દાદીમાની પ્રેરણાનો પ્રભાવ
આજકાલ - પ્રીતિ શાહ .
હિમ્મતારામને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ નાનપણથી જ સંસ્કાર સ્વરૂપે મળ્યો છે. તેઓ જ્યારે અઢાર વર્ષના હતા. ત્યારે દાદીમાએ એમના હાથે એક છોડ વવડાવ્યો અને તેની બરાબર કાળજી લેવાનું કહ્યું
નાનકડા બીજમાંથી વટવૃક્ષ થતું આપણે જોયું હશે, કિંતુ એક સંસ્કારબીજમાંથી અનેક વટવૃક્ષો સર્જાતા હોય, તેવું થાય, ત્યારે તે કેટલું બધું આનંદદાયક ગણાય ! રાજસ્થાનના નાગૌર જિલ્લાના સુખવાસી ગામમાં માડીદેવી અને ચરતરામ ભામ્ભૂના ઘરે ૧૯૫૬માં પુત્ર હિમ્મતારામનો જન્મ થયો. દોઢ-બે હજારની વસ્તીના આ ગામમાં એના પિતા ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. નજીકમાં ગોગેલાવ ગામની સ્કૂલમાં હિમ્મતારામે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ઘરની આર્થિક હાલત કથળેલી હોવાથી આગળ અભ્યાસ કરી શક્યા નહીં. ખેતી કરવી, ગાયો ચરાવવી એ એમને નિત્યક્રમ બની રહ્યો. સાથોસાથ ખેતીના ટ્રેક્ટરનું રીપેરીંગ કામ શીખ્યા અને તેમાં કુશળતા પ્રાપ્ત કરીને મીકેનીક તરીકે ખ્યાતિ મેળવી. ૧૯૭૬માં એમણે ટ્રેક્ટર પાટ્સની દુકાન ખોલી. એમાંથી થતી કમાણીમાંથી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા લાગ્યા અને બાકીના પૈસામાંથી પર્યાવરણ તથા વનસંરક્ષણનું કામ કરવા લાગ્યા.
આ હિમ્મતારામને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ નાનપણથી જ સંસ્કાર સ્વરૂપે મળ્યો છે. તેઓ જ્યારે અઢાર વર્ષના હતા. ત્યારે દાદીમાએ એમના હાથે એક છોડ વવડાવ્યો અને તેની બરાબર કાળજી લેવાનું કહ્યું. હિમ્મતારામને ધીમે ધીમે પ્રકૃતિ અને પર્યાવરણમાં રસ પડવા લાગ્યો. પરિણામે ૧૯૭૫થી અત્યાર સુધીમાં એમણે સાડા પાંચ લાખ છોડ વાવ્યાં છે અને એનું એવું જતન કર્યું કે એમાંથી અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ વૃક્ષો બની ચૂક્યાં છે. એ ઉપરાંત નજીકમાં આવેલા હરિમા ગામમાં પચીસ વીઘા જમીન લઈને ત્યાં અગિયાર હજાર છોડ વાવીને એક જંગલ ઊભું કરી દીધું. અહીં ત્રણસો જેટલા મોર, ચિંકારા, હરણ અને અનેક પશુ-પક્ષી પ્રાકૃતિક વાતાવરણમાં રહે છે. આજે આ જંગલને એક મોડેલના સ્વરૂપે જોવામાં આવે છે. આસપાસનાં ગામોમાંથી સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રેકટીક્લ તાલીમ લેવા આવે છે. જંગલના પર્યાવરણનું અધ્યયન કરનારા વિદ્યાર્થીઓ માટે તે એક સંસ્થાની ગરજ સારે છે. નાગૌર જિલ્લો રણ વિસ્તારની શરૂઆતનો જિલ્લો છે. તેથી મોટે ભાગે આ વિસ્તારનું પાણી ખારું હોય છે. હિમ્મતારામે જ્યારે બોર ખોદાવ્યો, ત્યારે અઢીસો ફૂટની ઊંડાઈએ ખારું પાણી આવી ગયું. એમણે આ ખારા પાણીનો ઉપયોગ કર્યો. તે ઉપરાંત વરસાદનું પાણી ખેતરમાં રોકીને જમીનમાં ઉતાર્યુ અને એનાથી વૃક્ષો ઉગાડયાં. એમ કરીને એમણે ખારા પાણીમાં પણ વૃક્ષો કેવી રીતે ઉગી શકે તે દર્શાવ્યું. અહીં જંગલમાં બધા જ પ્રકારનાં વૃક્ષો છે.
૧૯૮૬થી તેઓ પાણી બચાવ, પર્યાવરણ, વન અને વન્ય જીવ સંરક્ષણ તથા વૃક્ષારોપણનું કામ કરી રહ્યા છે. તેઓ વનવિભાગમાંથી છોડ ખરીદીને લોકોને આપતા હતા અને સતત એમના સંપર્કમાં રહીને છોડના ખબરઅંતર પૂછતા રહેતા. તેમની આવી કાળજીને લીધે જ બધાં વૃક્ષ બની શક્યાં. તેઓ વન્યજીવોને બચાવવા અને તેની સુરક્ષા માટે સદા તત્પર રહે છે. વન્યજીવો માટે વનવિભાગ સાથે સક્રિય રહીને શિકારીઓની સામે કેસ લડે છે. ઘણી વખત વનવિભાગ કાર્યવાહી કરવાનું છોડી દે, પરંતુ હિમ્મતારામ થાક્યા કે હાર્યા વિના કેસ લડે છે. અત્યાર સુધીમાં તેર જેટલા શિકારીઓને જેલને હવાલે કર્યા છે. આ સઘળી પ્રવૃત્તિ તે પોતાની અંગત આવકમાંથી જ કરે છે. તેઓ રાજસ્થાનના નાગૌર, જોધપુર, જેસલમેર, બારમેર, સિકર, અજમેર જેવાં જિલ્લાઓમાં પર્યાવરણની જાગૃતિ અને જાળવણી માટે અનેક સંગોષ્ઠિ અને સંમેલન કરી ચૂક્યા છે.
હિમ્મતારામ મેનકા ગાંધીની સંસ્થા 'પીપલ્સ ફોર એનિમલ' સાથે જોડાયેલા છે. ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિમ્મતરામને ૨૦૧૫માં રાજીવ ગાંધી પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગ્રીન ઇન્ડિયા મિશન અંતર્ગત મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થાન સાથે જોડાયેલા છે. તેઓ કહે છે, 'મનુષ્યની જિંદગી વધુમાં વધુ સો વર્ષની હોય છે, પરંતુ વૃક્ષો તો સેંકડો વર્ષો સુધી રહે છે. બસ, આ વિચાર અને દાદી તરફથી મળેલી પ્રેરણાએ મને આ કામ કરવા પ્રેરિત કર્યો. આજે મને એ વાતનો સંતોષ છે કે મેં જે કંઈ કર્યુ તેનાથી સેંક્ડો પશુ-પક્ષીઓને રહેવા માટે પ્રાકૃતિક વાતાવરણ મળી શક્યું. અને પર્યાવરણના સંરક્ષણમાં એક નાનકડું યોગદાન આપી શક્યો. આજ સુધી જે કંઈ કામ કર્યું તેનું ફળ આજે પદ્મશ્રી રૂપે મળ્યું છે.' ૨૦૨૦નો પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિમ્મતારામ માને છે કે યુવા પેઢીએ સામાજિક કાર્ય અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા આગળ આવવું જોઈએ.
આત્મવિશ્વાસથી સઘળું શક્ય
એંજલા બાર્કર આજે હિંસાની સામે લોકોને જાગૃત કરી રહી છે. હજારો વિદ્યાર્થીઓ, પુરુષો, સ્ત્રીઓ, પોલીસ, રાજનેતાઓ, હોસ્પિટલના કર્મચારીઓ અને કેદીઓ સાથે સંવાદ કરી ચૂકી છે
વ્યક્તિના જીવનમાં બનતી કોઈ એક ઘટના એના સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એંજલા બાર્કરના જીવનમાં આવું જ કંઈક બન્યું. ઓસ્ટ્રેલિયાના બેનાલા નામના નાનકડા શહેરમાં રહેતી એંજલા સઘળી વાતે સુખી હતી. તે એક સારી એથ્લેટ હતી. ઊંચા કૂદકામાં તેનું નામ હતું. નેટબોલ, બાસ્કેટબોલ રમવામાં માહિર હતી. મિત્રો સાથે ગીતો પણ ગાતી અને મનોવિજ્ઞાાન જેવા વિષયમાં પોતાની કારકિર્દી બનાવવા ચાહતી હતી. એની આ બધી ઇચ્છાઓમાં અને સ્વતંત્ર નિર્ણયમાં સાથ આપે તેવો ભાવનાભર્યો એનો પરિવાર હતો. એને પ્રેમ કરનારો સાથીદાર ડેલ કેરી પણ હતો, પરંતુ એંજલાએ ક્યારેય વિચાર ન હોય તેવી ઘટના ૨૦૦૨માં બની. એંજલા સોળ વર્ષની હતી, ત્યારે ડેલ કેરી લેપોઈડવિનના આક્રમક મિજાજને સમજવા લાગી. ઘણી વખત તે વિના કારણે એંજલા બાર્કર પર હાથ ઉઠાવતો. એના વ્યવહારથી એંજલાને લાગ્યું કે તે ડેલ કેરી લેપોઈડવિન સાથે સુખી નહીં થઈ શકે, તેથી ૭મી માર્ચે તે જ્યારે તેને મળવા ગઈ, ત્યારે સુપરમાર્કેટના કાર પાર્કિંગમાં જ એણે લેપાઈડવિનને પોતાના મનની વાત કરી.
એંજલાની વાત સાંભળીને તેના પર જાણે વીજળી પડી. એ એનો ગુસ્સો અને નારાજગી કાબૂમાં રાખી ન શક્યો. એંજલાને એટલી બધી લાતો અને મુક્કા માર્યા કે તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. એંજલા બેભાન ન થઈ ગઈ, ત્યાં સુધી સતત માર મારતો રહ્યો. એંજલાને હોસ્પિટલ લઈ જવામાં આવી, ત્યારે તે કોમામાં સરી પડી હતી. એની માતા એ સ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે 'એ સમયે એંજલાનું નિર્જીવ શરીર અમારી સામે પડયું હતું અને કુટુંબીજનોએ એવું માની લીધું હતું કે હવે બહુ દિવસ તે એમની સાથે નહીં રહે. એક ધૂંધળી આશા સાથે તેઓ એંજલાની સારવાર કરતા રહ્યા અને ત્રણ અઠવાડિયા પછી એંજલાએ આંખો ખોલી, ત્યારે તે પોતાનો અવાજ ગુમાવી ચૂકી હતી અને તે પોતે પોતાના પગ પર ઉભી રહી શક્શે કે કેમ, તે વિશે શંકા હતી. આઠ અઠવાડિયા તે હોસ્પિટલમાં રહી, ત્યારબાદ એને ઓલ્ડ એજ નર્સિંગ હોમમાં રાખવામાં આવી.'
જે કોઈ એની ખબર કાઢવા આવતા તેઓના મનમાં એક જ વાત ચાલતી કે એ આખી જિંદગી પથારીમાં કેવી રીતે પસાર થશે ? પરંતુ મક્કમ મન અને મજબૂત ઇરાદાવાળી એંજલાને આ મંજૂર નહોતું. એના જીવનના ત્રણ વર્ષ ઘણાં કષ્ટદાયક રહયા. એંજલા કહે છે, 'મને ખબર હતી કે દરેક ઘટના મારી વિરુધ્ધ છે, પરંતુ મારે પથારીમાંથી નીચે ઉતરવું હતું. મારા પગ પર ઊભા રહેવું હતું. બોલવું હતું.' આજે તો વ્હીલચેર એની સાથી અને સંગાથી છે. પોતાના અવાજને પાછો મેળવવામાં એને પાંચ વર્ષ લાગ્યા. એંજલા આજે પણ ભાંગ્યા-તૂટયા શબ્દોમાં બોલી શકે છે.
એંજલા બાર્કર આજે હિંસાની સામે લોકોને જાગૃત કરી રહી છે. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ, પુરુષો, સ્ત્રીઓ, પોલીસ, રાજનેતાઓ, હોસ્પિટલના કર્મચારીઓ અને કેદીઓ સાથે સંવાદ કરી ચૂકી છે. ૨૦૦૪માં સરકાર દ્વારા ઘરેલું હિંસાની સામે ચલાવતા અભિયાન અંતર્ગત એંજલાના સાહસને એક આદર્શ તરીકે દર્શાવીને 'લવ્ય મી, લવ્સ મી નોટ' નામની ડીવીડી બહાર પાડી છે. એંજલા સંયુક્ત રાષ્ટ્રમાં પણ પોતાની વાત કરી ચૂકી છે. તે કહે છે, 'હિંસા ખતમ કરવામાં શિક્ષણની ભૂમિકા બહુ મહત્ત્વની છે. બાળકોને જન્મથી જ એકબીજાનું સન્માન કરવાનું અને એકબીજાને સમાન સમજે તેમ શીખવવું જોઈએ. નવયુવાનો પણ પરસ્પરના સંબંધોમાં દુર્વ્યવહારનાં બીજને ઓળખતાં શીખે, કારણકે પ્રેમની પ્રથમ અવસ્થામાં તો મારી જેમ બધું ખુશનુમા જ લાગતું હોય છે. શારીરિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર કરનાર વ્યકિત ક્યારેય પ્રેમી હોઈ શકે નહીં.'
આજે એંજલાનો પ્રેમી ડેલ કેરી લેપોઈડવિન જેલમાં છે. એને સાડા દસ વર્ષની સજા થઈ છે, જો કે તેની માતા હેલન આટલી સજાને અપૂરતી ગણાવે છે અને કહે છે કે પોતાની દીકરીને આખી જિંદગીનું દર્દ આપનાર વ્યકિતને જિંદગીભર જેલમાં જ રાખવી જોઈએ. પણ એંજલા બાર્કરના મનમાં એવો કોઈ ભાવ નથી, એ પોતાની મસ્તીમાં જીવે છે. ૨૦૧૦માં એંજલા બેનાલાથી મેલબોન આવી અને નેશનલ ઓસ્ટ્રેલિયા બેકમાં પાર્ટટાઈમ નોકરી કરે છે. મેલબોર્નની સો પ્રભાવશાળી વ્યકિતમાં પોતાનું નામ ધરાવતી એંજલાને ૨૦૧૧માં વિક્ટોરિયન યંગ ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરથી સન્માનવામાં આવી. આજે પણ એના ભૂતકાળને ઉખેડો તો તે કહે છે પોતાની જાત પર વિશ્વાસ રાખો. કંઈ પણ મેળવવું અસંભવ નથી.