Magazines

''ઝાળ-મૂરી '' બંગાળનો નાસ્તો જ નહિ- સાંસ્કૃતિક વારસો છે... !

By GS TEAM
16 May 20262 mins read
''ઝાળ-મૂરી '' બંગાળનો નાસ્તો જ નહિ- સાંસ્કૃતિક વારસો છે... !

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

''ઝા ળ-મૂરિ'' એટલે મસાલેદાર મમરા. આ નાસ્તો પૂર્વ ભારત અને ખાસ કરીને બાંગ્લાદેશમાં જાણીતો છે. ખાસ તો કલકત્તાની ગલીઓમાં તમને આ મસાલા મમરાની અનેક લારીઓ જોવા મળશે.

આપણે જે સેવ-મમરા ખાઈએ છે એમાં સરસિઆનું તેલ અને ચાટ મસાલા ઉમેરો એટલે 'ઝાળ-મૂરિ' તૈયાર થઈ જાય  બંગાળી ભાષામાં ઝાળ એટલે તીવ્ર તીખું અને મુરિ એટલે મમરા.

આ વાનગી બંગાળની પરંપરા છે અને તે એક પોર્ટેબલ સ્ટ્રીટ ફૂડ તરીકે જીણીતો છે. છેક ૧૯મી ૨૦મી સદીથી આ નાસ્તો સ્ટેશન પર, નદી- તળાવ પર, મેળામાં અને મેળાવડામાં જોવા મળે છે.

કલકત્તામાં મમરા સસ્તા મળે છે અને મોટા પ્રમાણમાં મળે છે. વળી બંગાળી રસોડામાં સરસિયું તેલ અને મસાલાનો ઉપયોગ ખાસ થાય છે એટલે આ રેસીપી ત્યાં ખૂબ જાણીતી છે.

'ઝાળ-મૂરિ'ને કેટલાક લોકો જાલ-મૂરિ તરીકે ઓળખે છે. ઝાળ (વલ્લછન્) યોગ્ય શબ્દ છે જેનો અર્થ તીખો, ઉષ્ણ થાય છે. એટલે કલકતાની આ વાનગી પર 'મસાલા મમરા' એવું પણ લખ્યું છે.

આ વાનગીમાં મુખ્યત્વે પફ્ડ રાઇસ, રાઇનુ તેલ, કાંદા, લીલા મરચા, મસાલા, (ચાટ), કોથમીર, શીંગ સેવ, ચણાચોર ગરમ, બાફેલા બટાકા વગેરેનો સમાવેશ થાય છે.

આ વાનગીના ફાયદા- ગેરફાયદા બન્ને છે. સૌ પ્રથમ ફાયદા જોઈએ.

(૧) પચવામાં સરળ અને ઓછી કેલેરીવાળો નાસ્તો.

(૨) સસ્તો સ્ટ્રીટ ફૂડ

(૩) તમે ઘટકો વધારે ઓછા કરી શકો.

(૪) સાદા ઘટકોથી સરસ ટેસ્ટ મળે છે. રાયનું તેલ, મસાલા તેમજ તાજા કોથમીરથી સરસ ફ્લેવર આવી જાય છે.

(૫) કોથમીર, કાંદા, ટામેટા, રોસ્ટેડ ચણા, શાકભાજી અને શીંગ નાખીને તમે એને પોષક આહાર બનાવી શકો છો.

પ્રમાણસર માણવામાં આવે તો ખાસ ગેરફાયદા નથી વધુ પડતો નાસ્તો કરો તો થોડી મુશ્કેલી પડી શકે.

(૧) ચણાચોર, સેવ, મસાલા વગેરેને કારણે તેમાં મીઠાનું પ્રમાણ વધે છે જે તમારું બ્લડપ્રેશર વધારી શકે એવું એક અભ્યાસમાં જણાયું છે.

(૨) મમરાનો સાદો નાસ્તો બનાવો તો ભૂખ તરત લાગે છે.

(૩) આપણે રાઈનું તેલ ખાતા નથી એટલે અનેક લોકોને પસંદ ન આવે.

(૪) રસ્તાનો ફેરીઓ કેટલી સ્વચ્છતા રાખે એ પણ પ્રશ્ન છે.

(૫) મમરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સહેજ ઊંચો હોવાથી મોટા પોર્શનમાં આરોગો તો લોહીમાં સુગર ઝડપથી વધે છે.

ટૂંકમાં મસાલા મમરાને પ્રમાણમાં આરોગવા, આયુર્વેદમાં મમરાને ઠંડા, હલકા, અગ્નિને પ્રદીપ્ત કરનાર, બળ આપનાર, કફ, પિત્ત, ઉલ્ટી, અતિસાર અને તરસને મટાડનાર કહ્યા છે.

બંગાળની ઝાળ-મૂરિ નાસ્તો જ નહિ પણ એક સાંસ્કૃતિક વારસો છે એટલે બીચ પર, કોલેજ કેન્ટીનમાં પિકનિકમાં, ફૂટબૉલ મેચમાં, સાંજની ચ્હા વખતે, ટ્રેનની મુસાફરીમાં અને બાગમાં તેની હાજરી અચૂક જણાય છે.