શુમ્ભ - નિશુમ્ભ દ્વારા પરાજીત થયેલાં દેવોએ કરેલી માતા જગદંબાની સ્તુતિ

- બધા દેવતાઓની સ્તુતિથી કરુણા સાગર ભગવતી જગદંબા પ્રસન્ન થઈ પ્રગટ થયાં અને દેવતાઓની સહાય કરવા સારું માતા તત્પર થઈને દૈત્યોના સંહાર કરવા માટે સજ્જ થયાં.
(ગતાંકથી ચાલુ)
આપ પરમવિદ્યાસ્વરૂપિણી છો. બધાના મનોરથો પૂરા કરવાનો તમારો સ્વભાવ છે. હે માતા ! તમારી કૃપાથી મુક્તિ સુલભ થઈ જાય છે. બધા દેવતાઓ તમારા ચરણોને વંદન કરે છે. તમે કમલા, લજ્જા, સ્થિતિ, કીર્તિ અને પુષ્ટિ નામે પ્રસિદ્ધ છો. હે માતા ! વિષ્ણુ અને શંકર તેમજ અન્ય દેવતાઓ પણ તમારી સેવામાં તત્પર રહે છે.
ભગવાન વિષ્ણુ પાસે તમે માતા લક્ષ્મીરૂપે બિરાજો છો. ભગવાન શંકર પાસે તમે માતા પાર્વતીરૂપે બિરાજો છો. તમારા બંને ચરણ કમળ જેવા સુકોમળ છે. ગૃહસ્થીથી માંડીને વિરક્ત બુદ્ધિમાન મુનિઓ પણ દયા અને ક્ષમારૂપથી તમારી આરાધના કરે છે. હે દેવી ! આપ સમગ્ર વિશ્વની માતા છો.
આ પ્રમાણે બધા દેવતાઓની સ્તુતિથી કરુણા સાગર ભગવતી જગદંબા પ્રસન્ન થઈ પ્રગટ થયાં અને દેવતાઓની સહાય કરવા સારું માતા તત્પર થઈને દૈત્યોના સંહાર કરવા માટે સજ્જ થયાં. આમ, માતા જગદંબા દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ સહાય કરીને દેવોને નિર્ભય કર્યાં. તો આવો આપણે પણ માતા જગદંબાની આવી સ્તુતિ કરીએ અને પ્રાર્થના કરીએ અને માતાના આશિર્વાદથી આપણાં સંકટોમાંથી મુક્તિ મેળવીએ એ જ અભ્યર્થા સહ... અસ્તુ..
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી









