પ્રલયની તૈયારી તમે કરી લીધી છે? આખી દુનિયા 'ડુમ્સ ડે'ની વાતો કેમ કરે છે!
હોટલાઈન - ભાલચંદ્ર જાની
માત્ર એક જ વ્યક્તિના ઉછાંછળાપણાને કારણે આ યુધ્ધ ફાટી નીકળશે. આ વ્યક્તિ અત્યારે એક અજાણ્યો યુવાન છે જે પૂર્વના દેશમાં રહે છે
શિકાગો શહેરમાં કેટલાંક જાહેર સ્થળોએ પોસ્ટરો લગાડેલા જોવા મળે છે. જેમાં લખ્યું હોય છે. 'ડુમ્સ ડે ઈસ નિયર', 'ડાય ઓલ ડાય મેરી લી' (પ્રલયનો દિવસ નજીકમાં છે, બધા મરી જાઓ, સુખેથી મરી જાઓ). આમેય 'ધ ડે આફ્ટર' અને '૨૦૧૨' જેવી બીજી એવી પ્રલયને લગતી ફિલ્મો જોયા પછી લોકો એવા પલાયનવાદી થઈ ગયા છે કે જાણે જીવનમાં હવે કશું રહ્યું જ નથી. કઈ દિશામાંથી ક્યારે અણુબોમ્બ ફૂટશે કે મિસાઈલો ત્રાટકશે તેની જ ચિંતામાં લોકો ડૂબેલ રહે છે.
તાજેતરમાં ચીનના કોરોના વાઇરસને કારણે વિશ્વવ્યાપી રોગચાળો ફેલાયો ત્યાર બાદ ફરી એકવાર સામાન્ય પ્રજા ભયભીત બની છે. પ્રલયની વાતો કરનારા તો મોકો જ શોધતા ફરે છે. તેથી તાજેતરમાં 'ડુમ્સ ડે'ની વાતો કરનારા જોશમાં આવી ગયા છે.
અરે 'ડુમ્સ ડે કલૉક'ના સંચાલકો સુદ્ધા વર્તમાન સમયને જગત માટે ખતરારૂપ ગણાવે છે. 'ધ બુલેટીન ઓફ ધ ઍટોમિક સાયન્ટિસ્ટ' નામની સંસ્થા આ ડુમ્સ ડે કલોકનું સંચાલન કરે છે. તેમના મતે હાલ વિશ્વ પર મોટો ખતરો તોળાય છે. આમપણ ત્રાસવાદ, અણુયુદ્ધ , ચેપી રોગચાળો તથા કોઇ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાવાનો ભય સતત મંડરાતો રહે છે.
પ્રલય થઈ રહ્યો છે તેનો ખોટો હાઉ લોકોમાં ઊભો કરવામાં યુરોપ-અમેરિકાના લેખકોનો ફાળો પણ ઘણો મોટો છે. કેટલાંક લેખકોએ તો પ્રલય કેવી રીતે થશે તેના એવા ડીંડવાણાં હાંક્યે રાખ્યા છે કે વાંચીને હસવું આવે.
અમેરિકાના ભવિષ્યનેતા જેનડિક્સને થોડાક વર્ષ પૂર્વે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે ગઈ સદીના અંતમાં (૨૦૦૦ સુધીમાં) મહાયુધ્ધ ફાટી નીકળશે. માત્ર એક જ વ્યક્તિના ઉછાંછળાપણાને કારણે આ યુધ્ધ ફાટી નીકળશે. આ વ્યક્તિ અત્યારે એક અજાણ્યો યુવાન છે જે પૂર્વના દેશમાં રહે છે. પરંતુ તેની સત્તા ધીરે ધીરે વધશે અને અમેરિકા તેની ખોટી ચઢવણી કરશે. અત્રે એ નોંધવું જોઈએ કે અગાઉ જ્હોન એફ.કેનેડી, રોબર્ટ કેનેડી, માર્ટિનલ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીજીના ખૂનની સચોટ આગાહી કરનાર જેનડિક્સને રસાયણ યુધ્ધ અને અણુયુધ્ધ ફાટી નીકળશે. તેની ચેતવણી ઉચ્ચારી હતી. ખેર, ૨૦૦૦ ની સાલ વીતી ગઈ. વિશ્વયુધ્ધ તો થયું નથી. પરંતુ કોઈ ત્રાસવાદી સંગઠનોના કારણે અથવા અખાતના કોઈ માથા ભારે નેતાને કારણે હવે વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો નવાઈ નહીં.
એડગર કેપસી નામના એક પાદરી કહે છે કે ખૂબ મોટા ધરતીકંપ થશે તેમાં ન્યુયોર્ક, પેરીસ, લંડન, ટોકિયો, જેવા શહેરો જમીનમાં ગરકાવ થઈ જશે.
ટેક્સાસના ડલ્લાસ શહેરમાં 'પ્રોફેસી પનોરમા' નામનો કાર્યક્રમ દર અઠવાડિયે યોજાય છે. તેમાં જેમ્સ ગીલી નામના પાદરી લોકોને બાઈબલ વાંચી સંભળાવે છે. તેઓ કહે છે જેમ પ્રલયના દિવસો નજીક આવતા જાય છે તેમ બાઈબલ વાંચવું કે સાંભળવું વધુ મહત્ત્વનું બનતું જાય છે. લોકોના માનસપટ પર પણ પ્રલયની વાતો એવી અસર કરી ગઈ છે કે રોજ વધુ ને વધુ બાઈબલની નકલો મેઈલ ઓર્ડર પધ્ધતિથી ઘેરબેઠાં મંગાવે છે. બાઈબલની સી.ડી. પણ બહાર પડી ચૂકી છે. નવાઈની વાત એ છે કે લોકોમાં એવી શ્રદ્ધા પણ દ્રઢ બનતી જાય છે કે જો તેઓ બાઈબલ વાંચતા હશે તો પ્રલય વખતે આખી સૃષ્ટિનો વિનાશ થશે છતાં તેઓ બચી જશે.
મોન્ટાના રાજ્યના મિસુલા નામના નાના શહેરમાં રહેતા નેચરોપેથી ડોક્ટર લેલાન્ડ જોન્સન પણ પ્રલયની આગાહી કરી રહ્યા છે. ૭૦ વર્ષના આ વૃદ્ધ ડોક્ટર લેલાન્ડ જોન્સન પણ પ્રલયની આગાહી કરી હતી. આ વૃધ્ધ ડોક્ટરે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે ડુમ્સ ડે (પ્રલય)ની શરૂઆત ચોક્કસ ૨૦૦૨ માં ૨૯ મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યાને પણ મિનિટે થશે. આ પ્રલયની શરૂઆત મધ્ય પૂર્વના અખાતના દેશમાં અણુયુધ્ધ ફાટી નીકળવાથી થશે. એક ધાર્મિક પંથની આગેવાની કરતા આ ડોક્ટર પ્રલયની આગાહી કેવી રીતે કરે છે તેવા એક પત્રકારના પ્રશ્નમાં જણાવે છે કે બાઈબલમાં આપેલા સંકેતો અને ગીઝામાં આવેલી પિરામિડો પરના લખાણથી તેઓ પ્રલયની આગાહી કરી રહ્યા છે.
અમેરિકા તેમજ યુરોપમાં લોકોનો એક મોટો વર્ગ છે જે એવું માનતો હતો કે ૨૦૦૨ની સાલ સુધીમાં જરૂર પ્રલય થશે. કેટલાંક તો પાંચમી મે, ૨૦૦૨ની સાલ એવી ચોક્કસ તારીખ પણ જણાવી હતી. આ લોકોને એક વર્ગ પોતાને 'એડલ્ફિયન' તરીકે ઓળખાય છે. જો પૃથ્વી પર યુદ્ધ ફાટી નીકળે તો તેમાંથી બચવા પૃથ્વી છોડીને દૂર આકાશમાં જવા તેમણે 'એરશીપ' (હવાઈજહાજ) બનાવ્યા છે. તેમનું એવું માનવું છે કે પ્રલય થયા પછી જ્યારે પૃથ્વી પર શાંતિનું વાતાવરણ સ્થપાશે ત્યારે જ તેઓ પાછા નીચે આવશે. ત્યારબાદ તેઓ પૃથ્વી પર જે કોઈ માનવી જીવતા હશે તેને ભેગા કરી એક નવો સમાજ રચશે જો, આમ ન કરે તો માનવીએ પાછા ગુફામાં રહેવું પડે અને ચક્રોની શોધ કરવી પડે. અત્રે એ નોંધનીય છે કે જુદા જુદા પાદરી તબીબો પેગાન પંથીઓએ પ્રલયની જે કંઇ વાતો કરી છે તે એક પણ સાચી પડી નથી.
ભારતમાં એક નવો પંથ-સંપ્રદાય સ્થાપનારા 'બાબા'એ પણ શરૂઆતમાં પ્રલયની જ વાતો કરી હતી. આ બુના પર્વત પરડેરો જમાવી આ બાબાએ લોકોને પોતાના શરણમાં આવવા લલચાવ્યા હતા. એવું કહીને કે જેઓ મારે આશરે આવશે તે તમામ આવનારા પ્રલયથી બચી જશે ! જોકે તેમની આ વાણી પછી છ દાયકા વીતીગયા કોઇ પ્રલય તો આવ્યો નથી. પરંતુ આ બાબાની ધાર્મિક સંસ્થા ધમધોકાર ચાલે છે !
આજે પણ પ્રલયની વાતો કરનારા આ લોકો એમ માને છે કે તેમની વાતોમાં વિશ્વના બીજા લોકો પણ માનતા થશે. તો એ તેમની જ ભલાઈમાં હશે. તેમણે પ્રલય થાય ત્યારે સુરક્ષિત રહી શકાય તેવી કોલોની બાંધવાનું શરૂ કર્યું છે. જોકે અત્યાર સુધીમાં બે કોલોની બાંધકામ દરમિયાન જ તૂટી પડી છે. પરંતુ ત્રીજી મોટી કોલોની દૂર દક્ષિણ પેસિફિક વિસ્તારમાં બાંધવામાં આવી રહી છે. એમ કહેવામાં આવે છે કે હવે ક્યારે પ્રલય થશે ત્યારે પૃથ્વીના ઉપલા પડમાં મોટી ઉથલપથલ થશે અને વિશ્વની જનસંખ્યાના દશામાંથી નવમાં ભાગના લોકો ખતમ થઈ જશે. પરંતુ આ કોલોનીમાં રહેવાવાળાને ઊની આંચ નહીં આવે.
મિ.રીચાર્ડ કેઈનીંગર જેને એડલ્ફી સંસ્થાનો ગુરુ માનવામાં આવે છે. તેણે પ્રલયે થાય તો વિશ્વના શ્રેષ્ઠ વિજ્ઞાાનીઓને બચાવી લેવા માટે એક નવો તુક્કો કાઢ્યો છે. 'બ્રધરહુડ' નામે ઓળખાતી એક બીજી સંસ્થા બનાવી તેણે કેટલાંક ચુનંદા વિજ્ઞાાનિઓને તેના સભ્ય બનાવ્યા છે.
અલબત્ત, આ વિજ્ઞાાનીઓ કેઈનીંગરની વાતોને ક્ષુલ્લક ગણે છે. કારણ કે તેણે ૧૯૭૬માં એવી આગાહી કરી હતી કે અમેરિકા તેની ૨૦૦ મી વર્ષગાંઠ (જે ૧૯૭૬ માં હતી) તો ઊજવી શકશે પરંતુ ૨૦૧ મી વર્ષગાંઠ નહીં ઊજવી શકે. આ આગાહી ખોટી પડી તેથી તેમ જ બે હજારની સાલમાં પ્રલય થશે તેવું કોઈ ચોક્કસ વૈજ્ઞાાનિક કારણોના આધાર વગર માનવા તૈયાર ન થનારી કોઈપણ વ્યક્તિ કેઈનીંગરની સંસ્થામાં સભ્ય ન જ થાય.
કેઈનીંગરે એક પુસ્તક લખ્યું છે - 'ધી અલ્ટીમેટ ફ્રન્ટીઅર'. તેમાં તેણે પ્રલય વિશેની વાતોને મસાલો ઉમેરીને રસપ્રદ બનાવીને લખી છે તેમજ પોતે સ્થાપેલી સ્થંસ્થાનો ચિતાર આપ્યો છે. આ પુસ્તકથી ઘણા લોકો એડલ્ફી સંસ્થાના સભ્યો બનવા લલચાયા છે.
એડલ્ફી સંસ્થાના સભ્ય બનવા કોઈ ફી લેવાતી નથી. પરંતુ દરેક વ્યક્તિએ તેની આવકનો દસમો ભાગ આ સંસ્થાને દાનમા આપવાનો હોય છે. આ આવકમાંથી સંસ્થાના સભ્યો માટે કોલોની બાંધવા અને સ્કૂલો બાંધવાનો ખર્ચ કરાય છે. આ સંસ્થાની નોંધણી ધાર્મિક સંસ્થા તરીકે થઈ હોવાથી તેની આવક પર કોઈ કરવેરો ભરવો પડતો નથી તેમજ સંસ્થાના વહીવટકર્તા કોઈ પગારની અપેક્ષા રાખ્યા વગર જ કામ કરે છે.
આ સંસ્થાએ તેનું પહેલું 'એડલ્ફી સિટી' શિકાગોથી ૬૦ માઈલ દૂર વિશાળ ખુલ્લા મેદાનમાં બનાવ્યું છે. 'સ્ટેલે' (જર્મન શબ્દ છે જેનો અર્થ મહેલ એવો થાય છે) નામના આ નગરમાં લાકડાના ઘરો છે. બે સ્કૂલો છે અને સંસ્થાના સભ્યો દ્વારા ચલાવતી ચાર કંપનીઓ છે. લાકડાની ફેક્ટરી, મોલ્ડેડ પ્લાસ્ટીક ફેક્ટરી, કન્સ્ટ્રક્શન કંપની અને ઓજારો બનાવતી કંપની આ સંસ્થાના સભ્યો જે તેમાં કામ કરે છે .
બીજું શહેર, જેનું નામ 'એડલ્ફી' હશે તે ડલ્લાસની પર્વતમાળા વચ્ચે બંધાશે. દૂર પેસિફિક વિસ્તારમાં નાના ટાપુ પર બંધાનારું ત્રીજું 'ફિલાડેલ્ફિયા' તરીકે ઓળખાશે. આ નગરો બાંધવાના કામમાંથી ફુરસદ મળી ન હોવાથી હજુ એરશીપ વિશે નક્કર પગલાં નથી લેવાયા પણ બ્લ્યુ-પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે તેવું ડેઈનીંગર જણાવે છે. હવાઈજહાજ બાંધવાનું શરૂ થશે અને ૨૦૨૪ ની સાલ પહેલા ૨૦૦૦ એરશીપ બાંધવામાં આવશે. દરેક એરશીપ ૨૫૦ વ્યક્તિ અને તેમને ચાલે તેટલો ખોરાક રાખવાની ક્ષમતા ધરાવશે. તેથી પ્રલયના વખતે આ બધા એરશીપ ઊંડીને આકાશમાં જતાં રહેશે અને પૃથ્વી પર શાંતિ પથરાશે ત્યારે જ પાછા આવશે.
આ એરશીપ કેવું હશે, તેવા પ્રશ્નનાં જવાબમાં કેઈનીંગર જણાવે છે કે તે લગભગ ૭૨૭ બોઈંગ વિમાન જેવું હશે. પરંતુ તેમાં એન્જિનની ગોઠવણી જુદી હશે, આ એરશીપનું મુખ્ય કામ પૃથ્વી પર યુદ્ધ ચાલતું હોય અથવા પ્રલયકારી આફત સર્જાઈ હોય ત્યારે આકાશમાં અધ્ધર ઊડયા કરવાનું છે. લગભગ દસેકે દિવસ સુધી આકાશમાં અધ્ધર રહી શકાય તેવી ગોઠવણ કરવામાં આવશે.
આ સંસ્થાના એક અન્ય ધર્મગુરુએ 'ડુમ્સ ડે' (પ્રલયનો દિવસ) ની આગાહી કરતા કહ્યું હતું કે આ દિવસે બધા જ ગ્રહો સૂર્યની બીજી બાજુ એક હરોળમાં આવશે. માત્ર પૃથ્વી અને ચંદ્ર સૂર્યની આ બાજુ હશે. ગ્રહોની આ સ્થિતિને કારણે ગુરુત્વાકર્ષણના પરિબળો પૃથ્વીને હલબલાવી મુકશે તેવું માનવામાં આવે છે. દરિયાઈ તોફાનો અને ભારે ધરતીકંપોથી પૃથ્વી એવી ખળભળી ઉઠશે તે સંખ્યાબંધ શહેરો જમીનમાં દટાઈ જશે. માત્ર ૫૦ કરોડ લોકો જીવતા રહેશે. તેમની સાથે મળીને એડલ્ફી સંસ્થાના સભ્યો નવેસરથી જગતનું આયોજન કરશે. (આ વાત પણ ખોટી ઠરી છે. કારણ કે બધા ગ્રહો એક લાઈનમાં આવ્યા છતાં પૃથ્વી પર કોઈ ઉથલપાથલ મચી નહોતી).
અમેરિકામાં એક એવો વર્ગ છે જે પ્રલયની વાતોમાં નથી માનતો પણ એવું જરૂર માને છે કે એક સમય આવશે જ્યારે આખા વિશ્વની નાણાકીય પરિસ્થિતિ ભાંગી પડશે અને પારાવાર અંધાધુંધી ફેલાશે. લૂંટફાટ અને ખૂનામરકીના દ્રશ્યો ચોંતરફ જોવા મળશે. આ બધામાંથી બચવા ટેક્સાસના ડેન્ટોન શહેર પાસે એક નવી વસાહત ઊભી થઈ રહી છે. વ્હાઈટ હોક કોમ્યુનિટી નામની સંસ્થા વિશ્વમાં જ્યારે પણ આર્થિક અને રાજકીય અંધાધુંધી સર્જાય ત્યારે તેના સભ્યોને બચાવવાના ઉદ્દેશથી સ્થાપવામાં આવી છે. વાસ્તવમાં આ સંસ્થાનાં કેટલાંક ઉદ્દેશો બહુ ઊમદા છે અને વિશ્વના દરેક સરકારે અપનાવવા જેવા છે. આધુનિકતાના નામે ધ્વનિ, વાયુ અને પાણીનું પ્રદૂષણ જે રીતે માનવજાતને સંકટમાં નાખી રહ્યું છે, તેમાંથી બચવા આ સંસ્થા નવા માર્ગો વિચારી રહી છે.
'પર્યાવરણ' ને અનુકૂળ રીતે રહી શકાય તેમ જ ઊર્જા વેડફાય નહીં તે 'ઈકોલોજીકલ લિવિંગ વીથ એપ્રોપ્રિયટ ટેક્નોલોજી' નામે ઓળખાતા સિદ્ધાંતના આધારે નવી વસાહત તૈયાર કરવામાં આવી રહી છે. સૂર્યશક્તિ અને મુક્ત રીતે વાતા પવનનો વધુમાં વધુ ઉપયોગ કરી ઉર્જા મેળવવાના સાધનો વિકસાવવામાં આવી રહ્યા છે.
આ વસાહતમાં રહેવાવાળા મોટાભાગના આઘેડ વયના લોકો છે. કેટલાંક એન્જિનિયરો છે તો એક વ્યક્તિ તો કોમ્પ્યુટર કંપનીનો માલિક છે. બધા લોકો સપ્તાહમાં એકવાર ભેગાં મળીને પ્રાર્થનાસભા યોજે છે અને વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરે છે.
કોઈ નક્કર પુરાવા વગર પ્રલયની ઊટપટાંગ વાતો કરવાને બદલે વ્હાઈટ હોક કોમ્યુનિટીની વાતો નરી વાસ્તવિકતા પર આધારિત છે. તેઓ માને છે કે આજનું વિશ્વ એક અતિ ઝડપથી ગતિ કરતા વિમાન જેવું છે જેનું બળતણ ખલાસ થવા આવશે ત્યારે તે ભાંગી પડશે. આવું ખરેખર ન બને માટે માનવજાતને ઊર્જાના નવા સ્તોત્ર શોધી કાઢી આડેધડ પ્રગતિના બદલે એક નિર્ધારિત માર્ગ પર સમસ્ત વિશ્વના કલ્યાણને નજર સમક્ષ રાખી પ્રગતિ કરવી જોઈએ.