Magazines

આધુનિક સમયમાં સર્જનાત્મકતા નાણા કમાવાનું સાધન

By GS TEAM
16 May 20265 mins read
આધુનિક સમયમાં સર્જનાત્મકતા નાણા કમાવાનું સાધન

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- એક જમાનામાં સર્જનાત્મકતામાંથી માતબર કમાણી થઈ શકે એવો વિચાર જ અસ્તિત્વમાં ન હતો, આજે એક પ્રોડક્ટની જેમ ક્રિએટિવિટીનો ઉપયોગ થાય છે

ક્રિએટિવિટીને માપવા માટેની પદ્ધતિ વિકસી નથી

સમાજમાં કેટલીક વ્યક્તિઓ-સ્ત્રીઓ અને પુરૂષો - કેમ ક્રીએટીવ (સર્જનાત્મક) બની જાય છે અને કેટલાક સ્ત્રી-પુરૂષોના બાળવયમાં કે કિશોરાવસ્થાથી જ સર્જનાત્મકના ઝબકારા દેખાવા લાગે છે અને કેટલીકવાર પુખ્તવયના સ્ત્રીઓ અને પુરૂષો પણ એકાએક સર્જનશીલતા દર્શાવે છે તેની મનોવૈજ્ઞાનીકોને હજી પૂરેપૂરી ખબર નથી.

ઉચ્ચ બુદ્ધિશક્તિ અને ઉચ્ચ સર્જનશક્તિ બન્ને જુદી બાબતો છે. માનવીની બુદ્ધિશક્તિ આપવા માટે ઈન્ટેલીઝન્સ ટેસ્ટસની રચના થઈ છે અને તે દ્વારા બુદ્ધિ માપણીનો આંકની રચના થાય છે તેને આઈક્યુ અથવા ઈન્ટેલીઝન્સ ક્વોશન્ટ કહે છે પરંતુ હજી માનવસમાજ ક્રીએટીવીટી ક્વોશન્ટની રચના કરી શક્યો નથી. આ દીશામાં જે કાંઈ પ્રયત્નો થયા છે તેના પરીણામો હજી ચોક્કસ ક્રીએટીવીટી ક્વોશન્ટ સ્વરૂપે બહાર આવ્યા નથી કારણ કે ક્રીએટીવીટી એક ઝબકારો છે, સતત વિચારતી બુદ્ધિનો એ સ્ફોટક સ્વરૂપ છે.

ક્રિએટિવિટી : એક મનોવૈજ્ઞાનિક કોયડો

 માનવ બુદ્ધિ આંક વધારવાની અનેક ટેકનીકો શોધાઈ છે પરંતુ ક્રીએટીવીટીને 'શીખવવાની' કોઈ અકસીર પધ્ધતિ શોધાઈ નથી. ટૂંકમાં માણસનો બુદ્ધિઆંક ઊંચો હોય તો તે કઠિનમાં કઠિન કોયડાઓનો ઉકેલ શોધી શકે છે. સમાજમાં અમુક વ્યક્તિઓ સુપર ઈન્ટેલીજન્ટ હોય છે અને અમુક વ્યક્તિઓ સુપર ક્રીએટીવ હોય છે તેની પાછળ જન્મજાત પરિબળો છે કે ઉછેરની પધ્ધતી છે તેની આપણને હજી પૂરી ખબર નથી. આથી આ બન્નેને ન્યાય આપતો શબ્દ હવે મેનેજમેન્ટમાં વિકસ્યો છે અને તે છે 'ક્રીએટીવ પ્રોબ્લેમ સોલ્વીંગ.' ક્રીએટીવીટી અને ઊંચી બુદ્ધીશક્તિ પાછળ નેચર (જન્મજાત લક્ષણો) છે કે નર્સર (ઉછેરની પધ્ધતિ) તેનો મનોવૈજ્ઞાનિકો નિશ્ચીત ઉત્તર આપતા નથી અને જણાવે છે કે ઉચ્ચ બુદ્ધિમત્તા અને ઊંચી સર્જનશીલતા માટે વ્યક્તિના જન્મજાત લક્ષણો (નેચેર) અને વ્યક્તિનો ઉછેર (નર્સર) બન્ને જવાબદાર છે પરંતુ નેચર અને નર્સરની વચ્ચે વધુ કોણ જવાબદાર છે તેની ચર્ચા મનોવિજ્ઞાનમાં હજી ચાલુ છે. બાય ધ વે, સમસ્ત બ્રહ્માંડમાં માનવીનું મગજ સૌથી અટપટુ મીકેનીઝમ (એકમ) છે તેમ આધુનિક જીવન વૈજ્ઞાનિકો માટે છે કારણ કે માનવ મગજમાં અબજો જીવરાસાયણીક કોષો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે.

તમામ ક્ષેત્રોમાં સર્જનાત્મકતાનું મહત્ત્વ

માનવ સર્જનશીલતાના સેંકડો ક્ષેત્રો છે. માનવ સર્જનશીલતા સાહિત્યમાં, કળાઓમાં, વિજ્ઞાનમાં, સ્કલ્પચરમાં, સંગીતમાં, પેઈન્ટીગમાં, ડાન્સીંગમાં, કુકીગમા, ખેલકૂદમાં, યુદ્ધમાં, ફિલ્મ ડાયરેકશનમાં, ફીલ્મ ડાયલોગમાં, ફિલ્મ મ્યુઝીકમાં, યુદ્ધમાં જીતવાની સ્ટ્રેટેજી રચવામાં, તબીબી સારવારના તમામ ક્ષેત્રોમાં, અને અન્ય સેંકડો ક્ષેત્રોમાં પ્રગટ થાય છે. ક્રીએટીવ શબ્દ એટલો વ્યાપક છે કે અર્થશાસ્ત્રના માંધાતા શુમ્પીટરે મૂડીવાદની સફળતા પાછળ મૂડીવાદની 'ક્રીએટીવ ડીસ્ટ્રકશન'ની કુશળતાને યશ આપ્યો હતો.

માનવ સમાજમાં ક્રીએટીવીટી છે પરંતુ છેલ્લાં સો કે વધુ વર્ષોથી ક્રીએટીવીટીનું નાણાકરણ (ફાયનાન્સીયલાઇઝેશન) પુષ્કળ વધી ગયું છે. તેનું મુખ્ય કારણ મોટેભાગે પેટન્ટ અને કોપીરાઇટના કાયદાઓ છે. ભારતમાં કાલીદાસ એક મહાન ક્રીએટીવ કવિ હતા. શું તેઓ તેમની અદ્ભુત કૃતિઓ પર રોયલ્ટી મેળવીને કરોડપતિ બન્યા હતા! શેક્સપીયરે પોતાના નાટકો જ્યાં જ્યાં ભજવાય તેની રોયલ્ટી ઉઘરાવી હતી ? શુખીયોવન કે તાનસેન સંગીત જગતમાં અદ્ભુત ક્રીએટીવ સંગીતની રચના કરી તેઓએ તેના પર રોયલટી ઉઘરાવીને અબજોપતિ બન્યા? અત્યારે તો એક ફિલ્મ જો અત્યંત સફળ થાય તો તેના નાયક-નાયિકા ૨૫ કરોડથી ૫૦ કરોડ રૂપિયાની ફી મેળવે છે. દા.ત. અમેરીકન ફીલ્મ ટાયટેનીકે અબજો ડોલર્સની કમાણી કરી તેની પાછળ પેટન્ટ કે કોપીરાઇટના કાયદાઓ છે. શું પ્લેટો, સોક્રેટીસ, એરીસ્ટોટલ, આર્યભટ્ટ, ડેકાર્ટ, કે ચિત્રકાર નંદલાલ બોઝ કે મ્યુઝીશીયન રવિશંકર કે પન્નાલાલ ઘોષ તેમની સર્જનાત્મક સિદ્ધીઓ દ્વારા અબજોપતિ બની ગયા? સુધારાના ક્ષેત્રે અત્યંત ક્રીએટીવ નર્મદ તો તદ્દન ગરીબ અવસ્થામાં જીવ્યા અને અખો તેના અદ્ભૂત સાહિત્ય દ્વારા કાણી કોડી પણ કમાયા હશે તેની આપણને લગભગ ખાતરી છે. રાજકારણમાં સત્યાગ્રહની ટેકનીકની અદ્ભુત શોધ કરનાર ગાંધીજી પાસે કદાચ સો રૂપિયા પણ નહીં હોય. નરસિંહ મહેતાના પ્રભાતીયા અને મીરાના ભજનો ક્રીએટીવીટીના અદ્ભુત નમૂના છે પરંતુ તેઓ તેનાથી શું કમાયા હશે? કાણી કોડી પણ નહીં.

ક્રિએટિવિટીમાંથી કમાણી

જગતમાં કળા (સંગીત, ડ્રામા, ફિલ્મ મ્યુઝીક, ફીલ્મ એકટીંગના ક્ષેત્રે કામ કરનાર સર્જનશીલો પુષ્કળ ધનિક બન્યા છે. તેનું કારણ મોર્ડન ટેકનોલોજી છે. આધુનિક ટેકનોલોજીએ કળાને દર્શવવાના અસંખ્ય પાત્રો કે સાધનો કે કોપીઅર મશીન્સ કે રેડીયો કે ટીવી કે ડીજીટલ મીકેનીઝમ્સ તૈયાર કર્યા જેથી સર્જનની કળાને હજારો અને કાર્યોની સંખ્યામાં ડીસ્પ્લે કરી શકાય. પ્રીન્ટીંગ પ્રેસે અમુક સર્જનાત્મક લેખકો, કવિઓ, નવલકથાકારો, અન્ય પ્રકારના સાહિત્યકારોને પુષ્કળ ધનાઢ્ય બનાવ્યા. દા.ત. અમેરીકામાં એક ફીલ્મ કે એક ડીટેકટીવ નોવેલ કે એક ગીત કે એક આલ્બમ સફળ થાય તો તેના સર્જકને અઢળક નાણા મળે છે. ક્રીકેટ જગતમાં પણ સર્જનાત્મક ક્રિકેટર કે ક્રીકેટરોની ટીમ હોય છે. ૧૦૦ વર્ષની પહેલા તેમની સર્જનાત્મક બોલીંગ, બેટીંગ કે ફીલ્ડીંગ માટે તેમને જે ફી મળતી હતી તેનાથી તેમનું કદાચ મહીના માટે પણ ભરણપોષણ થઈ શકતું ન હતું. પરંતુ જગતમાં જ્યારે રેડીયો બ્રોડકાસ્ટીંગ અને ટીવી બ્રોડકાસ્ટીંગની શરૂઆત થઈ ત્યારે આ રમતમાં પારંગત ક્રીકેટરો સમયની કે કોઈક તો કરોડપતિ બની ગયા કારણ કે આજ ક્રીકેટરોને કોઈ વિરાટ કંપનીની પ્રોડક્ટસની ટીવી પરની જાહેરાત માટે ઘણી મોટી ફીઝ મળવા લાગી. ટૂંકમાં હવે ક્રીએટીવીટીના કોઈપણ ક્ષેત્રનું જબરજસ્તી ફાયનાન્સીયલાઇઝેશન થયું છે.

ક્રિએટિવિટી કોમોડિટી બની

અંગ્રેજીમાં કોમોડીટી એટલે ચીજવસ્તુ જેમકે ખાંડ, ગોળ, ખુરશી, ખમીસ, સફરજન વગેરે. અત્યારના ફાયનાન્સીયલ મૂડીવાદના જમાનામાં ક્રીએટીવીટીનું કોમોડીફીકેશન થઈ ગયું છે. કંપની જગતની વાત કરીએ તો કોઈ કંપની જો તદ્દન નવી સફળ પ્રોડક્ટ બનાવે અને લોંચ કરે કે પોતાની પ્રોડક્ટમાં કે સર્વીસમાં કોઈ નવો વિચાર કે ઈનોવેશન કે નવો આઈડીઆ કે નવા ફીચર્સ (કારમાં, એરકન્ડીશનમાં, ટીવીમાં કે મોબાઈલ ફોન કે વસ્ત્રોની ડીઝાઈનમાં કે સૌંદર્ય સાબુની સુગંધમાં કે કેમેરામાં કે ફર્નીચર ડીઝાઈનમાં) મુકે અને લોકોને તે પસંદ આવે તો આ પ્રકારની એપ્લાઇડ ક્રીએટીવીટી કંપનીને કરોડો રૂપિયા કે ડોલર્સની કમાણી કરાવી શકે છે.

જેને આપણે 'ગીફટેડ' વ્યક્તિઓ કહીએ છે તેની તે દરેક માનવ સમાજમાં મળી આવે છે. પરંતુ જંગલમાં અતિ સુંદર પુષ્પો કોઈના જોયા વિના ખરી પડે છે તેમ જગતમાં ઘણી ગીફટેડ વ્યક્તિઓ તેમની કોઈ પીછાન વિના મરી જાય છે. આજનું અર્થકારણ FIRE પર ચાલે છે. અહીં પ્રથમ અક્ષર ખ એટલે ફાયનાન્સ, બીજો અક્ષર I એટલે ઈન્સ્યુરન્સ અને છેલ્લા બે અક્ષરો ઇઈ એટલે રીયલ ઈસ્ટેટ (પ્રોપટીની લે-વેચ) અત્યારના કેપીટાલીઝમને હવે એસ્ટેટ ફાયનાન્સીયલ કેપીટાલીઝમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બેકીંગ ઈન્સ્યુરન્સ, રીયલ એસ્ટેટ, ઈન્વેસ્ટમેન્ટ, સ્ટોક એકસ્ચેન્જ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, વગેરે નક્કર ઉત્પાદનના કરતા પણ અત્યારનું ફાયનાન્સીયલ કેપીટાલીઝમ આજના અર્થકારણ પર વધુ પ્રભુત્વ ધરાવે છે.