Get The App

'સાઇકોન્યૂરો ઇમ્યુનોલોજી'નું સંશોધન કરી વિજ્ઞાાનીઓ પ્રસ્થાપિત કરે છે કે રોગો લાગણીઓથી ઉદ્ભવે છે !

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
'સાઇકોન્યૂરો ઇમ્યુનોલોજી'નું સંશોધન કરી વિજ્ઞાાનીઓ પ્રસ્થાપિત કરે છે કે  રોગો લાગણીઓથી ઉદ્ભવે છે ! 1 - image


જ્યારે ટાળી ન શકાય એવું દુઃખ ગમગીની, ઉદાસીનતા, વિષાદ, એકલતાની પ્રબળ લાગણી લાંબા સમય સુધી રહે છે ત્યારે શરીરમાં કેન્સરની ગાંઠ વિકસિત કરે છે !

અમેરિકાના વૉશિંગ્ટન ડી.સી.માં આવેલ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી ઓફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝીયોલોજી એન્ડ બાયોફિઝીક્સના રીસર્ચ ન્યૂરો સાયન્ટિસ્ટ ડો. કેન્ડસ બી. પર્ટ (Candace B. Pert)  ને ન્યૂરો પેપ્ટાઇડ્સ, રિસેપ્ટર ફોર્મેકાલોજી અને કેમિકલ ન્યૂરોએનેટોમીના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સંશોધનો કરવા બદલ ઘણા એવોર્ડસ અપાય છે. તેમણે મસ્તિષ્કમાં સેલ્યુલર બાઇન્ડિંગના સ્થાન તરીકે કામ કરતા ઓપિએટ રિસેપ્ટર (Opiate Receptor)ની શોધ કરી સાઇકોન્યૂરો ઇમ્યુનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. માઇન્ડ- બોડી- મેડીસીનના એ પાયોનિયર સાયન્ટિસ્ટ ગણાય છે. ૨૦૦૮માં એમને સાઇકોન્યૂરો ઇમ્યુનોલોજી ક્ષેત્રે 'હોલિસ્ટિક મેડિસિન'ની થિયરી આપવા બદલ એવોર્ડ અપાયો હતો. એ પૂર્વે ૨૦૦૬માં ન્યૂયોર્ક ઓપન સેન્ટર તરફથી શરીર વિજ્ઞાાન અને હૃદયથી અનુભવાતી લાગણી વચ્ચે સંબંધ શોધવાના સેતુરૂપ બની બહુમૂલ્ય શોધ-સંશોધન કરવા બદલ પણ એમનું બહુમાન કરાયું હતું.

ડૉ. કેન્ડસ પર્ટ કહે છે - 'લાગણીઓ કે ભાવો એ માત્ર શરીરના રસાયણો જ નથી, તે ઇલેક્ટ્રો કેમિકલ સિગ્નલો છે જે શરીરના બધા કોષોના રસાયણો અને વિદ્યુતને અસર કરનારા છે. શરીરની વિદ્યુતકીય સ્થિતિ લાગણીઓથી નિયમન કરાય છે જે શરીરની અંદરના વિશ્વને બદલે છે. શરીરની અંદરનું વિશ્વ બદલાય એટલે શરીરની બહારનું વિશ્વ પણ બદલાય છે. તમારું મન તમારા શરીરના દરેક કોષમાં રહેલું છે. (Your mind is in every cell of your body). લાગણીઓ એ ગુંદર (glue) છે જે કોષોના સજીવતંત્ર (Organism)ને એક સાથે જોડી રાખે છે.

જ્યારે લાગણીઓ સુપેરે અભિવ્યક્ત થાય છે ત્યારે બધી જ શારીરિક સંરચનાઓ જોડાઈ જાય છે અને એને એક આખું, સંપૂર્ણ સર્વાંગીણ તંત્ર બનાવી દે છે. જ્યારે લાગણીઓને દબાવવામાં આવે છે, તે કુંઠિત થાય છે, તેને અભિવ્યક્ત થતી અટકાવવામાં આવે છે, નકારવામાં આવે છે ત્યારે એના નેટવર્કના રસ્તાઓ બ્લોક થઈ જાય છે. જેથી જીવનશક્તિનો પ્રવાહ અવરુદ્ધ થાય છે અને સંયોજક કેમિકલ્સ પેદા ન થવાથી શરીર સંરચના અને વર્તન બન્ને અસર પામે છે.' પ્રેમ મહદઅંશે રોગનિવારણ કરી સ્વાસ્થ્ય લાવે છે. જ્યારે ભય, એકલતા, પૃથકતા બીમારી લાવે છે. આપણને મોટામાં મોટો ભય ત્યજાઈ જવાનો હોય છે.  (Love often leads to healing while fear and isolation breed illness and our biggest fear is abandonment) 

ડૉ. કેન્ડસ પર્ટે ૨૫૦ જેટલા રીસર્ચ આર્ટિકલ્સ લખ્યા છે. મનોદૈહિક રોગો અને સાઇકોન્યૂરો ઇમ્યુનોલોજીને લાગતા એમના છ પુસ્તકો અત્યંત પ્રસિદ્ધ છે. આ પુસ્તકો છે.

૧. મોલિક્યુલ્સ ઓફ ઇમોશન્સ - ધ સાયન્સ બિહા ઇન્ડ માઇન્ડ બોડી મેડીસીન, ૨. એવરિથીંગ યુ નીડ ટુ નો ટુ ફિલ ગુડ ૩. યોર બોડી ઇઝ યોર સબકોન્સિયસ માઇન્ડ ૪. સાઇકોસોમેટિક વેલનેસ: ગાઇડેડ મેડિટેશન્સ એફર્મેશન્સ એન્ડ મ્યુઝિક ટુ હિલી યોર બોડીમાઇન્ડ ૫. ટુ ફિલ ગુડ - ધ સાયન્સ એન્ડ સ્પિરીટ ઓફ બ્લિસ ૬. એક્સપ્લોરર ઓફ ધ બ્રેઇન - બોડી, માઇન્ડ એન્ડ બિયોન્ડ.

કેન્ડસ પર્ટ એમના સંશોધનોના આધારે સમજાવે છે કે આપણે 'શરીરની તંદુરસ્તી' અને 'શરીરનો રોગ' એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એના બદલે ખરેખર 'લાગણીની તંદુરસ્તી' અને 'લાગણીનો રોગ' એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. મોટા ભાગના રોગોના મૂળમાં લાગણી જ કામ કરે છે. પ્રેમ, પરમાર્થ, સહકાર, સમીપતા, પ્રસન્નતા સેલ્યુલર લેવલ (Cellular Level) પર સ્વસ્થતા લાવવાનું કામ કરે છે. લાગણી અંદર કોષો સાથે રાસાયણિક ક્રિયા કરે છે.

આપણી અંદર જ રોગોનો નાશ કરવાનું વ્યવસ્થાતંત્ર છે. આપણા રોગપ્રતિકારક તંત્ર (ઇમ્યુન સિસ્ટમ)માં એવા કોષો છે જે 'નેચરલ કીલર'નું કામ કરે છે. તે ટયુમરનો પણ નાશ કરી શકે છે. રોગોની જેમ ટયુમર (ગાંઠ) પણ મનોદૈહિક રીતે બને છે અને એ રીતે નષ્ટ પણ થઈ શકે છે. કેન્સરના કોષો પોતે જ હરતાફરતા પેપ્ટાડાઇસ છે પેપ્ટાડાઇસ રિસેપ્ટર્સ એમને સંગઠિત થવાની કે વિભાજિત થવાની વ્યવસ્થા ગોઠવે છે. લાગણીઓના ઉદ્ભવસ્થાનરૂપ આપણા મનની સ્થિતિ ઇમ્યૂન સીસ્ટમ પર પ્રભાવ ઉત્પન્ન કરે છે એને સંતુલિત, સ્વસ્થ, સંતુષ્ટ રાખીએ તો કેન્સરનો નાશ પણ કરી શકીએ. જો લાગણી સતત ઘવાયા કરે તો ઇમ્યૂન સિસ્ટમમાં બ્રેકડાઉન આવી જાય. તે વધારે સક્રિય થઈ ઓટો- ઇમ્યૂન રોગ ઉત્પન્ન કરે અથવા ઓછી સક્રિય થઈ ઝેરી (Malignant) ગાંઠ બની કેન્સર લાવે.

પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધક તબીબોએ કરેલા પ્રયોગોએ પણ એવું તારણ આપ્યું છે કે, અસહાયતા (Helplessness)  ની લાગણી કેન્સર પેદા થવાની શક્યતાઓને અનેકગણી વધારી દે છે. ડો. મેડિલોન વિસિન્ટેઇનર (Madelon visintainer)  અને એમના સહાયકોએ પ્રયોગોના આધારે એવો નિષ્કર્ષ આપ્યો છે કે જ્યારે ટાળી ન શકાય એવું દુઃખ ગમગીની, ઉદાસીનતા, વિષાદ, એકલતાની પ્રબળ લાગણી લાંબા સમય સુધી રહે છે ત્યારે શરીર કેન્સરની ગાંઠ વિકસિત કરે છે !

નોબેલ પ્રાઇઝના નોમિની રહી ચૂકેલા ડો. કેન્ડસ પર્ટ રોગ અને લાગણીના સહસંબંધની સમજ આપતા કહે છે કે ઘણા બધા રોગના જીવાણુઓ, વિષાણુઓ (વાઇરસ) રિસેપ્ટર સેલ (કોષ)ની સપાટી પરથી એની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પણ સ્વાભાવિક રીતે ગોઠવેલી વ્યવસ્થા પ્રમાણે એ રિસેપ્ટર સેલ એ વાઇરસને પહેલાં તો એની અંદર પ્રવેશવા દેતા નથી. એટલે કે ચાલાક વાઇરસ યુક્તિ કરે છે. આતંકવાદી જેમ આપણા લશ્કરના સૈનિકનો વેશ પહેરી લે, ચોર- લૂંટારા પોલીસનો પહેરવેશ પહેરી લે તો એનાથી છેતરાઈને સૈનિકો કે પોલીસ પેલા આતંકવાદી કે ચોર- લૂંટારાને એમની ટુકડીમાં પ્રવેશ કરવા દે તેમ એ વાઇરસ પ્રોટીનનું મ્હોરું પહેરી અંદર દાખલ થવાનો પ્રયત્ન કરે છે. મહદઅંશે રિસેપ્ટર સેલ એમને પ્રોટીન સમજીને અંદર દાખલ થવા દે છે. અંદર દાખલ થઈ ગયા પછી પ્રોટીનનું આવરણ નીકળી જતા એ વાઇરસ એમનું કામ શરૂ કરી દે છે અને ઇમ્યૂન સીસ્ટમને નબળી પાડી રોગ ઉત્પન્ન કરે છે.

તે પ્રવૃદ્ધ થતા મરણ પણ નિપજાવી દે છે. પ્રોટીનના આવરણવાળા વાઇરસ રિસેપ્ટર પેલા અસલ જેવા જ દેખાતા હોય છે પણ એ લાગણીના તંત્રથી જોડાયેલા હોય છે. સ્વસ્થ લાગણીથી ઉદ્ભવતું કુદરતી કેમીકલ તમારામાં કેટલું છે. એ પ્રમાણે એનું કોષમાં દાખલ થવાનું કે ન થવાનું નિર્મિત થાય છે. લાગણીથી વિચલિત થયેલા હોય એવા ખાલી રિસેપ્ટરમાં પેલા છદ્મવેશી વાઇરસ પ્રવેશી ગયા બાદ છૂપા દુશ્મન બની અંદરથી ઇમ્યુનિટીને એકદમ ઘટાડી કે સાવ ખલાસ કરી દર્દીને રોગ કે મરણ નિપજાવી દે છે.

Tags :