વસંતોત્સવોનું વાસંતી સૌન્દર્ય
વર્ષભરમાં વસંત એટલે પ્રકૃતિનો યૌવન કાળ છે. આમાં આવતી વસંત પંચમી એટલે જીવનમાં સંઘર્ષનો સામનો કરી રહેલા માનવ સમાજ માટે ચૈતન્ય પર્વ છે, તો જીવનમાંની પાનખરને વિદાય આપીને સમયને તાજગી બક્ષવા તથા જીવનની વાટિકા ખીલવવાનું પર્વ.
પરમેશ્વર તો 'સત્યમ- શિવમ- સુંદરમ' સ્વરૂપ છે. એટલે જ સૌન્દર્ય પાસનામાં જો શુધ્ધભાવના ભળે તો એ સાચી ઇશ્વરો પાસના બની જાય. વર્તમાન સમયમાં માનવીની પ્રકૃતિનાં પ્રાંગણમાં વિલસતા સૌન્દર્યને જોવા- માણતાની દ્રષ્ટિ ઓછી થતી ગઈ છે. વૃક્ષ- વનસ્પતિઓ, પુષ્પોની સુંદરતા જોવાની દ્રષ્ટિ કેળવવી પડે તો જ માનવ હૈયામાં પણ વાસંતી સૌન્દર્યના અંકુર ફૂટે. વસંત પંચમીથી ઉજવાતા વસંતોત્સવો દ્વારા આખરે તો વૃક્ષ-વનસ્પતિઓનાં પૂજનથી માનવ-સમાજને પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ અપાયો છે.
વસંત લક્ષ્મીનાં વાસંતી નવા પર્ણો અને ફૂલોનાં શણગાર સજીને ઋતુરાજ વસંતને વધાવે છે. આમ વસંત એટલે કુદરતની સૌન્દર્ય મંડિત રસ ઝરતી ગીત-કવિતા આવી વસંતના આગમન ટાળે આંબાડાળે ઝૂલતી કોકિલા પંચમસૂર રેલાવે છે. પુષ્પ ગુચ્છ અને આમ મંજરીઓમાં ભ્રમર ગુંજારવ કરે છે, પતંગિયા મધુકોષો- પુષ્પો પર મંડરાય છે. પંખીઓનાં કલરવથી વૃક્ષ-લ-ત્તાઓથી ઝૂમી ઉઠે છે. ઉત્તરદિશાથી ગુલાબી ઠંડીનો પવન ફૂંકાય છે, તો કવિકંઠેથી વાસંતી સૌન્દર્યના વર્ણનોની રસપ્રચુર કવિતાઓ લલકારાય છે. ગીત-સંગીતના રસિયાઓનાં હૃદયમાંથી સપ્તસૂર રેલાય છે. આ પ્રમાણે વસંત પંચમી તો સંગીત, સુગંધ અને સુંદરતાનો વૈભવ પ્રગટ કરે છે.
વસંત પંચમીથી પ્રકૃતિનાં પ્રાગણમાં વસંતનું અવતરણ થાય છે. કવિ જય દેવના 'ગીત ગોવિંદ'માં એક સખી રાધા સમક્ષ વસંતનાં સૌન્દર્યનું વર્ણન કરતાં જણાવે છે.'વિહરતિ હરિરિહસ રસ વસન્ત' આવી રસસભર વસંતમાં શ્રી હરિ-કૃષ્ણ વિહાર કરે છે, વ્રજભાષા, ઉપરાંત અન્ય પ્રાંતીય ભાષાઓનાં મધ્યકાલીન કવિઓએ તો વસંત, વસંત રાગને રાસ, વસંતોત્સવ વગેરેનું વર્ણન કરતી અસંખ્ય કૃતિઓ રચી છે, તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સહજાનંદ સ્વામીજીએ 'શિક્ષાપત્રી'ની રચના પણ વસંતપંચમીનાં પવિત્ર દિવસે કરી હતી.
આવી વસંત પંચમી સૌને શુભ સંદેશ આપે છે, આપણા જીવનને વસંત જેવું મઘમઘતું કરીએ અને શ્રીકૃષ્ણની માધુર્યભક્તિ, સરસ્વતી વિદ્યાથી સુગંધિત કરીએ.
- પરેશ અંતાણી