આપણા સ્વાતંત્ર્ય નાયકો : ડૉ. ગયાપ્રસાદ .
- ગયાપ્રસાદને યાદ આવ્યું કે તેમના ખિસ્સામાં એક કાગળ છે જેમાં લખનઉના પ્રસિદ્ધ વકીલ ચંદ્રભાનુ ગુપ્ત અને મોહનલાલ સકસેનાનાં નામ લખેલાં છે. આ બન્ને વકીલો કાકોરી કેસના ક્રાંતિકારીઓનો કેસ લડી રહ્યા હતા
ડૉ. ગયાપ્રસાદ ફિરોજપુરના વતની હતા. ફિરોજપુરમાં તેમનું દવાખાનું ધમધોકાર ચાલતું હતું. તેઓ એલોપેથી, હોમિયોપેથી અને હકીમી ત્રણે પ્રકારની પદ્ધતિઓના જાણકાર હતા. દવાખાનાની મોટાભાગની કમાણી તેઓ ક્રાંતિકારી પાર્ટી માટે વાપરી નાખતા. પાર્ટી સાથે તેમનો નાતો ઘણો જૂનો હતો. પાર્ટી તરફતી સહારનપુરમાં બોમ્બ બનાવવાની ફેકટરી શરૂ કરવાનું નક્કી થયું ત્યારે આ કામ માટે ડૉ. ગયાપ્રસાદ, જયદેવ કપૂર અને શિવ વર્માની પસંદગી કરવામાં આવી. ડૉ. ગયાપ્રસાદની પસંદગી એટલા માટે કરવામાં આવી કે તેઓ કંપાઉન્ડર અને ડ્રેસરના બહાને કેટલાક લોકોને પોતાની સાથે રાખી શક્તા હતા. વળી દવાખાનામાં દવાની ગંધને કારણે બોમ્બના રસાયણોની ગંધની કોઇને શંકા જઇ શકે તેમ નહોતી. આમ દવાખાનું પણ ચાલે ને તેમાં બોમ્બ પણ બનતા રહે. પરંતુ પૈસાને અભાવે સહારનપુરમાં દવાખાનું ખોલવામાં આવ્યું તેની રોનક દવાખાના જેવી ન ઊભી થઈ શકી. તેમણે દિલ્હીમાં પાર્ટી પાસેથી આર્થિક મદદ માગી પણ ન મળી. નાછૂટકે તેમણે એ જ સ્વરૂપમાં દવાખાનું ચલાવવું પડયું. પરિણામે એક દિવસ પોલીસને શંકા પડીને રહી. બોમ્બનું કારખાનું હોવાનું માલૂમ પડતાં જ શિવ વર્મા અને જયદેવ કપૂરને ડૉ. ગયાપ્રસાદના ઘરમાંથી ગિરફતાર કરી લેવામાં આવ્યા. ડૉ. ગયાપ્રસાદ તે દિવસે પૈસાના પ્રબંધ માટે કાનપુર ગયા હતા. તેમણે જ્યારે સહારનપુરના પોતાના નિવાસસ્થાને આવીને બારણું ખખડાવ્યું ત્યારે એમને એમ હતું કે હમણાં અંદરથી શિવ વર્મા કે જયદેવ કપૂર બારણું ખોલશે. પરંતુ અંદરથી સાથીદારને બદલે પોલીસ નીકળી. ગયાપ્રસાદ ફફડયા. પોલીસે તરત તેમની ધરપકડ કરીને હાથકડી પહેરાવી દીધી. પોલીસ થાણે લઇ જવામાં આવ્યા. રસ્તે ચાલતા ગયાપ્રસાદને યાદ આવ્યું કે તેમના ખિસ્સામાં એક કાગળ છે જેમાં લખનઉના પ્રસિદ્ધ વકીલ ચંદ્રભાનુ ગુપ્ત અને મોહનલાલ સકસેનાનાં નામ લખેલાં છે. આ બન્ને વકીલો કાકોરી કેસના ક્રાંતિકારીઓનો કેસ લડી રહ્યા હતા. ક્રાંતિકારીઓનો સંદેશ તેમના દ્વારા જ જેલ બહાર જતો હતો. આ કાગળ જો પોલીસના હાથમાં આવી જાય તો બન્ને વકીલોને તકલીફ ઉભી થઈ શકે એમ હતી. ડૉ. ગયાપ્રસાદે બુદ્ધિ દોડાવી પેશાબ કરવાનું બહાનું કાઢ્યું. સિપાઇએ તેમનો એક હાથ છોડયો. તેમણે સિપાઇ તરફ પીઠ ફેરવીને મોંમાં પેલો કાગળ નાખી દીધો. તેને ચાવીને ગળે ઉતારી ગયા. પોલીસ થાણે પહોંચ્યા ત્યાં સુધી તો એ કાગળ પેટમાં પહોંચી ગયો હતો. સહારનપુરથી તેમને લાહોરની જેલમાં મોકલી આપવામાં આવ્યા. લાહોર ષડયંત્રનો કેસ જે ક્રાંતિકારીઓ ઉપર ચાલી રહ્યો હતો તેમાં તેમને પણ સામેલ કરવામાં આવ્યા. કેસનો ચુકાદો આવ્યો ત્યારે તેમને આજીવન કાળાપાણીની સજા કરવામાં આવી.
- જિતેન્દ્ર પટેલ