Get The App

ક્રિસ્ટ્રોફર કોલંબસ: મૃત્યુ પછી રઝળપાટ, ઓળખની સમસ્યા

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
ક્રિસ્ટ્રોફર કોલંબસ: મૃત્યુ પછી રઝળપાટ, ઓળખની સમસ્યા 1 - image


ઈતિહાસ જેમ જેમ જુનો થતો જાય તેમ તેમ તથ્યોનાં નવા અર્થ કાઢવા ઈતિહાસ બેચેન બની જાય છે. અમેરીકાનાં સ્કુલે જતાં દરેક વિદ્યાર્થી જાણે છે કે અમેરિકા ખંડની શોધ ક્રિસ્ટ્રોફર કોલંબસે  કરી હતી. વહાણવટ ખેડીને અમેરિકા ખંડ ખુંદનાર, કોલંબસે જીવન ભાગદોડમાં વિતાવ્યું અને મૃત્યુ બાદ, તેના અસ્થીઓને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં રહ્યાં હતાં. કોલંબસે અમેરિકા ખંડ શોધ્યાનાં પાંચસો વર્ષ બાદ, કોલંબસની ઓળખ ફરી વાર પ્રસ્થાપિત કરવાનાં પ્રયત્નો થઈ રહ્યાં છે. ઈતિહાસને સાચી દષ્ટિએ મુલવવા માટે કોલંબસની ઓળખ પ્રસ્થાપિત થાય એ જરૂરી છે.

તાજેતરમાં ક્રિસ્ટ્રોફર કોલંબસે, અમેરિકા ખંડ શોધ્યા બાદ, તેની જાણ કરતો પત્ર રાજા ફર્ડીનાન્ડને લખ્યો હતો. પત્રને નાનાં પુસ્તકમાં છાપીને પ્રકાશીત કરવામાં આવ્યો હતો. પત્રની કિંમત એક કરોડ ત્રીસ લાખ ડોલર ગણાય છે. જે આજથી ચાલીસ વર્ષ પહેલાં ચોરાઈ ગયો હતો. કેલવેરનાં સિક્યુરિટી ઈન્વેસ્ટીગેટરોએ તેને શોધી કાઢ્યો હતો. જે ટુંક સમયમાં પત્ર ઈટાલીને પાછો સોંપવામાં આવશે. ક્રિસ્ટ્રોફર કોલંબસની જીંદગીનાં વણાએલ ઈતિહાસ, રહસ્ય પર પડદો ઉઠાવવા માટે વિજ્ઞાાન સફળ થશે ? કોલંબસનાં જીવનનાં વિજ્ઞાાન પાસાનો અંદાજ મેળવીએેે.

કોલંબસ: નવી દુનિયાની સફરે...

વિશ્વ તેને ક્રિસ્ટ્રોફર કોલંબસ ના નામે ઓળખે છે. ઈટાલીયનમાં  તે ક્રિસ્ટ્રોફોરો કોલોમ્બો અને સ્પેનીસમાં તે ક્રિસ્ટ્રોબાલ કોલોન છે. ચાર ચાર મહાસાગર ઓળંગીને અમેરિકા ખંડ પહોંચનાર કોલંબસ, જીવનનાં આખરી દિવસોમાં સ્પેન પાછો ફર્યો હતો. ૨૦ મે ૧૫૦૬ના રોજ સ્પેનનાં વાલાડોલીડ ખાતે અવસાન પામ્યા. તેનાં અવશેષો થોડો સમય વાલાડોલીડ ખાતે રહ્યાં, ત્યારબાદ દક્ષિણ સ્પેનનાં સેવીલે આવેલ લા કાર્ટુજા મોનાસ્ટરીમાં તેના અવશેષો દફનાવવામાં આવ્યા. કોલંબસની ઈચ્છા હતી કે તેના અસ્થી એમરીકા ખંડની જુમી પર દફનાવવામાં આવે. તેનો પુત્ર ડિઆગો કોલોન હિસ્પેનાઈલાનો ગર્વનર નિમવામાં આવ્યો હતો. ૧૫૩૭માં કોલંબસનાં અસ્થીઓ કેરીબીયન ગયું. ક્રિસ્પેનોઈલાના શાન્ટા ડોમીંગો કેથેફલમાં દફનાવવામાં આવ્યા. ૧૭૯૫ સુધી અસ્થીઓ અહીં રહ્યા. એ હિસ્પાનોઈલાનો કબજો ફ્રાન્સ પાસે આવ્યો એટલે કોલંબસનાં અસ્થીઓને ઉઠાવીને ફરીવાર ક્યુબાનાં હવાના ખાતે લઈ જવામાં આવ્યા. ૧૮૯૮માં સ્પેનીસ-અમેરિકન યુદ્ધ થયું અને ફરીવાર કોલંબસનાં અસ્થીઓને લાવીને સ્પેનનાં 'સેવીલે' ખાતે પાછા લાવવામાં આવ્યા. કોલંબસની મૃત્યુ બાદની આ સફરની આ સત્તાવાર કહાની માનવામાં આવે છે.

કહેવાય છે કે, ૧૮૭૧માં કેટલાક મજુરો શાન્ટા કોસીંન્ગો કેથેડ્રલનું ખોદકામ કરતા હતા ત્યારે સીસાની બનેલી શબપેટી મળી જેના ઉપર નામ લખ્યુ હતું. 'ડોન ક્રિસ્ટ્રોબાલ કોલોન' જેનો મતલબ એ થાય કે જ્યારે ફ્રાન્સનાં હાથમાં હિસ્પેનોઈલા આવ્યંુ ત્યારે સ્પેનીસ લોકો કોઈ બીજી વ્યક્તિની શબપેટીને કોલંબસના અસ્થીઓ ગણી લઈ ગયા હતા. કોલંબસનાં અસ્થીઓ તો શાન્ટા ડોમીન્ગો કેથેડ્રલમાં જ રહ્યા હતા.

તમને લાગશે કે કેસ અહીં કલોઝ થઈ ગયો. ખરેખર સમસ્યા એ શરૂ થાય છે કે ક્રિસ્ટ્રોફર કોલંબસનાં સાચા અસ્થીઓ ક્યાં છે. શાન્તા ડોમીન્ગો ખાતે મજુરોએ ખોદી કાઢેલ પેટીવાળા કે હાલમાં સ્પેનમાં રહેલ 'સેવીલે' ખાતે દફન કરવામાં આવેલ અસ્થીઓ ? વાર્તામાં બીજો વણાંક એ આવ્યો કે ૨૦૧૨માં ફરનાર્ડો બ્રાન્ડો દ્વારા પુસ્તક પ્રકાશિત થયું જેમાં કોલંબસને પેડ્રો અગદે તરીકે ઓળખવામાં આવ્યો હતો. જે પોર્ટુગીઝ હતો. હવે ક્રિસ્ટ્રોફર કોલંબસનો સાચી ઓળખ મેળવવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે !

ગોર્ડન કુપર: ખજાનાની નજીક....!

એનું નામ હતું ગોર્ડન કુપર. ગોર્ડન કુપર એરોસ્પેસ ઇજનેર હતો. અમેરીકાનાં પ્રોજેક્ટ મરક્યુરી માટે સિલેક્ટ થયેલા, સાત અંતરીક્ષયાત્રીમાંથી એક હતાં. ૧૯૬૩માં તેઓ મરક્યુરી એટલાસની છેલ્લી ફલાઇટમાં એકલા જઈને અંતરીક્ષ યાત્રા કરી અનેક રેકોર્ડ બનાવ્યા. આખો દિવસ અંતરીક્ષમાં વિતાવનાર તેઓ પ્રથમ અંતરીક્ષ યાત્રી હતાં. અંતરીક્ષમાં 'ઊંઘ' લેનાર પણ તેઓ પ્રથમ અંતરીક્ષ યાત્રી હતાં. અને છેલ્લે માત્ર એક જ વ્યક્તિ અંતરીક્ષયાનમાં એકલી જ ગઈ હોય તેવી 'સોલો' અંતરીક્ષયાત્રા કરનાર છેલ્લા અંતરીક્ષયાત્રી પણ ગોર્ડન કુપર હતાં. અમેરિકા અને રશીયા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. ક્યુબાનો 'મિસાઇલ ક્રાઇસીસ' નાં કારણે બંને દેશો વચ્ચે તંગદીલી વધી હતી. નાસાએ ગોર્ડન કુપરને અનેક વૈજ્ઞાાનિક કામ સોંપ્યા હતાં. ઉપરાંત અમેરીકન સરકારે તેને અનોખું કામ આપ્યું હતું. અંતરીક્ષમાં રહીને પૃથ્વીનાં જેટલાં ફોટોગ્રાફ લેવાય તેટલાં લઈ લેવાં. અમેરીકા રશીયાની લશ્કરી હિલચાલ જાણવા માંગતું હતું.

પોતાના કાર્ય ઉપરાંત ગોર્ડન કુપરે પાંચ હજાર તસ્વીરો ખેચી હતી. તસ્વીરોનાં આધારે રશીયાનાં છુપા ન્યુક્લીઅર બેઝ અને મહાસાગરમાં છુપાએલી સબમરીનનાં નકશા તૈયાર કરવાના હતા. જેનો આધાર ગોર્ડન કુપરે લીધેલ ફોટોગ્રાફ હતાં. ગોર્ડન કુપર શોધવા ગયા રશીઅન લોકેશન પરંતુ તેમને કેરેલીયન ટાપુ નજીક બીજી અસમાનતા નજરે પડી. જે રશીયા સાથે સંકળાયેલી ન હતી. પૃથ્વી પર આવ્યા પછી તેમણે નાસાને આ અસમાનતાની વાત કરી નહીં. ફોટોગ્રાફમાં દેખાતી અજુગતાં સ્થાન શું હતાં ? પૃથ્વી પર આવીને તેમણે એક નકશો તૈયાર કર્યો. અને જાતે જ તે સ્થાનની ચકાસણી કરવાનું નક્કી કર્યું.

આખરે તેમને જાણવા મળ્યું કે નકશામાં જે દેખાતું હતું એ જહાજનો ભંગાર હતો જે કેરેબીઅન ટાપુથી સ્પેન સુધીનો પ્રાચીન વ્યાપાર માર્ગ દર્શાવતા હતાં. ૨૦૦૪માં મૃત્યુ સમયે તેમણે નકશો તેમનાં મિત્ર કેરેલ મિકલોસને આપ્યો. અને તેમણે આજથી ૫૦૦ વર્ષ પહેલાં ક્રિસ્ટોફર કોલંબસ જે માર્ગે જળમુસાફરી કરી હતી. એ માર્ગે રહેલ તૂટેલા જહાજોમાં રહેલ 'ખજાના' શોધી કાઢ્યા હતાં. તેમાં મહત્ત્વની શોધ સ્પેનીસ વહાણવટી વિન્સેન્ટ યોનઝપિત્ઝોમનાં જહાજની હતી. જે ક્રિસ્ટોફર કોલંબસ સાથે અમેરિકા ખંડ તરફ જતાં હતાં. ક્રિસ્ટોફર કોલંબસ એક દંતકથા બની ગયા. જેને પોતાની ઓળખ માટે વિજ્ઞાાનની જરૂર હતી.

ડિએનએ ટેસ્ટિંગ: સાચી ઓળખની શરૂઆત !

ઇતિહાસકાર કહે છે કે કોલંબસ ડોમેનીકો કોલોમ્બો, જે ઉનનાં કાપડનો વેપારી અથવા વણકર હતાં તેનો પુત્ર હતો. મેન્યુઅલ રોસા, જે ઇજનેર છે તેનાં સંશોધનબાદ પ્રકાશીત થયેલ પુસ્તક કોલંબસ-ધ અનટોલ્ડ સ્ટોરીમાં કોલંબસને પોર્ટુગલનાં ઉમરાવ ખાનદાનનું ગેરકાયદેસર સંતાન માનવામાં આવે છે. જેનું નામ પેટ્ટો અટાદ હતું જે કોલંબસનાં નકલી નામે જીવતો હતો. આવા શંકાસ્પદ વાતાવરણમાં વૈજ્ઞાાનિકોને ત્રણ વ્યક્તિ એટલે કે ખુદ કોલંબસ. તેનાં પુત્ર ફર્નાન્ડો અને ભાઈ ડિઆગો કોલંબસનાં અસ્થીમાંથી મેળવેલ ડિએનએ ચકાસણી કરવાની હતી. જેથી દૂધનું દૂધ અને પાણી અલગ થઈ જાય.

સ્પેનનાં યુનિ. ઓફ ગ્રાનાડાનાં ડૉ. એન્ટોનીઓ લોરેન્ટો, ઇટાલી, જર્મની અને અમેરિકાનાં ૨૦ જેટલાં વૈજ્ઞાાનિકોની ટીમ સ્પેનમાંથી મળેલ અસ્થીઓની ડિએનએ ચકાસણી કરી રહ્યાં છે. ડોમેનીકન રીપબ્લીક કોલંબસનાં અસ્થીની ડિએનએ ચકાસણી સ્પેન અને તેનાં સહયોગી સાથે કરાવવા માંગતા નથી. સમસ્યા બીજી પણ છે. ત્રણેય વ્યક્તિનાં હાડકામાંથી ડિએનએ પૂરેપૂરું મળે તેમ નથી. કોલંબસનાં અવશેષો કેટલીયવાર અહીંથી તહી કરતાં રહ્યાં હોવાથી તેની વિશ્વસનીયતા ઉપર પણ સંદેહ પેદા થાય છે. સ્પેન, સેવીલેમાંથી મેળવેલ ડિએનએ સેમ્પલ પરથી કોઈ નિર્ણાયક તથ્ય પર પહોંચવું વૈજ્ઞાાનિકો માટે મુશ્કેલ છે.

ડિઆગોનાં ડિએનએ સેમ્પલ પણ પૂરતી માત્રામાં નથી. માત્ર ફરનાન્ડોનાં હાડકામાં ડિએનએ સરખામણીમાં થોડું વધારે સારી રીતે સચવાયેલાં છે. યુની. ઓફ ટોરવેગારા, ઇટાલીનાં મોલેક્યુલર બાયોલોજીસ્ટ સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીમાં કોલંબસ, કોલોમ્બો, કોલોમ અથવા કોઉલો અટકવાળી દરેક ફેમીલીનાં એક રાજ્યનાં ડિએનએને કોલંબસનાં ડિએનએ સાથે સરખાવવાની વાત કરે છે. જે માટે માત્ર પુરુષોનાં વાય-કોમોઝોમનાં જીનેટીક મટીરીઅલને ચકાસવાનાં છે.

માતા તરફથી મળતાં ડિએનએની ચકાસણીમાં ડિઆગો અને ફર્નાન્ડોનાં ડિએનએ મળતાં આવે છે. ૨૦૦૨માં કોલંબસ અને તેનાં ભાઈનાં માયરોકોન્ડ્રીઅલ ડિએનએ, માસીઅલ કાસ્ટ્રોએ તપાસીને મળતા આવતા હોવાનું જાહેર કર્યું હતું. હવે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી છે એટલે ફરી એકવાર વધારે ચોકસાઈથી ક્રિસ્ટોફર, કોલંબસની સાચી ઓળખ પ્રસ્થાપિત થશે. માત્ર સમયની રાહ જોવાની છે.

ધ અનટોલ્ડ સ્ટોરી: નવી સમસ્યા?

૩ ઓગસ્ટ, ૧૪૯૨નાં રોજ સ્પેનનાં પાલોસ બંદરેથી ક્રિસ્ટોફર કોલંબસે મરીમસાલા અને સોનું મેળવવા માટે પશ્ચિમનાં માર્ગે થઈને એશીયા એટલે કે ભારત આવવાનો તેનો ઈરાદો હતો. ત્રણ મોટા વહાણ નિના, પિન્ટા અને શાન્તા મારીઆ લઈને તે દરિયો ખેડવા નીકળ્યો હતો. તેની સાગર યાત્રાને સ્પેનનાં રાજાએ આર્થિક મદદ કરી હોવાથી, કેટલાંક લોકો માને છે કે કોલંબસ સ્પેનીશ હતો. કેટલાંક તેને ઇટાલીઅન માને છે. નવા પુરાવાનાં આધારે લોકો તેને પોર્ટુગીઝ માને છે. જે ડબલ એન્જિનનું કામ કરતો હતો. પોર્ટુગલ અને સ્પેન બંને માટે તે કામ કરતો હતો ખરેખર કોલંબસ કોણ હતો ? ઇતિહાસકાર ગૂચવાઈ ગયા છે એટલે વિજ્ઞાાનની સહાય લેવી પડશે ?

ઇતિહાસકાર માને છે કે ઉત્તર-પશ્ચિમ ઇટાલીનાં લીગુટીયા વિસ્તારમાં કોલંબસનો જન્મ થયો હતો. તેના પિતા ઉન અને કાપડ વણનાર હતાં. તે સમયે ઇટાલી અખંડ રાષ્ટ્ર ન હતું. લીંગુટીયા જીનેવા રાજ્યની રાજધાની હતું. જીનેવાને અનેક સ્પેનીસ રજવાડા સાથે વેપાર સંબંધ હતો. તેનાં પુત્રએ પણ પિતાની જીવનકથામાં જીનેવાનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે કોલંબસે પોતાના લખાણ અને વિલમાં તે જીનીવાનો વતની હોવાની વાત કરી છે. યુનિ. ઓફ લિસ્બનનાં સીવીલ ઇજનેરે ૨૦૧૨માં પુસ્તક પ્રકાશીત કર્યું હતું તેમાં કોલંબસ પોર્ટુગલનાં ઉમરાવ ખાનદાનનું ફરજંદ હોવાની વાત લખી છે. તેનું પોર્ટુગીસ નામ પેડ્રો અટાદ હોવાનું અને તે પોર્ટુગીઝ ઉમરાવનું ગેરકાયદેસરનું સંતાન હોવાની વાત લખી છે. પેડ્ડો ૧૪૭૬માં દરીયાઈ યુદ્ધમાં માર્યા ગયાની વાત લખે છે. ખરેખર તે જીવ બચાવીને પોતાની ઓળખ છુપાવીને કોલંબસ તરીકે જીવતો હતો. મેન્યુઅલ રોસા નામના નિષ્ણાંતે દસ્તાવેજી પુરાવા સાથે પુસ્તક લખ્યું છે જેનું નામ છે કોલંબસ 'ધ અનટોલ્ડ સ્ટોરી' જેમાં કોલંબસનું પોર્ટુગીઝ કનેકશન પણ આલેખેલું છે.

૨૦૦૯નાં જ્યોર્જટાઉન યુની.નાં પ્રો. એસ્ટેલ ઇરીઝારી એ પુસ્તક લખ્યું છે ''ક્રિસ્ટોફર કોલંબસ : ડિએનએ ઓફ હીઝ રાઇટીંગ.'' કોલંબસની ભાષાનો અભ્યાસ કરીને એસ્ટેલ લખે છે કે કોલંબસ ખરેખર યહુદી હતો. તે સમયે યહુદીઓ પર અત્યાચાર અને ધર્મપરીવર્તન થતા હોવાથી કોલંબસે પોતાની ઓળખ છુપાવી હતી. કોલંબસ 'લાદીનો' ભાષા શીખ્યો હતો. જે કાસ્ટીલીઅન સ્પેનીસ અને યીદીસ (યહૂદીનું) હાઇબ્રીડ સ્વરૂપ હતી. સવાલ એ થાય કે આખરે કોલંબસ કોણ હતો ? અને ક્યાનો વતની હતો ?

Tags :