Magazines

પૃથ્વીરાજ સુકુમારને ઇબ્રાહિમને શીખામણના બે શબ્દો કહ્યા

By GS TEAM
23 Apr 20262 mins read
પૃથ્વીરાજ સુકુમારને ઇબ્રાહિમને શીખામણના બે શબ્દો કહ્યા

- 'તમે એક વાત નોંધી હશે કે અમુક દિગ્ગજ સ્ટાર્સ પણ પોતાના દીકરા કે દીકરીને મોટાં સ્ટાર્સ નથી બનાવી શક્યા. શા માટે? એનું કારણ એ છે કે...' 

તાજેતરમાં સાઉથના મોટા સ્ટાર પૃથ્વીરાજ સુકુમારને બોલિવુડની જેમ મલયાલમ સિનેમામાં પણ સ્ટાર કિડ્સને ફિલ્મોમાં સહેલાઈથી એન્ટ્રી મળી જતી હોવાની વાત કરી છે. પૃથ્વીરાજ મલયાલમ ફિલ્મોના સદ્ગત એક્ટર સુકુમારનનો પુત્ર છે. સરનેમના આધારે પોતાના માટે ફિલ્મોના દરવાજા આપોઆપ ખુલી ગયા હતા એવું કબુલતા ૪૭ વરસનો અભિનેતા એવી ટકોર કરે છે કે 'કરિઅર ટકાવી રાખવા તમારે ઘણું બધુ કરવું પડે છે. તમે સ્ટાર કિડ હો તો ખુશનસીબ છો અને તમને એક મોટો પ્રિવીલેજ (વિશેષાધિકાર) મળી જાય છે. મને મારી પહેલી ફિલ્મ મળી એનું એકમાત્ર કારણ મારી સરનેમ (અટક) હતી. તમે નહિ માનો પણ મારે ઓડિશન પણ નહોતું આપવું પડયું. ડિરેક્ટે મને આમ જ પસંદ કરી લીધો, પરંતુ યાદ રહે કે તમારી સરનેમ ફક્ત તમને તમારી પ્રથમ મૂવી મેળવી આપે. ત્યાર બાદ બાજી તમારે પોતે સંભાળી લેવી પડે છે. શુક્રવાર આવે એટલે તમને દર્શક નામની જ્યુરી બહુ તટસ્થા અને નિર્દયતાથી એક એક્ટર તરીકે જજ કરે, તોલે-માપે. તમારું ભાવિ તેઓ જ નક્કી કરે.'

પોતાને એકધારી સફળતા મળવા છતાં રાની મુખરજી સામે 'ઐય્યા' નામની મૂવીથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કરનાર હેન્ડસમ મલયાલી સ્ટારના પગ જમીન સાથે જોડાયેલા છે. 'હું બહુ સારી રીતે જાણું છું કે આ (લક્ઝુરિયસ) લાઈફ અને આટલી બધી તકો મને એટલા માટે નથી મળી કે હું એને માટે સૌથી વધુ પાત્ર છું, લાયક છું. મારાથી વધુ લાયક અને વધુ ટેલેન્ટેડ બીજા સેંકડો લોકો છે પરંતુ હવે મને આ બધુ મળી જ ગયું છે ત્યારે એનું મૂલ્ય સમજવાની અને એનો પૂરેપૂરો સદુપયોગ કરવાની ફરજ મારી છે,' એમ પૃથ્વીરાજ એક ફિલ્સૂફની અદાથી કહે છે.

પૃથ્વીરાજ સુકુમારને છેલ્લે કાજોલ અને ઇબ્રાહિમ અલી ખાન સાથે હિન્દી ફિલ્મ 'સરઝમીન' કરી હતી. એટલે એને બોલિવુડના સ્ટાર કિડ્સને પોતાની જેમ જ ડેબ્યુ તાસક પર મળતું હોવાનો ખ્યાલ છે. એટલે જ એક્ટર ઇન્ટરવ્યુના સમાપનમાં ઇબ્રાહિમ સહિતના નવા નિશાળિયાઓને શિખામણના બે શબ્દો કહી દે છે, 'તમે એક વાત નોંધી હશે કે અમુક દિગ્ગજ સ્ટાર્સ પણ પોતાના દિકરા કે દીકરીને મોટા સ્ટાર્સ નથી બનાવી શક્યા. શા માટે? એટલા માટે કે સ્ટાર કિડ્સને બોક્સ ઓફિસ પર તેઓ કોણ છે એના આધારે જજ નથી કરાતા. તમારી સરનેમને કારણે કદાચ લોકોને શરૂમાં તમારામાં રસ પડે પણ એના આધારે તમે ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો. ઇબ્રાહિમ સૈફ અલી ખાનનો પુત્ર છે એટલે કદાચ સિનેમાપ્રેમીઓને એનામાં રુચિ ઊભી થઈ હોય, પરંતુ અંતે તો એણે પોતાની ટેલન્ટ અને સ્કિલ્સ (કસબ) ઉપર જ મદાર રાખવાનો છે.'