પ્રતીક્ષા- પ્રભુદર્શનનો..
પ્રતીક્ષાએ એક મીઠ ઝૂરાપો છે. કોઈક વખત ઝૂરાવું એ પણ મનભાવના સંવેદના બની જાય છે. આમ પણ પ્રતીક્ષા તો પોતીકાની જ હોય ને ? પ્રિયતમાને પ્રિયતમની, ગામડે રહેતા ઘરડી માને દૂર રહેતા દીકરાની કે પોતાના કોઈ સન્નિષ્ઠ મિત્રની કે જે ઘણા વખતથી મળ્યો જ નથી. પ્રતીક્ષા દરમ્યાન જે તે વ્યકિતનું સ્મરણ સતત થતું રહે. પ્રતીક્ષા એ તો જીવનનું અવલંબન છે.
પ્રતિક્ષાની પરાકાષ્ઠા ક્યારે છે કે જ્યારે પોતે પ્રતીક્ષા કરે છે તેનું સ્મરણ પણ ન રહે કે ન તેનું વિસ્મરણ થાય. તેનું ઊંડાણ એટલું કે શ્વાસોચ્છવાસ દરમ્યાન ખબર નથી પડતી કે તે ચાલી રહ્યા છે. તેવા અભાનથી થતી રહે. શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ સરસ વિધાન કર્યું છે કે,'પ્રતીક્ષા એટલી કે કદિ વર્તુળ થશે પૂરૂં, ઘણાયે જન્મોથી અડધો-અધૂરો રાસ ચાલે છે. મારો સમય જ પ્રતીક્ષા બની ગયો, હું હજી ઊભો જ છું, રસ્તો વહી ગયો.
આ વાત થઈ સાંસારિક સંબંધોની. આપણે ત્યાંથી આગળ વધીને પ્રતીક્ષા- પ્રભુદર્શનની એક અનોખીને દિવ્ય અનુભૂતિનો ઉલ્લેખ કરવો છે. ઇશ્વરને પામવાની બાબતમાં એવું કહી શકાય કે તેને પભવા કરતાં રાહ જોતાં જોતાં ધીમે ધીમે પ્રત્યેક ડગલે ઇશ્વર નિકટ આવતો જશે એવી અનુભૂતિ થાય. નિરંતર પ્રતીક્ષાની તુલનામાં પ્રાપ્તિનો આનંદ ઉણો ઉતરે છે.
ચાલતા રહેવામાં જે મજા છે. તે મુકામ પર પહોંચવામાં નથી. એક ભક્તે સરસ કહ્યું છે કે,' હે પ્રભુ ! તું મને મળે તો ય ઠીક છે ને ન મળે તો ય ઠીક છે પણ હું તારી રાહ જોયા કરૂં- પ્રતિક્ષા કર્યા કરૂં એ મારૂં સુખ અકબંધ રાખજે. એવું બને કે તું મને દર્શન આપીશ એ પછી મારે કંઈ કરવાનું રહેશે જ નહીં.
પ્રતીક્ષા એટલે સ્તોત્ર, ભજન કે કીર્તનાદિ વડે ઇશ્વરનું સતત સ્મરણ. સતત સ્મરણ એ પણ એક પૂજા જ છે. ભક્ત કહે છે કે હે પ્રભુ ! મને તારા પ્રત્યે અપાર શ્રદ્ધા છે કે એક દિવસ તું મારા ઊંબરા સુધી તો આવીશ જ. તેથી જ હું મારા ઘરના દ્વાર અધખુલ્લા રાખું છું. બારણાને હડસેલો મારી તું અંદર આવીશ એટલે હું તારા ચરણો પકડી લઈશ કે જેથી તું ક્યારેય મારા બારણેથી ચાલ્યો ન જાય.
પ્રતીક્ષાની વાત કરીએ ત્યારે રામભક્ત શબરી અનાયાસે યાદ આવી જાય. નાનકડા કસ્બામાં રહેતી તદ્દન, અભણ, ભોળી-ભાવિક શબરીનું એક મા૬ લક્ષ્ય કે ભગવાન શ્રીરામને મારે મીઠા બોર ખવડાવવા છે એ ભોળીને તો શ્રીરામ આ માર્ગેથી ક્યારે પસાર થવાના છે એ પણ ખબર નથી છતાં દિવસો સુધી એક-એક બોર ચાખીને મીઠા બોરથી છાબડી ભરતી જ રહી.
ક્યારેક જીવનમાં અણધારી વિટંબણા આવતી હોય છે. ચાહે તે આર્થિક હોય, શારીરિક હોય કે પારિવારિક હોય વિટંબણાનો કોઈ જ ઉકેલ કારગત નથી નીવડતો. અચાનક કોઈક સ્નેહીજન કે મિત્ર ફરિસ્તો બની આવી પહોંચે છે ને સમસ્યા સરળતાથી હલ થઈ જાય છે. આ વખતે મન વિચારે કે આ કોઈ સામાન્ય ઘટના નથી. કોઈક દૈવી શક્તિનું પ્રાગટય છે.
ઇશ્વરનો સાક્ષાત્કાર છે, દિવ્ય પ્રભુદર્શન છે ઇશ્વરનો અનુગ્રહ આપણે હર પળે માણીએ છીએ પણ કરૂણતા એ છે કે એનાથી આપણે અજાણ છીએ. સારા- માઠા પ્રસંગો તો જીવનમાં આવવાના જ છે તે દરમ્યાન આપણી પડખે માત્ર ઇશ્વર જ છે. પ્રતીક્ષાના માધ્યમથી ઇશ્વરનું સતત સ્મરણ ગમે તેવા ઝંઝાવાતમાંથી જરૂર ઉગારી લેશે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનને નિમિત્ત બનાવી ભગવાન શ્રીકૃષ્ણે સમસ્ત ભક્તસમુદાયને અભયવચન આપ્યું છે કે 'યોગક્ષેમ વહામ્યહમ્ ' ન મે ભક્ત પ્રણશ્યતિ'.
ઇશ્વરનું સુરક્ષાકવચ સતત આપણી રક્ષા કરે છે. પ્રતીક્ષા દરમ્યાન માત્ર બે જ શરત આપણી સામે છે. સતત સ્મરણને અનન્ય શરણાગતિ. ગીતાજીના અભ્યાસ વખતે ભક્તને એક જ દિવ્ય સંદેશ મળે છે કે બધું જ છોડી તું મારે શરણે આવી જા, હું તને સર્વ બંધનોમાંથી મુક્તિ-મોક્ષ કે નિવૃત્તિ અપાવીશ.
પ્રતીક્ષાને અંતે પ્રભુદર્શન પામી જવાય તો કશું જ માગવું નથી, કોઈ જ ફરિયાદ કરવી નથી. માત્ર ને મા૬ પ્રભુનું સતત સાન્નિધ્ય જ માણવું છે.
- શ્રીમતી કૌમુદી ડી બક્ષી