Get The App

દરેક વ્યવસ્થાતંત્રમાં રાજકીય રમતો છૂપાયેલી હોય છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા

Updated: Nov 30th, 2019

GS TEAM

Google News
Google News
દરેક વ્યવસ્થાતંત્રમાં રાજકીય રમતો છૂપાયેલી હોય છે 1 - image


દરેક સંસ્થામાં વધુ પડતા મહત્ત્વાકાંક્ષી લોકો હોય છે અને તેમાંના કેટલાંક પોતાની યશસ્વી કામગીરી દ્વારા નહીં પરંતુ ષડયંત્રો દ્વારા પોતાના હિતો સાધવામાં મશગૂલ રહે છે. 

ખાનગી કંપની હોય કે સરકારી કે સહકારી વ્યવસ્થાતંત્ર હોય કે સેવાભાવી એનજીઓ હોય એ દરેક ઠેકાણે રાજકીય રમતો રમાતી હોય છે. રાજકારણ સર્વવ્યાપી હોય છે. સંયુક્ત કુટુંબમાં જે રાજકારણ ખેલાય છે તેના પર અનેક ટીવી સીરીયલો બની છે. મોટી કંપનીમાં વ્યૂહરચનાનું ઘડતર થતું હોય તો દરેક ડીપાર્મેન્ટના વડો નવી વ્યૂહરચનામાં પોતાનું મહત્ત્વ અને મોભો (સ્ટેટસ) વધારવા માંગે છે. ભારતમાં ઘણાં જાહેર સાહસો પુષ્કળ ખોટ કરે છે અને છતાં તેમના વડાઓને ઊની આચ આવતી નથી તેની પાછળ પણ પાવર અને પેટ્રોનેજના નેટવર્કસ ગોઠવાયેલા હોય છે.

અહીં રાજકારણનો અર્થ સત્તાને પ્રાપ્ત કરવી, તેને વધારવી અને તેની પોતાના માનીતાઓને વહેંચણી કરવી તે રીતે કરવામાં આવ્યો છે. રાજકારણ એટલે માત્ર ચૂંટણીમા જીતવાનું મતદારોને રીઝવવાનું જ કે સરકાર રચવાનું કે તે માટે બાર્ગેંનીંગ કરવાનું જ યંત્ર (મીકેનીઝમ) તેમ માનવાની જરૂર નથી. રાજકારણનો વિચાર (કન્સેપ્ટ) બહોળો છે અને તે માત્ર ષડયંત્ર કે જૂથવાદ સુધી કે સત્તા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. દરેક વ્યવસ્થાતંત્રમાં (સરકારી, સહકારી, ખાનગી કે સેવાભાવી) મેનેજરો અને કર્મચારીઓ હોય છે અને સંસ્થાના દરેક મેનેજર, કર્મચારી કે સીઇઓમાં ઇચ્છાઓ, આશા, નિરાશાઓ, ઇર્ષા અને છુપા હેતુઓ હોય છે અને સંસ્થામાંથી લાભો અને બઢતી મેળવવાના સ્વપ્ના હોય છે તેથી તેઓના ઘણા જૂથો કે વહાલા-દવલા સંસ્થામાં ઊભાં થાય છે. વળી દરેક સંસ્થામાં વધુ પડતા મહત્ત્વાકાંક્ષી લોકો હોય છે અને તેમાંના કેટલાંક પોતાની યશસ્વી કામગીરી દ્વારા નહીં પરંતુ ષડયંત્રો દ્વારા પોતાના હિતો સાધવામાં મશગૂલ રહે છે. સંસ્થામાં રાજકારણ મર્યાદા વટાવી દે તો સંસ્થા તૂટી પડે છે.

માસ મુવમેન્ટસ

જેમ દેશના રાજકારણમાં કોઈને કોઈ કારણસર લોકો દ્વારા ચળવળો ચાલતી હોય છે તેમ કેટલીક કંપનીઓમાં કર્મચારી મંડળ અને ખાસ કરીને મજદૂર સંઘો પોતાની માગણીઓ સંતોષવા લોકચળવળ આદરે છે અને કેટલીક વાર તે સફળ થાય છે તો કેટલીક વાર તે નિષ્ફળ જાય છે કંપનીમાં ઓટોમેશન થાય ત્યારે તેની અવળી અસર તેમાં કામ કરનારા પર પડે છે. તેવે વખતે કેટલીકવાર હિંસક ચળવળ પણ થાય છે તો કેટલીકવાર માત્ર વિરોધ પ્રદર્શનો પણ થાય છે. મોટે ભાગે વાટાઘાટો દ્વારા આવી ચળવળોનો અંત આવે છે. આ માટે બન્ને પક્ષોમાં વાટાઘાટ માટે કુશળ માનવીઓની જરૂર પડે છે. રાજકારણમાં માસ મુવમેન્ટસ એટલે કે લોકચળવળોને કારણે સરકારને જવું પડે છે. જેમકે ગુજરાતમાં ૧૯૭૩-૧૯૭૪માં ફૂડ બીલના વધારામાંથી જે વિદ્યાર્થીઓની ચળવળ શરૂ થઈ તેના કારણે કોંગ્રેસ સરકારને જવું પડયું હતું. આવું કંપનીઓમાં થતું નથી પરંતુ ચળવળ જો લાંબી ચાલે તો કંપનીની મેનેજમેન્ટમાં ફેરફારો કરવા પડે છે. કંપની સાથેની બાહ્ય ચળવળોમાં વાતાવરણવાદીઓની પ્રમુખ ભૂમિકા હોય છે. આમાં કેટલીકવાર વાતાવરણવાદીઓ તો કેટલીકવાર કંપની સફળ થાય છે. બંગાળમાં વાતાવરણવાદીઓ ટાટા નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળથી રદ કરવામાં સફળ થયા. ગુજરાતને ફાયદો થયો.

એમ્પાયર બીલ્ડિંગ ગેમ

કંપનીમાં કેટલાંક મેનેજરો કે ખાતાકીય વડાઓ પોતાની સત્તા અને લાગવગ વધારવા સતત પ્રયત્નશીલ રહે છે. સંસ્થામાં નવા નવા પ્રોજેક્ટસ આવ્યા કરે છે અને સંસ્થામાં પોતાનું સ્ટેટસ વધારવા કેટલાંક મેનેજરો તે પ્રોજેક્ટસને હડપ કરી લે છે. ખાસ કરીને સંસ્થા કે કંપની જ્યારે વિદેશી સંયુક્ત સાહસ સ્થાપ્યે તો સંસ્થાકીય મેનેજરો તેમાં અગત્યનો ભાગ ભજવવા મરણીયા પ્રયત્નો કરે છે જેથી વારે તહેવારે તેઓ વિદેશને પ્રવાસે જઈ શકે અને વિદેશી ભાગીદાર સાથે પણ પોતાની વગ વધારવા પ્રયત્નો કરે છે. આમ કરીને કંપનીમાં તેઓ પોતાનું થાણું નાંખે છે અને સત્તા વધારે છે.

સીઇઓની પસંદગી

કંપનીમાં નવા સીઇઓની પસંદગીનો સમય થાય ત્યારે કંપનીના કેટલાંક જૂથો પોતાની માનીતી વ્યક્તિને આગળ વધારવાની કોશીશ કરે છે અને તે રીતે નીચેના મેનેજરો પોતાની બઢતીની તકો વધારે છે. કેટલીકવાર કંપનીમાં પુષ્કળ સત્તા ભોગવતા ખાતાકીય વડાઓ નવા સીઇઓને સ્થિર થવા દેતા નથી. તેથી નવા સીઇઓ કંપની છોડીને જતા રહે છે. બહારથી આવેલા નવા સીઇઓ માટે તેમની કામગીરીનું પ્રથમ વર્ષ બહુ જ મુશ્કેલ હોય છે. જૂના ખાતાકીય વડાઓ અમુક હકીકતો કંપનીના નવા નીમાયેલા વડાથી સંતાડે છે અને નવા વડા નિષ્ફળ જાય તે માટે પ્રયત્ન કરે છે.

યંત્ર ટર્કની રમત

કોંગ્રેસમાં ઇન્દીરા ગાંધીના સમયે યંત્ર ટર્ક નામથી ઓળખાતા કોંગ્રેસી કાર્યકરોનું જૂથ ઊભું થયું હતું. આ યંત્ર ટર્કસ નામે ઓળખાતું આ જૂથ કોંગ્રેસને ઘરમૂળથી બદલવા પ્રયત્નશીલ હતું. કાળક્રમે આ યંત્ર ટકર્સનું જૂથ તૂટી પડયું. કંપનીમાં પણ પોતાને અદ્યતન જ્ઞાાન અને કુશળતાથી સજ્જ એવા યુવાનિયા બુદ્ધિશીલ મેનેજરોનું જૂથ ઊભું થાય છે. તેઓ નવી કુશળતા અને અદ્યતન ડીગ્રીઓ લઈને કંપનીમાં દાખલ થાય છે અને કંપનીની પોલીસીઝ અને પ્રોસીજર્સને પોતાની કુશળતાને અનુકૂળ પરિસ્થિતિમાં બદલવા પ્રયત્નશીલ રહે છે તેઓ જૂના મેનેજરોને આઉટડેટેડ ગણીને તેમની સત્તા ઘટાડવા પ્રયત્નશીલ રહે છે.

લાઈન વિરુદ્ધ સ્ટાફ

મેનેજમેન્ટમાં લાઈન અને સ્ટાફની વ્યાખ્યા ટેકનીકલ છે. લાઈન એટલે રેખા એમ નથી કંપનીમાં લાઈન મેનેજરો એટલે ઉત્પાદન અને માર્કેટીંગના મુખ્ય ખાતાઓ ગણાય છે જ્યારે ફાયનાન્સ, લીગલ કે હ્યુમન રીર્સોસીઝ ડેવલપમેન્ટ પહેલાંના જમાનામાં આ ખાતુ પર્સોનેલ ડીપાર્ટમેન્ટ તરીકે ઓળખાતું હતું.) ખાતાઓને સ્ટાફ (સહાયકારી ખાતાઓ કે એડવાઈઝરી ખાતાઓ) ગણવામાં આવે છે. મેન્યુફેક્ચરીંગ કંપનીઓમાં ઉત્પાદન અને માર્કેટીંગનો ત્યારે દબદબો હોય છે જ્યારે ફાયનાન્સ, આર એન્ડ ડી, હ્યુમન રીર્સોસ ડેવલપમેન્ટ ખાતાઓનો દબદબો ઓછો હોય છે. કારણ કે તેમનું મુખ્ય કામ લાઈન ખાતાઓ (મેન્યુફેક્ચરીંગ અને માર્કેટીંગ)ને સપોર્ટ કરવાનું હોય છે. દરેક કંપનીમાં લાઈન અને સ્ટાફ ખાતા વચ્ચે સતત સર્ઘષ ચાલતો હોય છે.

મોટેભાગે લાઈન ખાતાઓ સ્ટાફ ખાતાના માણસોને ગણકારતા નથી. આ બન્ને વચ્ચે રાજકીય હરીફાઈ સતત ચાલ્યા કરે છે જેથી કંપનીનો એક્ઝીક્યુટીવ વડાઓની મીટિંગોનો આ સંઘર્ષ સતત જોવા મળે છે. લાઈન અને સ્ટાફમાં કોઇકવાર વળી ડીપાર્ટમેન્ટ તો કોઇવાર સ્ટાફ ડિપાર્ટમેન્ટની જીત થાય છે. રાજકારણમાં જેમ વિરોધી ગુ્રપ્સ વચ્ચે હરીફાઈ, સંઘર્ષ, સહકાર અને કોમ્પ્રોમાઇઝના સંબંધો ચાલે છે તેમ સંસ્થામાં હરીફાઈ, સંઘર્ષ, સહકાર, વાટાઘાટો અને છેવટે કોમ્પ્રોમાઇઝની પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે 

સંસ્થામાં જૂથવાદ

કંપનીમાં કે કોઈ અન્ય સંસ્થામાં જૂથવાદ અત્યંત વકરી જાય ત્યારે કંપનીના મત કે સંસ્થાના પતનની શરૂઆત થઈ જાય છે. 'ઓવરપોલીટીસાઇઝેશન લીડઝ ટુ ડાઉન ફલો ઓફ એન ઇન્સ્ટીટયુશન' આ માટે જ ભારતની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સલર્સની પસંદગી તદ્દન નિષ્પક્ષ (હા, નિષ્પક્ષ) રીતે થાય તે જરૂરી છે.

બજેટીંગ;

સંસ્થામા કે કંપનીમાં બજેટીંગની પ્રક્રિયા એ કાઈ સૌથી મોટો ભાગ મળે તે માટે પુષ્કળ પ્રયત્નો કરે છે. જે ખાતાનું સૌથી મોટું બજેટ તે ખાતાનું સૌથી ઊંચું સ્ટેટસ તેવી માન્યતા કંપનીની અંદર અને કંપનીની બહાર હોય છે આથી દરેક ડીપાર્ટમેન્ટલ હેડ પોતાના ખાતાનું બજેટ કેટલું ઓછું છે તેની ફરિયાદ કર્યા કરે છે. ઊંચા બજેટની ફાળવણી થઈ હોય તે ખાતું કંપનીમાં પોતાનો 'પાવર બેઝ' વિસ્તારે છે.

સત્તાની નજીક હોવાની રમત

જેમ તેમ સત્તાશાળી વ્યક્તિની સૌથી નજીક હો તમે તમારી પાસે વધુ સત્તા. ભલે તમારી પાસે સત્તા હોય કે ના હોય પરંતુ બહારના લોકો તમને વધુ સત્તાશાળી ગણે છે. જો તમે સત્તાશાળીના મિત્ર, સગાવહાલા કે વફાદારીયુક્ત વર્તન ધરાવતા હો તો (પહેલાંના જમાનામાં શેઠના સાળાને બહુ સત્તાશાળી માનવામાં આવતા) આથી કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં ઘણા કર્મચારીઓ પોતે સત્તાશાળી મેનેજરો કે સીઇઓની વધુ નજીક છે એમ આભાસ ઊભો કરીને પોતાની લાગવગ વધારે છે. સરકારી તંત્રમાંનો જે અધિકારીઓ પ્રધાનમંત્રીની નજીકના હોય તેવો ખૂબ સત્તા ભોગવે છે. તેઓ પોતે કુશળ કે હોંશિયાર હોય તેવું જરૂરી નથી.

ભારતમાં કેટલીકવાર કેન્દ્રીય કે રાજ્યના પ્રધાનોના સગાવહાલા ઘણી સત્તા ભોગવતા હોય છે. અંગ્રેજીમાં પાવર અને ઇન્ફલ્યુન્સ બન્ને લગભગ શબ્દો છે તમારી પાસે સંસ્થામાં ઊચું સ્થાન ના હોય તો પણ તમે ઊંચી લાગવગ (ઇન્ફલ્યુઅન્સ) ધરાવી શકો છો. ઘણી કંપનીઓ આનો મોટો લાભ લે છે.

સંસ્થામાં આગળ આવવા દરેક કર્મચારીએ પાવર અને ઇન્ફલ્યુઅન્સના નેટવર્કનો અભ્યાસ કરવો જરૂરી છે. અસમાનતા વિના સંસ્થામાં તમે આગળ આવી શકશો નહીં. દરેક સંસ્થાના અન્ડરકરન્ટસમાં રાજકારણીય રમતો છુપાયેલી હોય છે.

Tags :