સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ
હેલ્મેટની જગ્યાએ લીલુ નારિયેળ કે તરબૂચ ચાલે કે નહિ ?
- ડૉ. રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)
- એમાં પૂછવાનું શું હોય ? જાતે જ પ્રયોગ કરીને જોઈ લો તો ખબર પડી જશે.
સ્ત્રીઓ પુરૂષ સમોવડી થવા માંડી હવે પત્ની પીડિત પુરૂષોનું મંડળ રચવાની જરૂર હોય એમ નથી લાગતું ?
- અમૃત કે. સોલંકી (બોટાદ)
- લાગે જ છે ! પત્ની દ્વારા પતિની લાગણી દુભાવતા ત્રાસ સુધી આ વાત સીમિત નથી, હવે પત્ની દ્વારા પતિઓની હત્યા પણ થવા માંડી છે. હવે પતિને જીવતો સળગાવી દેવાની ઘટનાની રાહ જોયા વગર પત્ની પીડિત પતિઓનું મંડળ રચાય તો અજુગતુ નહિ લાગે ! પણ મંડળ કાર્યરત અને અસરકારક પૂરવાર થવું જોઈએ.
અમીર માણસ જ કેમ છેતરપિંડી કરે છે ?
- ભાવસાર કનૈયાલાલ હરિભાઈ (વડનગર)
- છેતરપિંડી માત્ર ગરીબો જ કરે છે. અમીરો કરે એને છેતરપિંડી નહિ હોંશિયારી અને આવડત કહેવામાં આવે છે !
ભારતની નારીએ સુસંસ્કારી માનવતાવાદી સન્નારી તરીકે જીવન ગુજારવામાં ઘણી ભૂલો કરે છે. એ ભૂલો સુધારવાની તાતી જરૂર નથી લાગતી ?
- દિવાન જૈતુનબેન (કરજણ)
- સારા કામોમાં નારીઓએ ભૂલો ન કરવી જોઈએ ? એવું વિધાન તમે જ આ પ્રશ્ન સાથે કરો છો, પછી અમારે તો કશો જવાબ આપવાનો રહેતો જ નથી ?
ભગવાનને ખુશ રાખવા કંકુ ચોખા, દૂધ, બીલીપત્રો અને પુષ્પો વગેરે, તો નેતાઓને ખુશ કરવા શું કરવું જોઈએ ?
- રક્ષિત વોરા 'ક્ષિતિજ' (ગાંધીનગર)
- ખુશામત, ચાપલૂસી, ખોટી પ્રશંસા અને સ્ટેજ પરથી નીચે ઉતરે ત્યારે એમના જૂતા ચંપલ જ્યાં હોય ત્યાંથી ઉંચકી લાવીને એમના પગ આગળ મૂકી દો ? આ ક્રિયા એવા ખુલ્લા મનથી કરવી કે નેતાને દેખાય.
કફનમાં ખિસ્સુ નથી છતાં માણસ આખી જિન્દગી કમાઈને સાથે લઈ જવાનું હોય એટલું ભેગુ શા માટે કરે છે ?
- ગુલાબ બી. હિન્ડોચા (રાણાવડવાળા)
- આ બધું સમજતા હોવા છતાં એ પ્રકારની લાક્ષણિકતા આપણા પોતાનામાં પણ છે ! છતાં કફનમાં ખીસ્સુ શોધવા સુધી ન જઈએ પણ જીવીએ ત્યાં સુધી કામ લાગે એટલું તો ભેગું કરવું જોઈએ ! બધા દિવસ સરખા જતા નથી ! કમાણીમાં વધઘટ થયા કરતી હોય છે. બીજુ જીવન દરમ્યાન આવતા શુભ પ્રસંગોથી માંડીને બીમારીની સારવાર સુધી એક લાખથી પંદર લાખ ઓછા પડતા હોય છે !
માણસ છીંક કે બગાસું ખાય એ સાથે એના અંદરથી થોડાક વેરભાવ, ઈર્ષા, ક્રોધ, લોભ બહાર નીકળી જાય એવી ભગવાને વ્યવસ્થા કરી હોત તો ?
- મણિબેન પટેલ (ઉંટડી, તા.વલસાડ)
- તો માણસ માણસ બનવાને બદલે કંઈક બીજું જ બની ગયો હોત !
મોદી સાહેબે કલમથી કલમ (૩૭૦)ને કાઢી નાખી, યોર કમેન્ટ પ્લીઝ ?
- નૈષધ દેરાશ્રી (જામનગર)
- ઈબ્તિદાએ ઈશ્કમેં રોતા હૈ ક્યા / આગે આગે દેખીયે હોતા હૈ ક્યા ?
હૈયામાં હામ અને ખિસ્સામાં દામ હોવા છતાં માણસ અસંતુષ્ઠ કેમ ?
- સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)
- કેમ કે એ માણસ છે !
દોરીમાં ગૂંચ પડે તો ઉકેલી શકાય, પરંતુ લોકોના મનમાં પડેલી ગૂંચ શી રીતે ઉકેલવી ?
- ધવલ જે. સોની (ગોધરા)
- દોરીની ગૂંચ આંગળી દ્વારા ઉકલે. મનની ગૂંચ માટે હૈયા ઉકલતની જરૂર છે એ માટે પ્રેમ, સદ્ભાવ, અને વિશ્વાસની જરૂર પડે !
મચ્છરોને સૌથી વધુ મહેનતું કેમ કહેવાય છે ?
- સુરેખા દિલીપ વોરા (અમદાવાદ)
- એના ત્રાસમાંથી મુક્ત થવામાં આપણી નિષ્ફળતાએ મચ્છરને મહેનતું પૂરવાર કર્યો છે ?
હંસને કી ચાહને કિતના હમેં રૂલાયા ?
- મહેશ માંકડ (અમદાવાદ)
- હમેં ક્યા પતા તુમ્હે કોનસી ચાહને કિતના રૂલાયા ? અમે તો રડાવનારી ચાહ રાખી જ નથી. અમે તો અમારા ગજાપૂર્વક ચાલ્યા. જે પામી શકાય એવું હોય એને જ અમે ચાહ્યું છે.
અમને સવાલ પૂછતાં એક જ સેકંડ લાગે છે. તમને જવાબ આપતાં કેટલી મિનિટ લાગે ?
- અસગર નોમાનઅલી
(દેવગઢ બારિયા)
- આ તમે સાચું બોલો છો ? આ જ સવાલ અમારી સામે બેસીને એક સેકન્ડમાં લખી આપો તો તમે ખરા !
આજના યુગમાં ભાઇ ભાઇ વચ્ચે રામ લક્ષ્મણ જેવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે, કેમ ?
- ડી.કે. માંડવીયા
- ભાઇઓને સીતા અને ઉર્મિલા જેવી પત્નીઓ પણ ક્યાં મળે છે ?
સાચું સુખ શેમાં છે ?
- જ્યોત્સના જી. હિન્ડોચા (રાણાવડવાળા)
- આપણી માનસિકતામાં !
ગણપતિ ગયા, નવરાત્રી ગઇ, દિવાળી ગઇ, લાભપાંચમ પણ આવીને ચાલી ગઇ છતાં હજી ચોમાસું જ્યાં ત્યાં ડોકિયાં કરતું ફરે છે. સમજાતું નથી આ કઇ ઋતુ ચાલે છે ? આ ચોમાસું છે કે શિયાળો ?
- દર્શન કાચવાલા (મુંબઇ)
- ઋતુ ય રાજકારણને રવાડે ચડી છે. એય ચોમાસા અને શિયાળાનું ગઠબંધન જોવા ઇચ્છે છે ! ડોકિયું કરવાનું પણ રાજકારણે જ શીખવાડયું છે ! ખરેખર તો અરબી સમુદ્રમાં ભૂલું પડેલું વાવાઝોડું જ કારણભૂત છે !
૩૭૦ની કલમ રદ કરી એ કાશ્મીરીઓને સ્વીકાર્ય હોય એવું લાગતું નથી. નહિતર ત્યાં આટલા બંધો લાદવાની જરૂર ન પડી હોત. લોકોને મારી ઠોકીને જ ઘરમાં પૂરી દીધા હોય એવું નથી લાગતું ?
- કિશોર એચ. છાંટબાર (રાજકોટ)
- જેને જે માનવું હોય તે માને ! પણ મોદીને ગાંગરતા ઊંટ જ પલાણવાનું ગમે છે ! ઊંટ ભલે ને ગાંગરે, પણ પલાણવું તો પડે ને ?
આ મોંઘવારી અંગે કેમ કોઇ કશું બોલતું નથી ?
- રતિલાલ કાનાબાર (ભાવનગર)
- બધા તમારી જેમ નિડર નથી ! વળી વર્તમાન આવક પ્રમાણે ચીજવસ્તુના ભાવ ચાલે છે, જે આપણને મોંઘવારી લાગે છે. આવક વધી છે. પગારધોરણ લાખનો આંક વટાવી ગયું છે. મજૂરો પણ રોજનો એક રૂપિયો કમાતા હતા એ હવે રોજના બસોથી ત્રણસો કમાય છે. જ્યારે સસ્તુ હતું ત્યારે આવક પણ એક રૂપિયો જ હતી ને ત્યારે પણ મોંઘવારી લાગતી હતી !
ભાજપની પીછેહઠ થઇ રહી હોય એવું લાગે છે ? ગુજરાત ભાજપનું ગઢ ગણાય છતાં કોંગ્રેસ પચાસ ટકા સીટો મેળવે છે ! પેટા ચૂંટણીમાં પણ પરાજય થયો. તાજેતરમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ભાજપની પીછેહઠ થઇ તો ભાજપનું ભવિષ્ય કેવું લાગે છે ?
- રાજેન્દ્રસિંહ આર. ગોહિલ (ગોંડલ)
- ભવિષ્ય વિશે તો શું કહેવાય ? પ્રકૃતિને પરિવર્તન જોઇએ. પરિવર્તન અનિવાર્ય છે. પુનરાવર્તન સંયોગિક છે. આજે ભાજપના ગઢ ગણાય છે એ વિસ્તાર અગાઉ કોંગ્રેસના ગઢ ગણાતા હતા. અને આજે જે ભાજપના ગઢ છે તે આવતીકાલે કોંગ્રેસના ગઢ બને તો નવાઇ શેની? કારણકે પરિવર્તન અનિવાર્ય છે એનો કોઇ ઈનકાર કરી શકે તેમ નથી !
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું:
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.