'હોળી' સંદર્ભે જીવનમાં કઈ સાત બાબતો પસંદ કરશો ?
એક જ દે ચિનગારી - શશિન્
આજે દરેક માણસ 'સત્ય'ને નહીં પણ પોતે માનેલા 'ભ્રામક સત્ય'ને વફાદાર રહે છે. સ્વાર્થ સિદ્ધિને મહત્વ આપવામાં આવે ત્યારે સમસ્યા ઉકેલાવાને બદલે ગૂંચવાય!
એક માણસે કહ્યું : 'ભારત 'ઉત્સવપ્રધાન' દેશ છે કે 'સમસ્યાપ્રધાન ? બારે માસ સમસ્યાઓ સમસ્યાઓ, સમસ્યાઓ. માણસને દીવો 'પ્રગટાવવા'માં જેટલો રસ છે, તેટલો જ રસ 'સળગાવવા'માં છે. દીપાવલી ગણ્યા-ગાંઠયા દિવસો માટે યાદ રાખીએ છીએ, પણ હોળી તો બારેમાસ પ્રગટતી રહે છે.
રાક્ષસી મન સાંકડું હોય છે. એને સત્ય નહીં પણ સ્વાર્થ પસંદ હોય છે. અને સ્વાર્થ તેમ જ અહંકારવશ એ ગમે તે વસ્તુની બલિ ચઢાવતાં અચકાતું નથી, એનો પુરાવો હોળીનો તહેવાર છે.
હોળીનો તહેવાર હિરણ્ય કશિપુ, પ્રહલ્લાદ તેમજ તેની ફોઇ હોલિકા સાથે જોડાએલો છે. હિરણ્ય કશિપુ અસુર હતો. તેના પિતાનું નામ કશ્યપ અને માતાનું નામ દિતિ હતું. તપોબળ દ્વારા વરદાન પ્રાપ્ત કરીને તે સ્વર્ગનો અધિપતિ બની ગયો હતો. એણે દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા. ઘનઘોર તપ કરીને એણે સર્વદિશાઓ, પ્રાણીઓ, મનુષ્યો વગેરેથી સુરક્ષિત રહેવાનું વરદાન પણ પ્રાપ્ત કર્યું. અને પ્રજાજનોને પજવવાનું શરૂ કર્યું.
અશ્વમેઘ યજ્ઞા સમયે હિરણ્યકશિપુના માતા દિતિ હિરણ્ય એટલે કે સોનાના આસન પર બેઠી હતી. તેથી તેના પુત્રનું નામ હિરણ્યકશિપુ તરીકે જાણીતું થયું. તેના ભાઇનું નામ હિરણ્યાક્ષ હતું. તે પરાક્રમી હતો અને દેવતાઓને સતાવતો હતો. તેનો સામનો કરવા માટે ભગવાન વિષ્ણુ તૈયાર થયા. વિષ્ણુ વિજયી બનવા લાગ્યા એટલે હિરણ્યાક્ષ પૃથ્વીને લઇને સમુદ્રમાં પેસી ગયો. અવતારી વિષ્ણુએ પૃથ્વીને બહાર કાઢી અને દૈત્ય હિરણ્યાક્ષ તેમના પગ હેઠળ દબાઇને મૃત્યુ પામ્યો. હિરણ્યકશિપુ ત્યારથી વિષ્ણુને પોતાના દુશ્મન માનવા લાગ્યો. ભાઇના વધનો બદલો તે વિષ્ણુ સહિત દેવો સામે લેવા માગતો હતો.
એક સમયે હિરણ્યકશિપુ તપ કરી રહ્યો હતો, ત્યારે તેની ગર્ભવતી પત્ની કયાધૂને નારદે વિષ્ણુ ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. હિરણ્યકશિપુ તપ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની કયાધૂને ઇન્દ્રે કેદ કરી લીધી હતી પરંતુ નારદે ઇન્દ્રને સમજાવ્યું કે તેનું ગર્ભસ્થ બાળક ભગવદ્ ભક્ત છે, તેથી કયાધૂને છોડાવી નારદે પોતાના રક્ષણમાં રાખી. દરરોજ નારદ તેમને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતા તેથી ગર્ભસ્ય શિશુ (પ્રહલ્લાદ)એ તે ઉપદેશ ગ્રહણ કર્યો. આ સંસ્કારોને લીધે પ્રહલ્લાદ ભક્ત બન્યો.
હિરણ્યકશિપુ પોતાના ભાઇને હણનાર વિષ્ણુને દુશ્મન ગણતો હતો એટલે વિષ્ણુની ભક્તિ કરનાર પુત્ર પ્રહલ્લાદને સજા કરવા માટે રસોઇઆ દ્વારા ખોરાકમાં ઝેર ભેળવાવ્યું, સર્પદંશ કરાવ્યો, પર્વત પરથી નીચે ફેંકવામાં આવ્યો, પણ પ્રહલ્લાદ જીવિત રહ્યો.
અંતે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાની મદદથી ફાગણી પૂનમે પ્રહલ્લાદને બાળી નાખવાનું કાવત્રૂ રચ્યું. હોલિકાને અગ્નિમાં નહીં બળવાનું વરદાન પ્રાપ્ત થયું હતું. તે ભગવાનના ભક્તોને ત્રાસ નહીં આપો, સત્યની વિરુદ્ધનું વર્તન નહીં કરે તો તેને બળવામાં મુક્તિ મળશે. હોલિકા પ્રહલ્લાદને ખોળામાં લઇને બેઠી, પણ હોળીમાં પ્રહલ્લાદને બદલે એ ભસ્મીભૂત થઇ ગઇ ! કારણ કે એણે ભગવાનના ભક્તને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ચિતા જલતી જોઇ રાક્ષસો ગેલમાં આવી ગયા અને મદ્યપાન કરી આનંદોત્સવ મનાવવા લાગ્યા.
બીજી તરફ પ્રહલ્લાદને હેમખેમ જોઇ લોકો પણ આનંદિત થયાં અને ગુલાબ વગેરે છાંટીને રંગમાં આવી ગયાં.
આજે તો એ નિર્દોષ તહેવારમાં વિકૃતિ પ્રવેશી ગઇ છે ! હોળીમાં સત્યનું દહન થઇ ગયું છે. વર્તનમાંથી શિષ્ટાચારની બાદબાકી થઇ ગઈ છે. સત્ય પર અસત્યનો ચોમેર વિજય થઇ રહ્યો છે. ઇર્ષ્યા દ્વેષનો કીચડ ઉછળી રહ્યો છે. પ્રહલ્લાદને જીવતા રહેવાને બદલે મરવાનું મન થાય એવી સ્થિતિ સર્જાયાનો આજે કેમ કોઇને વસવસો નથી ? 'ભારત' શબ્દનો અર્થ જ છે : 'ભા' એટલે 'પ્રકાશ' અને 'રત' એ રચ્યો-પચ્યો રહેનાર દેશ જે દેશ સદાય પ્રકાશ એટલે કે સત્ય, માનવતા, બંધુત્વ અને પારસ્પરિક સદ્ભાવમાં રચ્યો-પચ્યો રહેવાની ભાવના ધરાવે તે ભારત. આજે પ્રહલ્લાદની ફોઇ હોલિકા સત્ય રૂપી પ્રહલ્લાદને ગોદમાં લઇ બાળવાની જધન્ય પ્રવૃત્તિ કરી રહી નથી, પણ ફોઇની સાથે ફૂઆઓ સ્વાર્થ ખાતર સત્યને ભસ્મીભૂત કરી રહ્યા છે. પરિણામે હોળી 'વસંતનો તહેવાર' નહીં પણ 'વિદ્વેષ'નું વરવું રૂપ ધારણ કરી ચૂક્યો છે.
આજે સમસ્યાઓએ 'હોલિકા'નું રૂપ ધારણ કરી લીધું છે. 'હિરણ્ય'ની બોલબાલા છે. હિરણ્યકશિપુ નવા અવતારે જન્મીને જનતાને આતંકિત કરી રહ્યો છે. સમસ્યાઓનો દાવાનળ શાંતિનો ખાત્મો બોલાવી રહ્યો છે ત્યારે જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે તેમ સમસ્યાનું સ્વરૂપ સમજવું પડશે. સમસ્યાના સમાધાન માટે મન ચોખ્ખું કરવું પડશે. એટલે કે પૂર્વગ્રહ અને જડ માન્યતાઓ વિનાનું બનાવવું પડશે. સમસ્યાના ઉકેલ માટે મનને ખાસ તૈયારી કરીને બેસવું પડશે.
આજે દરેક માણસ 'સત્ય'ને નહીં પણ પોતે માનેલા ભ્રામક સત્ય'ને વફાદાર રહે છે. સમસ્યાના સમાધાનને બદલે સ્વાર્થ સિદ્ધિને જ મહત્વ આપવામાં આવે તો સમસ્યા ઉકેલાવાને બદલે ગૂંચવાય ! 'હમારી માંગે પૂરી કરો' - કહેવામાં આવે ત્યારે એ માગણીઓ કેટલી ન્યાયોચિત છે એનો ખ્યાલ રાખવામાં આવે છે ખરો ?
જે. કૃષ્ણમૂર્તિની એ વાત સો ટકા સાચી છે કે આજે માણસે 'સ્વ' એટલે કે પોતાની જાત પરનો કાબૂ ખોઈ નાખ્યો છે. આપણું મન દોરે તેમ આપણે દોરવાઇ જઇએ છીએ. ઘેટું જેમ દોરવાઇ જાય, તેમ વિચાર કર્યા વિના, પરિણામની દરકાર કર્યા વિના, આગળ વધ્યે જઇએ છીએ. જો તમે સ્વયં ઉપર પકડ રાખશો તો આવું નહીં બને.
મહાત્મા ગાંધીજીના સ્વપ્નનું ભારત કેવું હતું ? તેઓ કહેતા :
'મારા સ્વપ્નના ભારતમાં,
- દેશની સહુથી છેવાડાની વ્યકિત પણ એવો અનુભવ કરતી હશે કે આ દેશ મારો છે અને એના વિકાસમાં મારો પણ કોઇ અસરકારક અવાજ છે.
- લોકોમાં ઉચ્ચ વર્ગ અને પછાત વર્ગ જેવા ભેદ નહીં હોય. સર્વ કોમના, સર્વ જ્ઞાાતિના લોકો હળી મળીને સંવાદપૂર્ણ જીવન જીવતા હશે.
- દરેક વ્યકિતને અન્ન-વસ્ત્રની સુવિધા મળતી હશે. દરેક વ્યકિતને કામ મળતું હશે. કોઇ બેકાર નહીં હોય. દરેક પોતાનું જીવન ગૌરવપૂર્ણ જીવી શકશે.
- મૂળભૂત જરૂરિયાતના ઉત્પાદનનાં સાધનો લોકોના હાથમાં હશે. બધાને વાજબી ભાગ મળે તેવી વ્યવસ્થા હશે.
- અસ્પૃશ્યતા નહીં હોય, દારુ કે નશીલા પદાર્થોનો ઉપયોગ નહીં થતો હોય.
મહિલાઓ અને પુરુષના સમાન અધિકારો હશે. સ્ત્રી-પુરુષ સમાન હશે. સમગ્ર વિશ્વ સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો હશે. (ઝરૂખે દીવા બળે) લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી એકલી સરકારની નથી પણ સમગ્ર પ્રજાજનોની છે. જીવન હોળી પ્રજ્જવલિત કરવા માટે નહીં પણ દીપોત્સવ ઉજવવા માટે છે. હોળી સંદર્ભે જીવનમાં કઇ સાત બાબતો પસંદ કરશો ?
૧ જીવનમાંથી ઇર્ષ્યા અને દ્વેષને ખતમ કરવાં.
૨ આળસ, પ્રમાદ અને પલાયનવાદને જાકારો આપવો.
૩ જિદ અને અહંકારને વળગી રહેવાને બદલે તેનો જાકારો આપી સત્ય સ્વીકારવા માટે મનની મોકળાશ કેળવો.
૪ સ્વાર્થ સિદ્ધિ માટે ટૂંકો અને ભ્રષ્ટ માર્ગ અપનાવવાને બદલે પ્રામાણિકતા અને પરિશ્રમનો માર્ગ અપનાવવાની તત્પરતા
૫ ભલે મારો ક્ષય થાય પણ ભારતનો તો વિજય જ થવો જોઈએ દેશ પ્રત્યેની વફાદારી
૬ નફરતની હોલિકાનું દહન. સત્ય રૂપી પ્રહલ્લાદને બચાવવા માટેની નિષ્ઠા.
૭ તમારા આત્માના અજવાળે ચાલો. કોઇની મેલી મુરાદ સંતોષવાનો હાથો ન બનો.