પાણીદાર કથાનક : પાણી સંઘરો, પાણી તમને સંઘરશે.
- સરર કરતી સરિતા પેઠી એ દ્રઢ ફળ માંહી શ્રીફળ નામ પડયું તે દિનથી, પાણી એ ફળ માંહી
- કોઈ કહેશો કે નાળિયેરમાં પાણી પ્રવેશ્યું કેવી રીતે ?
પાણી સંઘરો, પાણી તમને સંઘરશે. પાણી બચાવો, પાણી તમને બચાવશે. ભૈ આવી બધી બોલકી વાતો તો પેલો બોલકો માણસ જ બોલ્યા કરે. પણ કુદરત તો એ અમલમાં જ મૂકે છે. કુદરતની એ કરામત છે, બોલે નહીં, કરી તાવે.
કુદરતનું એક ફળ છે...
ઊંહ, ચાલો ને વાર્તા જ સાંભળીએ.
રાજા વિદ્વાન, જ્ઞાાની, અમીર, પારંગત, હોશિયાર, ચાલક, ચબરાક... બધું જ. પણ એક દિવસ ખોવાયો, સાથીઓથી છૂટો પડી ગયો. અને છૂટો પડેલા રાજા પણ સાધારણ માણસને !
ભૂખ લાગી. તરસ લાગી.
પાણી પાણી કરતો બાવરો બની તે આમતેમ ભટકવા લાગ્યો.
શોધતાં શોધતાં પહોંચી ગયો નાળિયેરી પાસે. તેને હાથ લાગ્યા નાળિયેર. નાળિયેર એટલી પાણી.
નાળિયેર એટલે ખોરાક ખરો પણ પાણી એવું કે ભૂખ સંતોષે, તરસ છીપાવે.
રાજાના સાથીઓ ભેગા થયા.
રાજાના હાથમાં નાળિયેર. તે પોતાના તમામ સાથીઓને પૂછે: 'આ નાલિયેરમાં પાણી ક્યાંથી આવ્યું ? કેવી રીતે આવ્યું ? કોણે પૂર્યું ? કોણે સાચવ્યું ? પાણીની આવી સરસ માવજત કોણે કરી ?' દરબારીઓ જાતજાતના તર્ક કરતા રહ્યા.
રાજાએ તો ડાંડી પીટાવી: 'જે મને ગમતો જવાબ કહેશે તેને ઈનામ મળશે, સારૂં એવું મોટુ ઈનામ મળશે.'
લોકો તો આવવા લાગ્યા. જાતજાતના કથાનક કહીને પાણી બતાવવા લાગ્યા.
ત્યારે આવ્યો એક ગ્રામજન. ખેતી તેનો ધંધો. વાદળ તેના સાથી. વરસાદ તેનો ભગવાન. બળદ તેનું કુટુંબ. હાથ તેનું જીવન.
વારતા જ માંડી
તેણે તો.
તે કહે: 'આપણે બધાં આકાશના ચાતક. વાદળના ભગત, વરસાદના પ્રસાદિયા. ખેતરના ખૂણખોદિયા, ધરતીના છોરૂ...'
રાજાજી કહે: 'આગળ કહો'
કૃષિક કહે: 'વરસાદ આવે કે ન યે આવે. વરસાદનું એવું, આવે તો આવે, નહિ તો રાહ જોવડાવે, રાહ જોયા જ કરો, જોયા જ કરો.'
'કેટલી રાહ જોવાની છે ?' રાજાએ પૂછ્યું.
'વરસાદ વહુ અને વાતોડિયાને યશ નહિ,' ગ્રામજન કહે: 'ગામના લોકો રાહ જોઈ જોઈને થાક્યા. લાગ્યું કે હવે વરસાદ નહિ પડે, નહિ જ પડે. એટલે ગામના વડીલોએ નારો લાગ્યો, પાણી બચાવો, પાણી બચાવો.'
'કેવી રીતે ?' 'પાણી બચાવવાની બધી રીત અજમાવી જોઈ' ખેડૂત કહે: 'છેવટે એક જ જગા સલામત લાગી.'
'કંઈ ?' 'નાળિયેર', કૃષિપંડિત કહે: 'હા, નાળિયેર. એમાં પાણી સંચરી રાખો તો સંઘરાયેલું રહે છે...'
રાજાની આંખમાં ચમક આવી.
ગ્રામજન કહે: 'ત્રણ બાજુથી ત્રણ આંગળી જેટલી જગા કરી પાણી ભરી દેવામાં આવ્યું. મહારાજ ! વડીલોએ શાણાઓએ અનુભવીઓએ સલાહકારોએ સંઘરેલું એ પાણી પછી નાળિયેરમાં કાયમ રહ્યું. ત્યાર બાદ બધાં નાળિયેરને પાણી સંઘરવાની આદત પડી ગઈ. આપ નાળિયેરના ત્રણ દ્વાર એ જોઈ શકો છો. ભગવાન શિવશંકરની ત્રણ આંખો છે પાણીદાર, નાળિયેરની પણ ત્રણ આંખો પાણીદાર.'
ગ્રામ્ય કૃષિકાર પંડિત તો પછી બોલે જ રાખે: 'એટલે જ કહેવાયું છે કે પાણી સંઘરો. પાણી વધારે હોય ત્યારે સંઘરો. પાણી ઓછું હોય ત્યારે સંઘરો. પાણી ઓછું થવા લાગે કે સંઘરો. પાણી અદ્રશ્ય થવા લાગે કે સંઘરો. પાણી સંઘરો જ સંઘરો અને નાળિયેરમાં સંઘરો. બલકે નાળિયેર પાણી સંઘરે છે.'
આગળ કહે પાણી પંડિત: 'નાળિયેર પાસે એ જ પાણી છે. અછતનું, અનુભવનું, જ્ઞાાનનું, જરૂર વખતનું, બોધનું, વિજ્ઞાાનનું, દીર્ઘદ્રષ્ટિનું, સંચયનું, સંગ્રહનું. પ્રાણી પંડિત પાણીની શાણી વાણી વહેવડાવે જ જતા હતા અને એ વહેણના વેણમાં તણાતા રાજાજીથી બોલી જવાયું વાહ કથા, વાહ પાણી'.
દરબાર આખો અને આજુબાજુના બધાં જ બોલી ઊઠયા: 'ખરી પાણીદાર કથા કહી. ધન્ય પાણી, ધન્ય કથા.'
રાજાજીએ એ ભવના અનુભવીને પાણીદાર શ્રીફળેશ્વરનો ગાજતો ખિતાબ આપી, તેનું શાલ, સોનામહોર અને શ્રફળથી ભવ્ય શ્રી સ્વાગત કર્યું.
ત્યારથી એ રાજા પાણીનો સંચય કરે છે, તમે... ?