પ્રતીક રૂપે કોઈ ડિઝાઈન વિશે વિચાર્યું. પરંતુ છેવટે બૌદ્ધ ધર્મના પ્રતીક રૂપી અશોકચક્રની પરિકલ્પના તેમને પસંદ પડી અને આ રીતે હાઉસ ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખનારા સંસદભવનની રચના આકાર પામી. વિરાટ સ્તંભો અને હવા ઉજાસને ધ્વનિને લગતા સ્થાપત્યના સિદ્ધાંતો ધ્યાનમાં રાખી તેમણે પરસાળ બનાવી. જ્યારે ભવનની છતમાં મોગલ શૈલીની આકૃતિઓ-ડિઝાઈનનો સમાવેશ કર્યો.
આજે નવ દાયકા પછી આ સુંદર, મજબૂત અને વિશિષ્ટ સંસદભવન નાનું પડે છે. એટલે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ રહી. નવી યોજના એવી છે કે નજીકના રાજપથ વિસ્તારમાં નવું સંસદભવન બનાવવું.
વાસ્તવમાં તો ચાર વર્ષ પૂર્વે જ લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને નવું સંસદભવન બાંધવાનો વિચાર વહેતો મૂક્યો હતો. હાલનું સંસદભવન નવ દાયકા જૂનું છે અને આ જૂના થયેલા બિલ્ડિંગમાં જગ્યાની વધતી જતી જરૂરિયાત પૂરી પાડવામાં મુશ્કેલી નડે છે. સુમિત્રા મહાજને નવા સંસદભવન માટે બે વિકલ્પ સૂચવ્યા હતા. એક તો સંસદભવનના કોમ્પ્લેક્સમાં જ નવું સંસદભવન બાંધી શકાય અથવા બીજો વિકલ્પ રાજપથ પાસે જ્યાં હાલમાં સુરક્ષા દળો અને દિલ્હી પોલીસની સુરક્ષા-બેરેક આવેલી છે એ સ્થળને પસંદ કરી શકાય.
૧૯૨૭ માં આ સંસદભવન બાંધવાનું કામ શરૂ થયું હતું. ત્યારે સ્ટાફના સભ્યો, સુરક્ષા-કર્મચારીઓ, મીડિયાના મુલાકાતીઓ અને સંસદની કાર્યવાહી મર્યાદિત હતી. જોકે સમય વીતતાં સંસદની કાર્યવાહી અને સંસદભવનમાં કામ કરતા કર્મચારીઓ અને સંસદભવનની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ ઉપરાંત સંસદભવનને હેરિટેજ ગ્રેડ-૧નો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે એનું સ્ટ્રક્ચરલ રિપેર, ફેરફાર અને બદલાવ શક્ય નથી.
તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજને એવું સૂચન પણ આપ્યું હતું કે નવા અને જૂના સંસદભવન કોમ્પ્લેક્સને જોડતી રાજપથથી ભૂગર્ભ લિન્ક બાંધવામાં આવે જે હાલના સંસદભવન અને પ્રસ્તાવિત નવા સંસદભવન વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડી શકે.
નવા સંસદભવનનું નિર્માણકાર્ય પૂરું કરવાની 'ડેડલાઈન' નક્કી થઈ છે ડિસેમ્બર ૨૦૨૪. મહદ અંશે આ ઈમારત એ વર્ષના મે મહિનામાં નવી ચૂંટણીઓ થાય એ પૂર્વે જ તૈયાર થઈ જશે. આનો મતલબ એ થયો કે છેલ્લો સો વર્ષમાં જોવા મળી નથી એવી જબરદસ્ત બાંધકામ પ્રવૃત્તિ રાજપથ વિસ્તારમાં હવે શરૂ થવાની છે. એવી માહિતી શહેરી વિકાસ ખાતાના પ્રધાન હરદીપ સિંહ પુરીએ આપી છે. એમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે સાંસદો બેસી શકે તેવું ગૃહ તો જુલાઈ ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે.
થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે લ્યુટન્સ દિલ્હીને સમુસુતરું કરવાના મહત્વકાંક્ષી આયોજન વિશે પ્રસ્તાવ રજૂ કર્યો તેના એકાદ મહિના પછી 'સેંટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ' (સીપીડબલ્યુડી)એ જાહેર કર્યું હતું કે આ પ્રકલ્પ ગુજરાત સ્થિત 'એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિ.' હાથ ધરશે.
ડૉ.બિમલ પટેલની આ કંપનીએ અન્ય પાંચ બીડરોને પાછળ છોડીને આ પ્રોજેક્ટ મેળવ્યો હતો. સંબંધિત કંપની આ પ્રકલ્પ બહુધા ૨૦૨૪ સુધી પૂરો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે બિમલ પટેલના પિતા હસમુખ પટેલ દ્વારા ૧૯૬૦માં સ્થાપવામાં આવેલી આ કંપનીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધીનગર સ્થિત સેંટ્રલ વિસ્ટા એન્ડ સ્ટેટ સેક્રેટરિયેટ ડિઝાઈન કર્યાં હતાં.
દિલ્હી પુનઃવિકાસ પ્રકલ્પમાં રાજ્યપથને ફરીથી ચકાચક બનાવવાનો, સંસદને રેટ્રોફિટ કરવાનો અને સેંટ્રલ વિસ્ટા ભવનોને તોડી પાડીને તેના નવેસરથી બાંધકામ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને માટે ૪૪૮ કરોડ રૂપિયા જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, પરંતુ કન્સલ્ટન્સી ફી પેટે ૨૨૯.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે.
શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે બીડ ભરનારી છએ છ કંપનીઓ એકબીજા કરતાં ચડિયાતી છે.
જોકે બિમલ પટેલે જણાવ્યા મુજબ એચસીપી વ્યવહારુ સમસ્યાઓને ઉકેલીને અર્થપૂર્ણ માળખાં બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે હમેશાં શ્રેષ્ઠ ડિઝાઈન તેમ જ મજબૂત બાંધકામનો આગ્રહ રાખીએ છીએ. સંસદ અને કેન્દ્રીય સચિવાલય પ્રતિમાત્મક છતાં અત્યંત કાર્યક્ષમ હશે. અમે એવી ડિઝાઈન રચીશું જેમાં આપણો ભવ્ય ભૂતકાળ જળવાઈ રહે છતાં ભવિષ્યમાં કોઈ અડચણ પેદા ન થાય અને બધું સરળતાપૂર્વક ગોઠવી શકાય.
અત્રે એ વાતની નોંધ પણ લેવી રહી કે અમદાવાદ સ્થિત નવી આઈઆઈએમનું બિલ્ડિંગ પણ આ કંપનીએ જ બનાવ્યું હતું. તેઓ હાલના તબક્કે વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોર પર કામ કરી રહ્યાં છે.
સપ્ટેમ્બરના આરંભમાં લ્યુટન્સ દિલ્હીને નવી શકલસુરત આપવા વિષયક પ્રોજેક્ટ માટે ઓનલાઈન બીડ મગાવવામાં આવી ત્યારે ૨૪ કંપનીઓએ તેમાં રસ દાખવ્યો હતો. છેવટે છ કંપનીઓએ તેમાં રસ જાળવી રાખ્યો હતો. આ કંપનીઓએ 'સ્કુલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર' (એસપીએ) અને 'દિલ્હી અર્બન આર્ટસ કમિશન' (ડીયુએસી)ના ડાયરેક્ટર પ્રોફેસર પીએસએન રાવના વડપણ હેઠળના છ સભ્યોનાં પંચ સમક્ષ ઊભા રહેવું પડયું હતું.
સંબંધિત કંપની સેંટ્રલ વિસ્ટા માટે નવું માસ્ટર પ્લાન વિકસાવવાનું, ટ્રાફિકનું સંકલન કરવાનું, હવાની ગુણવત્તાનું વ્યવસ્થાપન અને ગ્રીન બાંધકામ ઈત્યાદિનું ખાસ ધ્યાન રાખશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ તબક્કે પુરાણી હેરિટેજ ઈમારતોને પુનઃ બાંધવાનું સૂચન કરવામાં નથી આવ્યું કે સંસદને તોડવાનો વિચાર સુધ્ધાં કરવામાં નથી આવ્યો. હું હમણાં કહી શકું તેમ નથી કે અમે નોર્થ-સાઉથ બ્લોકમાં શું કરીશું. એક અધિકારીએ જણાવ્યું હતું કે હેરિટેજ અને ટ્રાફિક નિષ્ણાતોનો સંપર્ક પણ કરવામાં આવશે. અને ગ્રીન કવર સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.
નવા આર્કિટેક્ટો એવો વિચાર વહેતો મૂક્યો છે કે સેન્ટ્રલ વિસ્તારમાં થનારી નવી બાંધકામ પ્રૂવૃત્તિ દરમિયાન વડાપ્રધાનનું નિવાસસ્થાન પણ બદલવામાં આવે. વર્તમાનમાં લોક કલ્યાણ માર્ગ પર આવેલા પીએમ હાઉસને ડેલહાઉસી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીના સ્થાને નવેસરથી બાંધવું.
રાઈસીના હિલ વિસ્તારની નજીક આવેલી આ જગા નવા સંસદભવન પાસે જ હશે. એ સાથે વડાપ્રધાનનાં કાર્યાલય (PMO) ને પણ નવેસરથી ઊભારવામાં આવશે. અમદાવાદની જે કંપનીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે તેમણે એવું સૂચન પણ કર્યું છે કે વર્તમાન સંસદભવનને ભવિષ્યમાં ''મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન ડેમોક્રેસી''માં પરિવર્તિત કરવામાં આવે.
તેમજ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકને અનુક્રમે 'ઈન્ડિયા એટ ૭૫ અને ધીમેકિંગ ઓફ ઈન્ડિયા'ની વિભાવવાને ચરિતાર્થ કરતાં કાયમી પ્રદર્શનમાં પરિવર્તીત કરવામાં આવે. એ વાતની સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે કે લ્યુટિયન્સ એરિયામાં વર્તમાનમાં ઊંચાઈની મર્યાદા ૨૬ થી ૩૨ મીટરની છે. તેને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ખાસ વાત તો પાર્કિંગને લગતી છે.
આ વિસ્તારમાં ખુલ્લી જગા છોડવાની વાત પર ભાર મૂકવાનો હોવાથી વિશાલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા થશે. જ્યારે સેન્ટ્રલ વિસ્તાની તમામ ઈમારતોને સાંકળી લેતી 'લો સ્પીડ સર્ક્યુલર રેલ' જેવી વ્યવસ્થા રાખવામાં આવશે. આ તમામ નવી ઈમારતો અને બીજી સુવિધાઓ ખડી કરવા પાછળ સરકારે આશરે ૧૦,૦૦૦ કરોડનો અંદાજ મૂક્યો છે.
અત્રે એ કહેવાની જરૂર નથી કે નવાં સંસદભવનની રચના પર્યાવરણની દ્રષ્ટિએ તો ઊચિત હશે જ પરંતુ આ સમગ્ર વિસ્તારની સલામતી માટે પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.