Get The App

સન્મુખરાય સામે એક નહીં બબ્બે દેવીઓ કેવી રીતે પ્રગટ થઈ હતી ?

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
સન્મુખરાય સામે એક નહીં બબ્બે દેવીઓ કેવી રીતે પ્રગટ થઈ હતી ? 1 - image


'ભગવાન પણ પક્ષપાતી છે એણે માતાના હૃદયમાં વાત્સલ્ય એટલું બધું ઠાંસી- ઠાંસીને ભરી દીધું છે કે બિચારો પિતા એની આગળ વામણો સાબિત થાય છે !'

ત્યારે સાકેતની ઉમ્મર નવ વર્ષની હતી અને સાવકો ભાઈ રુપેન્દુ સાત વર્ષનો હતો. છેલ્લાં ચાર વર્ષથી પપ્પા સન્મુખરાય અને મમ્મી દિવ્યજા વચ્ચેના ઝઘડાને કારણે સાકેત અત્યન્ત દુ:ખી રહેતો હતો. દિવ્યજાને લોકો આદર્શ પત્ની કહેતાં. પાસ-પડોશનાં લોકો પણ મુક્ત કંઠે દિવ્યજાનાં વખાણ કરતાં.

પણ સન્મુખરાયને દિવ્યજાની સાદગી, નમ્રતા અને પુત્ર સાકેત પ્રત્યેનું અતિ વાત્સલ્ય લેશમાત્ર ગમતું નહોતું. પતિને ભાવતું ભોજન જમાડવા માટે દિવ્યતા અવનવી વાનગીઓ બનાવતી, પણ સન્મુખરાય દિવ્યજાના રસોઈ-કૌશલ્યનાં વખાણ કરવાને બદલે દોષ શોધી કાઢતા.

'દાળમાં કેટલું મીઠું નંખાય, તેનું પણ તને ભાન નથી !'

'અને આ તો ચા છે કે શરબત ? હાથમાં આવી તેટલી ખાંડ ચામાં પધરાવી દીધી છે !'

'અગિયારશ અને પૂનમના તારા ઉપવાસને કારણે અમારી માટેની રસોઈમાં કશો ભલીવાર આવતો નથી.'

'પ્રાર્થના-પૂજામાં વ્યર્થ સમય બગાડવાથી તને કશું મળવાનું નથી ! પતિને રિઝવીશ તો જ તને માન-સન્માન મળશે.'

આવી કટુકિતઓ સાંભળીને દિવ્યજાના કાન પાકી ગયા હતા. પણ દિવ્યજા સહનશીલતાનો અવતાર હતી. એ પતિ સન્મુખરાયના એક પણ આક્ષેપનો ઉત્તર આપતી નહીં.

સન્મુખરાય સરકારી અધિકારીઓની માટેની કોલોનીમાં રહેતા. મોટા ઓફિસરોની પત્નીઓની રહેણી-કરણી સાથે દિવ્યજાના વર્તનની તેઓ સરખામણી કરતા. પડોશની સ્ત્રીઓ પીકનિકમાં જોડાવાની દિવ્યજાને વિનંતી કરતી, પણ દિવ્યજા સાકેતની પરીક્ષાની પૂર્વ તૈયારીનું કારણ દર્શાવી પીકનિકમાં સામેલ થવાનું ટાળતી.

ફેશનઘેલી સ્ત્રીઓ લેટેસ્ટ ફેશનનાં કપડાં પહેરતી. 'શોપિંગ'માટે દિવ્યજાને પણ સાથે આવવા આવકારતી, પણ દિવ્યજા સાદગીમાં માનતી હોઈ તેમની સાથે જવાનું ટાળતી.

સન્મુખરાયના ઓફિસેથી પાછા ફરવાના સમયે દિવ્યજા જાતજાતનો નાસ્તો તૈયાર કરી લીધાનુ બહાનું કાઢી તેની મહેનત પર પાણી ફેરવતા.

સાકેત સ્કૂલેથી આવે એટલે નાની-નાની બાબતોમાં દિવ્યજા તેની કાળજી રાખતી. તેને ખોળામાં બેસાડી નાસ્તો કરાવતી. પણ એની વાત્સલ્યર્ષા પતિ સન્મુખરાયને ખટકતી. તેઓ સાકેતને ધમકાવતાં કહેતા : 'તારી મમ્મી તને લાડ કરાવીને તને માતૃભક્ત બનાવી રહી છે. એની જાળમાં ફસાઈશ તોતું ક્યાંયનો નહીં રહું.

તારું ધ્યાન પિતૃભક્તિ પ્રત્યે કેમ જતું નથી ? મારી કમાણીના પૈસા પર તો તને તારી મમ્મી તાગડધિન્ના કરાવે છે. ભગવાન પણ પક્ષપાતી છે. એણે માતાના હૃદયમાં વાત્સલ્ય એટલું બધું ઠાંસી-ઠાંસીને ભરી દીધું છે કે બિચારો પિતા એની આગળ વામણો સાબિત થાય છે. સાકેત, હજી સુધરવું હોય તો સુધર, નહીં તો તારું ભવિષ્ય સલામત નહીં રહૈ.'

અન્ય અધિકારીઓની 'મોડર્ન' પત્નીઓ જોઈ સન્મુખરાયના મનમાં પોતાની જિંદગી પ્રત્યે નફરતનો ભાવ જાગવા માંડયો હતો. એ નફરત એમને દિવ્યજા વિરુધ્ધ ઉશ્કેરી રહી હતી. તેઓ દિવ્યજાનો દોષ શોધવા હંમેશાં તત્પર હતા. દિવ્યજા જવાબ ન આપે તો તેને મીંઢી કહેતા, દલીલ કરે તો તેને 'લઢકણી'  કહેતા.

દિવ્યજાને અતિ આધુનિકા બનાવવા માટે મેકઅપ માટે એક મહિલાની નિયુક્તિ તેને વગર પૂછે કરી દીધી હતી. કીટી પાર્ટીમાં જોડાવા માટે તેમણે દિવ્યજા ઉપર દબાણ વધારી દીધું હતું ! આસપાસ સ્ત્રીઓ પણ હવે દિવ્યજાને 'જૂનવાણી' મોડેલ કરી અપમાનિત કરતી હતી. સાંકેત એ બધું ચૂપચાપ જોતો. એને એ વાત સમજાતી નહોતી કે મમ્મીમાં કોઈ દોષ ન હોવો એ મમ્મીનો દોષ કેમ ગણાય છે !

સાકેત દિવ્યજાથી થોડો અળગો રહે એ માટે સન્મુખરાયે તેને કોચિંગ કલાસમાં મોકલવાનું શરૂ કર્યું. સાંજે શાળાએથી એ પાછો ફરે એટલે 'પર્સનાલિટી ડેવલપમેન્ટ'ના વર્ગોમાં તેને દાખલ કરી દીધો. સાકેતને પપ્પાનો એ બધો 'અત્યાચાર' લેશમાત્ર ગમતો નહોતો. પણ એ સમજતો હતો કે પપ્પાની સામે બોલવું એટલે વાઘની બોડમાં જાતે હાથ નાખવા. એણે પોતાના માનસિક ત્રાસની મમ્મી દિવ્યજાને ફરિયાદ કરી અને પોતાને અનેક બંધનોમાંથી મુક્ત રાખી પોતાની રીતે ભણવાની વિનંતી કરવા પપ્પાને સમજાવવાની કોશિશ કરી જોવા દબાણ કર્યું.

એક દિવસ સાંજે સન્મુખરાય ઓફિસેથી પાછા ફર્યા, ત્યારે 'વ્યકિતત્વ વિકાસ'ના કલાસમાં જવાને બદલે સાકેતને ઘેર જોઈ તેમનો પિત્તો ગયો. એમણે દિવ્યજાનો ઉધડો લેતા કહ્યું: 'મને લાગે છે તારા મારી સાથે જીવવાના દિવસો ભરાઈ ચૂક્યા છે. તારે પુત્રપ્રેમ અને પતિપ્રેમ બેમાંથી એકને પ્રાથમિકતા આપવી પડશે, નહીં તો..'

અત્યાર સુધી ચૂપ રહેતી દિવ્યજાનું સ્વમાન ઘવાયું. એણે કહ્યું : 'તમે વગર વાંકે મને દંડવા તૈયાર રહો છો. મને અને સાકેતને તમે ગુલામ બનાવીને રાખવાનો પ્રયત્ન કરો છો. સાકેતને મારાથી અળગો રાખવા તમે એને માટે બહાર રહેવાનું ટાઈમટેબલ ચૂસ્ત બનાવી દીધું છે. માતા-પિતા તરીકે સંતાનના બચપણના સંત્રી બનવાનું આપણું કર્તવ્ય છે, નહીં કે તેના બચપણને છીનવી લેવાનું. સાકેતને પોતાની રીતે જીવવાનો અધિકાર આપવા મારી તમને વિનંતી છે. આપણે તેને આપણા વિચારો તેની પર લાદવાની વૃત્તિથી મુક્ત રાખવો જોઈએ.'

'બસ, ચૂપ કર. તને તારા ભાઈએ મારી વિરુધ્ધ ઉશ્કેરી છે, નહીં તો તારામાં મારી સામે બોલવાની હિંમત જ ક્યાં હતી. હવે તું પણ કાન ખોલીને સાંભળી લે. મારા ઘરમાં રહેવું હશે તો રાણી નહીં, પણ 'દાસી'તરીકે જ જીવવું પડશે. મને ગમતી પત્ની થવાની તારામાં કોઈ લાયકાત નથી ! તારી સાથેના અસંતોષભર્યા દામ્પત્યની કેદમાં રહેવા હું તૈયાર નથી ! હું મારો રસ્તો શોધી લઈશ.' સન્મુખરાયે ચેતવણી આપતાં દિવ્યજાને કહ્યું.

'અને હું પણ તમારો માર્ગ મોકળો કરી આપવા રાજી છું. આદર્શોનો પાલવ પકડી ભ્રામક દામ્પત્યનો લાચાર શિકાર બનવાની મનોવૃત્તિને કારણે જ પતિઓને પત્નીઓનું શોષણ કરવાનો બેફામ અધિકાર માગ્યો છે. નારીની સહિષ્ણુતા પુરસ્કૃત અને સન્માનિત થવાને બદલે દંડાઈ છે. હું તમારો માર્ગ નહીં. રોકંદ કહી સાકેત સાથે દિવ્યજા શયનખંડમાં ચાલી ગઈ. '

એ પછી ત્રીજા દિવસે સન્મુખરાયે એક એડવોકેટને બોલાવ્યા અને દિવ્યજા પર જાતજાતના આક્ષેપો મૂકી છૂટાછેડાની અરજી તૈયાર કરાવી. સ્વમાની દિવ્યજાએ ડાઈવોર્સ પેપર્સમાં સ્વીકૃતિની સહી કરી આપી.

દિવ્યજાની સમ્મતિને આધારે સન્મુખરાય છૂટાછેડા મેળવવામાં સફળ રહ્યા. દિવ્યજાએ ખાધાખોરાકીની રકમ મેળવવાનો અધિકાર પણ જતો કર્યો.

એ પછી ત્રણ મહિને સન્મુખરાયે દિવ્યજાને કહ્યું : 'મેં મનગમતી જીવનસંગિની પસંદ કરી લીધી છે. એનું નામ છે. સ્નેહજા. એક પુત્રની માતા છે. આખી કોલોનીને ઇર્ષ્યા કરવાનું મન થાય એટલું રૂપ ભગવાને એને ખોબલે-ખોબલે આપ્યું છે. તું એના પગની ધૂળ થવાને પણ લાયક નથી. રવિવારે અમે બન્ને સાદી વિધિથી જોડાઈશું. પછી તું તારે રસ્તે''તમારો ફેંસલો મંજૂર ! મારે આશ્રિતા થઈ આ ઘરમાં પડયા નથી રહેવું. હું થોડો સમય મારા ભાઈ-ભાભી સાથે રહીશ અને પછી મારો રસ્તો શોધી લઈશ.'- દિવ્યજાએ ખુમારીપૂર્વક કહ્યું.

રવિવારે લગ્ન પછી સ્નેહજાએ તેના પુત્ર રુપેન્દુ સાથે ગૃહપ્રવેશ કર્યો. દિવ્યજાએ પોતાની બેગ તૈયાર જ રાખી હતી. પોતાની બેગ તૈયાર ન હોવાને કારણે સાકેતે પૂછ્યું : 'મમ્મી, તું મને તારી સાથે મામાને ઘેર કેમ લઈ જવા તૈયાર નથી ?'

દિવ્યજા કશું બોલે એ પહેલાં જ સન્મુખરાયે કહ્યું : 'તારી મમ્મી ઇચ્છે તો પણ હું તેની સાથે તને જવા નહીં દઉં. તારા મામાની આર્થિક સ્થિતિ કમજોર છે. એ તને સારી રીતે ભણાવી પણ નહીં શકે અને સુખી પણ નહીં કરી શકે. તેં માતૃસુખ બહુ માણ્યું, હવે તને પિતૃસુખની મોજ એવી કરાવીશ કે તને પસ્તાવો થશે કે માતાના ખોળામાં પડયા રહેવાની ભૂલ તેં શું કામ કરી ? હું તને તારી મમ્મી સાથે મોકલવા તૈયાર નથી. તારે માટે નવી મમ્મી અને નવો ભાઈ હાજર છે !'

સાકેત મમ્મીને વળગીને ધુ્રસકે-ધુ્રસકે રડવા માંડયો. એટલે દિવ્યજા તેને અલગ ઓરડામાં લઈ ગઈ. એણે પોતાના સોગંદ નાખીને સાકેતને કહ્યું : બેટા, તારા પપ્પા મોટા ઓફિસર છે. એમની પાસે પૈસા અને સત્તા બધું જ છે. હું તો અહીંથી ખાલી ખિસ્સે જાઉં છું. તારા મામા પણ આર્થિક દૃષ્ટિએ સધ્ધર નથી ! એટલે તારા પપ્પા સાથે રહેવામાં જ તારા ઉજળા ભવિષ્યની શક્યતા છે. અને મારી તને બીજી વિનંતી. તું મને જેટલો પ્રેમ કરે છે. તેટલો જ પ્રેમ નવી મમ્મીને કરવાનો છે.

કદાચ તેના તરફથી કોઈ કડવો અનુભવ થાય તો પણ તારા પપ્પાને તેમની વિરુધ્ધ કદી ફરિયાદ ન કરતો. તારા નવા ભાઈને પણ સગા ભાઈની જેમ જાળવજે. તારું નામ સાકેત છે. સાકેતનો અર્થ છે. રામની નગરી અયોધ્યા. ભગવાન રામ ઉદારતા અને સહિષ્ણુતાની મૂર્તિ હતા. પોતાને વનવાસે મોકલવાનું વચન માગનાર માતા કૈકેયી પ્રત્યે પણ એમણે પૂજ્યભાવ દાખવ્યો હતો. મારા પુત્ર તરીકે મારા સંસ્કાર તારે દીપાવવાના છે. તારા પપ્પા પ્રત્યે મારે કે તારે મનમાં દુશ્મનભાવ રાખવાનો નથી. જો તું મને ખરા દિલથી ચાહતો હોઉં તો મારું આટલું વચન નિભાવજે.

સાકેતે પોતે મમ્મીની વાતની ઇજ્જત રાખશે, એમ જણાવી રડવાનું બંધ કર્યું. અને રૂમમાંથી બહાર આવી નવી મમ્મી સ્નેહજાને વંદન કર્યા. પપ્પાને પણ એ ભેટયો અને સન્મુખરાય ઓળઘોળ થઈ ગયા.

એ રાત્રે સાકેત મમ્મીને ભેટીને ઘસઘસાટ ઊંઘી ગયો. સવારે ઉઠીને જોયું તો મમ્મી નજરે ન પડી. મમ્મીની બેગ પણ જોવા ન મળી. સાકેત સમજી ગયો કે મમ્મીએ ગૃહત્યાગ કર્યો છે અને તે મામાને ઘેર રહેવા માટે ચાલી ગઈ છે.

સાકેતને ખુલ્લા મોંઢે રડવાનું મન થયું પણ દરેક પરિસ્થિતિને અનુકૂળ થવાના મમ્મીના શબ્દો તેને યાદ આવ્યા.

મમ્મીની ગેરહાજરીની પપ્પાએ સહેજ પણ નોંધ ન લીધી, એનું સાકેતને પારાવાર દુ:ખ હતું... પણ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, તેમાં શાન્ત અને સ્વસ્થ રહેવાનો મમ્મીનો ઉપદેશ તેના કાનમાં ગૂંજતો હતો. સન્મુખરાયે પણ તેની સમજણ બદલ પીઠ થાબડી.

સ્નેહજાએ માન્યું હતું કે દિવ્યજાએ સાકેતના મનમાં અપર માતા તરીકે પોતાના વિશે નફરત ફેલાવી હશે. પણ સાકેતનો પોતાના પ્રત્યે અત્યંત પ્રેમ અને લાગણી જોઈ સાકેત પ્રત્યેની તેની ગેરસમજ દૂર થતી ગઈ. રુપેન્દુ પણ મમ્મી સ્નેહજાને કહેતો કે સાકેત ભૈયા ખૂબ જ પ્રેમાળ છે અને સાંજે સ્કૂલેથી આવ્યા બાદ પોતાને ભણાવે છે. પોતાને માટે ચોક્લેટ લાવે છે.

સન્મુખરાયની ઇચ્છા અને અપેક્ષા મુજબ સ્નેહજાએ ફેશનેબલ રીતે જીવવાનું શરૂ કર્યું. આસપાસની સ્ત્રીઓ સાથે પણ એણે એવી દોસ્તી વધારી દીધી કે તેઓ 'મુજી' દિવ્યજાનું નામ લેવાનું જ ભૂલી ગયા. સ્નેહજા પોતાને ઘેર 'કીટીપાર્ટી'ગોઠવતી અને વાહવાહી મળતાં ધન્યતા અનુભવતી. સન્મુખરાય ઉપર પણ તેનો જાદુ સારી રીતે ચાલી રહ્યો હતો.

દિવ્યજા બપોરની રિસેસના સમયે સાકેતને મળવા તેની સ્કૂલે પહોંચી જતી. સાકેતને માનસિક રીતે સ્વસ્થ જોઈ તેને આનંદ થતો. તે સાકેત માટે નાસ્તાની અવનવી વાનગીઓ લાવતી પણ સાકેતે તેને કહ્યું : 'મમ્મી, રુપેન્દુ મારો નાનો ભાઈ છે.' જો તું મને રામ ગણતી હોઉં તો હું લક્ષ્મણ સમાન મારા ભાઈ રુપેન્દુને મૂકીને એકલો-એકલો નાસ્તો કેવી રીતે કરી શકું ? એટલે કાલથી તું મારે માટે નાસ્તો ન લાવતી. મારે કારણે મામાને કશું વધુ ખર્ચ વેઠવું પડે તે મને ગમે નહીં.

સાકેતની વાત સાંભળી દિવ્યજાએ તેના ગાલ પર ચૂમીઓનો વરસાદ વરસાવ્યો. પોતાનો પુત્ર ખાનદાનીમાં પોતાના કરતાં પણ ચઢિયાતો નીકળ્યો, એનો તેને પારાવાર આનંદ હતો.

વર્ષો વીતતાં ગયાં. દિવ્યજાએ એકસ્ટર્નલ પરીક્ષાઓ પસાર કરી ગ્રેજ્યૂએટની પદવી પ્રાપ્ત કરી. દિવ્યજાએ બહારગામની એક કંપનીમાં નોકરી સ્વીકારી એટલે સાકેતને રૂબરૂ મળવાનું ઓછું થઈ ગયું. ફોન પર તે સાકેતના સંપર્કમાં રહેતી.

સાકેત પણ કોમ્પ્યુટર ઇજનેર બની ગયો હતો. એણે પપ્પા સન્મુખરાયની લાગવગ સિવાય જાતે જ નોકરી શોધી કાઢી. દિવ્યજા ઇચ્છતી હતી કે હવે સાકેત પોતાની સાથે રહેવા આવે. પણ તેની જીભ ઉપડતી નહોતી.

સન્મુખરાય નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. એમની ઇચ્છા હતી કે સાકેતને તેઓ ધામધૂમથી પરણાવે. પણ સાકેતે કહ્યું કે પહેલા રુપેન્દ્રનાં લગ્ન થશે, પછી જ પોતે ઘર માંડવાની વાત. સાકેતનો આવો ત્યાગ જોઈ સ્નેહજાએ તેના પર આશીર્વાદ વરસાવતાં કહ્યું હતું : બેટા સાકેત, ધન્ય છે તને જન્મ આપનાર તારી મહાન માતા દિવ્યજાને. તમે બન્ને કળિયુગનાં માનવી નથી, ત્રેતાયુગનાં માનવીઓ છો. તમારા જેવાંના પુણ્યને કારણે જ આ ધરતી ટકી રહી છે.

મકરસંક્રાન્તિને દિવસે સન્મુખરાય દેવદર્શન કરી મંદિરેથી ઘેર પાછા આવી રહ્યા હતા. એવામાં પૂરઝડપે મોટર બાઈક ચલાવતા એક યુવકે તેમને ટક્કર મારી અને તેઓ ફંગોળાઈને દસ ફૂટ દૂર પટકાયા. હાથે-પગે અને માથે ઇજા થઇ. લોકોએ તેમને હોસ્પિટલે પહોંચાડયા. અને સ્નેહજા તથા સાકેતને પોલિસે સન્મુખરાયને ગંભીર અકસ્માત નડયાના સમાચાર આપી હોસ્પિટલ પહોંચવાની જાણ કરી.

સ્નેહજા અને સાકેતે રાત દિવસ સન્મુખરાયની સેવા કરી. સ્નેહજા દિવ્યજાને ફોન કરી અકસ્માતના માઠા સમાચાર તાત્કાલિક આપવા માગતી નહોતી. ડોક્ટરે સન્મુખરાય હવે ભયમુક્ત છે, એવા સમાચાર આપ્યા એટલે તે તથા સાકેત ચિંતામુક્ત હતાં.

અઠવાડિયા પછી સન્મુખરાયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સ્નેહજાએ કહ્યું : 'સાકેત, મારે એક જરૂર કામસર બહારગામ જવું પડશે એટલે સાંજે તું અને રૂપેન્દુ પપ્પાને એમ્બ્યૂલન્સ દ્વારા ઘેર લઈ આવજો. મને વહેલું મોડું થાય તો તેની ચિંતા ન કરશો.'

અને સ્નેહજા ટેક્સી દ્વારા દિવ્યજાની બહાર ગામની ઓફિસે પહોંચી હતી. દિવ્યજાએ તેને ભેટીને આવકાર આપ્યો હતો. સ્નેહજાએ કહ્યું હતું : 'આપણા' પતિ સન્મુખરાયને એક્સિડેન્ટ થયો છે તેઓ બચી તો ગયા છે પણ લકવાગ્રસ્ત બન્યા છે. આપણે બન્નેએ એમની સેવા કરી એમને ઠારવાના છે. તમે તો ક્ષમાનો અવતાર છો.

પતિ સન્મુખરાયવતી હું તમારી ક્ષમા માગું છું. એક નાની બહેન તરીકે મને માફ કરો અને આપણા ઘરનો વહીવટ સંભાળી લો. મારી વાત ટાળો તો તમને મારા સમ. કહી દિવ્યજાનો હાથ પકડી તેમને ખુરશીમાંથી ઉભાં કરી દીધાં હતાં. દિવ્યજાએ બોસની ઓફિસમાં જઈ પોતાની રજા મંજૂર કરાવી હતી.

સાંજે ચારેક વાગ્યે સ્નેહજા અને દિવ્યજા પોતાના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. ત્યારે સુથાર બંગલાને દરવાજે તકતી લગાવી રહ્યો હતો. તકતીમાં લખેલું હતું. 'દિવ્યજા સદન'. દિવ્યજા સ્નેહજાની મહાનતા જોઈ ગદગદ થઇ ગઇ હતી.

અને છ વાગ્યે સાકેત અને રુપેન્દુ પપ્પાને એમ્બ્યૂલન્સ દ્વારા ઘેર લાવ્યા ત્યારે દિવ્યજાએ તેમનો ચરણસ્પર્શ કર્યો હતો. સન્મુખરાયની આંખોમાંથી અસ્ખલિત અશ્રુધારા વહી રહી હતી. વાતાવરણમાં જાણે શબ્દો પડઘાતા હતા. 'યા દેવી સર્વભૂષેણુ ક્ષમા રુપેણ સંસ્થિતા નમ: તસ્યૈ નમ :તસ્યે નમ : તસ્યે નમોનમ :' સન્મુખરાય સામે જાણેે એક નહીં, બે દેવીઓ પ્રગટ થઈ હતી !

Tags :