Get The App

પ્રેમનું સૂર્ય મંદિર કોણારક

રસવલ્લરી - સુધા ભટ્ટ

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
પ્રેમનું સૂર્ય મંદિર કોણારક 1 - image


સૂરજદેવનું શાસ્ત્રોક્ત સ્મરણ
આપણી પૃથ્વીનું અને તેની ઉપર વસતા દરેક જીવનું જીવથી જતન કરનાર એકમેવ સ્ત્રોત છે. એક અવકાશી તત્ત્વ- એક તારો પૃથ્વીથી કરોડો કિલોમીટર દૂર અગનજ્વાળા રેલાવતો એક વિરાટ ગોળો જેની શક્તિ, જેના કિરણો અતિ તપ્ત છે છતાં ય એનો સૌને ખપ છે, તે છે મહા શક્તિશાળી સૂર્ય. જીવમાત્રના શરીર, પંચમહાભૂતથી ઘડાયેલા છે.

પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ તત્ત્વો ધરાવતા શરીર નાશ પામે છે ત્યારે એ ફરી પાછા પંચમહાભૂતમાં મળી જાય છે. આ પાંચેય તત્ત્વોમાં અગ્નિ પોષનાર પણ છે અને મારનાર પણ. માનવીની ટેવ મુજબ તે પ્રચંડ શક્તિશાળી તત્ત્વોની આરાધના કરે છે- તેને ભગવાનનું રૂપ માની તેને પૂજે છે. 

સૂર્યનું પણ એવું જ છે. વિશ્વની અનેક જાતિઓ સૂર્યોપાસના કરે છે અને તેના પ્રતીકરૂપે જ્યોત પ્રગટાવે છે. વળી ભગવાન તરીકે જ્યાં પૂજાય છે ત્યાં સૂર્યનું માનવ સ્વરૂપ પણ જોવા મળે છે અને એટલે જ સૂર્યના મંદિરો પણ બન્યા છે. શ્રદ્ધા અને આસ્થા જેટલું જ મહત્ત્વ સૂર્યની ગતિનું પણ છે. ખગોળીય ઘટના મુજબ સૂર્ય, ઉત્તર કે દક્ષિણ તરફ ગતિ કરે છે તેને ઉત્તરાયણ કે દક્ષિણાયન કહે છે. (અયન એટલે ...ની તરફની ગતિ) ઉત્તરાયણના આગમનના નગારા વાગી જ ગયાં છે તો ચાલો સૂરજ દેવતાના માનમા ંંએનાં પ્રસિદ્ધ- અપ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લઈએ જોઈએ આ વખતે પવન પણ આપણને કેવા ઠુમકા મરાવે છે તે !

ભારતના કુલ મંદિરોની સંખ્યા જેટલા જ મંદિરો એકલા ઓરિસ્સામાં છે

- ઇતિહાસવિદ્ જેન્સ ફર્ગ્યુસન

કોણારક કોણાર્ક તરીકે વધુ પ્રચલિત છે થયું. આ મંદિર પરિસરમાં ઓરિસ્સાના બ્રાહ્મણોની અઢળક સંપત્તિ, કૌશલ્ય અને આધ્યાત્મિક દ્રષ્ટિની સુંદરતમ રજૂઆત છે. 'બ્રાલ્મિન આર્કિયોલોજી'ને માન્યતા મળેલી. ૧૯૬૦માં આ સ્થળેથી તાડપત્ર ઉપર હસ્તલિખિત માહિતી મળી આવેલી. ૭૩ પાંદડાના સેટમાં મંદિરના પ્લાન અને તેની પૂરક માહિતી મળી આવી.

૧૨૪૬થી ૧૨૫૮ બાર વર્ષ બાંધકામ થયાની નોંધ પણ એમાં છે. ૧૯૭૨માં છેક એ નોંધો પુસ્તકાકારે પ્રકાશિત થઈ જેનું નામ છે. "New Light on Sun Temple of Konarka" આ મંદિરના નિર્માણના કારણ અને હેતુ જે હોય પણ એક તામ્રપત્ર આલેખન અનુસાર એ ઉષ્ણરશ્મિ અતવા સૂર્યનું મંદિર ત્રિકોણના એક ખૂણે સ્થપાયું છે જે સ્થળ દરિયાકિનારે હોવાથી વ્યવસાયિક રીતે અતિ મહત્ત્વનું હતું.

સોળમી સદીમાં સૂર્ય મંદિર ખરા અર્થમાં ઝળક્યું જ્યારે વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુજીએ બંગાળથી આવીને આ મંદિરમાં દર્શન કર્યા. અકબર બાદશાહના નવરત્નોમાંના એક અબુલ ફઝલે કહ્યું, 'જે જબરા વિવેચકો છે અને જેમને ખુશ કરવા અઘરા છે તેવા વિદ્વાનો પણ આ સ્થળ જોઈ આશ્ચર્યચક્તિ, મૂક બની ગયા છે.' નજીકમાં શ્રદ્ધાસ્થળ ચન્દ્રભાગા નદી છે જ્યાં મેળા ભરાય છે, દરિયા કિનારે રેત મહોત્સવ યોજાય છે અને મંદિર પરિસર વર્ષમાં બે ત્રણ વખત અલગ અલગ થીમ પર નૃત્ય મહોત્સવ યોજાય છે.

કોણ એટલે ખૂણો અને આરક એટલે સૂર્ય: અર્થાત્ કોણારક
ઓરિસ્સા (ઓડીશા)નું ખાસ વખણાયેલું વિકસિત મંદિર તેરમી સદીના મધ્યાહને પૂર્વીય ગંગાના રાજા નરસિંહદેવા દ્વારા બંધાવાયેલું ૨૭.૨ એકરમાં ફેલાયેલું મંદિર પરિસર જગન્નાથપૂરીથી ૩૬ કિ.મી. દૂર ઇશાન ખૂણે ઓડિશાના દરિયાકિનારે આવેલું છે જે સૂર્ય દેવતાને સમર્પિત છે. ૧૯૮૪માં આ મંદિરને 'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ'માં સમાવાયું છે. પુરી અને ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનનો લાભ કોણારકને મળે છે. જ્યારે નજીકનું એરપોર્ટ ભુવનેશ્વરનું ૬૪ કિ.મી. અંતરે છે. 

રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલા આ મંદિર વિશ્વસમસ્તમાં આવેલા સૂર્યમંદિરોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જગન્નાથપુરી મંદિરમાંથી મળી આવેલ એક તાડપત્ર અનુસાર પુરંદર કેસરી નામના રાજા અને નરસિંહદેવાએ મળીને આ મંદિરનું નિર્માણ બારમી તેરમી સદીમાં કરાવેલું એથી ય પ્રાચીન હયાત મંદિરમાંથી તેમણે આ નવા મંદિરમાં સૂર્યની મૂર્તિ પધરાવેલી. ભવિષ્યપુરાણ એ સાંબા પુરાણ અનુસાર સૂર્યપૂજા અને સૂર્ય તાપના ઔષધિય ઉપયોગ અને સાધનાને પગલે આ મંદિર બંધાયેલું નરસિંહ દેવાના પુત્ર ભાનુદેવ પણ આ નેક કાર્યમાં સામેલ હતા.

બ્રહ્મપુરાણમાં કોણાદિત્ય (કોણારક) મંદિરનો ઉલ્લેખ અતિ પવિત્ર સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં કોણારક અને પુરિના મંદિરો પોતપોતાના દરિયા કિનારે ઉભેલા પ્રવાસના સીમાચિન્હ તરીકે ઓળખાયા છે. જૂના રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય નાવિકો કોણારકને 'બ્લેક પેગોડા' અને જગન્નાથજીને 'વ્હાઇટ પેગોડા' તરીકે ઓળખતા.

ઉત્કલ દેશે (ઓડીશા) સ્થિત હાજરાહજૂર દેવતા સૂર્યનું મંદિર અતિ પવિત્ર સ્થળ ગણાય છે
અદ્વિતીય સ્થાપત્ય અને અનોખા શિલ્પોને કારણે પોંખાયેલા આ મંદિરમાં ઓડિસી સ્થાપત્યકળાની પરાકાષ્ટા છે તેની જાળવણીના ભાગરૂપે મંદિરની ઉત્તરે સંગ્રહાલય, સાઉન્ડ અને લાઇટ શૉ, કળા પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પ્રવાસન દ્વારા નાગરિક જીવનના ખ્યાલો અને સ્વચ્છતાના આગ્રહના પ્રયાસો થાય છે. યાત્રીઓ આ મંદિર સાથે તન, મન ધનથી અને માનસિક રીતે સંકળાય, પોતાનું આત્મિકઉર્ધ્વીકરણ કરે, પોતાનામાં ભારતને અને ઓરિસ્સાને ધબકતું રાખે, એને સાચવે એ પ્રમુખ હેતુ છે. 

સ્થાપત્યના ઊંડા ખ્યાલ અને શિલ્પકૌશલ્યથી ભરપૂર વિશાળ રેતીના પટમાં ઉભેલું એ એક ભવ્ય અને એકમેવ આકારનું કૌતુક છે. તેનું અતિ વિશાળ કદ અને પ્રમાણભાન તથા માપદંડ સાથેનું સ્થાપત્ય મંદિરની બાહરી અને આંતરિક દીવાલો પર ઝીણવટભરી પેટર્ન (ડિઝાઇન)થી અમર બન્યું છે. પાયેથી ઉપસેલું આ બાંધકામ માત્ર સ્થપતિઓની કમાલ નથી. એમાં રસળતી કારીગરી, કોતરકામ અને નકશીમાં રત્નકલાકારો (સોની)ની હોય એવી ચોકસાઈ પણ ડોકાય છે. અહીં છે અભૂતપૂર્વ અપવાદરૂપ મોટું કદ, નમૂના સ્વરૂપ અને મુક્તપણે ઉભેલા શિલ્પો જે આપણને બરકે છે.

લસરકો: વીરરસ કાવ્યની કલ્પનાનું સ્મારક એવું કોણારક સૂર્યમંદિર એક મહાકાવ્ય છે.

Tags :