ચૂંટણીમાં 'સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ'નું મહત્વ
મેનેજમેન્ટ - ધવલ મહેતા
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો મુખ્ય વિચાર એ છે કે તીવ્ર હરીફાઈવાળા અત્યારના બજારોમાં તમારે વ્યૂહાત્મક લાભ કેવી રીતે મેળવી હરીફોને પરાસ્ત કરવા.
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ: નવો વિચાર: કોર્પોરેટ મેનેજમેન્ટના કાર્યક્ષેત્રમાં સ્ટ્રેટેજીક (વ્યૂહાત્મક) મેનેજમેન્ટનો વિચાર ઈ.સ. ૧૯૭૦ બાદ વિકસ્યો છે. તે માટે ૧૯૮૦ના દાયકામાં પ્રો. માઈકલ પોર્ટરે જે પુસ્તકો અને લેખો લખ્યા તેમાંથી સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો નવો વિષય ઉદ્ભવ્યો છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો મુખ્ય વિચાર એ છે કે તીવ્ર હરીફાઈવાળા અત્યારના બજારોમાં તમારે વ્યૂહાત્મક લાભ કેવી રીતે મેળવી હરીફોને પરાસ્ત કરવા. આ માટે તમારી પાસે મર્મસ્થ કુશળતા (કોર કોમ્પીટન્સ) હોવી જોઈએ કે તેને કેળવવી પડે. તે માટે બજારના મુખ્ય પરિબળો અને તેમાં થતા ફેરફારોનો પણ અભ્યાસ કરવો પડે અને તમારે તમારી તાકાતો, નબળાઈઓ, વાતાવરણની તકો અને વાતાવરણમાંથી ઊભા થતા ભયોને 'સ્યોર' પૃથ્થકરણ દ્વારા ઓળખવા પડે. તે માટે તમારા મનમાં એક સ્પષ્ટ મીશન જોઈએ. તમારી પાસે એવી તાકાતો હોવી જોઈએ જે તમારા હરીફ પાસે ના હોય. અહીં લેખમાં આપણે ટૂંકમાં જોઈએ કે 'આપ' પક્ષ અને કેજરીવાલે વ્યૂહાત્મક મેનેજમેન્ટનો કઈ રીતે ઉપયોગ કર્યો અને તેમાં સફળતા મેળવી.
સ્પષ્ટ મીશન : આપ પાસે સ્પષ્ટ મીશન હતું. અમારે દીલ્હીને ભારતનું શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે. અમારૂ ફોકસ દીલ્હી રાજ્ય અને તેના મતદારો છે અને અમારે તેમના જીવનની ગુણવત્તા સુધારવી છે.
મીશન પુરૂ કરવા એક નેતા : કંપની પોતાનું મીશન પુરુ કરવા તેનું બ્રાંડ નેમ, તેનો સફળ ઈતિહાસ, તેના સીઈઓની લાયકાત, વગેરેની રજૂઆત કરે છે. આ બાબતમાં કેજરીવાલ એટલા માટે સફળ થયા કે આ ચૂંટણી પહેલા તેવો બે વખત સફળ વિજેતા બન્યા હતા. છેલ્લી જીતે તેમની ત્રીજી જીત હતી. તેમની છેલ્લા પાંચ વર્ષની કામગીરીનો તેમણે અહેવાલ આપ્યો હતો.
નેતાનું પોઝીશનીંગ : તેમણે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર સામે અણ્ણા હઝારેના નેતૃત્વ હેઠળ આંદોલનો કર્યા હતા. તે પણ લોકોને યાદ હતું. આથી કેજરીવાલનું લોકમાનસમાં 'પોઝીશનીંગ' ભાજપના નેતાઓના 'પોઝીશનીંગ'થી જુદુ હતું. માર્કેટીંગનો એક ગુરૂમંત્ર એ છે કે વેચાણકારે ગ્રાહકોના મનમાં તેની પ્રોડક્ટનું 'પોઝીશનીંગ' કરવાનું છે કારણ કે પ્રોડક્ટ કે સર્વીસનું વેચાણ ગ્રાહકના મનમાં થતું હોય છે - ખીસ્સામાંથી ખરીદીના પૈસા તે પછી કાઢે છે. આપ અને કેજરીવાલે તેમના પક્ષનું 'પોઝીશનીંગ' 'એક કામ કરતો પક્ષ', 'ભ્રષ્ટાચાર વિનાની' એક કામ કરતી સરકાર' તરીકે કર્યું જે સફળ થયું. આ પોઝીશનીંગનું એક નેગેટીવ પાસું એ પણ હતું કે કેજરીવાલે પોતાના નિકટના સાથીદારોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને એકહથ્થુ સત્તા ભેગી કરી છે. તો સામે પક્ષે પણ બીજેપી માટે પણ એકહથ્થુ સત્તાનું 'ઈમેજ' મતદારોના મનમાં હતું.
લોકોની જરૂરિયાતોની સ્પષ્ટ ઓળખ
આપ તથા કેજરીવાલની 'માસ્ટર સ્ટ્રેટેજી' એ હતી કે બીજેપી, કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષો છે અને તેઓ રાષ્ટ્રીય મુદ્દા પર જ ચર્ચા કરશે કારણ કે છેલ્લા છ વર્ષથી દિલ્હી શાસનનો તેમને અનુભવ નથી. માત્ર 'આપ' પાસે જ છે. આથી 'આપ' બહુ જ ચતુરાઈપૂર્વક આ ચૂંટણીના પાંચ વર્ષ પૂર્વે જ દિલ્હીના લોકોની મુળભૂત જરૂરિયાતો ઓળખી તે હતી પાણી, વીજળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ. દીલ્હીના તમામ લોકોના (તેમજ ભારતની તમામ વસતીના) આ પ્રાણ પ્રશ્નો છે અને 'આપ' આ દિશામાં ઘણું આગળ વધશે અને તે પ્રમાણે જ થયું. આપે આ દિશામાં જાદુઈ કામ કરી બતાવ્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને મજબૂત કરવા તેમણે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં ફાળવણી કરી જે કુલ બજેટના ૨૫ ટકા જેટલી હતી. ભારતના કોઈ રાજ્યે કે કેન્દ્ર સરકારે શિક્ષણ પાછળ આટલી ટકાવારી ફાળવી નથી. પાંચ વર્ષમાં ૨૦,૦૦૦થી વધુ ક્લાસરૂમ્સ ઉભા કર્યા.
ગુજરાતમાં ક્લાસરૂમ્સ ઓરડા ગણાય છે તેની હવે નેગેટીવ નોંધ લેવામાં આવી રહી છે!! કેજરીવાલે અમુક શિક્ષકોને વધુ ટ્રેનીંગ લેવા પરદેશ મોકલ્યા, પાઠય પુસ્તકોમાં સુધારા કર્યા પરિણામે સરકારી શાળાઓમાં શિક્ષણ એટલું સુધર્યું કે ખાનગી શાળાઓમાંથી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં જવા ધસારો થયો. દસમા-બારમા ધોરણમાં ખાનગી શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓ ઊત્તીર્ણ થયા તેમની ટકાવારી કરતા સરકારી શાળાઓમાંથી ઊત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી વધારે હતી! આ ચમત્કાર કહેવાય. સ્વાસ્થ્ય સેવાઓમાં સાચેસાચ 'ઈનોવેશન' કર્યું. મોહલ્લા ક્લીનીક્સનો કન્સપ્ટ લઈ આવ્યા અને તદ્દન મફત યોજનાનો આ પ્રયોગ ખૂબ સફળ થયો.
આ પહેલા જે દવાખાના ખપાટીયા જેવા ઓરડામાં ચાલતા હતા તેને બદલે નવા અદ્યતન દવાખાના બાંધી આપ્યા. આવું જ મફત વીજળી અને પાણીની યોજનાઓમાં થયું. સ્ત્રીઓને મફત મુસાફરીના પાસ આપ્યા. વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણની સેવાઓ લોકોને મળે તે માટે 'આપ' પક્ષે છેલ્લા પાંચ વર્ષ સખત કામ કર્યું. આ કામ પર જ ફોકસ કર્યું. કામ કરતી સરકાર ઊભી કરી તેથી લોકોના તેને ખોબેખોબા મત મળ્યા. ૭૦માંથી ૬૨ બેઠકો મળી. જો કે હરીફ પક્ષ ભાજપ એમ કહી શકે છે કે અમારી બેઠક જે પહેલા ૩ હતી તેમાંથી વધીને ૮ થઈ છે પરંતુ તેમને માટે ખરા અર્થમાં દીલ્હી હજી ઘણુ દૂર છે.
સહેલા પ્રશ્નો : રાષ્ટ્રીય કક્ષાએ બીજેપી માટે પુષ્કળ મોટા મુદ્દાઓ ખેતી, ખેડૂતો, ખેતમજૂરો, મીનીમમ સપોર્ટ પ્રાઈસ, ખેડૂતોની ચળવળો વગેરે હોય છે જ્યારે દિલ્હીનો વિસ્તાર મુખ્યત્વે 'મેટ્રોપોલીટન' હોવાથી 'આપ' પક્ષને ખેડૂત અને ખેતીના પ્રશ્નોનો સામનો કરવો પડયો નથી જેથી તેનું કામ સહેલું થઈ.
માર્કેટીંગ મેસેજ : માર્કેટીંગ કોમ્યુનીકેશનમાં 'મેસેજ' અગત્યનો છે. સારા મેસેજની સખત અસર ગ્રાહકો પર પડે છે. ભાજપના કેટલાક અનુયાયીઓ બંદુકની ગોળીથી મારી નાખવાનો પોતાના સંભવિત મતદારોને મેસેજ આપ્યો તેની કદાચ ભાજપ પર નેગેટીવ અસર પડી છે.
સ્વીચીંગ કોસ્ટ : એક બ્રાંડમાંથી બીજી બ્રાંડની અને કેપેસીટીની ચીજવસ્તુ લઈએ તો તેની સ્વીચીંગ કોસ્ટ (ઈલેક્ટ્રીક કનેક્શન બદલવું વગેરે) થાય છે. 'આપ'ની વ્યૂહરચનાને કારણે મોટેભાગે કોંગ્રેસના મતો આપને મળ્યા છે અને ભાજપના થોડાક મળ્યા છે. મતદારોને એક પક્ષમાંથી નીકળી બીજા પક્ષને મત આપવાની સ્વીચીંગ કોસ્ટ લાગી નથી. તેનું મુખ્ય કારણ સીક્રેટ 'બેલોટ' છે. આમ ના કરીએ તો મતદારો વચ્ચે વેરવૃત્તિ બંધાઈ જાય. ભાજપની બેઠકો અને મતોની ટકાવારીમાં વધારો થયો છે તેથી આ ચૂંટણીમાં ભલે 'આપ' લીડર છે પણ ભાજપ તેનો નજીકનો ફોલોવર પક્ષ છે અને કોંગ્રેસ મેનેજમેન્ટની ભાષામાં 'લેર્ગાડ' છે.
દેશના મુખ્ય પ્રશ્નો પર મૌન : આપના વડા તથા અન્ય નેતાઓએ દેશના વિભાજનકારી મુદ્દાઓ પર તદ્દન મૌન રહેવાનું અથવા તે અંગે એકદમ મોળો પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું. તેઓ આ ચૂંટણી જીતવા રાષ્ટ્રવ્યાપી મુદ્દાઓની ચર્ચા વખતે કોઈ 'પોઝીશન' લેવા માગતા નહતા. કેટલાકને આમા આપનું શાણપણ તો કેટલાકને આમાં તકવાદીપણું કે ડરપોકપણું પણ દેખાય. પરંતુ 'આપ'નું આ ટેકનીકલ પગલું તેને લાભદાયી નીવડયું છે.
ઉપસંહાર : ચૂંટણી સહેલાઈથી જીતી શકાતી નથી તે માટે મતદારોની જરૂરિયાતો કઈ છે તેની ઊંડાઈથી જાણકારી જોઈએ અને આ જરૂરિયાતોને લક્ષીને ચૂંટણીની વ્યૂહરચના ઘડી શકાય. રાષ્ટ્રીય મુદ્દાઓને સ્થાનિક ચૂંટણીમાં સફળતા મળતી નથી તેમ ઉપરની ચૂંટણીમાં જણાયું છે. આ દિલ્હી મોડેલ ભવિષ્યમાં રાષ્ટ્રવ્યાપી થશે કે નહીં તે અત્યારે કહી શકાતું નથી.